પાઠ ૪૯
દુષ્ટ રાણીને સજા મળી
આહાબ રાજાનો મહેલ યિઝ્રએલમાં હતો. તેના મહેલની બારીમાંથી એક સુંદર દ્રાક્ષાવાડી દેખાતી હતી. એ નાબોથ નામના માણસની હતી. આહાબને એ દ્રાક્ષાવાડી બહુ ગમતી હતી. એટલે તેણે નાબોથ પાસેથી એ ખરીદવાની કોશિશ કરી. પણ નાબોથે વેચવાની ના પાડી દીધી. એમ કરીને નાબોથ યહોવાનો નિયમ પાળતા હતા. યહોવાનો નિયમ હતો કે વારસામાં મળેલી જમીન વેચવી નહિ. શું એ માટે આહાબે તેમના વખાણ કર્યા? ના, તેને તો બહુ ગુસ્સો આવ્યો! તે પોતાના ઓરડામાંથી બહાર પણ આવતો ન હતો. એટલું જ નહિ, તેણે કંઈ ખાવાની પણ ના પાડી દીધી!
આહાબની પત્ની ઇઝેબેલ દુષ્ટ રાણી હતી. તેણે આહાબને કહ્યું: ‘તમે ઇઝરાયેલના રાજા છો. તમને જે ગમે એ લઈ શકો છો. હું તમને એ જમીન અપાવીશ.’ તેણે શહેરના વડીલોને પત્રો લખ્યા. એમાં જણાવ્યું હતું: ‘વડીલો, નાબોથ પર એવો આરોપ મૂકો કે તે ઈશ્વર વિશે ખરાબ બોલ્યો છે. પછી તેને પથ્થરે મારી નાખો.’ વડીલોએ એવું જ કર્યું. પછી ઇઝેબેલે આહાબને કહ્યું: ‘નાબોથ મરી ગયો છે. હવે તેની દ્રાક્ષાવાડી તમારી છે.’
ઇઝેબેલે નાબોથને જ નહિ, યહોવાને પ્રેમ કરતા હતા એવા ઘણા નિર્દોષ લોકોને મારી નંખાવ્યા હતા. તે મૂર્તિપૂજા કરતી હતી અને બીજાં ઘણાં દુષ્ટ કામ કરતી હતી. યહોવા તેનાં બધાં કામ જોતા હતા. શું એ જોઈને યહોવાએ કંઈ કર્યું?
આહાબના મરણ પછી, તેનો દીકરો યહોરામ રાજા બન્યો. ઇઝેબેલને અને તેના આખા કુટુંબને સજા આપવા યહોવાએ યેહૂને મોકલ્યા.
ઇઝેબેલ યિઝ્રએલમાં રહેતી હતી. યેહૂ પોતાનો રથ લઈને યિઝ્રએલ ગયા. યહોરામ પોતાનો રથ લઈને યેહૂને સામે મળવા ગયો. યહોરામે યેહૂને પૂછ્યું: ‘બધું બરાબર તો છે ને?’ યેહૂએ કહ્યું: ‘જ્યાં સુધી તારી મા ઇઝેબેલ દુષ્ટ કામો કરતી રહેશે, ત્યાં સુધી બધું બરાબર કઈ રીતે હોઈ શકે?’ યહોરામે પોતાનો રથ ફેરવીને ભાગવાની કોશિશ કરી. પણ યેહૂએ તેને તીર માર્યું અને તે મરી ગયો.
પછી યેહૂ ઇઝેબેલના મહેલ તરફ ગયા. ઇઝેબેલને ખબર પડી કે યેહૂ આવી રહ્યા છે. એટલે તે સરસ તૈયાર થઈ. તેણે પોતાના વાળ ગૂંથ્યા અને બારી પાસે બેસીને તેમની રાહ જોવા લાગી. યેહૂ મહેલ પહોંચ્યા ત્યારે ઇઝેબેલ તેમની સાથે ખરાબ રીતે વર્તી. યેહૂએ બૂમ પાડીને ઇઝેબેલ પાસે ઊભેલા સેવકોને કહ્યું: ‘તેને નીચે ફેંકી દો.’ તેઓએ ઇઝેબેલને બારીમાંથી નીચે ફેંકી દીધી અને તે જમીન પર પડીને મરી ગઈ.
એ પછી યેહૂએ આહાબના ૭૦ દીકરાઓને મારી નાખ્યા. એટલું જ નહિ, આખા રાજ્યમાંથી બઆલની ભક્તિનું નામનિશાન મિટાવી દીધું. આ પાઠમાંથી તમે શું શીખ્યા? યહોવા બધું જ જુએ છે. તે ખરાબ કામ કરતા લોકોને યોગ્ય સમયે સજા આપે છે.
“ભલે કોઈ માણસ લાલચ કરીને વારસો મેળવે, પણ ભાવિમાં તેને આશીર્વાદ નહિ મળે.”—નીતિવચનો ૨૦:૨૧