પુનર્નિયમ
૨૪ “જો કોઈ પુરુષ લગ્ન કરે અને પત્નીના શરમજનક વર્તનને લીધે તેનાથી ખુશ ન હોય, તો તે પોતાની પત્નીને છૂટાછેડા લખી આપે+ અને એ લખાણ તેના હાથમાં આપીને તેને ઘરમાંથી કાઢી મૂકે.+ ૨ પહેલા પતિનું ઘર છોડ્યા પછી સ્ત્રી બીજા કોઈ પુરુષને પરણી શકે.+ ૩ જો બીજો પતિ પણ તેને નફરત* કરવા લાગે, તેને છૂટાછેડા લખી આપે અને એ લખાણ તેના હાથમાં આપીને ઘરમાંથી કાઢી મૂકે અથવા જો તેનો બીજો પતિ મરણ પામે, ૪ તો તેને કાઢી મૂકનાર પહેલો પતિ તેને ફરી પરણે નહિ, કેમ કે તે સ્ત્રી ભ્રષ્ટ થઈ ગઈ છે. એવા કામને યહોવા ધિક્કારે છે. તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસામાં આપે છે, એમાં તમે પાપ ન લાવો.
૫ “જો કોઈ પુરુષના નવાં નવાં લગ્ન થયાં હોય, તો તે લશ્કરમાં સેવા ન આપે અથવા તેને બીજી જવાબદારીઓ સોંપવામાં ન આવે. એક વર્ષ સુધી તેને છૂટ આપવામાં આવે અને તે ઘરમાં રહે અને પોતાની પત્નીને ખુશ કરે.+
૬ “તમે ઘંટી કે ઘંટીનો ઉપલો પથ્થર ગીરવે ન લો,+ કેમ કે એ તો કોઈ માણસની આજીવિકા* ગીરવે રાખ્યા બરાબર છે.
૭ “જો કોઈ માણસ પોતાના ઇઝરાયેલી ભાઈનું અપહરણ કરે, તેના પર જુલમ ગુજારે અને તેને વેચી દે,+ તો અપહરણ કરનાર માણસને મારી નાખો.+ આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૮ “જો કોઈને રક્તપિત્ત* થાય, તો લેવી યાજકો જે સૂચનો આપે, એનું ખંતથી પાલન કરો.+ મેં તેઓને જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે કરો. ૯ તમે ઇજિપ્તમાંથી નીકળતા હતા ત્યારે, રસ્તામાં યહોવા તમારા ઈશ્વરે મરિયમને જે કર્યું હતું એ યાદ રાખો.+
૧૦ “જો તમે તમારા પડોશીને કંઈક ઉછીનું આપો,+ તો તેણે જે વસ્તુ ગીરવે મૂકવા વચન આપ્યું છે, એને છીનવી લેવા તેના ઘરમાં ઘૂસી ન જાઓ. ૧૧ તમે બહાર ઊભા રહો, ઉછીનું લેનાર માણસ બહાર આવે અને ગીરવે મૂકવાની વસ્તુ તમને આપે. ૧૨ જો તે માણસ ખૂબ ગરીબ હોય, તો તેણે ગીરવે મૂકેલું વસ્ત્ર આખી રાત તમારી પાસે ન રાખો.+ ૧૩ સૂર્ય આથમે ત્યારે તે માણસે ગીરવે મૂકેલું વસ્ત્ર તેને પાછું આપી દો, જેથી એ વસ્ત્ર પહેરીને તે સૂઈ જાય+ અને તમને આશીર્વાદ આપે. આમ તમે તમારા ઈશ્વર યહોવાની નજરમાં નેક ગણાશો.
૧૪ “જો તમે કોઈ ગરીબ અને મુસીબતમાં હોય એવા માણસને મજૂરીએ રાખો, તો તેની સાથે છેતરપિંડી ન કરો, પછી ભલે એ તમારાં શહેરોમાં રહેતો કોઈ ઇઝરાયેલી ભાઈ હોય કે પરદેશી.+ ૧૫ તમે મજૂરને એની મજૂરી એ જ દિવસે,+ સૂર્ય આથમે એ પહેલાં ચૂકવી દો, કેમ કે એ મજૂરી તેની જરૂરિયાત છે અને એના પર તેનું જીવન નભે છે. નહિતર તે તમારી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે અને તમને પાપનો દોષ લાગશે.+
૧૬ “બાળકોનાં પાપને લીધે પિતાઓને મારી ન નાખો અને પિતાઓનાં પાપને લીધે બાળકોને મારી ન નાખો.+ જે માણસ પાપ કરે, તે જ માર્યો જાય.+
૧૭ “તમે કોઈ પરદેશીનો કે અનાથનો* ન્યાય ઊંધો ન વાળો.+ તમે વિધવાનું વસ્ત્ર જપ્ત કરી એને ગીરવે ન રાખો.+ ૧૮ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્તમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે તમને ત્યાંથી છોડાવ્યા હતા.+ એટલે જ હું તમને આવું કરવાની આજ્ઞા આપું છું.
૧૯ “જ્યારે તમે ખેતરમાં કાપણી કરો અને પૂળો ખેતરમાં ભૂલી જાઓ, ત્યારે એ પૂળો લેવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો,+ જેથી તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર તમને આશીર્વાદ આપે.+
૨૦ “જ્યારે તમે જૈતૂનનું ઝાડ ઝૂડો, ત્યારે કોઈ ડાળીને બીજી વાર ન ઝૂડો. બાકી રહી ગયેલાં ફળને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો.+
૨૧ “જ્યારે તમે દ્રાક્ષાવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરો, ત્યારે બાકી રહી ગયેલી દ્રાક્ષો ભેગી કરવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો. ૨૨ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા. એટલે જ હું તમને આવું કરવાની આજ્ઞા આપું છું.