પૂરેપૂરી રીતે “સાક્ષી” આપીએ
૧. પ્રચાર કામમાં પ્રેરિત પાઊલે કેવો દાખલો બેસાડ્યો?
૧ “તારું સેવાકાર્ય પૂર્ણ કર.” (૨ તીમો. ૪:૫) પ્રેરિત પાઊલ અચકાયા વગર આ સલાહ તીમોથીને આપી શક્યા કેમ કે, તે પોતે એ સલાહને અનુસર્યા હતા. સાલ ૪૭થી ૫૬ સુધીમાં પાઊલે પોતાની ત્રણ મિશનરી મુસાફરી પૂરી કરી હતી. પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક વારંવાર જણાવે છે કે પાઊલે પૂરેપૂરી રીતે “સાક્ષી” આપી. (પ્રે.કૃ. ૨૩:૧૧; ૨૮:૨૩) આપણે કઈ રીતે એમ કરી શકીએ?
૨. ઘર ઘરનું પ્રચાર કામ પૂરેપૂરી રીતે કરવા શું કરવું જોઈએ?
૨ ઘર ઘરના પ્રચાર કામથી: ઘણા ઘરમાલિકોએ રાજ્યની ખુશખબર કદી સાંભળી નથી. એટલે તેઓને એ જણાવવા આપણે અલગ અલગ સમયે જવું પડે. બની શકે કે કુટુંબના શિર આપણને સાંજના સમયે અથવા શનિ-રવિના મળે. જે વિસ્તારમાં પ્રચાર બહુ નથી થયો એમાં કામ કરવાથી આપણે નવા લોકોને શોધી શકીશું. આપણે દરેક ઘરમાં કોઈકની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ માટે, જેઓના ઘર બંધ હોય તેઓના ઘરે વારંવાર જવું પડે. ઘણા પ્રયત્નો છતાં કોઈ ઘરે ન મળે તો શું કરવું? કદાચ પત્ર લખવાથી અથવા ફોન કરવાથી સારાં પરિણામ આવી શકે.
૩. જ્યાં લોકો મળે ત્યાં પ્રચાર કરવાની તમારી પાસે કઈ તક છે?
૩ જ્યાં લોકો મળે ત્યાં પ્રચાર કરવાથી: યહોવાના ભક્તો આજે સાચાં “જ્ઞાન”ને જેઓ સાંભળવા માંગે છે તેઓને જણાવે છે. એમ કરવા, અમુક વખતે તેઓ “ગલીએ ગલીએ” અને “ચૌટામાં” એટલે કે જાહેર જગ્યાઓમાં જાય છે. (નીતિ. ૧:૨૦, ૨૧) રોજીંદા જીવનમાં સાક્ષી આપવાની દરેક તક શું આપણે ઝડપીએ છીએ? શું એમ કહી શકાય કે આપણે “ઉત્સાહથી” સંદેશો જણાવીએ છીએ? (પ્રે.કૃ. ૧૮:૫) જો એમ હોય તો આપણે ‘સાક્ષી આપવાનું’ કામ પૂરેપૂરી રીતે કરીએ છીએ.—પ્રે.કૃ. ૧૦:૪૨; ૧૭:૧૭; ૨૦:૨૦, ૨૧, ૨૪.
૪. પૂરેપૂરી રીતે “સાક્ષી” આપવા પ્રાર્થના અને મનન કેવી મદદ કરે છે?
૪ અમુક વખતે નબળાઈઓ અથવા શરમને લીધે સાક્ષી આપતા કદાચ અચકાતા હોઈએ. જોકે, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને સમજે છે. (ગીત. ૧૦૩:૧૪) આપણી સામે એવા સંજોગો આવે જેમાં હિંમતથી બોલવું પડે ત્યારે યહોવાને પ્રાર્થના કરીએ. (પ્રે.કૃ. ૪:૨૯, ૩૧) ઉપરાંત, બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ અને મનન કરીએ. એમાં, ખુશખબર કેટલી કિંમતી છે એના પર વિચાર કરવાથી આપણી કદર વધશે. (ફિલિ. ૩:૮) આમ, આપણે પૂરા ઉત્સાહથી સંદેશાને જાહેર કરી શકીશું.
૫. યોએલની ભવિષ્યવાણીને પૂરી કરવામાં આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ છીએ?
૫ યોએલની ભવિષ્યવાણીમાં યહોવાના મહાન અને ભયાવહ દિવસ વિશે જણાવવામાં આવ્યું છે. જોકે, એ પહેલાં ઈશ્વરના લોકો “સીધે માર્ગે” ચાલ્યા કરશે અને પ્રચાર કામની આડે કઈ નહિ આવવા દે. (યોએ. ૨:૨, ૭-૯) સાક્ષી આપવાનું કામ ભાવિમાં ફરી કદી થવાનું નથી. તેથી, ચાલો આપણે પૂરા ઉત્સાહથી સાક્ષી આપતા રહીએ.