પુનર્નિયમ
૧૪ “તમે તમારા ઈશ્વર યહોવાના દીકરાઓ છો. એટલે મરેલી વ્યક્તિ માટે તમે તમારાં શરીર પર કાપા ન પાડો+ અથવા પોતાની ભ્રમરો ન મૂંડાવો.*+ ૨ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો.+ યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+
૩ “તમે એવું કંઈ પણ ન ખાઓ જેને ઈશ્વર ધિક્કારે છે.+ ૪ પણ તમે આ પ્રાણીઓ ખાઈ શકો:+ બળદ, ઘેટો, બકરો, ૫ હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરો, રાની હરણ, જંગલી ઘેટો અને પહાડી ઘેટો. ૬ તમે એવું દરેક પ્રાણી ખાઈ શકો, જેના પગની ખરી બે ભાગમાં ફાટેલી છે અને જે વાગોળે છે. ૭ પણ તમે આ પ્રાણીઓ ન ખાઓ, જે ફક્ત વાગોળે છે અથવા જેની ફક્ત ખરી ફાટેલી છે: ઊંટ, સસલું અને ખડકોમાં રહેતું સસલું, કેમ કે તેઓ વાગોળે છે, પણ તેઓની ખરી ફાટેલી નથી. તેઓ તમારા માટે અશુદ્ધ છે.+ ૮ અને ભૂંડ ન ખાઓ, કેમ કે એની ખરી ફાટેલી છે, પણ એ વાગોળતું નથી. એ તમારા માટે અશુદ્ધ છે. તમે એ બધાં પ્રાણીઓનું માંસ ન ખાઓ અથવા તેઓનાં મડદાંને ન અડકો.
૯ “પાણીમાં રહેતાં આ બધાં પ્રાણીઓ તમે ખાઈ શકો: જેને ભીંગડાં અને પર* હોય એ તમે ખાઈ શકો.+ ૧૦ તમે એવાં પ્રાણીઓ ન ખાઓ, જેઓને ભીંગડાં અને પર નથી. એ તમારા માટે અશુદ્ધ છે.
૧૧ “તમે કોઈ પણ શુદ્ધ પક્ષી ખાઈ શકો. ૧૨ પણ તમે આ પક્ષીઓ ન ખાઓ: ગરુડ, દરિયાઈ બાજ, કાળું ગીધ,+ ૧૩ લાલ સમડી, કાળી સમડી અને બીજી દરેક જાતની સમડી, ૧૪ દરેક જાતના કાગડા, ૧૫ શાહમૃગ, ઘુવડ, દરિયાઈ ધૂમડો,* દરેક જાતના શકરા, ૧૬ નાનું ઘુવડ, લાંબા કાનવાળું ઘુવડ, હંસ, ૧૭ પેણ,* ગીધ, જળકૂકડી, ૧૮ સારસ, દરેક જાતના બગલા, હુદહુદ* અને ચામાચીડિયું. ૧૯ ઝુંડમાં રહેતા પાંખવાળાં બધાં જીવજંતુઓ* તમારા માટે અશુદ્ધ છે. એ તમે ન ખાઓ. ૨૦ તમે કોઈ પણ પક્ષી કે પાંખવાળાં જીવજંતુઓ ખાઈ શકો, જે શુદ્ધ છે.
૨૧ “તમે એવા કોઈ પણ પ્રાણીનું માંસ ન ખાઓ, જે તમને મરેલું મળ્યું હોય.+ એ પ્રાણીને તમે તમારાં શહેરોમાં રહેતા પરદેશીને આપી શકો, તેઓ ભલે એ ખાતા. તમે એ પ્રાણી પરદેશીને વેચી શકો. પણ તમે એ ન ખાઓ, કેમ કે તમારા ઈશ્વર યહોવા માટે તમે પવિત્ર લોકો છો.
“તમે બકરીના બચ્ચાને એની માના દૂધમાં ન બાફો.+
૨૨ “તમે દર વર્ષે તમારી જમીનની ઊપજનો દસમો ભાગ અચૂક આપો.+ ૨૩ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં જઈને તમે તેમની આગળ તમારા અનાજનો, નવા દ્રાક્ષદારૂનો અને તેલનો દસમો ભાગ ખાઓ તેમજ તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા પ્રાણીનું માંસ ખાઓ.+ એમ કરવાથી તમે હંમેશાં તમારા ઈશ્વર યહોવાનો ડર રાખવાનું શીખશો.+
૨૪ “પણ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ એ તમારાથી ઘણી દૂર હોય અને યહોવા તમારા ઈશ્વરના આશીર્વાદથી તમારી પાસે પુષ્કળ સંપત્તિ હોવાથી એનો દસમો ભાગ ત્યાં લઈ જવો મુશ્કેલ હોય ૨૫ તો તમે એ વેચી દો. પછી એ પૈસા લઈને યહોવા તમારા ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ જાઓ. ૨૬ એ પૈસાથી તમે ચાહો એ ખરીદી શકો. તમે ઢોરઢાંક, ઘેટાં-બકરાં, દ્રાક્ષદારૂ અને બીજા શરાબ તેમજ બીજું કંઈ પણ ખરીદી શકો. પછી તમે અને તમારું કુટુંબ ત્યાં તમારા ઈશ્વર યહોવા આગળ એ ખાઓ અને આનંદ માણો.+ ૨૭ પણ તમારાં શહેરોમાં રહેતા લેવીઓને ભૂલતા નહિ,+ કેમ કે તેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી.+
૨૮ “દર ત્રણ વર્ષને અંતે, ત્રીજા વર્ષની ઊપજનો દસમો ભાગ જુદો કાઢો અને તમારાં શહેરોમાં એને જમા કરાવો.+ ૨૯ પછી જેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી એ લેવીઓ તેમજ તમારાં શહેરોમાં રહેતાં પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ આવીને એમાંથી લેશે અને ભરપેટ ખાશે.+ એમ કરશો તો, તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે.+