મહેનતના ફળમાં આનંદ માણો
૧. પ્રચાર કામમાં આપણો ઉત્સાહ શાના લીધે ઠંડો પડી શકે?
૧ માણસને એ રીતે બનાવવામાં આવ્યો છે કે તે ‘પોતાની મહેનતના ફળનો આનંદ માણે.’ (સભા. ૨:૨૪) જોકે, આપણે પ્રચાર કામમાં જે મહેનત કરીએ છીએ એનું ફળ ન મળે ત્યારે ઉત્સાહ અને આનંદ ઠંડા પડી શકે. આવા સંજોગોમાં હિંમત ન હારવા શું મદદ કરી શકે?
૨. પ્રચાર કામમાં કેમ મોટી મોટી આશાઓ ન રાખવી જોઈએ?
૨ મોટી મોટી આશાઓ ન રાખીએ: તમને યાદ હશે કે ઈસુના સંદેશાને સ્વીકારનારા થોડા જ લોકો હતા. તેમ છતાં, ઈસુનું પ્રચાર કામ સફળ થયું એમાં કોઈ શંકા નથી. (યોહા. ૧૭:૪) ઈસુએ બી વાવનારના દૃષ્ટાંતમાં જણાવ્યું હતું કે બી જેવા રાજ્યના સંદેશાને મોટા ભાગના લોકો સ્વીકારશે નહિ. (માથ. ૧૩:૩-૮, ૧૮-૨૨) એટલે હતાશ થવાને બદલે, પ્રયત્નો કરતા રહીશું તો સારાં પરિણામ આવશે.
૩. ઓછા લોકો સંદેશો સ્વીકારે તોપણ કેવી રીતે આપણે “ફળ ધારણ” કરનારા બનીએ છીએ?
૩ કેવી રીતે ઘણા ફળ મળે છે: ઈસુના દૃષ્ટાંત પ્રમાણે, જેઓ સંદેશો સ્વીકારશે તેઓ “ફળ ધારણ” કરશે. (માથ. ૧૩:૨૩) ઘઉંના સાંઠાને જ્યારે ઉંબીઓ ઉગે અને એ મોટી થાય તો એમાં નવા દાણા લાગે છે, નવા સાંઠા નહિ. એક ખ્રિસ્તી તરીકે આપણી મહેનત ફળ લાવી છે એ શાના આધારે કહી શકીએ? દૃષ્ટાંતમાં જોયું તેમ, કેટલા લોકો ખ્રિસ્તી બન્યા એ પરથી નહિ, પણ પ્રચાર દ્વારા રાજ્યના બી કેટલા ફેલાયા એ પરથી કહી શકીએ. એમાં આપણને “આનંદ” મળે છે, ભલેને પછી લોકો એ સંદેશો ન સ્વીકારે. પ્રચાર કરવાથી આપણે યહોવાના નામને મોટું મનાવીએ છીએ. (યશા. ૪૩:૧૦-૧૨; માથ. ૬:૯) યહોવાની સાથે કામ કરનારા બનવાનો લહાવો માણીએ છીએ. (૧ કોરીં. ૩:૯) ઉપરાંત, “હોઠોના ફળનું અર્પણ” કરવાથી યહોવા ખુશ થાય છે.—હિબ્રૂ ૧૩:૧૫, ૧૬.
૪. પ્રચાર કામમાં શું બની શકે જેની આપણને જાણ પણ ન હોય?
૪ વધુમાં, આપણી મહેનતના ફળ કદાચ આપણને જોવા ન મળે. ઈસુનો સંદેશો જેઓએ સાંભળ્યો તેઓમાંથી કેટલાકે તરત એને સ્વીકાર્યો નહિ. બની શકે કે ઈસુ સ્વર્ગમાં ગયા પછી તેઓ શિષ્ય બન્યા હોય. એ જ રીતે, રાજ્યનું બી જે આપણે વાવીએ છીએ એ કદાચ વ્યક્તિના મનમાં હમણાં ન પણ ઉગે. બની શકે કે વખત જતા વ્યક્તિ સત્ય સ્વીકારે અને આપણને જાણ પણ ન હોય. આપણું પ્રચાર કામ સાચે જ બહુ આનંદ આપનારું છે. એ માટે ચાલો ‘બહુ ફળ આપીએ’ અને ઈસુના શિષ્યો છીએ એવું સાબિત કરીએ.—યોહા. ૧૫:૮.