બીજો શમુએલ
૧૩ દાઉદના દીકરા આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી,+ જે બહુ જ સુંદર હતી. દાઉદનો બીજો એક દીકરો આમ્નોન+ તેના પ્રેમમાં પડ્યો હતો. ૨ આમ્નોન પોતાની બહેન તામારને લીધે એટલો બેચેન બની ગયો કે તે બીમાર પડ્યો. તામાર કુંવારી હોવાથી, આમ્નોન તેને કંઈ કરી શકે એમ ન હતો. ૩ આમ્નોનનો એક દોસ્ત હતો, જેનું નામ યહોનાદાબ+ હતું. તે દાઉદના ભાઈ શિમઆહનો+ દીકરો હતો. યહોનાદાબ બહુ ચાલાક હતો. ૪ તેણે આમ્નોનને પૂછ્યું: “રાજાનો કુંવર દિવસે દિવસે આમ કેમ સુકાતો જાય છે? શું મને નહિ કહે?” આમ્નોને જવાબ આપ્યો: “હું મારા ભાઈ આબ્શાલોમની બહેન+ તામારના પ્રેમમાં પડ્યો છું.” ૫ યહોનાદાબે તેને જવાબ આપ્યો: “પલંગ પર સૂઈ જઈને બીમાર હોવાનું નાટક કર. તારા પિતા તને મળવા આવે ત્યારે તેમને કહેજે: ‘કૃપા કરીને મારી બહેન તામારને મોકલો કે તે મને કંઈક ખાવાનું આપે. જો તે મારી નજર સામે ભોજન* બનાવી આપે, તો હું તેના હાથે ખાઈશ.’”
૬ એટલે આમ્નોન પલંગ પર સૂઈ ગયો અને બીમાર હોવાનું નાટક કરવા લાગ્યો. રાજા તેને મળવા આવ્યો ત્યારે, આમ્નોને કહ્યું: “કૃપા કરીને મારી બહેન તામારને મોકલો કે તે મારી નજર આગળ દિલ આકારની બે રોટલી બનાવે અને તેના હાથે હું એ ખાઉં.” ૭ તેથી દાઉદે મહેલમાં તામારને સંદેશો મોકલ્યો, “કૃપા કરીને તારા ભાઈ આમ્નોનના ઘરે જઈને તેના માટે ભોજન* બનાવી આપ.” ૮ તામાર પોતાના ભાઈ આમ્નોનના ઘરે ગઈ, જ્યાં તે સૂતો હતો. તેણે લોટ લીધો ને તેની નજર આગળ બાંધ્યો અને રોટલી બનાવીને શેકી. ૯ તેણે તવા પરથી રોટલી ઉતારીને આમ્નોનને ખાવા આપી. પણ તેણે ખાવાની ના પાડી અને કહ્યું: “બધાને બહાર મોકલી દે!” બધા બહાર નીકળી ગયા.
૧૦ આમ્નોને તામારને કહ્યું: “ભોજન* મારા સૂવાના ઓરડામાં લઈ આવ, જેથી હું એ તારા હાથે ખાઉં.” તામારે દિલ આકારની રોટલીઓ બનાવી. એ લઈને તે પોતાના ભાઈ આમ્નોનના સૂવાના ઓરડામાં ગઈ. ૧૧ તામાર જેવી એ રોટલી આપવા આમ્નોનની પાસે ગઈ કે તેણે તેને પકડી લીધી અને કહ્યું: “આવ મારી બહેન, મારી સાથે સૂઈ જા.” ૧૨ પણ તેણે કહ્યું: “ના, મારા ભાઈ, ના! મારી આબરૂ લેશો નહિ, કેમ કે ઇઝરાયેલમાં આવું કદી થયું નથી.+ આવી મૂર્ખાઈ કરશો નહિ.+ ૧૩ હું આ બદનામી સાથે કઈ રીતે જીવીશ? તમે ઇઝરાયેલમાં એક મૂર્ખ જેવા ગણાશો. મહેરબાની કરીને રાજા સાથે વાત કરો. તે તમારાથી મને પાછી નહિ રાખે.” ૧૪ આમ્નોને તેની વાત જરાય સાંભળી નહિ. તે બળવાન હોવાથી તેણે તામાર સાથે જબરજસ્તી કરી અને તેના પર બળાત્કાર કર્યો. ૧૫ પછી આમ્નોનને તેના માટે સખત નફરત જાગી. તામાર પર તેને જેટલો પ્રેમ ઊભરાઈ આવ્યો હતો, એનાથી અનેક ગણો ધિક્કાર તેનામાં પેદા થયો. આમ્નોને તામારને કહ્યું: “ઊભી થા, ચાલી જા અહીંથી!” ૧૬ એ સાંભળીને તામારે કહ્યું: “ના મારા ભાઈ! તમે મારી સાથે જે કર્યું એના કરતાં મને અહીંથી કાઢી મૂકવી એ મોટો અપરાધ છે!” આમ્નોને તેનું કંઈ સાંભળ્યું નહિ.
૧૭ આમ્નોને પોતાના ચાકરને બોલાવ્યો અને કહ્યું: “આને મારી આગળથી બહાર કાઢી મૂક અને દરવાજા બંધ કરી દે.” ૧૮ આમ્નોનનો ચાકર તેને બહાર લઈ ગયો અને દરવાજા બંધ કરી દીધા. (તામારે ખાસ* ઝભ્ભો પહેરેલો હતો, કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવાં કપડાં પહેરતી.) ૧૯ તામારે પોતાના માથા પર રાખ નાખી+ અને પોતે પહેરેલો સુંદર ઝભ્ભો ફાડ્યો. તેણે પોતાના હાથ માથા પર મૂક્યા અને રડતાં રડતાં ચાલવા લાગી.
૨૦ એ જોઈને તેના ભાઈ આબ્શાલોમે+ તેને પૂછ્યું: “શું તારા ભાઈ આમ્નોને તારી આવી હાલત કરી? મારી બહેન, છાની રહે. તે તારો ભાઈ છે.+ આ વિશે તારું મન ખાટું કરીશ નહિ.” તામાર બધા લોકોથી દૂર પોતાના ભાઈ આબ્શાલોમના ઘરે રહેવા લાગી. ૨૧ રાજા દાઉદે એ બધું સાંભળ્યું ત્યારે, તે બહુ ગુસ્સે ભરાયો.+ પણ તે આમ્નોનની લાગણી દુભાવવા માંગતો ન હતો. દાઉદને તેના પર ખૂબ પ્રેમ હતો, કેમ કે તે તેનો સૌથી મોટો દીકરો હતો. ૨૨ આબ્શાલોમે આમ્નોનને સારું કે ખરાબ કંઈ કહ્યું નહિ. આમ્નોને તેની બહેનની આબરૂ લીધી હોવાથી,+ તે તેને ખૂબ ધિક્કારવા લાગ્યો.+
૨૩ એ વાતને બે વર્ષ વીતી ગયાં. આબ્શાલોમે એફ્રાઈમ+ પાસેના બઆલ-હાસોરમાં ઘેટાંનું ઊન કાતરનારાને બોલાવ્યા હતા. એ સમયે તેણે રાજાના બધા દીકરાઓને+ મિજબાનીમાં આવવાનું આમંત્રણ આપ્યું. ૨૪ આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું: “તમારો સેવક પોતાનાં ઘેટાંનું ઊન કાતરે છે. કૃપા કરીને રાજા પોતાના સેવકો સાથે મારે ત્યાં આવે.” ૨૫ રાજાએ આબ્શાલોમને કહ્યું: “ના મારા દીકરા. જો અમે બધા આવીશું, તો તારા માટે બોજ બની જઈશું.” આબ્શાલોમે વારંવાર વિનંતી કરી, છતાં રાજા તેને ત્યાં જવા તૈયાર ન થયો. પણ રાજાએ તેને આશીર્વાદ આપ્યા. ૨૬ આબ્શાલોમે કહ્યું: “જો તમે ન આવો, તો મારા ભાઈ આમ્નોનને અમારે ત્યાં આવવા દો.”+ રાજાએ તેને પૂછ્યું: “કેમ આમ્નોન?” ૨૭ આબ્શાલોમે તેને ખૂબ અરજ કરી. એટલે રાજાએ આમ્નોન અને બધા રાજકુમારોને તેની સાથે જવા દીધા.
૨૮ આબ્શાલોમે પોતાના ચાકરોને હુકમ કર્યો: “ધ્યાન રાખો. જ્યારે આમ્નોન દ્રાક્ષદારૂ પીને મસ્ત થઈ જાય, ત્યારે હું તમને કહીશ કે ‘આમ્નોન પર તૂટી પડો!’ તમારે તેને તરત મારી નાખવો. જરાય ગભરાશો નહિ, કેમ કે એ મારો હુકમ છે. બળવાન અને હિંમતવાન થાઓ.” ૨૯ એટલે આબ્શાલોમના ચાકરોએ તેના હુકમ પ્રમાણે આમ્નોનને મારી નાખ્યો. રાજાના બીજા બધા દીકરાઓ ઊઠ્યા અને પોતપોતાનાં ખચ્ચર* પર સવાર થઈને નાસી ગયા. ૩૦ તેઓ હજુ તો રસ્તામાં હતા ત્યારે, દાઉદને ખબર મળી: “આબ્શાલોમે રાજાના બધા દીકરાઓને મારી નાખ્યા છે. તેઓમાંના એકને પણ જીવતો રહેવા દીધો નથી.” ૩૧ એ સાંભળીને રાજા ઊઠ્યો અને પોતાનાં કપડાં ફાડ્યાં ને જમીન પર પડ્યો. તેના બધા સેવકોએ પણ પોતાનાં કપડાં ફાડ્યાં અને રાજાની પાસે ઊભા રહ્યા.
૩૨ પણ દાઉદના ભાઈ શિમઆહના+ દીકરા યહોનાદાબે+ કહ્યું: “મારા માલિક, એમ ન માનશો કે રાજાના બધા દીકરાઓ માર્યા ગયા છે. ફક્ત આમ્નોન જ માર્યો ગયો છે.+ આબ્શાલોમના હુકમથી આવું બન્યું છે. આમ્નોને જે દિવસે આબ્શાલોમની બહેન+ તામારની+ આબરૂ લીધી, એ દિવસથી જ તેણે આમ કરવાનું નક્કી કર્યું હતું.+ ૩૩ મારા માલિકે એવી ખબર માની ન લેવી કે ‘રાજાના બધા દીકરાઓ માર્યા ગયા છે.’ ફક્ત આમ્નોન જ માર્યો ગયો છે.”
૩૪ એ દરમિયાન આબ્શાલોમ નાસી છૂટ્યો.+ પછી શહેરના ચોકીદારે નજર ઉઠાવીને જોયું તો તેની પાછળના પર્વતવાળા રસ્તેથી ઘણા લોકો આવી રહ્યા હતા. ૩૫ એ જોઈને યહોનાદાબે+ રાજાને કહ્યું: “જુઓ! તમારા સેવકે કહ્યું હતું તેમ, રાજાના દીકરાઓ પાછા આવ્યા છે.” ૩૬ તેણે વાત પૂરી કરી, એટલામાં તો રાજાના દીકરાઓ આવી પહોંચ્યા. તેઓ જોરજોરથી રડતા હતા. રાજા અને તેના સેવકો પણ પોક મૂકીને રડવા લાગ્યા. ૩૭ આબ્શાલોમ ભાગીને ગશૂરના રાજા, એટલે કે આમ્મીહૂદના દીકરા તાલ્માય+ પાસે ગયો. દાઉદ ઘણા દિવસો સુધી પોતાના દીકરા આમ્નોન માટે શોક કરતો રહ્યો. ૩૮ આબ્શાલોમ નાસીને ગશૂર+ ગયો અને ત્યાં ત્રણ વર્ષ રહ્યો.
૩૯ રાજા દાઉદ આમ્નોનના મરણના શોકમાંથી બહાર આવ્યો.* એટલે આબ્શાલોમને મળવાનું તેને ખૂબ મન થયું.