પુનર્નિયમ
૨ “યહોવાએ મને કહ્યું હતું તેમ, આપણે પાછા ફર્યા અને લાલ સમુદ્ર તરફ જતા રસ્તેથી વેરાન પ્રદેશ જવા નીકળ્યા.+ આપણે ઘણા દિવસો સુધી સેઈર પર્વતની આસપાસ મુસાફરી કરી. ૨ આખરે યહોવાએ મને કહ્યું, ૩ ‘આ પર્વતની આસપાસ તમે લાંબો સમય વિતાવ્યો છે. હવે ઉત્તર તરફ વળો. ૪ તું લોકોને આજ્ઞા કર: “હવે તમે સેઈરમાં+ રહેતા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોના+ વિસ્તારમાંથી પસાર થવાના છો. તેઓ તમારાથી ડરશે,+ પણ તમે આનું ધ્યાન રાખજો, ૫ તેઓ સાથે ઝઘડશો નહિ.* હું તેઓના દેશમાં તમને કોઈ વારસો આપીશ નહિ, હા, પગ મૂકવા જેટલી જમીન પણ આપીશ નહિ, કેમ કે મેં સેઈર પર્વત એસાવને આપ્યો છે.+ ૬ ત્યાં તમે કિંમત ચૂકવીને ખોરાક ખરીદજો, પાણી પણ વેચાતું લેજો.+ ૭ તમારા ઈશ્વર યહોવાએ તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપ્યો છે. આ વિશાળ વેરાન પ્રદેશમાં તમે ચાલીને જે મુસાફરી કરી છે, એને તે સારી રીતે જાણે છે. આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વર તમારી સાથે હતા અને તમને કશાની ખોટ પડી નથી.”’+ ૮ આપણે સેઈરમાં રહેતા આપણા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોના વિસ્તારમાંથી પસાર થયા.+ આપણે અરાબાહ, એલાથ અને એસ્યોન-ગેબેરના+ રસ્તેથી દૂર રહ્યા.
“પછી આપણે વળીને મોઆબના વેરાન પ્રદેશ તરફ જતા રસ્તે આગળ વધ્યા.+ ૯ એ સમયે યહોવાએ મને કહ્યું, ‘તમે મોઆબ સાથે ઝઘડશો નહિ કે યુદ્ધ કરશો નહિ. હું તેના દેશનો કોઈ પણ પ્રદેશ તમને કબજે કરવા નહિ દઉં, કેમ કે આરનો વિસ્તાર મેં લોતના વંશજોને આપ્યો છે.+ ૧૦ (અગાઉ એમીઓ+ ત્યાં રહેતા હતા. તેઓ અનાકીઓની* જેમ શક્તિશાળી, કદાવર અને સંખ્યામાં ઘણા હતા. ૧૧ અનાકીઓની+ જેમ રફાઈઓ+ પણ કદાવર લોકો તરીકે જાણીતા હતા. મોઆબના લોકો રફાઈઓને એમીઓ કહેતા હતા. ૧૨ હોરીઓ+ અગાઉ સેઈરમાં રહેતા હતા. પણ એસાવના વંશજોએ તેઓનો સંહાર કર્યો અને તેઓનો વિસ્તાર કબજે કરીને એમાં રહેવા લાગ્યા.+ એવી જ રીતે, ઇઝરાયેલ પણ એ દેશ કબજે કરશે, જે યહોવા તેને આપવાના છે.) ૧૩ હવે જાઓ અને ઝેરેદની ખીણ પાર કરો.’ એટલે આપણે ઝેરેદની ખીણ પાર કરી.+ ૧૪ આપણને કાદેશ-બાર્નેઆથી ચાલીને ઝેરેદની ખીણ પાર કરતા ૩૮ વર્ષ લાગ્યાં. યહોવાએ સમ ખાઈને કહ્યું હતું તેમ, એ સમય દરમિયાન આપણામાંથી સૈનિકોની આખી પેઢી મરણ પામી.+ ૧૫ તેઓનો નાશ ન થયો ત્યાં સુધી યહોવાનો હાથ તેઓ વિરુદ્ધ રહ્યો.+
૧૬ “લોકોમાંથી બધા સૈનિકોનું મરણ થયું પછી તરત જ+ ૧૭ યહોવાએ ફરીથી મારી સાથે વાત કરી. તેમણે કહ્યું, ૧૮ ‘આજે તમે આર, એટલે કે મોઆબની સરહદ પાર કરીને જવાના છો. ૧૯ તમે આમ્મોનીઓના વિસ્તાર નજીકથી પસાર થાઓ ત્યારે, તેઓને હેરાન કરશો નહિ કે ઉશ્કેરશો નહિ. હું તેઓના દેશમાં તમને કોઈ વારસો આપીશ નહિ, કેમ કે મેં એ વિસ્તાર લોતના વંશજોને વારસા તરીકે આપ્યો છે.+ ૨૦ એ પણ રફાઈઓનો દેશ ગણાતો હતો.+ (અગાઉ રફાઈઓ ત્યાં રહેતા હતા અને આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ કહેતા હતા. ૨૧ અનાકીઓની જેમ તેઓ શક્તિશાળી, કદાવર અને સંખ્યામાં ઘણા હતા.+ પણ યહોવાએ આમ્મોનીઓ સામે તેઓને હરાવી દીધા. આમ્મોનીઓએ તેઓને કાઢી મૂક્યા અને ત્યાં વસવા લાગ્યા. ૨૨ ઈશ્વરે એસાવના વંશજો માટે એવું જ કર્યું, જેઓ હમણાં સેઈરમાં રહે છે.+ તેમણે એસાવના વંશજો આગળથી હોરીઓનો નાશ કર્યો,+ જેથી તેઓ હોરીઓનો વિસ્તાર કબજે કરીને ત્યાં રહી શકે. આજે પણ તેઓ ત્યાં જ રહે છે. ૨૩ આવ્વીઓ છેક ગાઝા સુધીનાં ગામડાઓમાં રહેતા હતા.+ પણ કાફતોરથી* કાફતોરીઓ+ આવ્યા અને તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસી ગયા.)
૨૪ “‘હવે ઊઠો અને આર્નોનની ખીણ પાર કરીને આગળ વધો.+ જુઓ, મેં હેશ્બોનના અમોરી રાજા સીહોનને+ તમારા હાથમાં સોંપ્યો છે. તેની સાથે યુદ્ધ કરો અને તેનો દેશ કબજે કરો. ૨૫ હું આજથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓમાં તમારો એવો ડર, તમારી એવી ધાક બેસાડીશ કે તમારા વિશે સાંભળતાં જ તેઓ હચમચી જશે અને થરથર કાંપશે.’*+
૨૬ “પછી મેં કદેમોથના વેરાન પ્રદેશથી+ સંદેશવાહકો મોકલીને હેશ્બોનના રાજા સીહોનને શાંતિનો આ સંદેશો મોકલ્યો:+ ૨૭ ‘મને તમારા દેશમાંથી જવા દો. હું મુખ્ય રસ્તા ઉપર જ ચાલીશ અને જમણે કે ડાબે વળીશ નહિ.+ ૨૮ હું તમારી પાસેથી જે કંઈ ખોરાક કે પાણી લઈશ, એની કિંમત ચૂકવીશ. ફક્ત મને પગપાળા તમારા વિસ્તારમાંથી જવા દો. ૨૯ સેઈરમાં રહેતા એસાવના વંશજો અને આરમાં રહેતા મોઆબીઓ મારી સાથે એ જ રીતે વર્ત્યા હતા. હું યર્દન પાર કરીને યહોવા અમને આપવાના છે એ દેશમાં પહોંચું ત્યાં સુધી મને તમારા વિસ્તારમાંથી જવા દો.’ ૩૦ પણ હેશ્બોનના રાજા સીહોને આપણને ત્યાંથી જવા દીધા નહિ. તેનું દિલ કઠોર થઈ ગયું હતું અને તે પોતાની જિદ્દ પર અડી રહ્યો હતો. તમારા ઈશ્વર યહોવાએ તેનું દિલ હઠીલું થવા દીધું,+ જેથી તે તેને તમારા હાથમાં સોંપી દે, જેમ હમણાં તે તમારા હાથમાં છે.+
૩૧ “પછી યહોવાએ મને કહ્યું: ‘જો, મેં સીહોન અને તેનો દેશ તારા હાથમાં સોંપી દીધો છે. તું એને કબજે કરવાનું શરૂ કર.’+ ૩૨ સીહોન જ્યારે પોતાનું સૈન્ય લઈને આપણી સામે લડવા યાહાસ આવ્યો,+ ૩૩ ત્યારે યહોવા આપણા ઈશ્વરે તેને આપણા હાથમાં સોંપી દીધો. આપણે તેને, તેના દીકરાઓને અને તેના બધા લોકોને હરાવી દીધા. ૩૪ આપણે તેનાં બધાં શહેરો કબજે કર્યાં અને એનો નાશ કર્યો, સ્ત્રી-પુરુષો અને બાળકોને મારી નાખ્યાં. આપણે એકેય વ્યક્તિને જીવતી રહેવા દીધી નહિ.+ ૩૫ પણ કબજે કરેલાં શહેરોમાંથી ફક્ત ઢોરઢાંક અને લૂંટ પોતાના માટે રાખી લીધાં. ૩૬ આર્નોનની ખીણને કિનારે આવેલા અરોએરથી+ લઈને (તેમજ ખીણના શહેરથી લઈને) છેક ગિલયાદ સુધી એકેય નગર એટલું શક્તિશાળી ન હતું કે આપણી સામે ટકી શકે. આપણા ઈશ્વર યહોવાએ એ બધું આપણા હાથમાં સોંપી દીધું.+ ૩૭ પણ આપણા ઈશ્વર યહોવાએ મના કરેલા કોઈ પણ પ્રદેશમાં તમે ગયા નહિ. હા, તમે આમ્મોનીઓનો વિસ્તાર,+ એટલે કે યાબ્બોકનો+ આખો ખીણપ્રદેશ અને પહાડી વિસ્તારનાં શહેરો કે એવા બીજા કોઈ પણ પ્રદેશમાં ગયા નહિ.