પ્રકરણ ૨૫
હસ્તમૈથુન—એ કેટલું ગંભીર છે?
“હું વિચારું છું કે હસ્તમૈથુન (masturbation) દેવની નજરમાં ખોટું છે કે નહિ. શું એ ભવિષ્યમાં મારી શારીરિક અને/અથવા માનસિક તંદુરસ્તીને અને હું કદી પણ પરણું તો એને અસર કરશે?”—પંદર વર્ષની મલિસ્સા.
આ વિચારોએ ઘણાં યુવાનોને સતાવ્યાં છે. કારણ? હસ્તમૈથુન વ્યાપક છે. અહેવાલ અનુસાર, ૨૧ વર્ષની ઉંમર પહેલાં કંઈક ૯૭ ટકા પુરુષોએ અને ૯૦ ટકાથી વધુ સ્ત્રીઓએ હસ્તમૈથુન કર્યું હતું. તદુપરાંત, આ આચરણને સર્વ પ્રકારની માંદગીઓ—મસાથી માંડીને આંખોના પોપચાંની રતાશ અને તાણ તથા માનસિક બીમારી—માટે દોષિત ગણવામાં આવ્યું છે.
વીસમી સદીના તબીબી સંશોધકો હવે આવા ચોંકાવનારા દાવાઓ કરતા નથી. ખરેખર, આજના ડોકટરો માને છે કે હસ્તમૈથુનથી કોઈ પણ શારીરિક બીમારી થતી નથી. સંશોધકો વિલિયમ માસ્ટર્સ અને વર્જિનિયા જોનસન ઉમેરે છે કે “હસ્તમૈથુન, ગમે તેટલી વાર કરવામાં આવે છતાં, માનસિક બીમારીમાં દોરી જાય છે એવો કોઈ સ્થાપિત તબીબી પુરાવો નથી.” તેમ છતાં, બીજી ખરાબ અસરો છે! અને ઘણાં ખ્રિસ્તી યુવાનો એ આચરણ વિષે યોગ્યપણે જ ચિંતાતુર છે. “હું [હસ્તમૈથુન] સમક્ષ નમી જતો ત્યારે, મેં યહોવાહ દેવને નિરાશ કર્યા હોય એવું મને લાગતું,” એક યુવાને લખ્યું. “હું કેટલીક વાર ગંભીરપણે ઉદાસીન બની જતો.”
હસ્તમૈથુન શું છે? એ કેટલું ગંભીર છે, અને શા માટે ઘણાં બધા યુવાનોને એ ટેવ છોડવી અઘરી લાગે છે?
શા માટે યુવાનો નબળા હોય છે
હસ્તમૈથુન જાતીય ઉશ્કેરણી પેદા કરવા માટે જાણીજોઈને કરેલી સ્વ-ઉત્તેજના છે. યુવાની ખીલતી હોય ત્યારે, જાતીયતાની ઇચ્છાઓ મજબૂત બને છે. પ્રજનન અવયવોને અસર કરતાં શકિતશાળી અંતઃસ્ત્રાવો છોડવામાં આવે છે. આમ યુવાનને ખબર પડે છે કે આ અવયવો આનંદદાયક લાગણીઓ પેદા કરી શકે છે. અને કેટલીક વાર યુવાન જાતીયતા વિષે વિચાર કર્યા વિના પણ જાતીયપણે ઉત્તેજિત થઈ શકે.
દાખલા તરીકે, વિવિધ ચિંતાઓ, ભયો, અથવા ચીડને લીધે પેદા થયેલાં તણાવો છોકરાના લાગણીવશ જ્ઞાનતંતુ વ્યવસ્થાને અસર કરી શકે અને જાતીયતાની ઉશ્કેરણી કરી શકે. એવી જ રીતે ભેગું થયેલું વીર્ય તેને જાતીયપણે ઉત્તેજિત કરી ઊંઘમાંથી જગાડી શકે. અથવા એ, સામાન્ય રીતે જાતીય સ્વપ્નદોષથી, રાત્રિનો સ્રાવ પેદા કરી શકે. તેવી જ રીતે, કેટલીક છોકરીઓને પોતે ઇરાદા વગર ઉત્તેજિત થયેલી જણાય છે. ઘણીને તેઓના માસિક ચક્ર પહેલાં કે પછી જાતીય ઇચ્છા વધારે હોય છે.
તેથી જો તમે આવી ઉશ્કેરણી અનુભવી હોય તો તમારામાં કંઈ વાંધો નથી. એ યુવાન શરીરનો સામાન્ય પ્રત્યુત્તર છે. આવી લાગણીઓ, ઘણી જ તીવ્ર હોવાં છતાં, હસ્તમૈથુન નથી, કેમ કે એ મોટે ભાગે અનૈચ્છિક હોય છે. અને તમે મોટા થશો તેમ, આ નવી લાગણીઓની તીવ્રતા શમી જશે.
જો કે, જિજ્ઞાસા અને આ નવી લાગણીઓની નવિનતા ઘણાં યુવાનોને તેઓના જાતીય અંગોનો જાણીજોઈને ઉપયોગ કરવા, અથવા એની સાથે રમવા દોરે છે.
‘માનસિક બળતણ’
બાઈબલ એક એવા યુવાનનું વર્ણન કરે છે જે એક જાતીય અવિવેકી સ્ત્રીને મળે છે. તે સ્ત્રી તેને ચુંબન કરીને કહે છે: “ચાલ, આપણે . . . પ્રેમની મઝા ઉડાવીએ.” પછી શું થાય છે? “જેમ બળદ કસાઈવાડે જાય છે, . . . તેમ તે તરત તેની પાછળ જાય છે.” (નીતિવચન ૭:૭-૨૨) દેખીતી રીતે જ, આ યુવાનના અંતઃસ્ત્રાવો કાર્યરત હોવાને લીધે નહિ પરંતુ તેણે જે જોયું અને સાંભળ્યું એને લીધે તેની વાસના ઉશ્કેરાઈ હતી.
તેવી જ રીતે, એક યુવાન માણસ કબૂલે છે: ‘હસ્તમૈથુનના મારા આખા કોયડાનું મૂળ હું મારું મન શાનાથી ભરું છું એમાં રહેલું છે. હું અનૈતિકતાનો સમાવેશ કરતાં કાર્યક્રમો ટીવી પર જોતો અને કેટલાક કિસ્સાઓમાં નગ્નતા બતાવતા કેબલ ટીવીના કાર્યક્રમો જોતો. આવા દ્રશ્યો એટલા બધા આઘાતજનક હોય છે કે એ તમારી સાથે રહે છે. એ મારા મનમાં ફરીથી બહાર આવી, હસ્તમૈથુન કરવા માટે જરૂરી માનસિક બળતણ પૂરું પાડતાં.’
હા, ઘણી વાર વ્યકિત જે વાંચે છે, નિહાળે છે, અથવા સાંભળે છે, તેમ જ વ્યકિત જે વિષે વાત કરે છે કે મનન કરે છે, એ હસ્તમૈથુન શરૂ કરે છે. એક ૨૫ વર્ષની સ્ત્રીએ કબૂલ્યું: “હું એ ટેવ જરા પણ બંધ કરી શકું એમ ન લાગ્યું. જો કે, હું રોમાંચક નવલકથાઓ વાંચતી, અને એણે કોયડામાં ફાળો આપ્યો.”
“શામક”
આ યુવતીનો અનુભવ એ ટેવ છોડવી શા માટે આટલું અઘરું છે એનું નિઃશંક સૌથી મોટું કારણ પ્રગટ કરે છે. તે કહેવાનું ચાલુ રાખે છે: “સામાન્યપણે હું દબાણ, તણાવ, કે ચિંતા ઓછી કરવા હસ્તમૈથુન કરતી. એ થોડીક ક્ષણો, દારૂડિયો પોતાનો ગભરાટ શાંત પાડવા પીએ છે, એના જેવી હતી.”
સંશોધકો સુઝાન અને ઇર્વીન સાર્નોફ લખે છે: “કેટલાક લોકો માટે હસ્તમૈથુન, કઠોર અસ્વીકાર વખતે દિલાસો પામવા અથવા કોઈ બાબતે ભય ઊભો થતાં, તેનો આશરો લેવાની ટેવ બની જાય છે. જો કે, બીજાઓ સૌથી વધુ તીવ્ર લાગણીમય તણાવ હેઠળ હોય ત્યારે, ફકત પ્રસંગોપાત આ રીતે પીછેહઠ કરી શકે.” દેખીતી રીતે જ, બીજાઓ તેવી રીતે નારાજ, ઉદાસીન, એકલવાયા, અથવા ઘણાં તણાવ હેઠળ હોય ત્યારે એનો આશરો લે છે; એ તેઓની મુશ્કેલીઓને ભૂંસી નાખવા માટે “શામક” (ટ્રેંકિવલાઈઝર) બને છે.
બાઈબલ શું કહે છે?
એક યુવાને પૂછ્યું: “શું હસ્તમૈથુન માફ ન થઈ શકે એવું પાપ છે?” હસ્તમૈથુનનો બાઈબલમાં જરા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.a બાઈબલ સમયોમાં એ આચરણ ગ્રીક-ભાષી જગતમાં સામાન્ય હતું, અને એને વર્ણવવા કેટલાક ગ્રીક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ એમાંના એક પણ શબ્દનો બાઈબલમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી.
બાઈબલ હસ્તમૈથુનને સીધેસીધી રીતે ધિક્કારતું નથી, તેથી શું એનો એવો અર્થ થાય કે એ બિનહાનિકારક છે? જરા પણ નહિ! હસ્તમૈથુનને વ્યભિચાર જેવા અધમ પાપ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું નથી છતાં, એ સાચે જ મલિન ટેવ છે. (એફેસી ૪:૧૯) આમ દેવના શબ્દના સિદ્ધાંતો દર્શાવે છે કે આ મલિન ટેવનો મજબૂતપણે સામનો કરીને તમે ‘પોતાને લાભ કરો છો.’—યશાયાહ ૪૮:૧૭.
“વિષયવાસના” ઉશ્કેરવી
“એ માટે પૃથ્વી પરના તમારા અવયવો,” બાઈબલ અરજ કરે છે, “એટલે . . . વિષયવાસના . . . ને મારી નાખો.” (કોલોસી ૩:૫) “વિષયવાસના” સામાન્ય જાતીયતાની લાગણીઓને નહિ પરંતુ કાબૂ બહારની વાસનાને લાગુ પડે છે. આમ આવી “વિષયવાસના” વ્યકિતને પાઊલે રૂમી ૧:૨૬, ૨૭માં વર્ણવેલા અધમ કૃત્યોમાં રાચવા દોરી જઈ શકે.
પરંતુ શું હસ્તમૈથુન આવી ઇચ્છાઓને “મારી નાખતું” નથી? ના, એને બદલે, એક યુવાને કબૂલ્યું તેમ: “તમે હસ્તમૈથુન કરો છો ત્યારે, તમે માનસિક રીતે ખોટી ઇચ્છાઓ પર વિચારો છો, અને એ એને માટેની તમારી વાસના વધારવાનું જ કાર્ય કરે છે.” ઘણી વાર જાતીયતાનો આનંદ વધારવા માટે અનૈતિક તરંગનો ઉપયોગ કરવામાં આવે છે. (માત્થી ૫:૨૭, ૨૮) તેથી, યોગ્ય સંજોગો ઊભા થાય તો, વ્યકિત સહેલાયથી અનૈતિકતામાં પડી શકે છે. એવું એક યુવાનને બન્યું, જેણે કબૂલ્યું: “એક સમયે, મને લાગ્યું કે હસ્તમૈથુન સ્ત્રી સાથે સંડોવાયા વિના મારી ચીડ દૂર કરી શકે. તોપણ મેં એમ કરવાની અતિપ્રબળ ઇચ્છા વિકસાવી.” તેણે વ્યભિચાર કર્યો. એમાં કંઈ નવાઈ નથી કે, રાષ્ટ્રવ્યાપી અભ્યાસે પ્રગટ કર્યું કે હસ્તમૈથુન કરતા મોટા ભાગના તરુણો વ્યભિચાર પણ કરી રહ્યાં હતાં. તેઓની સંખ્યા ૫૦ ટકા વધારે હતી!
માનસિક અને લાગણીમય રીતે ભ્રષ્ટ કરનાર
હસ્તમૈથુન અમુક માનસિક રીતે ભ્રષ્ટ કરતાં વલણો પણ સિંચે છે. (સરખાવો ૨ કોરીંથી ૧૧:૩.) હસ્તમૈથુન કરતી વખતે, વ્યકિત પોતાની શારીરિક લાગણીઓમાં ડૂબેલી હોય છે—પૂરેપૂરી આત્મકેન્દ્રિત. જાતીયતા પ્રેમથી જુદી પડે છે અને એને તણાવ દૂર કરનાર તરીકેની ઊતરતી કક્ષામાં મૂકવામાં આવે છે. પરંતુ દેવનો હેતુ હતો કે જાતીય ઇચ્છાઓ જાતીય સંબંધોમાં જ સંતોષવામાં આવે—પુરુષ અને તેની પત્ની વચ્ચેના પ્રેમનું વકતવ્ય.—નીતિવચન ૫:૧૫-૧૯.
હસ્તમૈથુન કરનાર, વિરુદ્ધ જાતિને ફકત જાતીયતાની વસ્તુ—જાતીયતા સંતોષવા માટેના સાધનો—તરીકે પણ જોઈ શકે. આમ હસ્તમૈથુને શીખવેલાં ખોટાં વલણો વ્યકિતના “આત્મા”ને, અથવા પ્રબળ માનસિક વલણને ભ્રષ્ટ કરે છે. કેટલાક કિસ્સાઓમાં, હસ્તમૈથુને ઊભા કરેલા કોયડા લગ્ન પછી પણ ચાલુ રહે છે! દેવનો શબ્દ સારા કારણસર જ અરજ કરે છે: “વહાલાઓ, આપણને એવાં વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતા દૂર કરીને પોતે શુદ્ધ થઈએ.”—૨ કોરીંથી ૭:૧.
દોષિતપણાની સમતોલ દ્રષ્ટિ
ઘણાં યુવાનો સામાન્ય રીતે આ કુટેવને આંબવામાં સફળ થાય છે છતાં, પ્રસંગોપાત એની આગળ નમી જાય છે. સદ્ભાગ્યે, દેવ ઘણાં જ દયાળુ છે. “કેમ કે, હે પ્રભુ [“યહોવાહ,” NW], તું ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે,” ગીતકર્તાએ કહ્યું. (ગીતશાસ્ત્ર ૮૬:૫) એક ખ્રિસ્તી હસ્તમૈથુનમાં ખેંચાય જાય છે ત્યારે, ઘણી વાર તેનું હૃદય તેને દોષિત ઠરાવે છે. તોપણ, બાઈબલ જણાવે છે કે “આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે, અને તે સઘળું જાણે છે.” (૧ યોહાન ૩:૨૦) દેવ આપણા પાપ કરતાં વધુ જુએ છે. તેમના જ્ઞાનની મહાનતા માફી માટેની આપણી નિષ્ઠાવાન વિનંતીઓને સહાનુભૂતિથી સાંભળવા તેમને શકિતમાન કરે છે. એક યુવતીએ લખ્યું તેમ: “મને કંઈક હદ સુધી દોષિતપણું લાગ્યું છે, પરંતુ હું પ્રસંગોપાત નિષ્ફળ જાઉં છું ત્યારે, યહોવાહ કેટલા પ્રેમાળ દેવ છે અને તે મારું હૃદય વાંચી શકે છે અને મારા પ્રયત્નો તથા ઇરાદાઓ જાણે છે એ જાણવાને લીધે હું વધુ પડતી ઉદાસીન બનતા અટકી છું.” તમે હસ્તમૈથુન કરવાની ઇચ્છા સામે લડી રહ્યા હો તો, તમે વ્યભિચારનું ગંભીર પાપ કરશો એ શકય નથી.
ધ વોચટાવરના સપ્ટેમ્બર ૧, ૧૯૫૯ના અંકે જણાવ્યું: “આપણને જણાશે કે કોઈક કુટેવ આપણી અગાઉની જીવન ઢબમાં આપણને ખબર હોય એના કરતાં વધુ ઊંડે ખૂંપી છે, જે વિષે આપણે ઘણી વાર ઠોકર ખાઈ રહ્યાં અને પડી જઈ રહ્યાં હોઈએ. . . . હતોત્સાહ ન થાઓ. તમે માફ ન થઈ શકે એવું પાપ કર્યું છે એવા નિષ્કર્ષ પર ન આવો. શેતાન ઇચ્છે છે કે તમે એવું જ વિચારો. તમને પોતાને વિષે ખેદ અને દુઃખ થાય છે એ હકીકત જ સાબિતી છે કે તમે વધુ પડતા દૂર ગયા નથી. દેવની માફી અને શુદ્ધતા અને મદદ શોધતા, નમ્રતાથી અને નિષ્ઠાથી તેમની પાસે ફરતા કદી પણ ન થાકો. ગમે તેટલી વાર એ જ નબળાઈ માટે પણ, બાળક મુશ્કેલીમાં હોય ત્યારે તેના પિતા પાસે જાય છે તેમ તેમની પાસે જાઓ, અને યહોવાહ પોતાની અપાત્ર કૃપાને લીધે તમને કૃપાયુકતપણે મદદ આપશે અને, તમે નિખાલસ હો તો, તે તમને શુદ્ધ કરેલા અંતઃકરણનો અહેસાસ પણ આપશે.”
એ “શુદ્ધ કરેલું અંતઃકરણ” કઈ રીતે પ્રાપ્ત કરી શકાય?
[ફુટનોટ]
a દેવે ઓનાનને ‘પોતાનું વીર્ય ભૂમિ પર બગાડવા’ માટે મારી નાખ્યો. તેમ છતાં, એમાં હસ્તમૈથુન નહિ, પરંતુ સમાગમમાં પીછેહઠ સમાયેલું હતું. તદુપરાંત, ઓનાન પોતાના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો વંશ ચાલુ રાખવા માટે દીયરવટું કરવામાં સ્વાર્થીપણે નિષ્ફળ જવાને લીધે તેને મારી નાખવામાં આવ્યો હતો. (ઉત્પત્તિ ૩૮:૧-૧૦) લેવીય ૧૫:૧૬-૧૮માં “વીર્ય ઝરવા”નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનું શું? એ દેખીતી રીતે જ, હસ્તમૈથુનને નહિ, પરંતુ રાત્રિના સ્રાવને તેમ જ વૈવાહિક જાતીય સંબંધોને લાગુ પડે છે.
હસ્તમૈથુન દોષિતપણાંની પ્રબળ લાગણીઓ પેદા કરી શકે છતાં, દેવની માફી માટે નિખાલસ પ્રાર્થના અને એ આચરણનો સામનો કરવા સખત મહેનત વ્યકિતને સારું અંતઃકરણ આપી શકે
કેટલાકને દબાણ હેઠળ અથવા તણાવમાં, એકલવાયા, કે ઉદાસીન હોય ત્યારે હસ્તમૈથુન કરવાની તલપ લાગે છે
‘હસ્તમૈથુનના મારા આખા કોયડાનું મૂળ હું મારું મન શાનાથી ભરું છું એમાં રહેલું છે’
ઘણી વાર જાતીયતા ભડકાવતાં ચલચિત્રો, પુસ્તકો, અને ટીવી કાર્યક્રમો હસ્તમૈથુન માટેનું ‘માનસિક બળતણ’ હોય છે
“હું [હસ્તમૈથુન] સમક્ષ નમી જતો ત્યારે, મેં યહોવાહ દેવને નિરાશ કર્યા હોય એવું મને લાગતું”
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૨૫
◻ હસ્તમૈથુન શું છે, અને એ વિષેની કેટલીક ગેરસમજો કઈ છે?
◻ શા માટે યુવાનો ઘણી વાર જાતીયતાની ઘણી મજબૂત ઇચ્છા અનુભવે છે? તમને લાગે છે કે એ ખોટું છે?
◻ કઈ બાબતો હસ્તમૈથુન કરવાની ઇચ્છા માટે બળતણ બની શકે?
◻ શું હસ્તમૈથુન યુવાનને કોઈ હાનિ કરે છે?
◻ હસ્તમૈથુન કેટલું ગંભીર પાપ છે એ વિષે તમને શું લાગે છે? એને આંબવામાં કદાચ મુશ્કેલી પડતી હોય છતાં, એની વિરુદ્ધ લડત આપી રહ્યો હોય એવા યુવાનને યહોવાહ કઈ દ્રષ્ટિથી જુએ છે?