પાઠ ૯૭
કર્નેલિયસને પવિત્ર શક્તિ મળી
કાઈસારીઆ શહેરમાં કર્નેલિયસ નામના માણસ રહેતા હતા. તે રોમન સેનામાં એક મોટા અધિકારી હતા. તે યહૂદી ન હતા, પણ યહૂદીઓ તેમને ખૂબ આદર આપતા હતા. તે ગરીબ અને જરૂર હોય એવા લોકોને મદદ કરતા. કર્નેલિયસ યહોવામાં માનતા હતા અને હંમેશાં તેમને પ્રાર્થના કરતા હતા. એક દિવસ દર્શનમાં તેમને દૂત દેખાયો. દૂતે કહ્યું: ‘ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હવે યાફા શહેરમાં માણસો મોકલ. પિતર નામનો માણસ ત્યાં રોકાયો છે, તેને તારા ઘરે બોલાવ.’ કર્નેલિયસે તરત ત્રણ માણસોને યાફા મોકલ્યા. એ શહેર દક્ષિણમાં આશરે ૫૦ કિ.મી. દૂર હતું.
બીજી બાજુ, પિતરને પણ યાફામાં એક દર્શન દેખાયું. તેમણે દર્શનમાં એવાં પ્રાણીઓ જોયાં, જે ખાવાની યહૂદીઓને મનાઈ હતી. તેમને એક અવાજ સંભળાયો અને કહેવામાં આવ્યું કે એ પ્રાણીઓ ખાય. પિતરે સાફ ના પાડી અને કહ્યું: ‘મેં જીવનમાં ક્યારેય કોઈ અશુદ્ધ પ્રાણી ખાધું નથી.’ એ અવાજે પછી પિતરને કહ્યું: ‘તું એ પ્રાણીઓને અશુદ્ધ કહીશ નહિ. ઈશ્વરે તેઓને શુદ્ધ કર્યાં છે.’ પિતરને આમ પણ જણાવવામાં આવ્યું: ‘તારા દરવાજે ત્રણ માણસો ઊભા છે. તું તેઓ સાથે જા.’ પિતર દરવાજે ગયા અને એ માણસોને તેઓના આવવાનું કારણ પૂછ્યું. તેઓએ કહ્યું: ‘અમને એક રોમન અધિકારી કર્નેલિયસે મોકલ્યા છે. તેમણે તમને કાઈસારીઆમાં પોતાના ઘરે બોલાવ્યા છે.’ પિતરે તેઓને પોતાના ઘરે રાત રોકાવા કહ્યું. બીજે દિવસે પિતર તેઓ સાથે કાઈસારીઆ ગયા. યાફાના અમુક ભાઈઓ પણ તેઓ સાથે ગયા.
ઘણી રાહ જોયા પછી કર્નેલિયસ પિતરને મળ્યા. તેમણે પિતરના પગે પડીને નમન કર્યું. પિતરે કહ્યું: ‘ઊભા થાઓ. હું પણ તમારા જેવો માણસ જ છું. યહૂદીઓ બીજી પ્રજાના લોકોના ઘરે નથી જતા તોપણ, ઈશ્વરે મને તમારા ઘરે આવવા કહ્યું છે. હવે મને જણાવો કે તમે મને કેમ બોલાવ્યો છે.’
કર્નેલિયસે પિતરને જણાવ્યું: ‘ચાર દિવસ પહેલાં હું ઈશ્વરને પ્રાર્થના કરતો હતો ત્યારે, મેં એક દૂત જોયો. તેણે કહ્યું કે હું તમને મારા ઘરે બોલાવું. હું તમને વિનંતી કરું છું કે અમને યહોવા વિશે શીખવો.’ પિતરે કહ્યું: ‘હવે હું જાણું છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. જે કોઈ તેમની ભક્તિ કરવા માંગે છે, તેને તે સ્વીકારે છે.’ પિતરે તેઓને ઈસુ વિશે ઘણું શીખવ્યું. પછી કર્નેલિયસ અને તેમની સાથે જે લોકો હતા, એ બધા પર પવિત્ર શક્તિ આવી અને તેઓએ બાપ્તિસ્મા લીધું.
“દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૫