પાઠ ૮૧
ઈસુનો પહાડ પરનો સંદેશો
ઈસુ ૧૨ પ્રેરિતોને પસંદ કરીને પહાડ પરથી ઊતર્યા. એ પછી તે એવી જગ્યાએ ગયા જ્યાં ઘણા લોકો ભેગા થયા હતા. એ લોકો ગાલીલ, યહૂદિયા, તૂર, સિદોન, સિરિયા અને યર્દન નદીની પેલે પારથી આવ્યા હતા. તેઓ પોતાની સાથે ઘણા બીમાર લોકોને અને દુષ્ટ દૂતોથી હેરાન થતા લોકોને લાવ્યા હતા. ઈસુએ બધાને સાજા કર્યા. પછી તે પહાડ પર એક બાજુ બેઠા અને લોકોને શીખવવા લાગ્યા. તેમણે જણાવ્યું કે ઈશ્વરના દોસ્ત બનવા આપણે શું કરવું જોઈએ. એ માટે સમજવું જોઈએ કે આપણને યહોવાની જરૂર છે અને આપણે તેમને પ્રેમ કરતા શીખવું જોઈએ. આપણે કઈ રીતે તેમને પ્રેમ કરી શકીએ? બીજાઓને પ્રેમ કરીને! આપણે ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ, બધાનું ભલું કરવું જોઈએ. અરે, દુશ્મનોનું પણ!
ઈસુએ કહ્યું: ‘ફક્ત દોસ્તોને પ્રેમ કરવો પૂરતો નથી, દુશ્મનોને પણ પ્રેમ કરવો જોઈએ. બીજાઓને દિલથી માફ કરવા જોઈએ. જો કોઈ તમારાથી નારાજ હોય, તો તરત તેની પાસે જઈને માફી માંગવી જોઈએ. જેમ તમે ચાહો છો કે બીજાઓ તમારી સાથે વર્તે, તેમ તમે પણ બીજાઓ સાથે વર્તો.’
ઈસુએ લોકોને પૈસા અને ચીજવસ્તુઓ વિશે પણ સારી સલાહ આપી. તેમણે કહ્યું: ‘ઘણા બધા પૈસા હોવા કરતાં યહોવા સાથે દોસ્તી હોવી વધારે જરૂરી છે. ચોર તમારા પૈસા ચોરી શકે છે, પણ યહોવા સાથેની તમારી દોસ્તી કોઈ ચોરી નહિ શકે. ચિંતા કરવાનું છોડી દો કે તમે શું ખાશો, શું પીશો અથવા શું પહેરશો. પક્ષીઓને જુઓ! ઈશ્વર તેઓને ખાવા માટે કંઈકને કંઈક આપે છે. ચિંતા કરીને તમે જીવનનો એક દિવસ પણ વધારી નહિ શકો. હંમેશાં યાદ રાખો, યહોવા જાણે છે કે તમને શાની જરૂર છે.’
લોકોએ અત્યાર સુધી કોઈને પણ ઈસુની જેમ શીખવતા સાંભળ્યા ન હતા. ધર્મગુરુઓએ લોકોને આવી વાતો ક્યારેય શીખવી ન હતી. ઈસુ કેમ એક મહાન શિક્ષક હતા? કેમ કે તે એ જ શીખવતા હતા, જે યહોવાએ તેમને શીખવ્યું હતું.
“મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું. મારી પાસેથી તમને તાજગી મળશે.”—માથ્થી ૧૧:૨૯