વાચકો તરફથી પ્રશ્નો
બહુ જલદી યહોવા સરકારોનાં મનમાં કયો “વિચાર” મૂકશે?
મોટી વિપત્તિની શરૂઆત વિશે પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭માં જણાવ્યું છે: “તેં જે દસ શિંગડાં અને જંગલી જાનવર જોયું, તેઓ વેશ્યાનો ધિક્કાર કરશે. તેઓ તેને બરબાદ કરશે, નગ્ન કરશે, તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી પૂરેપૂરી બાળી નાખશે. એ માટે કે ઈશ્વરે પોતાનો હેતુ પૂરો કરવા તેઓનાં મનમાં એક વિચાર મૂક્યો છે. . . . તેઓ સર્વ એકમતના થઈને જંગલી જાનવરને પોતાનું રાજ્ય આપશે.” આપણાં સાહિત્યમાં અગાઉ જણાવ્યું હતું કે યહોવા સરકારોના મનમાં જે “વિચાર” મૂકશે, એ છે જૂઠા ધર્મોનો નાશ.
જોકે, આપણી સમજણમાં ફેરફાર કરવાની જરૂર છે. યહોવા સરકારોના મનમાં જે “વિચાર” મૂકશે, એ છે કે તેઓ ‘જંગલી જાનવરને પોતાનું રાજ્ય આપે.’ એ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડશે એ સમજવા ચાલો અમુક સવાલો પર ચર્ચા કરીએ.
ભવિષ્યવાણીમાં કોના કોના વિશે જણાવ્યું છે? “વેશ્યા” “મહાન બાબેલોન” તરીકે પણ ઓળખાય છે. એ વેશ્યા દુનિયાના બધા જૂઠા ધર્મોને રજૂ કરે છે. ‘લાલ રંગનું જંગલી જાનવર’ યુનાઈટેડ નેશન્સને (સંયુક્ત રાષ્ટ્રો) રજૂ કરે છે. એ સંગઠનને દુનિયામાં શાંતિ લાવવા પહેલી વાર ૧૯૧૯માં બનાવવામાં આવ્યું હતું. એ વખતે એનું નામ લીગ ઓફ નેશન્સ હતું. (પ્રકટી. ૧૭:૩-૫) “દસ શિંગડાં” જંગલી જાનવરને ટેકો આપતી બધી સરકારોને રજૂ કરે છે.
વેશ્યા અને લાલ રંગના જંગલી જાનવર વચ્ચે કયો સંબંધ છે? વેશ્યા જંગલી જાનવર પર “બેઠેલી” છે. એટલે કે તે એને ટેકો આપે છે અને એને પોતાના ઇશારે નચાવવાની કોશિશ કરે છે.
વેશ્યાનું શું થશે? જંગલી જાનવર અને દસ શિંગડાં “વેશ્યાનો ધિક્કાર કરશે.” એટલે સુધી કે તેઓ વેશ્યા પાસેથી બધું છીનવી લેશે અને બધા આગળ તેની દુષ્ટતા ખુલ્લી પાડશે. તેઓ વેશ્યાનો પૂરેપૂરો નાશ કરી દેશે. યહોવાએ એવી જ તો ભવિષ્યવાણી કરી હતી. (પ્રકટી. ૧૭:૧; ૧૮:૮) આમ જૂઠા ધર્મોનો પૂરેપૂરો નાશ થઈ જશે. જોકે, એમ થાય એ પહેલાં યહોવા સરકારો પાસે એવું કંઈક કરાવશે, જે માનવ ઇતિહાસમાં પહેલાં કદી થયું નથી.
યહોવા સરકારો પાસે શું કરાવશે? દસ શિંગડાં એટલે કે જંગલી જાનવરને ટેકો આપતી સરકારોના મનમાં યહોવા એક “વિચાર” મૂકશે. એ વિચાર છે, તેઓ ‘પોતાની શક્તિ અને અધિકાર જંગલી જાનવર’ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોને આપી દે. (પ્રકટી. ૧૭:૧૩) હવે જરા આનો વિચાર કરો: શું સરકારો બસ આમ જ એક દિવસે પોતાની શક્તિ અને અધિકાર જંગલી જાનવરના હાથમાં સોંપી દેશે? ના! ભવિષ્યવાણીમાંથી જોવા મળે છે કે ઈશ્વર તેઓ પાસે એવું કરાવશે. (નીતિ. ૨૧:૧; યશાયા ૪૪:૨૮ સરખાવો.) વધુમાં, શું એ ફેરફાર ધીરે ધીરે થશે? ના! લાગે છે કે એ ફેરફાર એકદમ અચાનક થશે. પછી નવી મેળવેલી સત્તાનો ઉપયોગ કરીને જંગલી જાનવર જૂઠા ધર્મોનો કાયમ માટે નાશ કરી દેશે.
ભાવિમાં આપણે કેવા બનાવોની આશા રાખી શકીએ? આપણે એવા સમાચારની રાહ જોવાની જરૂર નથી કે ધીરે ધીરે સરકારો સંયુક્ત રાષ્ટ્રોને ટેકો આપી રહી છે. પણ આપણે આવા બનાવોની આશા રાખી શકીએ છીએ: અચાનક યહોવા બધી સરકારોના મનમાં એવો વિચાર મૂકશે કે તેઓ સંયુક્ત રાષ્ટ્રોને પોતાની સત્તા સોંપી દે. એવું થાય ત્યારે આપણને ખબર પડશે કે ટૂંક સમયમાં મોટી વિપત્તિ શરૂ થવાની છે. પણ ત્યાં સુધી આપણે “જાગતા રહીએ અને સમજી-વિચારીને વર્તીએ,” કેમ કે બહુ જલદી મોટા મોટા ફેરફારો થવાના છે.—૧ થેસ્સા. ૫:૬.