૨
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ
બાઇબલ વિદ્વાનો સ્વીકારે છે કે ઈશ્વરનું વ્યક્તિગત નામ, જે ચાર મૂળાક્ષરો (יהוה) દ્વારા રજૂ થાય છે, એ હિબ્રૂ શાસ્ત્રવચનોનાં મૂળ લખાણોમાં આશરે ૭,૦૦૦ વખત જોવા મળે છે. તેમ છતાં, ઘણાને લાગે છે કે એ નામ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનાં મૂળ લખાણોમાં ન હતું. એટલા જ માટે, મોટા ભાગના બાઇબલ ભાષાંતરકારો ‘નવા કરાર’ તરીકે ઓળખાતા ભાગનું ભાષાંતર કરે છે ત્યારે, યહોવા નામ વાપરતા નથી. હિબ્રૂ શાસ્ત્રવચનોની જે કલમોમાં ચાર મૂળાક્ષરો હોય, એના ભાષાંતર વખતે પણ, મોટા ભાગના ભાષાંતરકારો ઈશ્વરના નામને બદલે “પ્રભુ” વાપરે છે.
ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સa બાઇબલ આમ કરતું નથી. એ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં યહોવા નામ ૨૩૭ વખત વાપરે છે. આ નક્કી કરતી વખતે ભાષાંતરકારોએ બે મહત્ત્વના મુદ્દા પર ધ્યાન આપ્યું હતું: (૧) જે ગ્રીક હસ્તપ્રતો આજે પ્રાપ્ય છે, એ મૂળ લખાણો નથી. આજે જે હજારો નકલો છે, એમાંની મોટા ભાગની નકલો મૂળ લખાણો રચાયાં, એની આશરે બે સદીઓ પછી બનાવવામાં આવી હતી. (૨) એ સમય સુધીમાં, જેઓ હસ્તપ્રતોની નકલો બનાવતા હતા, તેઓએ ચાર મૂળાક્ષરોને “પ્રભુ” માટે વપરાતા ગ્રીક શબ્દ કીરીઓસથી બદલી કાઢ્યા; અથવા તેઓએ એવી હસ્તપ્રતોમાંથી નકલ બનાવી, જેમાં આવા ફેરફાર પહેલેથી થયેલા હતા.
ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન કમિટીને પૂરો ભરોસો છે કે ગ્રીક હસ્તપ્રતોમાં ચાર મૂળાક્ષરો હતા. એ નિર્ણય આ પુરાવા પર આધારિત હતો:
ઈસુ અને તેમના પ્રેરિતોના દિવસોમાં જે હિબ્રૂ શાસ્ત્રવચનોની નકલો વપરાતી હતી, એમાં બધે જ ચાર મૂળાક્ષરો હતા. ભૂતકાળમાં અમુક લોકોએ એનો વિરોધ કર્યો હતો. પરંતુ, હવે પહેલી સદીની હિબ્રૂ શાસ્ત્રવચનોની નકલો કૂમરાનમાં મળી આવી છે. એટલે, શંકાનું કોઈ સ્થાન જ રહેતું નથી.
ઈસુ અને તેમના પ્રેરિતોના દિવસોમાં હિબ્રૂ શાસ્ત્રવચનોનાં ગ્રીક ભાષાંતરોમાં પણ ચાર મૂળાક્ષરો હતા. સદીઓ સુધી, વિદ્વાનોને લાગ્યું કે હિબ્રૂ શાસ્ત્રવચનોના ગ્રીક સેપ્ટુઆજિંટ ભાષાંતરની હસ્તપ્રતોમાં ચાર મૂળાક્ષરો ન હતા. પછી, ઈસુના દિવસોમાં વપરાતા ગ્રીક સેપ્ટુઆજિંટના અમુક ટુકડાઓ ૨૦મી સદીમાં મળી આવ્યા. વિદ્વાનોએ એનો અભ્યાસ કર્યો. એ ટુકડાઓમાં ઈશ્વરનું વ્યક્તિગત નામ હિબ્રૂ અક્ષરોમાં લખેલું મળી આવ્યું. તેથી, ઈસુના દિવસોમાં ગ્રીક શાસ્ત્રવચનોની નકલોમાં ઈશ્વરનું નામ હતું. જોકે, ચોથી સદી સુધીમાં તો કોડેક્ષ વેટિકેનસ અને કોડેક્ષ સાઇનાઇટિકસ જેવી ગ્રીક સેપ્ટુઆજિંટની જાણીતી હસ્તપ્રતોમાં ઈશ્વરનું નામ ન હતું. ઉત્પત્તિથી લઈને માલાખી સુધીનાં પુસ્તકોમાં (જ્યાં પહેલાંની હસ્તપ્રતોમાં એ નામ હતું ત્યાં) ઈશ્વરનું નામ ન હતું. તેથી, એમાં નવાઈની વાત નથી કે એ સમયગાળાથી સાચવી રાખેલાં ગ્રીક શાસ્ત્રવચનો (નવા કરાર તરીકે ઓળખાતા) ભાગમાં ઈશ્વરનું નામ જોવા મળતું નથી.
a યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો જણાવે છે કે ઈસુએ વારંવાર ઈશ્વરના નામનો ઉપયોગ કર્યો અને એ નામ બીજાઓને જણાવ્યું. (યોહાન ૧૭:૬, ૧૧, ૧૨, ૨૬) ઈસુએ સ્પષ્ટ જણાવ્યું: ‘હું મારા પિતાને નામે આવ્યો છું.’ તેમ જ, તેમણે ભાર મૂક્યો કે તેમનાં કામો ‘પિતાના નામે’ થાય છે.—યોહાન ૫:૪૩; ૧૦:૨૫.
હિબ્રૂ શાસ્ત્રવચનોની જેમ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો પણ ઈશ્વર-પ્રેરિત છે અને બાઇબલનો ભાગ છે. એટલે, યહોવાનું નામ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંથી અચાનક ગાયબ થઈ જાય એ અશક્ય છે. પહેલી સદીમાં શિષ્ય યાકૂબે યરૂશાલેમના વડીલોને કહ્યું: ‘પહેલી વાર ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સીમોને કહી સંભળાવ્યું છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) જો પહેલી સદીમાં કોઈ ઈશ્વરનું નામ જાણતું કે વાપરતું ન હોત, તો યાકૂબે જે કહ્યું એનો કોઈ અર્થ રહેતો નથી.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરના નામનું ટૂંકું રૂપ જોવા મળે છે. પ્રકટીકરણ ૧૯:૧, ૩, ૪, ૬માં “હાલેલુયાહ” શબ્દમાં ઈશ્વરનું નામ સમાયેલું છે. એ એવા હિબ્રૂ શબ્દપ્રયોગ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય, “યાહની સ્તુતિ કરો.” “યાહ” એ યહોવા નામનું ટૂંકું રૂપ છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંનાં ઘણાં નામ, ઈશ્વરના નામ પરથી ઊતરી આવ્યાં છે. હકીકતમાં, એને લગતાં લખાણો સમજાવે છે કે ખુદ ઈસુના નામનો અર્થ થાય, “યહોવા ઉદ્ધાર છે.”
શરૂઆતનાં યહુદી લખાણો સૂચવે છે કે યહુદી ખ્રિસ્તીઓ પોતાનાં લખાણોમાં ઈશ્વરનું નામ વાપરતા. આશરે ઈ.સ. ૩૦૦માં મૌખિક નિયમોનો લેખિત સંગ્રહ, ધ તોસેફ્તા પૂરો કરવામાં આવ્યો. સાબ્બાથના દિવસે બાળવામાં આવતાં ખ્રિસ્તી લખાણો વિશે એ આમ જણાવે છે: “તેઓએ પ્રચારકોનાં (ઈસુ વિશે લખનારા ખ્રિસ્તીઓનાં) પુસ્તકો અને મિનિમનાં (યહુદી ખ્રિસ્તીઓ હોય શકે) પુસ્તકો બાળી નાખ્યાં. એવાં પાનાં જેમાં ઈશ્વરનું નામ હોય, એ પણ બાળી નાખવાની છૂટ છે.” આ જ સંગ્રહ બીજી સદીની શરૂઆતમાં થઈ ગયેલા ગાલીલના વતની રાબ્બી યોશેના શબ્દો ટાંકે છે, જે કહે છે કે અઠવાડિયાના બાકીના દિવસોએ, “વ્યક્તિ આ પુસ્તકોમાં (માનવા પ્રમાણે ખ્રિસ્તી લખાણોમાં) મળી આવતા ઈશ્વરના નામને કાપીને અલગ સાચવે છે તથા બાકીનું બધું બાળી નાખે છે.”
અમુક બાઇબલ વિદ્વાનો કબૂલ કરે છે કે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં મળી આવતી હિબ્રૂ શાસ્ત્રવચનોની કલમોમાં ઈશ્વરનું નામ હોય, એવી શક્યતા વધારે છે. ધી એન્કર બાઇબલ ડિક્શનરી “નવા કરારમાં ચાર મૂળાક્ષરો” મથાળા નીચે જણાવે છે: ‘એવા અમુક પુરાવા છે કે નવો કરાર લખવામાં આવ્યો ત્યારે, જૂના કરારમાંથી એમાં ટાંકવામાં આવેલી અમુક કે બધી જ કલમોમાં ચાર મૂળાક્ષરો એટલે કે ઈશ્વરનું નામ યાહવે જોવા મળતું હતું.’ વિદ્વાન જ્યોર્જ હાવર્ડ કહે છે: ‘ગ્રીક બાઇબલની [સેપ્ટુઆજિંટની] નકલો પહેલી સદીના ખ્રિસ્તીઓનું શાસ્ત્ર હતું. એમાં હજુ ચાર મૂળાક્ષરો લખવામાં આવતા હતા. એટલે, એ માનવું વાજબી છે કે નવા કરારના લેખકોએ જ્યારે શાસ્ત્રમાંથી કલમો ટાંકી, ત્યારે બાઇબલનાં લખાણોમાં ચાર મૂળાક્ષરો રહેવા દીધા.’
જાણીતા બાઇબલ ભાષાંતરકારોએ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ વાપર્યું છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ બહાર પડ્યું, એના ઘણા સમય પહેલાં, અમુક જાણીતા ભાષાંતરકારોએ એ નામ વાપર્યું હતું. આ ભાષાંતરકારો અને તેઓનાં પુસ્તકો આ પ્રમાણે છે: હરમન હેઇનફેટર દ્વારા અ લિટરલ ટ્રાન્સલેશન ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ . . . ફ્રોમ ધ ટેક્સ્ટ ઓફ ધ વેટિકન મૅન્યુસ્ક્રિપ્ટ (૧૮૬૩); બેન્જામિન વિલ્સન દ્વારા ધી એમ્ફેટીક ડાયગ્લોટ (૧૮૬૪); જ્યોર્જ બારકર સ્ટીવન્સ દ્વારા ધી એપિસ્ટલ્સ ઓફ પોલ ઈન મોર્ડન ઇંગ્લીશ (૧૮૯૮); ડબલ્યુ. જી. રધરફર્ડ દ્વારા સેન્ટ પોલ્સ એપિસ્ટલ ટુ ધ રોમન્સ (૧૯૦૦); લંડનના બિશપ જે.ડબલ્યુ.સી. વેન્ડ દ્વારા ધ ન્યૂ ટેસ્ટામેન્ટ લેટર્સ (૧૯૪૬). વધુમાં, ૨૦મી સદીની શરૂઆતમાં પાબ્લો બેસોન નામના ભાષાંતરકારે, સ્પેનિશ ભાષાંતરમાં લુક ૨:૧૫ અને યહુદા ૧૪ કલમોમાં “જેહોવા” નામ વાપર્યું. તેના ભાષાંતરમાં ૧૦૦ જેટલી એવી ફૂટનોટ હતી, જે સૂચવતી હતી કે એ જગ્યાએ ઈશ્વરનું નામ હતું. એ ભાષાંતરોના ઘણા સમય પહેલાં, ૧૬મી સદીથી લઈને ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોની હિબ્રૂ આવૃત્તિઓમાં ચાર મૂળાક્ષરો ઘણી જગ્યાએ જોવા મળતા હતા. ફક્ત જર્મન ભાષામાં જ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ૧૧ અનુવાદ “યહોવા” (અથવા “યાહવે”) વાપરે છે. જ્યારે કે ચાર ભાષાંતરકારો “પ્રભુ” પછી કૌંસમાં ઈશ્વરનું નામ મૂકે છે. ૭૦ કરતાં વધારે જર્મન ભાષાંતરો ઈશ્વરનું નામ ફૂટનોટમાં અથવા કલમો વિશે જણાવતી વધુ માહિતીમાં મૂકે છે.
સો કરતાં વધારે ભાષાઓમાં બાઇબલ ભાષાંતરો ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ વાપરે છે. આફ્રિકન, મૂળ અમેરિકન, એશિયન, યુરોપિયન અને પૅસિફિક ટાપુઓની ઘણી ભાષાઓમાં ઈશ્વરનું નામ છૂટથી વપરાય છે. (પાન ૧૨ અને ૧૩ની સૂચિ જુઓ.) આગળ જોયાં એવાં કારણોને લીધે એ આવૃત્તિઓના ભાષાંતકારોએ ઈશ્વરનું નામ વાપરવાનો નિર્ણય કર્યો હતો. આમાંનાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનાં અમુક ભાષાંતરો હાલમાં જ બહાર પાડવામાં આવ્યાં છે, જેમ કે, રોટુમેન બાઇબલ (૧૯૯૯) ૪૮ કલમોમાં ૫૧ વાર “જીહોવા” વાપરે છે અને ઇંડોનેશિયાની બાટાક (ટોબા) ભાષાની આવૃત્તિ (૧૯૮૯) “જાહોવા” નામ ૧૧૦ વખત વાપરે છે.
માર્ક ૧૨:૨૯, ૩૦માં ઈશ્વરનું નામ, ૧૮૧૬નો હવાઈયન ભાષાનો અનુવાદ
એમાં કોઈ શંકા નથી કે ઈશ્વરનું નામ, યહોવા ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એની જગ્યાએ પાછું મૂકવા માટે સ્પષ્ટ કારણો છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલના ભાષાંતરકારોએ એવું જ કર્યું છે. તેઓને ઈશ્વરના નામ માટે ખૂબ આદર છે અને ઈશ્વરનો ડર છે. એટલે, તેઓ મૂળ લખાણમાં મળી આવતું કંઈ પણ કાઢી નાખવા માંગતા નથી.—પ્રકટીકરણ ૨૨:૧૮, ૧૯.
ઈસુએ સ્પષ્ટ જણાવ્યું: ‘હું મારા પિતાને નામે આવ્યો છું.’ તેમ જ, તેમણે ભાર મૂક્યો કે તેમનાં કામો ‘પિતાના નામે’ થાય છે