પાઠ ૪૩
દાઉદ રાજાએ પાપ કર્યું
શાઉલના મરણ પછી દાઉદ રાજા બન્યા ત્યારે, તે ૩૦ વર્ષના હતા. એ વાતને અમુક વર્ષો થઈ ગયા હતા. એક સાંજે રાજા દાઉદ પોતાના મહેલના ધાબા પર હતા, ત્યાંથી તેમણે એક સુંદર સ્ત્રી જોઈ. દાઉદે એ સ્ત્રી વિશે તપાસ કરાવી અને જાણવા મળ્યું કે તેમનું નામ બાથશેબા છે. તેમનાં પતિનું નામ ઊરિયા છે, જે એક સૈનિક છે. દાઉદે બાથશેબાને મહેલમાં બોલાવ્યાં. તેઓએ જાતીય સંબંધ બાંધ્યો. બાથશેબા મા બનવાનાં હતાં, એટલે દાઉદે પોતાનું પાપ છુપાવવાની કોશિશ કરી. તેમણે સેનાના આગેવાનને કહ્યું કે ઊરિયાને લડાઈમાં એકદમ આગળ રાખે અને બીજા સૈનિકો પાછળ ખસી જાય. ઊરિયા લડાઈમાં માર્યા ગયા. એ પછી દાઉદે બાથશેબા સાથે લગ્ન કરી લીધા.
એ બધાં ખરાબ કામો યહોવાએ જોયાં. એ જોઈને તેમણે શું કર્યું? તેમણે નાથાન નામના પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યા. નાથાને દાઉદને કહ્યું: ‘એક અમીર માણસ પાસે ઘણાં બધાં ઘેટાં હતાં, જ્યારે કે એક ગરીબ માણસ પાસે ફક્ત એક નાની ઘેટી હતી. એ તેને ખૂબ વહાલી હતી. એ અમીર માણસે પેલા ગરીબ માણસની ઘેટી લઈ લીધી.’ એ સાંભળી દાઉદ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કહ્યું: ‘એ અમીર માણસને તો મારી નાખવો જોઈએ.’ નાથાને દાઉદને કહ્યું: ‘એ અમીર માણસ તું જ છે.’ દાઉદ ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમણે નાથાનને કહ્યું: ‘મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.’ એ પાપના લીધે દાઉદ અને તેમના કુટુંબ પર ઘણી બધી તકલીફો આવી. યહોવાએ દાઉદને સજા કરી પણ તેમને મારી ન નાખ્યા. કેમ કે, દાઉદ ખૂબ જ ઈમાનદાર અને નમ્ર માણસ હતા.
દાઉદ યહોવા માટે મંદિર બનાવવા માંગતા હતા. પણ યહોવાએ તેમના દીકરા સુલેમાનને મંદિર બનાવવા પસંદ કર્યા. દાઉદે કહ્યું: ‘યહોવાનું મંદિર ખૂબ જ ભવ્ય હોવું જોઈએ. સુલેમાન હજી નાનો છે એટલે હું તેને મદદ કરીશ. હું બધી તૈયારીઓ કરીશ.’ તેમણે મંદિર બનાવવા પોતાના ઘણા બધા પૈસા દાન કર્યા. તેમણે કુશળ કારીગરો શોધ્યા અને સોના-ચાંદી પણ ભેગા કર્યાં. એટલું જ નહિ, તેમણે તૂર અને સિદોન નામની જગ્યાએથી દેવદારના લાકડાં મંગાવ્યાં. દાઉદે સુલેમાનને મંદિરનો નકશો પણ આપ્યો, એ સમયે તે ઘણા ઘરડા હતા. તેમણે કહ્યું: ‘યહોવાએ મને કહ્યું છે કે હું તારા માટે આ બધી વાતો લખું. યહોવા તને મદદ કરશે, એટલે તું ડરીશ નહિ! હિંમત રાખજે અને કામ શરૂ કરી દેજે.’
“જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય, પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.”—નીતિવચનો ૨૮:૧૩