પ્રચાર કરવા આપણને શું પ્રેરે છે?
૧. કોના પ્રત્યેનો પ્રેમ આપણને પ્રચાર કરવા પ્રેરે છે?
૧ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવી એ આજે આપણા માટે સૌથી મહત્ત્વનું કામ છે. ખરેખર, આ કામ દ્વારા આપણે સૌથી મોટી બે આજ્ઞાઓ પાળીએ છીએ. એ છે, યહોવાને પ્રેમ કરવો અને પડોશીઓને પ્રેમ કરવો. (માર્ક ૧૨:૨૯-૩૧) પ્રેમમાં એટલી તાકાત છે કે એ આપણને ઉત્સાહી પ્રચારક બનવા પ્રેરણા આપી શકે છે.—૧ યોહાન ૫:૩.
૨. આપણા પ્રચાર કાર્યથી કઈ રીતે યહોવા માટેનો પ્રેમ જાહેર થાય છે?
૨ યહોવા માટેનો પ્રેમ: આપણા સૌથી વહાલા મિત્ર યહોવા માટે પ્રેમ હોવાથી આપણે તેમના બચાવમાં બોલવા પ્રેરાઈએ છીએ. આશરે ૬,૦૦૦ વર્ષોથી શેતાન તેમની નિંદા કરી રહ્યો છે. (૨ કોરીં. ૪:૩, ૪) એટલે લોકો આવું માને છે કે ઈશ્વર પાપીઓને નરકની આગમાં રિબાવે છે; તે ત્રૈક્ય છે જે આપણી સમજની બહાર છે; તેમને માણસોની કોઈ ચિંતા નથી. ઘણા તો એવું માનવા લાગ્યા છે કે ઈશ્વર છે જ નહિ. એટલે, આપણે ઈશ્વર વિશેનું સત્ય લોકોને જણાવવા માંગીએ છીએ. સાક્ષીઓ તરીકે આપણે પ્રચારમાં ખંતીલા પ્રયત્નો કરીએ છીએ ત્યારે, ઈશ્વર ઘણા ખુશ થાય છે અને શેતાન નાસીપાસ થઈ જાય છે. —નીતિ. ૨૭:૧૧; હિબ્રૂ ૧૩:૧૫, ૧૬.
૩. આપણા પ્રચાર કાર્યથી કઈ રીતે લોકો માટેનો પ્રેમ જોવા મળે છે?
૩ પડોશીઓ માટેનો પ્રેમ: આપણે જ્યારે પણ કોઈને સાક્ષી આપીએ છીએ ત્યારે, તેના પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ. આ મુશ્કેલીભર્યા સમયમાં લોકો ખુશખબર વિશે જાણે, એ ખૂબ અગત્યનું છે. આજે ઘણા લોકો યૂનાના સમયના નિનવેહના લોકો જેવા છે. તેઓ “પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા” ન હતા. (યૂના ૪:૧૧) આપણું પ્રચાર કાર્ય લોકોને શીખવે છે કે તેઓ કઈ રીતે સુખી અને આનંદી જીવન જીવી શકે. (યશા. ૪૮:૧૭-૧૯) એનાથી તેઓને આશા મળે છે. (રોમ. ૧૫:૪) તેઓ જે બાબતો શીખે છે એને સાંભળે અને એ પ્રમાણે વર્તે તો તેઓ “તારણ પામશે.”—રોમ. ૧૦:૧૩, ૧૪.
૪. યહોવા શું કદી નહિ ભૂલે?
૪ સારાં બાળકો પોતાના માબાપને ફક્ત ખાસ પ્રસંગે જ પ્રેમ બતાવતા નથી. તેઓ હંમેશાં પ્રેમ બતાવવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે, ઈશ્વર અને લોકો માટેનો ગાઢ પ્રેમ આપણને પ્રચાર માટે ગોઠવેલા સમયે જ નહિ, પણ દરેક સમયે પ્રચાર કરવાની તક ઝડપી લેવા પ્રેરશે. તેમ જ, આપણે સર્વ સમયે ઉત્સાહથી પ્રચાર કરતા રહીશું. (પ્રે.કૃ. ૫:૪૨) આપણો આવો પ્રેમ યહોવા કદી ભૂલશે નહિ.—હિબ્રૂ ૬:૧૦.