બીજો કાળવૃત્તાંત
૨૨ યરૂશાલેમના લોકોએ યહોરામ રાજાની જગ્યાએ તેના સૌથી નાના દીકરા અહાઝ્યાને* રાજા બનાવ્યો. કારણ, જ્યારે અરબી લોકો સાથે લુટારાઓની ટોળકી યહૂદાની છાવણીમાં આવી હતી, ત્યારે તેઓએ યહોરામના મોટા દીકરાઓને મારી નાખ્યા હતા.+ આમ યહોરામનો દીકરો અહાઝ્યા યહૂદા પર રાજ કરવા લાગ્યો.+ ૨ અહાઝ્યા રાજા બન્યો ત્યારે ૨૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા હતું,+ જે ઓમ્રીની+ પૌત્રી* હતી.
૩ અહાઝ્યા આહાબના કુટુંબના માર્ગે ચાલ્યો,+ કેમ કે તેની મા તેને દુષ્ટ કામો કરવાની સલાહ આપતી હતી. ૪ અહાઝ્યાના પિતાના મરણ પછી આહાબના કુટુંબના લોકો તેના સલાહકાર બની બેઠા. એટલે આહાબના કુટુંબની જેમ તેણે પણ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ કર્યું. એના લીધે તેનો નાશ થયો. ૫ તેઓની સલાહ માનીને તે આહાબના દીકરા ઇઝરાયેલના રાજા યહોરામ સાથે ગયો. તેઓ બંને મળીને સિરિયાના રાજા હઝાએલ+ સામે લડવા રામોથ-ગિલયાદ+ ગયા. પણ તીરંદાજોએ યહોરામને ઘાયલ કર્યો. ૬ સિરિયાના રાજા હઝાએલ+ સામે લડતી વખતે તેઓએ યહોરામને રામામાં* ઘાયલ કર્યો હતો. એટલે તે સાજો થવા યિઝ્રએલ+ પાછો ગયો.
આહાબનો દીકરો યહોરામ+ ઘાયલ* થયો હોવાથી,+ યહૂદાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા* તેને મળવા યિઝ્રએલ ગયો.+ ૭ અહાઝ્યા યહોરામને મળવા ગયો હોવાથી ઈશ્વર તેની પડતી લાવ્યા. રાજા અહાઝ્યા આવીને યહોરામ સાથે નિમ્શીના પૌત્ર* યેહૂને મળવા ગયો.+ યહોવાએ યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા પસંદ કર્યો હતો.+ ૮ એટલે યેહૂએ આહાબના કુટુંબને મારી નાખવાનું શરૂ કર્યું. તેને યહૂદાના આગેવાનો અને અહાઝ્યાના ભાઈઓના દીકરાઓ, એટલે કે અહાઝ્યાના સેવકો મળ્યા. તેણે તેઓને મારી નાખ્યા.+ ૯ પછી તેણે અહાઝ્યાની શોધ કરી. તે સમરૂનમાં સંતાઈ ગયો હતો, ત્યાંથી યેહૂના માણસો તેને પકડીને યેહૂ પાસે લાવ્યા. તેઓએ તેને મારી નાખ્યો અને તેને દફનાવ્યો.+ તેઓએ કહ્યું: “તે તો યહોશાફાટનો પૌત્ર છે, જેમણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી હતી.”+ હવે અહાઝ્યાના કુટુંબમાંથી રાજસત્તા ચલાવી શકે એવું કોઈ ન હતું.
૧૦ અહાઝ્યાની મા અથાલ્યાને+ ખબર પડી કે તેના દીકરાનું મરણ થયું છે. એટલે તેણે જઈને યહૂદાના આખા રાજવંશનો સંહાર કરી નાખ્યો.+ ૧૧ પણ રાજકુમારોની કતલ થતી હતી ત્યારે, યહોરામ+ રાજાની દીકરી યહોશાબઆથે અહાઝ્યા રાજાના દીકરાઓમાંથી યહોઆશને+ ચોરીછૂપીથી લઈ લીધો. તેણે યહોઆશ અને તેની ધાવ માને સૂવાના ઓરડામાં છુપાવી દીધા. તેણે તેને અથાલ્યાથી સંતાડી રાખ્યો અને મોતના મોંમાંથી બચાવી લીધો.+ (યહોશાબઆથ યહોયાદા+ યાજકની પત્ની અને અહાઝ્યાની બહેન હતી.) ૧૨ યહોઆશ છ વર્ષ તેઓ સાથે રહ્યો. તેને સાચા ઈશ્વરના મંદિરમાં સંતાડી રાખવામાં આવ્યો. એ સમયે દેશમાં અથાલ્યા રાણી રાજ કરતી હતી.