પાઠ ૬૯
ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે સંદેશો લઈને આવ્યા
મરિયમ ગાલીલના નાઝરેથ શહેરમાં રહેતાં હતાં. તે એલિસાબેતના સગામાં હતાં અને એલિસાબેત કરતાં ઉંમરમાં નાનાં હતાં. મરિયમની સગાઈ યુસફ સાથે થઈ હતી, જે એક સુથાર હતા. એલિસાબેતને છઠ્ઠો મહિનો ચાલતો હતો ત્યારે, ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે આવ્યા. તેમણે મરિયમને કહ્યું: ‘સલામ મરિયમ! યહોવાએ તને મોટો આશીર્વાદ આપ્યો છે.’ મરિયમ તેમની વાત સમજી ન શક્યાં. એટલે ગાબ્રિયેલે કહ્યું: ‘તું એક દીકરાને જન્મ આપશે. તું તેનું નામ ઈસુ પાડજે. તે રાજા બનશે અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.’
પણ મરિયમે કહ્યું: ‘મને કઈ રીતે બાળક થઈ શકે? હું તો કુંવારી છું.’ ગાબ્રિયેલે કહ્યું: ‘યહોવા માટે કંઈ પણ અશક્ય નથી. પવિત્ર શક્તિ તારા પર આવશે અને તને એક દીકરો થશે. તારા સગામાં જે એલિસાબેત છે એ પણ મા બનવાની છે.’ પછી મરિયમે કહ્યું: ‘હું તો યહોવાની દાસી છું, તમે જેવું કહ્યું છે એવું જ મારી સાથે થાય.’
એલિસાબેતને મળવા મરિયમ પહાડો પર આવેલા એક શહેર ગયાં. જ્યારે મરિયમે તેમને સલામ કરી, ત્યારે એલિસાબેતના ગર્ભમાંનું બાળક કૂદ્યું. પછી એલિસાબેત પવિત્ર શક્તિથી ભરપૂર થયાં અને તેમણે કહ્યું: ‘મરિયમ, યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે. મારા માટે મોટા સન્માનની વાત છે કે મારા પ્રભુની મા મારા ઘરે આવી છે.’ મરિયમે કહ્યું: ‘હું પૂરા દિલથી યહોવાની સ્તુતિ કરું છું.’ મરિયમ ત્રણ મહિના સુધી એલિસાબેત સાથે જ રહ્યાં અને પછી નાઝરેથ પોતાનાં ઘરે પાછાં ગયાં.
જ્યારે યુસફને ખબર પડી કે મરિયમ મા બનવાનાં છે, ત્યારે તેમણે સગાઈ તોડી નાખવાનું નક્કી કર્યું. પણ એક દૂતે સપનામાં આવીને તેમને કહ્યું: ‘તું મરિયમ સાથે લગ્ન કરતા ડરીશ નહિ. તેણે કંઈ ખોટું કર્યું નથી.’ એટલે યુસફે મરિયમ સાથે લગ્ન કર્યા અને તેમને પોતાના ઘરે લઈ આવ્યા.
‘આકાશમાં અને પૃથ્વી પર યહોવા જે ચાહે છે, એ બધું જ કરે છે.’—ગીતશાસ્ત્ર ૧૩૫:૬