પહેલો કાળવૃત્તાંત
૧૦ હવે પલિસ્તીઓ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરતા હતા. ઇઝરાયેલના માણસો પલિસ્તીઓ આગળથી નાસી છૂટ્યા. ગિલ્બોઆ પર્વત પર ઘણા ઇઝરાયેલીઓની કતલ થઈ.+ ૨ પલિસ્તીઓએ શાઉલ અને તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ શાઉલના દીકરાઓ યોનાથાન, અબીનાદાબ અને માલ્કી-શૂઆને+ મારી નાખ્યા. ૩ પલિસ્તીઓએ શાઉલ સામે ભારે લડાઈ કરી. તીરંદાજોએ તેને શોધી કાઢીને સખત ઘાયલ કર્યો.+ ૪ શાઉલે પોતાનાં હથિયાર ઊંચકનારને કહ્યું: “સુન્નત* વગરના આ માણસો આવીને મારી સાથે ક્રૂરતાથી વર્તે,*+ એ પહેલાં તારી તલવાર કાઢીને મારી આરપાર ઉતારી દે.” પણ હથિયાર ઊંચકનાર બહુ ડરી ગયો હોવાથી, એમ કરવા ચાહતો ન હતો. એટલે શાઉલ પોતાની તલવાર લઈને એના પર પડ્યો.+ ૫ જ્યારે હથિયાર ઊંચકનારે જોયું કે શાઉલ મરી ગયો છે, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડ્યો અને મરણ પામ્યો. ૬ આમ શાઉલ, તેના ત્રણ દીકરાઓ અને તેના ઘરના બધા માણસો મરણ પામ્યા.+ ૭ નીચાણ પ્રદેશના* બધા ઇઝરાયેલીઓએ જોયું કે ઇઝરાયેલના સૈનિકો નાસી છૂટ્યા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે. એટલે તેઓ પોતાનાં શહેરો છોડીને નાસવા લાગ્યા. પછી પલિસ્તીઓએ આવીને એ શહેરો પર કબજો જમાવ્યો.
૮ બીજા દિવસે પલિસ્તીઓ લાશો પરથી ચીજવસ્તુઓ લૂંટવા આવ્યા. તેઓએ ગિલ્બોઆ પર્વત પર શાઉલ અને તેના દીકરાઓની લાશો જોઈ.+ ૯ પલિસ્તીઓએ શાઉલનું માથું કાપી નાખ્યું અને તેનું બખ્તર ઉતારી લીધું.* તેઓએ માણસો મોકલીને પલિસ્તીઓના આખા વિસ્તારનાં મંદિરોમાં+ અને લોકોમાં એ સમાચાર ફેલાવી દીધા. ૧૦ પછી તેઓએ પોતાના દેવના મંદિરમાં શાઉલનું બખ્તર મૂક્યું* અને તેનું માથું દાગોનના મંદિરમાં+ લટકાવી દીધું.
૧૧ ગિલયાદમાં આવેલા યાબેશના બધા લોકોએ+ સાંભળ્યું કે પલિસ્તીઓએ શાઉલના કેવા હાલ કર્યા છે.+ ૧૨ એટલે બધા લડવૈયાઓ ત્યાંથી નીકળ્યા અને શાઉલ તેમજ તેના દીકરાઓની લાશો લઈ આવ્યા. તેઓએ એ લાશો યાબેશમાં બાળી અને એનાં હાડકાં એક મોટા વૃક્ષ નીચે દાટ્યાં.+ તેઓએ સાત દિવસ ઉપવાસ કર્યા.
૧૩ આમ શાઉલનું મરણ થયું, કેમ કે તે યહોવાને વફાદાર ન હતો, તેણે યહોવાની આજ્ઞા પાળી ન હતી.+ તેણે મરેલા સાથે વાત કરનાર સ્ત્રીની સલાહ લીધી,+ ૧૪ પણ યહોવાની સલાહ પૂછી ન હતી. એટલે ઈશ્વરે તેને મારી નાખ્યો અને તેની રાજગાદી યિશાઈના દીકરા દાઉદને આપી.+