સારાં કામથી પરમેશ્વરને મળતો મહિમા
પરમેશ્વરને પ્રેમ કરનારાઓ તેમના પુસ્તક બાઇબલમાંથી મળતા આત્મિક પ્રકાશને પ્રતિબિંબ પાડવાનો પ્રયત્ન કરે છે. આમ કરીને તેઓ ઈસુની આજ્ઞાને પાળે છે: “તમે તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માત્થી ૫:૧૬) આપણી વાણી અને વર્તણૂક સારા હોય છે ત્યારે પરમેશ્વરને મહિમા મળે છે.
યહોવાહના સાક્ષીઓ બાઇબલની આજ્ઞા પાળીને તેમ જ બીજાઓને આત્મિક રીતે મદદ કરીને પરમેશ્વરને ખુશ કરે છે. જાહેર સેવાકાર્ય કરવા પર પ્રતિબંધ હોય એવા દેશોમાં પણ તેઓ આ કાર્ય કરે છે. આવા જ એક દેશના પાટનગરમાં, સાક્ષીઓએ વાર્ષિક સંમેલનો યોજ્યાં હતાં, જ્યાં ૬,૦૦૦થી ૯,૦૦૦ લોકોએ હાજરી આપી હતી. આ રીતે ભેગા મળવા, સાક્ષીઓએ એવા હૉલ ભાડે રાખ્યા જ્યાં પ્રદર્શનો યોજવામાં આવે છે. આગલા વર્ષની જેમ, વર્ષ ૧૯૯૯માં તેઓના સંમેલન પહેલાં, હજારો સાક્ષીઓએ હૉલની સાફસફાઈ કરવામાં સખત મહેનત કરી. તેઓએ સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા કરી અને હજારો ખુરશીઓ પણ ગોઠવી.
સાક્ષીઓની આ બધી તૈયારીઓનું હૉલના વહીવટકર્તાઓએ અવલોકન કર્યું. તેઓએ એ પણ જોયું કે ૧૫,૬૬૬ વ્યક્તિઓએ હાજરી આપી હોવા છતાં, દરેક બાબતો સરળતાથી થઈ હતી. તેઓએ સાક્ષીઓની સારી વર્તણૂકની પણ નોંધ લીધી. સંમેલન પછી સાક્ષીઓએ ફરીથી હૉલની સાફસફાઈ કરી ત્યારે તેઓને ખૂબ આશ્ચર્ય થયું.
વહીવટકર્તાઓએ સાક્ષીઓને પોતાની યાદીમાં મોખરે રાખીને પોતાની કદર વ્યક્ત કરી, જેથી તેઓને આ સુવિધાનો ઉપયોગ કરવાની પહેલી તક મળે. તેઓએ એથી પણ વધુ ર્ક્યું. જુલાઈ ૧૫, ૧૯૯૯ના રોજ તેઓએ સંમેલન સમિતિને કદર વ્યક્ત કરતો એવૉર્ડ આપ્યો. એના પર લખ્યું હતું, “યહોવાહના સાક્ષીઓનું મંડળ.” આમ, સાક્ષીઓના બાઇબલ શિક્ષણ આપવાના કાર્ય પર પ્રતિબંધ હોય એવા દેશમાં તેઓને ઈનામ મળ્યું, જેની તેઓએ આશા પણ રાખી ન હતી.
આ જ રીતે, વર્ષ ૨૦૦૦/૨૦૦૧માં આખી દુનિયામાં, યહોવાહના સાક્ષીઓનું “પરમેશ્વરના નિયમ પાળનારા” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન ભરવામાં આવશે, જેમાં લાખો લોકો હાજરી આપશે. તમે પણ ત્યાં હાજર રહીને, વ્યક્તિગત રીતે જોઈ શકશો કે બાઇબલના કહેવા પ્રમાણે ચાલીને કઈ રીતે પરમેશ્વરને મહિમા આપવામાં આવે છે.