પાઠ ૧૧
શ્રદ્ધાની પરીક્ષા
ઇબ્રાહિમે ઇસહાકનો સારી રીતે ઉછેર કર્યો હતો. તેમણે પોતાના દીકરાને શીખવ્યું હતું કે તે યહોવાને પ્રેમ કરે અને યહોવાના બધાં વચનોમાં ભરોસો રાખે. ઇસહાક આશરે ૨૫ વર્ષના હતા ત્યારે, યહોવાએ ઇબ્રાહિમને એક કામ સોંપ્યું. એ કામ ઇબ્રાહિમ માટે ખૂબ અઘરું હતું.
ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: ‘તું પોતાના એકના એક દીકરાને લઈને મોરિયા દેશ જા અને ત્યાં એક પહાડ પર તેનું બલિદાન ચઢાવ.’ ઇબ્રાહિમને જરાય ખ્યાલ ન હતો કે યહોવાએ તેમને શા માટે એમ કરવા કહ્યું. તોપણ તેમણે યહોવાની વાત માની.
ઇબ્રાહિમ બીજા દિવસે સવારે ઇસહાક અને બે ચાકરોને લઈને મોરિયા દેશ જવા નીકળી ગયા. ત્રણ દિવસ ચાલ્યા પછી તેઓને દૂરથી એ પહાડ દેખાયો. ઇબ્રાહિમે પોતાના ચાકરોને કહ્યું: ‘તમે અહીં જ રોકાઓ, હું અને ઇસહાક બલિદાન ચઢાવીને આવીએ.’ ઇબ્રાહિમે છરો લીધો અને ઇસહાકને લાકડાં લેવા કહ્યું. ઇસહાકે પૂછ્યું: ‘પિતાજી, બલિદાન માટે ઘેટું ક્યાં છે?’ ઇબ્રાહિમે કહ્યું: ‘દીકરા, એ યહોવા આપશે!’
આખરે તેઓ પહાડ પર પહોંચ્યા. ત્યાં તેઓએ વેદી બાંધી. ઇબ્રાહિમે ઇસહાકના હાથ-પગ બાંધ્યા અને તેમને વેદી પર સુવડાવી દીધા.
પછી ઇબ્રાહિમે છરો લીધો. તે ઇસહાકને મારવાના જ હતા ત્યારે, યહોવાનો એક દૂત સ્વર્ગમાંથી બોલ્યો: ‘ઇબ્રાહિમ, છોકરાને મારીશ નહિ! હવે મને ખાતરી છે કે તને ઈશ્વરમાં શ્રદ્ધા છે. કેમ કે તું પોતાના દીકરાનું બલિદાન ચઢાવવા તૈયાર થઈ ગયો છે.’ એ પછી ઇબ્રાહિમે એક ઘેટો જોયો. એનાં શિંગડાં ઝાડીમાં ફસાઈ ગયાં હતાં. ઇબ્રાહિમે તરત ઇસહાકના હાથ-પગ છોડ્યા અને તેમના બદલે ઘેટાનું બલિદાન ચઢાવ્યું.
એ દિવસથી યહોવાએ ઇબ્રાહિમને પોતાના દોસ્ત કહ્યા. તમે જાણો છો કેમ? કેમ કે યહોવાએ જે કરવાનું કહ્યું, ઇબ્રાહિમે એવું જ કર્યું. અમુક વખતે યહોવાએ ઇબ્રાહિમને એવું કંઈક કરવા કહ્યું, જે તેમને ન સમજાયું તોપણ ઇબ્રાહિમે યહોવાની વાત માની.
યહોવાએ ઇબ્રાહિમને ફરી એક વાર વચન આપ્યું: ‘હું તને આશીર્વાદ આપીશ અને તને ઘણાં બધાં બાળકો થશે.’ એનો અર્થ થાય કે યહોવા ઇબ્રાહિમના એક વંશજ દ્વારા બધા સારા લોકોને આશીર્વાદ આપવાના હતા.
“ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.”—યોહાન ૩:૧૬