વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • મંદિરને ફરી શુદ્ધ કરે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુ નાણાં બદલનારાઓની મેજો ઊંધી વાળી રહ્યા છે

      પ્રકરણ ૧૦૩

      મંદિરને ફરી શુદ્ધ કરે છે

      માથ્થી ૨૧:૧૨, ૧૩, ૧૮, ૧૯ માર્ક ૧૧:૧૨-૧૮ લુક ૧૯:૪૫-૪૮ યોહાન ૧૨:૨૦-૨૭

      • ઈસુ અંજીરના ઝાડને શાપ આપે છે અને મંદિરને શુદ્ધ કરે છે

      • ઘણાને જીવન આપવા, ઈસુએ મરવું પડશે

      યરીખોથી આવ્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો ત્રણ રાત બેથનિયામાં રહ્યા. પછી, નીસાન ૧૦, સોમવારની વહેલી સવારે તેઓ યરૂશાલેમ જવા નીકળ્યા. ઈસુને ભૂખ લાગી હતી. એટલે, અંજીરનું ઝાડ જોઈને તે એની પાસે ગયા. પણ શું એના પર અંજીર હતા?

      ત્યારે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો હતો અને અંજીરની મોસમ તો જૂન મહિનામાં શરૂ થતી. છતાં, ઝાડ પર કમોસમી વહેલાં પાંદડાં ફૂટ્યાં હતાં. એટલે, ઈસુને લાગ્યું કે એના પર અંજીર પણ થયાં હશે. પણ તેમને એના પર કોઈ અંજીર મળ્યાં નહિ. પાંદડાંને લીધે ઝાડ પર અંજીર પણ હોય એવો ભાસ થતો હતો. એ જોઈને ઈસુએ કહ્યું: “તારા પરથી કોઈ કદી ફળ ખાશે નહિ.” (માર્ક ૧૧:૧૪) તરત જ અંજીરનું ઝાડ સુકાવા લાગ્યું. આ બનાવનો અર્થ શું થાય, એની સમજણ શિષ્યોને પછીના દિવસે મળવાની હતી.

      થોડા જ સમયમાં, ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ પહોંચી ગયા. આગલી બપોરે તે મંદિરને જોવા ગયા હતા. હવે, તે ફરી મંદિરે ગયા. આ વખતે તેમણે અમુક કડક પગલાં પણ ભર્યાં. ત્રણ વર્ષ પહેલાં, ઈસવીસન ૩૦ના પાસ્ખા તહેવાર વખતે તેમણે જે કર્યું હતું, એવું જ આ વખતે કર્યું. (યોહાન ૨:૧૪-૧૬) “મંદિરમાં ખરીદ-વેચાણ કરી રહ્યા હતા” તેઓને તેમણે બહાર કાઢી મૂક્યા અને “નાણાં બદલનારાઓની મેજો અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી.” (માર્ક ૧૧:૧૫) શહેરના બીજા ભાગમાં જવા લોકો વસ્તુઓ લઈને મંદિરના આંગણામાંથી અવર-જવર કરતા હતા, કેમ કે એમાં ઓછો સમય લાગતો. ઈસુએ તેઓને ત્યાંથી આવતાં-જતાં અટકાવ્યા.

      મંદિરમાં નાણાં બદલનારાઓ અને પ્રાણીઓ વેચતાં વેપારીઓ સામે ઈસુએ કેમ કડક પગલાં લીધાં? ઈસુએ કહ્યું: “શું એમ લખેલું નથી કે, ‘બધી પ્રજાઓ માટે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે’? પણ તમે એને લુટારાઓનું કોતર બનાવ્યું છે.” (માર્ક ૧૧:૧૭) ઈસુએ તેઓને લુટારાઓ કહ્યા, કેમ કે બલિદાન માટે પ્રાણીઓ ખરીદવા આવતા લોકો પાસેથી તેઓ પુષ્કળ પૈસા પડાવી લેતા હતા. ઈસુ તેઓના આવા વેપારને લૂંટ સમાન ગણતા હતા.

      ઈસુએ મંદિરમાં જે કર્યું એની જાણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને આગળ પડતા આગેવાનોને થઈ. એટલે, તેઓ નવા જોમથી ઈસુને મારી નાખવાના પ્રયત્નો કરવા લાગ્યા. જોકે, તેઓ સામે એક મુશ્કેલી હતી. ઈસુની વાત સાંભળવા લોકોનું ટોળું તેમની આસપાસ જમા રહેતું હોવાથી, તેમને કઈ રીતે મોતને ઘાટ ઉતારવા એ તેઓને સમજાતું ન હતું.

      ફક્ત યહુદીઓ જ નહિ, યહુદી બનેલા લોકો પણ પાસ્ખાનો તહેવાર ઊજવવા ત્યાં આવ્યા હતા. તેઓમાં ગ્રીક લોકો પણ હતા, જેઓ તહેવારે ભક્તિ કરવા આવ્યા હતા. તેઓએ ફિલિપ પાસે આવીને ઈસુને મળવાની વિનંતી કરી. કદાચ તેઓ ફિલિપના ગ્રીક નામને લીધે તેમની પાસે આવ્યા હતા. ઈસુ સાથે મુલાકાત ગોઠવવી કે નહિ, એ વિશે ફિલિપ ચોક્કસ ન હતા. એટલે, તેમણે ખાતરી કરવા આંદ્રિયાને પૂછ્યું. પછી, તેઓ બંને ઈસુ પાસે ગયા, જે કદાચ હજુ મંદિરમાં જ હતા.

      ઈસુ જાણતા હતા કે તેમણે થોડા દિવસોમાં મરવાનું છે. એટલે, આ કંઈ લોકોની જિજ્ઞાસા સંતોષવાનો કે તેઓમાં જાણીતા બનવાનો સમય ન હતો. તેમણે બંને પ્રેરિતોને આ ઉદાહરણ જણાવતા કહ્યું: “માણસના દીકરાને મહિમા પામવાનો સમય આવી પહોંચ્યો છે. હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો માટીમાં પડીને મરે નહિ, ત્યાં સુધી એ એક જ દાણો રહે છે; પણ, જો એ મરે તો ઘણા દાણા આપે છે.”—યોહાન ૧૨:૨૩, ૨૪.

      ઘઉંના એક દાણાનું કંઈ ખાસ મૂલ્ય હોતું નથી. છતાં, જો એને જમીનમાં રોપવામાં આવે અને એ “મરે,” તો એને ફણગો ફૂટે છે અને સમય જતાં એનાં કણસલાં પર પુષ્કળ દાણા ઊગે છે. એવી જ રીતે, ઈસુ એક સંપૂર્ણ માણસ હતા. તે પોતાના મરણ સુધી ઈશ્વરને વફાદાર રહ્યા એટલે ઘણાને ફાયદો થયો. જેઓ તેમની જેમ બીજાઓ માટે જીવ આપી દેવાની ભાવના રાખે છે, તેઓને ઈસુ દ્વારા હંમેશ માટેનું જીવન મળશે. ઈસુએ કહ્યું: “જે કોઈ પોતાનું જીવન વહાલું ગણે છે તે એને ગુમાવે છે, પણ જે કોઈ આ દુનિયામાં પોતાનું જીવન ધિક્કારે છે, તે હંમેશ માટેનું જીવન મેળવવા એને સલામત રાખશે.”—યોહાન ૧૨:૨૫.

      ઈસુ ફક્ત પોતાનો જ વિચાર કરતા ન હતા. તેમણે કહ્યું: “જો કોઈ મારી સેવા કરવા ચાહે, તો તેણે મારી પાછળ ચાલવું અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરવા ચાહે, તો પિતા તેનો આદર કરશે.” (યોહાન ૧૨:૨૬) કેટલું મોટું ઇનામ! પિતા તરફથી આદર મેળવનારા લોકો ઈશ્વરના રાજ્યમાં ખ્રિસ્ત સાથે રાજ કરશે.

      ઈસુએ પુષ્કળ દુઃખ અને પીડાદાયક મોત સહેવાનાં હતાં. એ ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું: “હવે, હું બેચેન છું અને હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો.” પરંતુ, તે ઈશ્વરની ઇચ્છાને ટાળવા માંગતા ન હતા. એટલે, તેમણે ઉમેર્યું: “જોકે, એ માટે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.” (યોહાન ૧૨:૨૭) ઈશ્વરે જે કંઈ નક્કી કર્યું હતું, એ કરવા ઈસુ તૈયાર હતા. અરે, ઈશ્વરની ઇચ્છા મુજબ તે પોતાનું જીવન પણ બલિદાન તરીકે આપી દેવા તૈયાર હતા.

      • અંજીરની મોસમ ન હોવા છતાં, ઈસુએ શા માટે ફળની અપેક્ષા રાખી?

      • મંદિરમાં વેચનારાઓને ઈસુએ “લુટારાઓ” કહ્યા, એ કેમ યોગ્ય હતું?

      • ઈસુને કઈ રીતે ઘઉંના દાણા સાથે સરખાવી શકાય? પોતે જે દુઃખ અને મરણ સહેવાનાં હતાં, એ વિશે તેમને કેવું લાગ્યું?

  • યહુદીઓ ઈશ્વરનો અવાજ સાંભળે છે—શું તેઓ શ્રદ્ધા બતાવશે?
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુએ કહ્યું: “હે પિતા, તમારું નામ મહિમાવાન કરો” અને ત્યાં ઊભેલા યહુદીઓએ ઈશ્વરની વાણી સાંભળી

      પ્રકરણ ૧૦૪

      યહુદીઓ ઈશ્વરનો અવાજ સાંભળે છે—શું તેઓ શ્રદ્ધા બતાવશે?

      યોહાન ૧૨:૨૮-૫૦

      • ઘણા લોકો ઈશ્વરનો અવાજ સાંભળે છે

      • શાને આધારે ન્યાય થશે?

      સોમવાર, નીસાન ૧૦ના રોજ ઈસુ મંદિરમાં હતા ત્યારે, ટૂંક સમયમાં થનાર પોતાના મરણ વિશે જણાવી રહ્યા હતા. ઈશ્વરના નામ પર એની કેવી અસર પડશે, એ વિશે ચિંતિત હોવાથી તેમણે કહ્યું: “હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.” જવાબમાં, આકાશમાંથી એક જોરદાર વાણી સંભળાઈ: “મેં એ મહિમાવાન કર્યું છે અને ફરીથી એને મહિમાવાન કરીશ.”—યોહાન ૧૨:૨૭, ૨૮.

      ત્યાં ઊભેલા લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા. અમુકને લાગ્યું કે તેઓએ ગર્જના સાંભળી. બીજા અમુકે કહ્યું: “દૂતે તેમની સાથે વાત કરી.” (યોહાન ૧૨:૨૯) હકીકતમાં, એ તો યહોવાનો અવાજ હતો, જે તેઓએ સાંભળ્યો. આ કંઈ પહેલી વાર મનુષ્યોએ ઈશ્વરનો અવાજ સાંભળ્યો ન હતો. ઈશ્વરે પહેલાં પણ ઈસુ વિશે આ રીતે વાત કરી હતી.

      સાડા ત્રણ વર્ષ પહેલાં, બાપ્તિસ્મા આપનાર યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે, ઈસુ વિશે ઈશ્વરને આમ કહેતા સાંભળ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” ત્યાર બાદ, ઈસવીસન ૩૨ના પાસ્ખા પછી યાકૂબ, યોહાન અને પીતરની સામે ઈસુનું રૂપાંતર થયું હતું. એ વખતે આ ત્રણ શિષ્યોએ ઈશ્વરની વાણી સાંભળી હતી: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો.” (માથ્થી ૩:૧૭; ૧૭:૫) પરંતુ, આ ત્રીજી વખતે યહોવા એ રીતે બોલ્યા કે ઘણા લોકો સાંભળી શકે!

      ઈસુએ કહ્યું: “આ વાણી મારા માટે નહિ, પણ તમારા માટે થઈ છે.” (યોહાન ૧૨:૩૦) એ વાણી ખાતરી આપતી હતી કે ઈસુ ખરેખર ઈશ્વરના દીકરા છે, તે જ આવનાર મસીહ છે.

      વધુમાં, ઈસુ જીવનભર ઈશ્વરને વફાદાર રહ્યા. આમ, તેમણે મનુષ્યોને જીવનનો માર્ગ બતાવ્યો અને એ સાબિત કર્યું કે આ દુનિયાના શાસક, શેતાનનો વિનાશ થવો જ જોઈએ. ઈસુએ કહ્યું: “હવે, આ દુનિયાનો ન્યાય કરવામાં આવે છે; આ દુનિયાના અધિકારીને હવે કાઢી મૂકવામાં આવશે.” થોડા જ સમયમાં થનાર ઈસુનું મરણ કંઈ તેમની હાર નહિ, પણ જીત સાબિત થવાની હતી. કઈ રીતે? તેમણે સમજાવ્યું: “જ્યારે મને વધસ્તંભે જડશો ત્યારે હું દરેક પ્રકારના માણસોને મારી તરફ ખેંચીશ.” (યોહાન ૧૨:૩૧, ૩૨) વધસ્તંભનું મરણ સહીને ઈસુ લોકોને પોતાની તરફ ખેંચવાના હતા અને હંમેશ માટેના જીવનનો માર્ગ ખોલી દેવાના હતા.

      ઈસુએ કહ્યું હતું કે તેમને “વધસ્તંભે” જડવામાં આવશે. એ સાંભળીને લોકોએ કહ્યું: “અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે ખ્રિસ્ત કાયમ રહેશે. તો પછી, તમે કેમ કહો છો કે માણસના દીકરાને વધસ્તંભે જડવામાં આવશે? કોણ છે આ માણસનો દીકરો?” (યોહાન ૧૨:૩૪) તેઓ પાસે ઘણા પુરાવા હતા. અરે, તેઓએ ખુદ ઈશ્વરની વાણી સાંભળી હતી. તોપણ, મોટા ભાગના લોકો ઈસુને માણસના ખરા દીકરા, વચન અપાયેલા મસીહ તરીકે સ્વીકારવા તૈયાર ન હતા.

      ઈસુએ અગાઉની જેમ પોતાને ફરીથી “પ્રકાશ” કહીને સંબોધ્યા. (યોહાન ૮:૧૨; ૯:૫) તેમણે ટોળાને અરજ કરી: “હજુ થોડી વાર સુધી પ્રકાશ તમારી વચ્ચે હશે. પ્રકાશ તમારી પાસે છે ત્યાં સુધી ચાલતા રહો, જેથી તમારા પર અંધકાર છવાઈ ન જાય . . . જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.” (યોહાન ૧૨:૩૫, ૩૬) એ પછી ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા, કેમ કે નીસાન ૧૦ના રોજ તેમણે મરવાનું ન હતું. તેમણે તો નીસાન ૧૪, પાસ્ખા વખતે “વધસ્તંભે” જડાવાનું હતું.—ગલાતીઓ ૩:૧૩.

      ઈસુના સેવાકાર્ય પર નજર નાખવાથી એ સ્પષ્ટ થાય છે કે યહુદીઓએ ઈસુમાં શ્રદ્ધા ન બતાવી, એમાં ભવિષ્યવાણી પૂરી થઈ રહી હતી. યશાયાએ ભાખ્યું હતું કે લોકોની આંખો આંધળી થઈ જશે અને હૃદય કઠણ થઈ જશે, જેથી તેઓ સાજા થવા પાછા ન ફરે. (યશાયા ૬:૧૦; યોહાન ૧૨:૪૦) હા, મોટા ભાગના યહુદીઓએ હઠીલા બનીને એ પુરાવાનો નકાર કર્યો કે ઈસુ જ વચન પ્રમાણે તેઓના તારણહાર છે, જીવન તરફ દોરી જતો માર્ગ છે.

      નિકોદેમસ, અરિમથાઈનો યુસફ અને બીજા ઘણા અધિકારીઓએ “ઈસુ પર શ્રદ્ધા મૂકી” હતી. પરંતુ, શું તેઓએ પોતાની શ્રદ્ધા પ્રમાણે પગલાં લીધાં? કે પછી, સભાસ્થાનમાંથી કાઢી મૂકાવાનો ડર હોવાથી અથવા “માણસો તરફથી મળતું માન વધારે વહાલું” હોવાથી પોતાની શ્રદ્ધા જાહેર ન કરી?—યોહાન ૧૨:૪૨, ૪૩.

      ઈસુએ પોતે જણાવ્યું કે તેમનામાં શ્રદ્ધા મૂકવામાં શું સમાયેલું છે: “જે કોઈ મારા પર શ્રદ્ધા રાખે છે, તે ફક્ત મારા પર જ નહિ, મને મોકલનાર પર પણ શ્રદ્ધા રાખે છે; અને જે કોઈ મને જુએ છે તે મને મોકલનારને પણ જુએ છે.” ઈશ્વરે ઈસુને જણાવ્યું હતું કે તે લોકોને સત્યનો સંદેશો શીખવે. ઈસુએ એમ જ કર્યું. એ સંદેશો એટલો મહત્ત્વનો હતો કે ઈસુએ જણાવ્યું: “જે કોઈ મારો સ્વીકાર કરતો નથી અને મારી વાતો પાળતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. મેં કહેલી વાતો છેલ્લા દિવસે તેનો ન્યાય કરશે.”—યોહાન ૧૨:૪૪, ૪૫, ૪૮.

      ઈસુએ છેવટે કહ્યું: “હું મારી પોતાની રીતે બોલ્યો નથી, પણ મને મોકલનાર પિતાએ મને આજ્ઞા આપી છે કે મારે શું કહેવું અને શું બોલવું. હું જાણું છું કે તેમની આજ્ઞા હંમેશ માટેનું જીવન છે.” (યોહાન ૧૨:૪૯, ૫૦) ઈસુ જાણતા હતા કે તેમનામાં શ્રદ્ધા મૂકનાર મનુષ્યો માટે તે થોડા જ સમયમાં બલિદાન તરીકે પોતાનું લોહી વહેવડાવી દેશે.—રોમનો ૫:૮, ૯.

      • કયા ત્રણ કિસ્સામાં, ઈસુ વિશે ઈશ્વરની વાણી સંભળાઈ હતી?

      • કયા અધિકારીઓએ ઈસુ પર શ્રદ્ધા મૂકી? તેઓ શા માટે જાહેરમાં ઈસુનો સ્વીકાર કરતા અચકાતા હોય શકે?

      • “છેલ્લા દિવસે” શાને આધારે લોકોનો ન્યાય કરવામાં આવશે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો