તેઓએ એને નામ આપ્યું મનોરંજન
મોટી ગોળાકાર રંગભૂમિ ઉત્તેજનાથી ભરેલી હતી. પ્રાચીન રોમના સૌથી રોમાંચિત ખેલ માટે હજારો લોકો એકઠા થયા હતા. ધ્વજાઓ, ગુલાબો અને રંગીન કપડાઓથી અખાડો શણગારેલો હતો. ફુવારાઓ સુગંધિત પાણી છાંટતા હતા, જેનાથી હવામાં આનંદદાયક મીઠી સુવાસ ફેલાતી હતી. ધનવાનોએ પોતાનો સૌથી પ્રભાવશાળી પોશાક પરિધાન કર્યો હતો. ટોળાનો ગણગણાટ હાસ્યની લહેર સાથે અટકતો હતો, પરંતુ આ જનમેદનીની છોકરમત જે બનવાનું હતું એની ભયંકરતાને ખોટું રૂપ આપતી હતી.
જલદી જ, રણશિંગડાના અવાજે જાહેર આનંદ આપનાર જોડીને લડાઈ શરૂ કરવાનો આદેશ આપ્યો. સ્પર્ધકો એકબીજા પર જંગલીપણે નિર્દય રીતે પ્રહાર કરતા હતા તેમ, ટોળું ક્રોધાવેશમાં આવતું જતું હતું. પ્રેક્ષકોના હર્ષનાદમાં તલવારો ખણકવાનો અવાજ તો ભાગ્યે જ સાંભળી શકાતો હતો. અચાનક, ખૂબ જ ઝડપથી એક સ્પર્ધકે તેના વિરોધીને જમીન પર પાડી દીધો. હવે પડી ગયેલા સ્પર્ધકનું ભાવિ જોનારાઓના હાથમાં હતું. તેઓ તેમના હાથરૂમાલો ફરકાવે, તો તે જીવશે. સ્ત્રીઓ અને છોકરીઓ સમેત—ટોળાએ પોતાના અંગૂઠાના એક માત્ર હાવભાવથી મરણપ્રહાર માંગ્યો. થોડી જ ક્ષણોમાં નિર્જીવ શરીર અખાડા બહાર ઘસડી જવામાં આવ્યું, લોહીથી તરબોળ જમીનને પાવડાથી ખોદી કાઢવામાં આવી, તાજી રેતી છાંટી દેવામાં આવી, અને ટોળું બાકીનાં રક્તસ્નાન માટે તૈયાર થઈ ગયું.
પ્રાચીન રોમમાં જીવતા ઘણા લોકો માટે, એ મનોરંજન હતું. પુસ્તક રોમ: ધ ફર્સ્ટ થાઉસન્ડ યર્સ કહે છે કે, “આ રક્તપાતનો આનંદ માણવા સામે સૌથી કડક નૈતિકવાદીઓએ પણ વાંધો ઉઠાવ્યો નહિ. તમાશાની આ રમત રોમ આપતું હતું એવા પતિત મનોરંજનનો ફક્ત એક જ પ્રકાર હતો. લોહીતરસ્યા દર્શકોના મનોરંજન માટે રંગમંચ પર ભજવવામાં આવતાં વાસ્તવિક નૌકાયુદ્ધ પણ હતાં. અરે જાહેર મૃત્યુદંડની સજા પણ રાખવામાં આવતી હતી, જેમાં દોષિત ગુનેગારને સ્તંભ પર બાંધવામા આવતો અને ભૂખે મરતાં જંગલી પ્રાણીઓ દ્વારા ફાડી ખાવામાં આવતો.
ઘાતકી શોખ ન ધરાવનારાઓ માટે, રોમ વૈવિધ્યપૂર્ણ મંચ નાટકો પીરસતું હતું. લતવિક ફ્રેડલેન્ડરે, રોમન લાઈફ ઍન્ડ મેનર્સ અન્ડર ધી અર્લી એમ્પાયરમાં લખ્યું, મૂક હાવભાવવાળા—રોજીંદા જીવનના ટૂંકા નાટકમાં—“વ્યભિચાર અને પ્રેમ પ્રકરણો મુખ્ય વિષયો હતા. એની ભાષા અશિષ્ટ વક્તવ્યોથી, અને અતિશય ચેનચાળા, અશ્લીલ હાવભાવ સહિત ગંદી રમૂજ, તેમ જ સર્વ ઉપરાંત, વાંસળી પર કઢંગા નૃત્યથી ભરેલી હતી.” ધ ન્યૂ એન્સાયક્લોપીડીયા બ્રિટાનીકા પ્રમાણે, “રૂમી સામ્રાજ્ય દરમિયાન મૂક હાવભાવવાળાં નાટકોમાં મંચ પર વ્યભિચારનાં દૃશ્યો વાસ્તવમાં ભજવવામાં આવતાં હતાં એના પુરાવાઓ અસ્તિત્વ ધરાવે છે.” સારા કારણસર જ ફ્રેડલેન્ડરે એવાં નાટકોને “અનૈતિકતા અને અશ્લીલતામાં હાસ્યાસ્પદ અતિ વાસ્તવિક અધમ” કહ્યાં, અને તેમણે ઉમેર્યું: “લંપટ દૃશ્યોએ ખૂબ જ પ્રશંસા મેળવી.”a
આજ વિષે શું? શું માણસનો મનોરંજનનો શોખ બદલાયો છે? હવે પછીના લેખમાં ચર્ચાયેલા પુરાવાનો વિચાર કરો.
[Footnotes]
a ઘણી વાર, નાટકને જીવંત બનાવવા મૃત્યુદંડની સજા મંચ પર આપવામાં આવતી. પુસ્તક ધ સીવીલાઈઝેશન ઑફ રોમ નોંધે છે: “મોતની સજા પામેલો ગુનેગાર દુર્ઘટનાની ક્ષણ વખતે અભિનેતાનું સ્થાન લે એ અસાધારણ ન હતું.”
[Caption on page ૩]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck