અભ્યાસ લેખ ૨૪
ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ હોય એવા વિચારો કાઢી નાખીએ!
“ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતોને અમે તોડી પાડીએ છીએ.”—૨ કોરીં. ૧૦:૫.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
ઝલકa
૧. પ્રેરિત પાઊલે કઈ ચેતવણી આપી હતી?
પાઊલે ચેતવણી આપી હતી: “આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ.” (રોમ. ૧૨:૨) એ શબ્દો પાઊલે પહેલી સદીના ઈશ્વરભક્તો માટે લખ્યા હતા. તેઓએ ઈશ્વરને સમર્પણ કર્યું હતું અને પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા હતા. તો પછી, શા માટે પાઊલે તેઓને ચેતવણી આપવી પડી?—રોમ. ૧:૭.
૨-૩. શેતાન કેવા પેંતરા અજમાવે છે? આપણા મનમાં રહેલા “કિલ્લાઓ જેવા મજબૂત” વિચારો કઈ રીતે તોડી શકાય?
૨ અમુક ઈશ્વરભક્તોને શેતાનની દુનિયાના ખરાબ વિચારોની અસર થઈ હતી. એટલે પાઊલને તેઓની ચિંતા હતી. (એફે. ૪:૧૭-૧૯) આપણને પણ શેતાનની દુનિયાનો રંગ લાગી શકે છે. શેતાન ચાહે છે કે આપણે યહોવાથી દૂર જતા રહીએ. શેતાન આ દુનિયાનો શાસક છે, એટલે તે આપણને ફસાવવા જાતજાતના પેંતરા અજમાવે છે. એમાંનો એક પેંતરો છે કે આપણી સ્વાર્થી ઇચ્છાઓ ભડકાવવી. એટલે કે, પોતાને મહત્ત્વના ગણવાનું કે પછી પ્રખ્યાત થવાનું આપણને ગમતું હોય તો, શેતાન એનો ફાયદો ઉઠાવે છે. એટલું જ નહિ, આપણા અનુભવ, સમાજ અને શિક્ષણ જેવી બાબતોનો ઉપયોગ કરીને શેતાન આપણા વિચારો બગાડે છે.
૩ શું આપણા મનમાં રહેલા “કિલ્લાઓ જેવા મજબૂત” વિચારો તોડવા શક્ય છે? (૨ કોરીં. ૧૦:૪) પાઊલે એ વિશે કહ્યું હતું: “ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતોને અમે તોડી પાડીએ છીએ અને અમે દરેક વિચારને કેદ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.” (૨ કોરીં. ૧૦:૫) યહોવાની મદદથી આપણે ખોટા વલણ પર કાબૂ રાખી શકીએ. ઝેરની અસર દૂર કરવા દવાની જરૂર પડે છે. એવી જ રીતે, શેતાનના વિચારો દૂર કરવા બાઇબલની જરૂર પડે છે.
“પોતાના વિચારોમાં ફેરફાર કરો”
૪. સત્ય શીખ્યા ત્યારે ઘણાં ભાઈ-બહેનોએ કેવા ફેરફારો કર્યા હતા?
૪ યાદ કરો, સત્ય શીખીને તમે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો ત્યારે કેવા ફેરફારો કર્યા હતા. યહોવાની ભક્તિ કરવા ઘણાં ભાઈ-બહેનોએ ખોટાં કામ છોડી દીધાં હતાં. (૧ કોરીં. ૬:૯-૧૧) એવા ફેરફારો કરવા યહોવાએ આપણને મદદ કરી માટે આપણે તેમના કેટલા આભારી છીએ!
૫. રોમનો ૧૨:૨ પ્રમાણે આપણે કઈ બે બાબતો કરવી જોઈએ?
૫ આપણે ક્યારેય એવું ન વિચારીએ કે ‘હવે મારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.’ બની શકે કે, અગાઉ આપણે ખોટાં કામ કરીને ગંભીર પાપ કર્યા હોય. પણ, બાપ્તિસ્મા લેતાં પહેલાં આપણે એ બધું છોડી દીધું હોય. તોપણ આપણે સાવચેત રહેવું જોઈએ કે ખોટાં વિચારો આપણામાં આવી ન જાય અને છોડી દીધેલાં ખોટાં કામ ફરીથી કરવા લાગીએ. એ માટે આપણે શું કરી શકીએ? પાઊલે કહ્યું હતું: “આ દુનિયાની અસર પોતાના પર થવા દેશો નહિ, પણ પોતાના વિચારોમાં ફેરફાર કરો.” (રોમ. ૧૨:૨) આપણે બે બાબતો કરવી જોઈએ. પહેલી, “આ દુનિયાની અસર પોતાના પર થવા” દેવી ન જોઈએ. બીજી, પોતાના વિચારોમાં ‘ફેરફાર’ કરવો જોઈએ.
૬. માથ્થી ૧૨:૪૩-૪૫માંથી આપણે શું શીખી શકીએ?
૬ પાઊલ ફક્ત બહારના દેખાવમાં ફેરફાર કરવાનું કહેતા ન હતા. આપણામાં રહેલી એકેએક બાબતની તે વાત કરી રહ્યા હતા. (“શું આપણે ખરેખર બદલાઈએ છીએ કે પછી એમ કરવાનો દેખાડો કરીએ છીએ?” બૉક્સ જુઓ.) આપણા મનનાં વિચારો, લાગણીઓ અને ઇચ્છાઓમાં પૂરેપૂરો ફેરફાર કરવો જોઈએ. આપણે પોતાને પૂછવું જોઈએ: ‘ઈશ્વરભક્ત તરીકે હું જે ફેરફાર કરું છું, શું એ ફક્ત બીજાઓને દેખાડવા ઉપરછલ્લો હોય છે કે સાચા દિલથી હોય છે?’ આપણે શું કરવું જોઈએ એ વિશે ઈસુએ માથ્થી ૧૨:૪૩-૪૫માં જણાવ્યું હતું. (વાંચો.) એ કલમથી આપણને એક મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે. એ છે, ખોટા વિચારો મનમાંથી કાઢી નાખીએ અને ઈશ્વરના વિચારો મનમાં રાખીએ.
“પોતાના મનના વિચારોને નવા કરતા રહો”
૭. આપણે કઈ રીતે મનના વિચારો બદલી શકીએ?
૭ શું મનના વિચારોને બદલવું શક્ય છે? બાઇબલ જણાવે છે: “તમે પોતાના મનના વિચારોને નવા કરતા રહો અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો અને ખરી વફાદારી દ્વારા જે નવો સ્વભાવ રચવામાં આવ્યો છે, એ તમે પહેરી લો.” (એફે. ૪:૨૩, ૨૪) આપણે અંદરથી કેવા છીએ, આપણો સ્વભાવ કેવો છે, એના પર વિચાર કરીએ. એમાં ફેરફાર કરવો સહેલો નથી, પણ એમ કરવું શક્ય તો છે. ફક્ત એટલું જ પૂરતું નથી કે આપણે ખોટી ઇચ્છાઓ અને ખરાબ કામો છોડી દઈએ. એનાથી કંઈક વધારે કરવાની જરૂર છે, આપણે “પોતાના મનના વિચારોને” બદલવાની જરૂર છે. મનના વિચારો એટલે આપણી ઇચ્છાઓ, વાણી-વર્તન અને કામ કરવા પાછળનાં કારણો. એ બધું બદલવા સતત મહેનત કરવી જોઈએ.
૮-૯. મનના વિચારો બદલવા વિશે એક ભાઈના દાખલામાંથી શું શીખવા મળે છે?
૮ ચાલો એક દાખલો જોઈએ. એક ભાઈ અગાઉ ખૂબ મારામારી કરતા હતા. સત્ય શીખ્યા ત્યારે તેમણે દારૂ પીવાનું અને મારામારી કરવાનું છોડી દીધું. પછી તેમણે બાપ્તિસ્મા લીધું. જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાંના લોકોને તેમણે કરેલા ફેરફારોથી ઘણી નવાઈ લાગી અને યહોવાના નામને મહિમા મળ્યો. બાપ્તિસ્માના થોડા સમય પછી એક કસોટી આવી, જે તેમણે ધારી પણ ન હતી. સાંજના સમયે એક દારૂડિયો માણસ તેમના ઘરે આવ્યો. મારામારી કરવા તેમને ઉશ્કેરવા લાગ્યો. ભાઈએ પોતાના પર કાબૂ રાખ્યો અને તેની સાથે મારામારી કરી નહિ. પણ પેલો માણસ યહોવા વિશે જેમતેમ બોલવા લાગ્યો ત્યારે ભાઈ પિત્તો ગુમાવી બેઠા. તેમણે એ માણસને માર્યો. ભાઈએ શા માટે એવું કર્યું? તે બાઇબલમાંથી શીખ્યા ત્યારે તેમણે મારામારી કરવાનું છોડી દીધું હતું. પણ તેમના વિચારોમાં હજુ એની છાંટ રહી ગઈ હતી, તેમના વિચારો પૂરેપૂરા બદલાયા ન હતા.
૯ એ પ્રસંગને લીધે ભાઈ નિરાશ થયા નહિ. (નીતિ. ૨૪:૧૬) તેમણે વડીલોની મદદ લીધી અને યહોવાની સેવામાં વધારે મહેનત કરવા લાગ્યા. સમય જતાં તે વડીલ બન્યા. વર્ષો પછી ફરીથી એક કસોટી તેમની આગળ આવી. સાંજના સમયે પ્રાર્થનાઘરની બહાર એક દારૂડિયો આપણા એક વડીલને મારવાની તૈયારીમાં હતો. ભાઈએ શું કર્યું? તેમણે શાંતિથી અને નમ્રતાથી પેલા માણસ સાથે વાત કરી, તેને ઠંડો પાડ્યો. તેને ઘરે મૂકવા પણ ગયા. ભાઈ શા માટે શાંત રહ્યા? તેમણે પોતાના મનના વિચારો બદલ્યા હતા. તે એક શાંત અને નમ્ર વ્યક્તિ બન્યા હતા. આમ, તેમણે યહોવાનું નામ રોશન કર્યું!
૧૦. ફેરફારો કરવા આપણે શું કરવું જોઈએ?
૧૦ એવા ફેરફારો કંઈ રાતોરાત થઈ જતા નથી. પોતાની જાતે પણ થઈ જતા નથી. બની શકે કે આપણે વર્ષો સુધી ‘ઘણા પ્રયત્નો’ કરવા પડે. (૨ પીત. ૧:૫) આપણે વર્ષોથી યહોવાની સેવા કરીએ છીએ એટલે એ ફેરફારો આપમેળે થઈ જશે, એવું ન વિચારીએ. આપણે પોતાને બદલવા જોઈએ, વિચારો બદલવા બનતું બધું કરવું જોઈએ. ચાલો ત્રણ પગલાં જોઈએ, જે આપણને મદદ કરશે.
મનના વિચારો કેવી રીતે બદલી શકો?
૧૧. મનના વિચારો બદલવા પ્રાર્થના કેવી રીતે મદદ કરે છે?
૧૧ પહેલું પગલું છે, પ્રાર્થના. આપણે એક ગીતના લેખકની જેમ પ્રાર્થના કરવી જોઈએ. તેમણે કહ્યું: ‘હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો; અને મારા મનને નવું અને દૃઢ કરો.’ (ગીત. ૫૧:૧૦) પહેલા તો આપણે સમજવું જોઈએ કે, આપણે મનના વિચારો બદલવાની જરૂર છે. પછી એમ કરવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ. યહોવા મદદ કરશે એવી ખાતરી કઈ રીતે રાખી શકીએ? હઝકીએલના સમયના ઇઝરાયેલીઓના મન જડ થઈ ગયા હતા. યહોવાએ ઇઝરાયેલીઓ વિશે આપેલા વચનથી આપણને ઉત્તેજન મળે છે. તેમણે કહ્યું હતું: ‘હું તેઓને એક અંતઃકરણ આપીશ, ને હું તેઓને નવું મન આપીશ; હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને તેમને માંસનું હૃદય આપીશ.’ એટલે કે યહોવાનું માર્ગદર્શન પાળવા તૈયાર હોય એવું હૃદય. (હઝકી. ૧૧:૧૯) યહોવા ઇઝરાયેલીઓને મદદ કરવા તૈયાર હતા. આજે પણ તે આપણને મદદ કરવા તૈયાર છે.
૧૨-૧૩. (ક) ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯ પ્રમાણે આપણે શાના વિશે મનન કરવું જોઈએ? (ખ) આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૨ બીજું પગલું છે, મનન. આપણે દરરોજ ધ્યાનથી બાઇબલ વાંચીએ. મનન કરવા સમય કાઢવો જોઈએ અને જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરવો જોઈએ. આપણાં વિચારો અને લાગણીઓમાં કઈ રીતે ફેરફાર કરી શકીએ, એના પર ધ્યાન આપીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૯ વાંચો; હિબ્રૂ. ૪:૧૨; યાકૂ. ૧:૨૫) આપણે પોતાના દિલમાં તપાસ કરીએ કે દુનિયાના વિચારો તો નથી આવી ગયાને! આપણે સંકોચ રાખ્યા વગર સ્વીકારવું જોઈએ કે આપણામાં કેવી નબળાઈઓ છે. એને દૂર કરવા આપણે સખત મહેનત કરવી જોઈએ.
૧૩ પોતાને આવા સવાલો પૂછો: ‘શું કોઈના માટે હું થોડી પણ ઈર્ષા રાખું છું?’ (૧ પીત. ૨:૧) ‘શું સમાજ, શિક્ષણ કે ધનદોલતને લીધે મને એવું લાગે છે કે હું બીજાઓ કરતાં ચઢિયાતો છું?’ (નીતિ. ૧૬:૫) ‘જેઓની પાસે મારા જેટલી વસ્તુઓ નથી કે મારી જાતિના નથી, તેઓને શું હું નીચા ગણું છું?’ (યાકૂ. ૨:૨-૪) ‘શું મને શેતાનની દુનિયાની વસ્તુઓ ગમે છે?’ (૧ યોહા. ૨:૧૫-૧૭) ‘શું મને એવું મનોરંજન ગમે છે, જેમાં વ્યભિચાર જેવાં કામો કે હિંસા હોય?’ (ગીત. ૯૭:૧૦; ૧૦૧:૩; આમો. ૫:૧૫) આ સવાલો પર વિચાર કરવાથી તમને ખબર પડશે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. જો આપણે “કિલ્લાઓ જેવા મજબૂત” ખરાબ વિચારોને તોડીને ફેરફાર કરીશું, તો યહોવા ખુશ થશે.—ગીત. ૧૯:૧૪.
૧૪. સારા મિત્રો પસંદ કરવા શા માટે મહત્ત્વનું છે?
૧૪ ત્રીજું પગલું છે, સારા મિત્રો પસંદ કરો. જાણતા-અજાણતા મિત્રોની આપણા પર અસર પડે છે. (નીતિ. ૧૩:૨૦) કામે હોઈએ કે સ્કૂલે, મોટા ભાગનો સમય યહોવાના ભક્ત ન હોય એવા લોકો સાથે આપણે હોઈએ છીએ. તેઓ આપણને યહોવાના વિચારો પ્રમાણે ચાલવા મદદ કરતા નથી. સૌથી સારા મિત્રો આપણને સભામાં જ મળી શકે છે. સભામાંથી આપણને “પ્રેમ અને સારાં કામો” કરવા ઉત્તેજન મળે છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫, ફૂટનોટ.
“શ્રદ્ધામાં સ્થિર થતા જાઓ”
૧૫-૧૬. શેતાન કઈ રીતે આપણા વિચારો બદલવાનો પ્રયત્ન કરે છે?
૧૫ યાદ રાખીએ કે, શેતાન આપણા વિચારો બદલવા માંગે છે. આપણા મનમાંથી બાઇબલના વિચારો કાઢી નાખવા તે દુનિયાના વિચારો ઘૂસાડવાનો પ્રયત્ન કરે છે.
૧૬ શેતાને એદન બાગમાં હવાને જે સવાલ પૂછ્યો હતો, આજે પણ તે એ જ સવાલ વાપરે છે: “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે . . . ?” (ઉત. ૩:૧) શેતાનની દુનિયામાં આપણને આવા સવાલો વારંવાર સાંભળવા મળે છે: ‘શું ઈશ્વર ખરેખર સજાતીય લગ્નોને ચલાવી લેતા નથી? શું ઈશ્વર ખરેખર એવું ચાહે છે કે તમે ક્રિસમસ અને જન્મદિવસ ન ઊજવો? શું તમારા ઈશ્વર ખરેખર લોહીની આપ-લે કરવાની મના કરે છે? શું પ્રેમાળ ઈશ્વર ખરેખર એવું ચાહે છે કે બહિષ્કૃત થયેલાં સગાં-વહાલાં સાથે તમે કોઈ પણ સંબંધ ન રાખો?’
૧૭. લોકોના સવાલોથી આપણા મનમાં શંકા થાય ત્યારે શું કરવું જોઈએ? એ વિશે કોલોસીઓ ૨:૬, ૭ શું જણાવે છે?
૧૭ શીખેલી વાતો અને માન્યતાઓ પર આપણે પૂરો ભરોસો રાખવો જોઈએ. જો આપણને અમુક મહત્ત્વના સવાલો થાય અને એના જવાબ નહિ શોધીએ, તો આપણા મનમાં શંકાના બી રોપાશે. એ શંકા ધીમે ધીમે આપણા વિચારો બદલી નાખશે અને આપણી શ્રદ્ધા મરી પરવારશે. તો પછી આપણે શું કરવું જોઈએ? બાઇબલ જણાવે છે કે પોતાના વિચારોમાં ફેરફાર કરીએ, જેથી આપણે પોતે પારખી શકીએ કે “ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા શી છે.” (રોમ. ૧૨:૨) જો આપણે નિયમિત અભ્યાસ કરીશું, તો પારખી શકીશું કે બાઇબલમાંથી શીખેલી સત્યની વાતો સો ટકા સાચી છે. એવી પણ ખાતરી મળશે કે યહોવાનાં ધોરણો એકદમ સાચાં છે. આપણે એવા ઝાડ જેવા બનીશું, જેના મૂળ મજબૂત હોય છે. આપણે ‘શ્રદ્ધામાં સ્થિર થઈશું.’—કોલોસીઓ ૨:૬, ૭ વાંચો.
૧૮. શેતાનની દુનિયાની અસરથી બચવા આપણને શાનાથી મદદ મળશે?
૧૮ આપણે પોતાની શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ. બીજું કોઈ આપણા વતી એમ કરી શકે નહિ. એટલે ચાલો આપણે પોતાના મનના વિચારોમાં ફેરફાર કરતા રહીએ. વારંવાર પ્રાર્થના કરીએ અને યહોવાની પવિત્ર શક્તિ માંગીએ. મનન કરીએ અને પોતાનાં વિચારો તથા ઇચ્છાઓને તપાસતાં રહીએ. એવા મિત્રો પસંદ કરીએ, જેઓ આપણને ખોટા વિચારોથી દૂર રહેવા મદદ કરે. આવી બાબતો કરવાથી શેતાનની દુનિયાની ઝેરી અસરથી આપણે પોતાને બચાવી શકીશું. ‘ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતોને આપણે તોડી પાડીશું.’—૨ કોરીં. ૧૦:૫.
ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ
a અનુભવ, સમાજ અને શિક્ષણની અસર આપણા વિચારો પર થાય છે. એ અસર સારી કે ખરાબ હોય શકે. બની શકે કે, એ ખરાબ વિચારો આપણામાં આવી ગયા હોય અને એને દૂર કરવા અઘરા હોય. આ લેખમાં જોઈશું કે એવા વિચારો આપણા મનમાંથી કાઢી નાખવા શું કરવું જોઈએ.