ભાગ ૧૯
ઈસુ જણાવે છે કે ભાવિમાં શું બનશે
ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા એ કઈ રીતે પારખી શકીએ? દુષ્ટ દુનિયાના વિનાશ પહેલાં કેવા બનાવો બનશે? ઈસુ આ સવાલોના જવાબ આપે છે
ઈસુએ તેમના પ્રેરિતોને કહ્યું હતું કે એક દિવસ એ ‘જમાનાનો અંત આવશે.’ (માથ્થી ૧૩:૪૦, ૪૯) થોડા સમય પછી ફરી વાર તેમણે એ જણાવ્યું. ત્યારે ઈસુ ચાર પ્રેરિતો સાથે જૈતુન પહાડ પર બેઠા હતા. ત્યાંથી આખું યરુશાલેમ અને એનું મંદિર દેખાતાં હતાં. ઈસુએ કહ્યું કે એ શહેર અને મંદિરનો વિનાશ થશે. એટલે પ્રેરિતોથી રહેવાયું નહિ. તેઓ પૂછવા લાગ્યા કે ‘તારું રાજ શરૂ થાય અને આ જમાનાનો વિનાશ નજીક છે એની નિશાની તરીકે કેવા બનાવો બનશે?’—માથ્થી ૨૪:૩.
જવાબમાં ઈસુએ તેઓને જણાવ્યું કે યરુશાલેમના વિનાશ પહેલાં શું બનશે. તે ફક્ત યરુશાલેમ વિષે જ નહિ, પણ ભાવિમાં દુષ્ટ દુનિયાના વિનાશ વિષે પણ જણાવતા હતા. તેમણે જણાવ્યું કે દુષ્ટ લોકોનો અંત નજીક છે એની નિશાની તરીકે એક સાથે કેવા બનાવો બનશે, દુનિયાની હાલત કેવી હશે. એ બધું જોઈને લોકો પારખી શકશે કે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા છે. તેમ જ યહોવાએ હજારો વર્ષ પહેલાં મસીહ વિષે જે વચનો આપ્યા હતા એ સાચા પડ્યા છે. ઈસુએ જે બનાવો વિષે જણાવ્યું હતું એ આપણા જમાનામાં પૂરા થઈ રહ્યા છે. એ બતાવે છે કે હવે દુષ્ટ દુનિયાનો અંત બહુ નજીક છે. થોડા જ સમયમાં યહોવા ઈશ્વર બધી સરકારો અને એણે કરેલી ગોઠવણોને મિટાવી દેશે. માણસોએ બનાવેલા ધર્મોને પણ મિટાવી દેશે. એ પછી સુખ-શાંતિનો નવો યુગ આવશે.
ઈસુએ જણાવ્યું કે તે સ્વર્ગમાં રાજ કરવા લાગશે ત્યારે દુનિયામાં આવા બનાવો બનશે: દેશો વચ્ચે યુદ્ધો થશે. દુકાળ પડશે. મોટા ધરતીકંપ થશે. જાત જાતની બીમારી ફેલાશે. ગુનાખોરી, ભ્રષ્ટાચાર ને અન્યાય વધશે. ઈસુને માર્ગે ચાલનારા લોકો આખી દુનિયામાં યહોવાના રાજ્ય વિષે ખુશખબરી ફેલાવશે. આ બધું થયા પછી, દુષ્ટ લોકોના અંત પહેલાં એવી “મોટી વિપત્તિ” આવશે, જે અગાઉ કદી થઈ નથી.—માથ્થી ૨૪:૨૧.
એ “મોટી વિપત્તિ” ક્યારે આવશે? એ જાણવા ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે ‘અંજીરના ઝાડનો વિચાર કરો.’ (માથ્થી ૨૪:૩૨) અંજીરના ઝાડ પર પાન આવવાથી ખબર પડે છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, ઈસુએ જણાવેલા બનાવો એક સાથે બનવાથી ખબર પડશે કે દુનિયા પર “મોટી વિપત્તિ” નજીકમાં આવી પડશે. પરંતુ ધરતી પર કોઈ જાણતું નથી કે કઈ ઘડીએ એ વિપત્તિ આવશે. એટલે ઈસુએ તેમને માર્ગે ચાલનારાઓને આ સલાહ આપી: ‘સાવધ રહો, જાગતા રહો. એ ઘડી ક્યારે આવશે તે તમે જાણતા નથી.’—માર્ક ૧૩:૩૩.
—આ માહિતી માથ્થી ૨૪-૨૫ અધ્યાય; માર્ક ૧૩ અધ્યાય; લૂક ૨૧ અધ્યાયમાંથી છે.