વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયસભામાં મુકદ્દમો, પછી પીલાત પાસે લઈ જાય છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુ પોંતિયુસ પીલાત આગળ ઊભા છે

      પ્રકરણ ૧૨૭

      ન્યાયસભામાં મુકદ્દમો, પછી પીલાત પાસે લઈ જાય છે

      માથ્થી ૨૭:૧-૧૧ માર્ક ૧૫:૧ લુક ૨૨:૬૬–૨૩:૩ યોહાન ૧૮:૨૮-૩૫

      • સવારે યહુદી ન્યાયસભામાં મુકદ્દમો

      • યહુદા ઇસ્કારિયોત ગળે ફાંસો ખાય છે

      • ઈસુને દોષિત ઠરાવવા માટે પીલાત પાસે મોકલવામાં આવે છે

      પીતરે ઈસુનો ત્રીજી વાર નકાર કર્યો ત્યારે, રાત પૂરી થવા આવી હતી. યહુદી ન્યાયસભાના સભ્યો નામ પૂરતો મુકદ્દમો ચલાવીને છૂટા પડ્યા હતા. રાતે ચાલેલો મુકદ્દમો ગેરકાયદેસર હોવાથી તેઓ શુક્રવારે સવારે ફરીથી મળ્યા, જેથી એ કાયદેસર લાગે. ઈસુને તેઓની આગળ હાજર કરવામાં આવ્યા.

      ન્યાયસભાએ ફરી પૂછ્યું: “જો તું ખ્રિસ્ત હોય તો અમને જણાવ.” ઈસુએ જવાબ આપ્યો: “ભલે હું તમને કહું, તોપણ તમે એ જરાય માનવાના નથી. તેમ જ, જો હું તમને સવાલ પૂછું, તો તમે જવાબ આપવાના નથી.” છતાં, ઈસુએ હિંમતથી પોતાની ઓળખ આપતા કહ્યું કે પોતે દાનીયેલ ૭:૧૩માં ભાખવામાં આવેલી વ્યક્તિ છે. તેમણે કહ્યું: “હવેથી માણસનો દીકરો શક્તિશાળી ઈશ્વરના જમણે હાથે બેસશે.”—લુક ૨૨:૬૭-૬૯; માથ્થી ૨૬:૬૩.

      તેઓએ ફરીથી પૂછ્યું: “એટલે, શું તું ઈશ્વરનો દીકરો છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે પોતે કહો છો કે હું તે છું.” તેઓએ ઈસુ પર ઈશ્વરનિંદાનો આરોપ મૂક્યો. તેઓને જાણે ઈસુને મોતની સજા કરવાનું કારણ મળી ગયું. તેઓએ એકબીજાને પૂછ્યું: “આપણે વધારે સાક્ષીની શી જરૂર?” (લુક ૨૨:૭૦, ૭૧; માર્ક ૧૪:૬૪) તેથી, તેઓ ઈસુને બાંધીને રોમન રાજ્યપાલ પોંતિયુસ પીલાત પાસે લઈ ગયા.

      યહુદા ઇસ્કારિયોતે કદાચ ઈસુને પીલાત પાસે લઈ જતા જોયા હશે. ઈસુને દોષિત ઠરાવવામાં આવ્યા છે એ જાણીને યહુદાને થોડો અફસોસ થયો અને તે નિરાશ થયો. પરંતુ, દિલથી પસ્તાવો કરીને ઈશ્વર તરફ પાછા ફરવાને બદલે, તે ચાંદીના ૩૦ સિક્કા પાછા આપવા ગયો. યહુદાએ મુખ્ય યાજકોને કહ્યું: “નેક માણસના લોહીનો સોદો કરીને મેં પાપ કર્યું છે.” પણ તેઓએ તેને તોછડાઈથી જવાબ આપ્યો: “એમાં અમારે શું? એ તું જાણે!”—માથ્થી ૨૭:૪.

      યહુદાએ ચાંદીના ૩૦ સિક્કા મંદિરમાં ફેંકી દીધા. તેણે આપઘાત કરવાની કોશિશ કરીને બીજું પાપ કર્યું. તે જે ડાળી પર લટકીને ફાંસો ખાવા માંગતો હતો, એ ડાળી તૂટી ગઈ અને તેનું શરીર પથ્થરો પર પટકાઈને ફાટી ગયું.—પ્રેરિતોનાં કાર્યો ૧:૧૭, ૧૮.

      ઈસુને પોંતિયુસ પીલાતના મહેલમાં લઈ જવામાં આવ્યા ત્યારે, વહેલી સવાર હતી. પણ, તેમને લઈ જનારા યહુદીઓ પોતે અંદર ગયા નહિ. તેઓને લાગ્યું કે યહુદી ન હોય એવા લોકોના સંપર્કમાં આવીને તેઓ અશુદ્ધ થઈ જશે. એમ થાય તો, બેખમીર રોટલીના તહેવારના પહેલા દિવસે નીસાન ૧૫ના રોજ તેઓ ભોજન ખાવા અયોગ્ય ઠરે. એ તહેવાર પણ પાસ્ખાનો ભાગ ગણાતો.

      પીલાત બહાર આવ્યો અને તેઓને પૂછ્યું: “આ માણસ પર તમે કયો આરોપ મૂકો છો?” તેઓએ જવાબ આપ્યો: “જો આ માણસ ગુનેગાર ન હોત, તો અમે તેને તમારા હાથમાં સોંપ્યો ન હોત.” પીલાતને કદાચ લાગ્યું કે લોકો તેના પર દબાણ લાવવા માંગે છે, એટલે તેણે કહ્યું: “તેને લઈ જાઓ અને તમારા નિયમ પ્રમાણે તેનો ન્યાય કરો.” યહુદીઓના જવાબમાં તેઓનો ખૂની ઇરાદો દેખાઈ આવ્યો: “નિયમ પ્રમાણે કોઈને મારી નાખવાની અમને છૂટ નથી.”—યોહાન ૧૮:૨૯-૩૧.

      જો તેઓ પાસ્ખાના તહેવાર દરમિયાન ઈસુને મારી નાખે, તો લોકોમાં હાહાકાર મચી જાય. પરંતુ, રોમન સત્તા વિરુદ્ધ જવાનો આરોપ મૂકે તો, રોમનો ઈસુને મોતની સજા કરી શકતા હતા. જો યહુદીઓ કોઈ રીતે રોમનોને હાથે ઈસુને મારી નંખાવે, તો તેઓએ લોકોને જવાબ આપવો ન પડે.

      ધર્મગુરુઓએ પીલાતને જણાવ્યું નહિ કે તેઓએ ઈસુને ઈશ્વરનિંદા માટે દોષિત ઠરાવ્યા હતા. પણ, તેઓએ ઈસુ પર બીજા ખોટા આરોપો મૂક્યા: “અમને ખબર પડી છે કે આ માણસ [૧] અમારી પ્રજાને ઉશ્કેરે છે, [૨] સમ્રાટને કર આપવાની મના કરે છે અને [૩] કહે છે કે તે પોતે ખ્રિસ્ત છે, રાજા છે.”—લુક ૨૩:૨.

      ઈસુ પર આરોપ હતો કે તે પોતે રાજા હોવાનો દાવો કરે છે. રોમન સરકારનો પ્રતિનિધિ હોવાથી, પીલાત માટે એ ચિંતાનો વિષય હતો. એટલે, તે પાછો મહેલમાં ગયો અને ઈસુને બોલાવીને પૂછ્યું: “શું તું યહુદીઓનો રાજા છે?” તે પૂછવા માંગતો હતો કે, ‘સમ્રાટ વિરુદ્ધ પોતાને રાજા તરીકે જાહેર કરીને શું તું રોમન સામ્રાજ્યનો નિયમ તોડે છે?’ ઈસુને કદાચ જાણવું હતું કે તેમના વિશે પીલાતે કેટલું સાંભળ્યું છે. એટલે, તેમણે કહ્યું: “શું તમે પોતે આ કહો છો કે પછી બીજાઓએ તમને મારા વિશે જણાવ્યું છે?”—યોહાન ૧૮:૩૩, ૩૪.

      પીલાત ઈસુ વિશે ખાસ કંઈ જાણતો ન હતો, પણ તેને વધારે જાણવાની જિજ્ઞાસા હતી. એટલે, તેણે કહ્યું: “શું હું યહુદી છું?” પછી, તેણે ઉમેર્યું: “તારી પોતાની પ્રજાએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તેં શું કર્યું છે?”—યોહાન ૧૮:૩૫.

      રાજા હોવાના મુખ્ય વિષયને ઈસુ ટાળી નથી દેતા. તેમણે પછી એ રીતે જવાબ આપ્યો, જેનાથી રાજ્યપાલ પીલાત ચોક્કસ દંગ રહી ગયો હશે.

      લોહીનું ખેતર

      યહુદા ચાંદીના ૩૦ સિક્કા મંદિરમાં ફેંકી દે છે

      યહુદાએ મંદિરમાં ફેંકી દીધેલા ચાંદીના સિક્કાનું શું કરવું, એ વિશે મુખ્ય યાજકો ચોક્કસ ન હતા. તેઓએ કહ્યું: “એને મંદિરના ભંડારમાં નાખવા નિયમ પ્રમાણે યોગ્ય નથી, કેમ કે એ લોહીની કિંમત છે.” એટલે, તેઓએ એ પૈસાથી અજાણ્યા લોકોને દાટવા માટે કુંભારનું ખેતર વેચાતું લીધું. તેથી, એ ખેતરને “લોહીનું ખેતર” કહેવામાં આવ્યું.—માથ્થી ૨૭:૬-૮.

      • શા માટે યહુદી ન્યાયસભા સવારે ફરીથી મળી?

      • યહુદાનું કઈ રીતે મૃત્યુ થયું અને ચાંદીના ૩૦ સિક્કાનું શું થયું?

      • ઈસુને પીલાત મારી નાખે, એ માટે યહુદીઓએ કેવા ખોટા આરોપો મૂક્યા?

  • પીલાત અને હેરોદની નજરે નિર્દોષ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • હેરોદ અને તેના સૈનિકો ઈસુની મજાક ઉડાવે છે

      પ્રકરણ ૧૨૮

      પીલાત અને હેરોદની નજરે નિર્દોષ

      માથ્થી ૨૭:૧૨-૧૪, ૧૮, ૧૯ માર્ક ૧૫:૨-૫ લુક ૨૩:૪-૧૬ યોહાન ૧૮:૩૬-૩૮

      • પીલાત અને હેરોદ ઈસુની પૂછપરછ કરે છે

      પોતે ખરેખર રાજા છે એ વાત ઈસુએ પીલાતથી છુપાવવાની કોશિશ કરી નહિ. તેમના રાજ્યથી રોમને કોઈ ખતરો ન હતો. ઈસુએ કહ્યું: “મારું રાજ્ય આ દુનિયાનું નથી. જો મારું રાજ્ય આ દુનિયાનું હોત, તો મારા સેવકો લડ્યા હોત, જેથી યહુદીઓ મને પકડી ન લે. પરંતુ, મારું રાજ્ય આ દુનિયાનું નથી.” (યોહાન ૧૮:૩૬) હા, ઈસુનું રાજ્ય છે, પણ એ રાજ્ય આ દુનિયાનું નથી.

      એ સાંભળીને પીલાતે વાત પડતી ન મૂકી. તેણે પૂછ્યું: “તો પછી, શું તું રાજા છે?” પીલાત બરાબર સમજ્યો છે એ બતાવવા ઈસુએ કહ્યું: “તમે પોતે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા જ હું જન્મ્યો છું અને એ માટે જ હું દુનિયામાં આવ્યો છું. જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.”—યોહાન ૧૮:૩૭.

      ઈસુએ અગાઉ થોમાને કહ્યું હતું: “માર્ગ અને સત્ય અને જીવન હું છું.” હવે, પીલાતે પણ સાંભળ્યું કે ઈસુને પૃથ્વી પર ‘સત્યની’ સાક્ષી આપવા મોકલવામાં આવ્યા હતા. ખાસ કરીને તે તેમના રાજ્ય વિશે સત્ય જણાવવા આવ્યા હતા. એ સત્યને વળગી રહેવા ઈસુ મક્કમ હતા, પછી ભલેને એ માટે તેમણે મરવું પણ પડે. પીલાતે પૂછ્યું: “સત્ય શું છે?” પરંતુ, તેણે વધારે સમજણ મેળવવા રાહ ન જોઈ. તેને લાગ્યું કે આ માણસનો ન્યાય કરવા તેણે પૂરતું સાંભળી લીધું છે.—યોહાન ૧૪:૬; ૧૮:૩૮.

      પછી, પીલાત મહેલ બહાર રાહ જોઈ રહેલા ટોળા પાસે ગયો. ઈસુ કદાચ તેની બાજુમાં જ ઊભા હતા. તેણે મુખ્ય યાજકો અને બીજાઓને કહ્યું: “આ માણસમાં મને કોઈ ગુનો દેખાતો નથી.” એ સાંભળીને ગુસ્સે ભરાયેલા ટોળાએ કહ્યું: “આખા યહુદિયામાં, ગાલીલથી લઈને અહીં સુધી, લોકોને તે પોતાના શિક્ષણથી ઉશ્કેરે છે.”—લુક ૨૩:૪, ૫.

      યહુદીઓનું ઝનૂન ગેરવાજબી હતું, એનાથી પીલાતને નવાઈ લાગી હશે. મુખ્ય યાજકો અને વડીલો બૂમો પાડતા હતા ત્યારે પીલાતે ઈસુને પૂછ્યું: “શું તું સાંભળતો નથી કે તારી વિરુદ્ધ સાક્ષીમાં તેઓ કેટલા બધા આરોપ મૂકે છે?” (માથ્થી ૨૭:૧૩) તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. ઈસુ પર ખોટા ખોટા આરોપો મુકાઈ રહ્યા હતા ત્યારે, તેમના ચહેરા પર અજબ શાંતિ જોઈને પીલાત આશ્ચર્ય પામ્યો.

      યહુદીઓએ જણાવ્યું હતું કે ઈસુએ ‘ગાલીલથી’ શરૂઆત કરી હતી. એ સાંભળીને પીલાતને ખબર પડી કે ઈસુ ગાલીલના હતા. તેમનો ન્યાય કરવાની જવાબદારીમાંથી છટકવા પીલાતને એક યુક્તિ સૂઝી. હેરોદ અંતિપાસ (મહાન હેરોદનો દીકરો) ગાલીલનો શાસક હતો અને પાસ્ખા વખતે યરૂશાલેમ આવ્યો હતો. એટલે, પીલાતે ઈસુને હેરોદ પાસે મોકલ્યા. આ હેરોદ અંતિપાસે બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું કાપી નંખાવ્યું હતું. એ પછી, ઈસુના ચમત્કારો વિશે સાંભળીને હેરોદને લાગતું હતું કે તે મરણમાંથી ઊઠેલા યોહાન છે.—લુક ૯:૭-૯.

      ઈસુને મળી શકાશે, એ જાણીને હેરોદ ખુશ થયો. તે કંઈ તેમને મદદ કરવા માંગતો ન હતો. અથવા, તેમની વિરુદ્ધ લાગેલા આરોપો સાચા છે કે નહિ, એની તપાસ પણ કરવા માંગતો ન હતો. તે તો ફક્ત ઈસુને જોવા માંગતો હતો અને “તે કોઈ ચમત્કાર કરે એવી આશા રાખતો હતો.” (લુક ૨૩:૮) જોકે, ઈસુએ એવું કંઈ કર્યું નહિ. અરે, હેરોદે સવાલો પૂછ્યા ત્યારે, તે એક શબ્દ પણ બોલ્યા નહિ. નિરાશ થયેલા હેરોદે અને તેના સૈનિકોએ ઈસુનો “તિરસ્કાર કર્યો.” (લુક ૨૩:૧૧) તેઓએ ઈસુને ભપકાદાર કપડાં પહેરાવીને તેમની મજાક ઉડાવી. પછી, હેરોદે તેમને પીલાત પાસે પાછા મોકલ્યા. હેરોદ અને પીલાત અગાઉ દુશ્મનો હતા, પણ હવે તેઓ સારા મિત્રો બની ગયા.

      ઈસુ પાછા આવ્યા પછી, પીલાતે મુખ્ય યાજકો, યહુદી આગેવાનો અને લોકોને ભેગા કર્યા અને કહ્યું: “મેં તમારી સામે તેની પૂછપરછ કરી, પણ તમે આ માણસ પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મને મળતી નથી. હકીકતમાં, હેરોદને પણ નહિ, કેમ કે તેણે અમારી પાસે તેને પાછો મોકલી આપ્યો અને જુઓ! તેણે એવું કંઈ નથી કર્યું, જેના લીધે તેને મારી નાખવામાં આવે. તેથી, હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.”—લુક ૨૩:૧૪-૧૬.

      પીલાત ઈસુને છોડવા આતુર હતો, કેમ કે તે જોઈ શક્યો કે ઈર્ષાને લીધે યાજકોએ ઈસુને તેના હાથમાં સોંપ્યા હતા. પીલાત તેમને છોડવા પ્રયત્ન કરતો હતો, એવામાં તેને એમ કરવા બીજું એક કારણ પણ મળ્યું. તે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે, તેની પત્નીએ સંદેશો મોકલ્યો: “એ નેક માણસને કંઈ કરતા નહિ, કેમ કે તેના લીધે આજે સપનામાં [દેખીતું છે કે ઈશ્વર તરફથી] હું ઘણી દુઃખી થઈ હતી.”—માથ્થી ૨૭:૧૯.

      પીલાત આ નિર્દોષ માણસને છોડી મૂકવા માંગતો હતો. શું તે એમાં સફળ થયો?

      • પોતે રાજા છે એ વિશેનું ‘સત્ય’ ઈસુએ કઈ રીતે જણાવ્યું?

      • ઈસુ વિશે પીલાત કયા નિર્ણય પર આવ્યો? એ જાણીને લોકોએ શું કર્યું અને પીલાતે શું કર્યું?

      • ઈસુને જોઈને હેરોદ અંતિપાસ કેમ ખુશ થયો અને તે ઈસુ સાથે કેવી રીતે વર્ત્યો?

      • પીલાત કેમ ઈસુને છોડી દેવા માંગતો હતો?

  • પીલાતે કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુને કાંટાનો મુગટ અને રાજવી લોકો પહેરે એવો ઝભ્ભો પહેરાવીને પીલાત બહાર લાવે છે

      પ્રકરણ ૧૨૯

      પીલાતે કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”

      માથ્થી ૨૭:૧૫-૧૭, ૨૦-૩૦ માર્ક ૧૫:૬-૧૯ લુક ૨૩:૧૮-૨૫ યોહાન ૧૮:૩૯–૧૯:૫

      • પીલાત ઈસુને છોડી દેવા પ્રયત્નો કરે છે

      • યહુદીઓ બારાબાસને છોડવા માંગ કરે છે

      • ઈસુની મશ્કરી થાય છે અને ખરાબ વ્યવહાર કરવામાં આવે છે

      ઈસુને મારી નાખવા ચાહતા ટોળાને પીલાતે કહ્યું: “તમે આ માણસ પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મને મળતી નથી. હકીકતમાં, હેરોદને પણ નહિ.” (લુક ૨૩:૧૪, ૧૫) ઈસુને છોડી મૂકવા પીલાતે બીજી રીત અપનાવી. તેણે લોકોને કહ્યું: “તમારો રિવાજ છે કે પાસ્ખાના તહેવારે મારે એક માણસને છોડી મૂકવો. એટલે, શું તમે ચાહો છો કે હું યહુદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?”—યોહાન ૧૮:૩૯.

      બારાબાસ નામના એક કેદી વિશે પીલાત જાણતો હતો. તે ચોર, બળવાખોર અને ખૂની હતો. તેથી, પીલાતે પૂછ્યું: “તમારી શું ઇચ્છા છે, હું કોને તમારા માટે છોડી દઉં, બારાબાસને કે ઈસુને, જે ખ્રિસ્ત કહેવાય છે?” મુખ્ય યાજકોએ ઈસુ વિરુદ્ધ લોકોને ઉશ્કેર્યા હોવાથી, તેઓએ ઈસુને બદલે બારાબાસને છોડી દેવાની માંગ કરી. પીલાતે ફરી પૂછ્યું: “તમારી શી ઇચ્છા છે, આ બેમાંથી હું કોને તમારા માટે છોડી દઉં?” ટોળાએ બૂમ પાડીને કહ્યું: “બારાબાસને.”—માથ્થી ૨૭:૧૭, ૨૧.

      નિરાશ થયેલા પીલાતે પૂછ્યું: “તો પછી, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું હું શું કરું?” લોકો પોકારી ઊઠ્યા: “તેને વધસ્તંભે ચડાવો!” (માથ્થી ૨૭:૨૨) કેટલું શરમજનક કહેવાય કે તેઓ એક નિર્દોષ માણસનું લોહી માંગતા હતા! પીલાતે વિનંતી કરી: “શા માટે? આ માણસે શું ગુનો કર્યો છે? મને તેનામાં મરણની સજાને લાયક કંઈ પણ જોવા મળ્યું નથી; તેથી, હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.”—લુક ૨૩:૨૨.

      પીલાતના ઘણા પ્રયત્નો છતાં, ગુસ્સે ભરાયેલું ટોળું એક અવાજે બૂમો પાડતું હતું: “તેને વધસ્તંભે ચડાવો!” (માથ્થી ૨૭:૨૩) ધર્મગુરુઓએ લોકોમાં એટલું ઝનૂન ભરી દીધું હતું કે તેઓ લોહીના તરસ્યા થઈ ગયા હતા! તેઓ કોઈ ગુનેગાર કે ખૂનીનું લોહી માંગતા ન હતા. તેઓ તો એ નિર્દોષ માણસનું લોહી માંગતા હતા, જેમને પાંચ દિવસ અગાઉ યરૂશાલેમમાં રાજા તરીકે આવકારવામાં આવ્યા હતા. બની શકે કે ઈસુના શિષ્યો એ ટોળામાં હતા, પણ તેઓ ચૂપ રહ્યા અને લોકોની નજરે ન આવે એનું ધ્યાન રાખ્યું.

      પીલાતે જોયું કે તેની વિનંતીની લોકો પર કોઈ અસર થતી નથી. લોકોની ધમાલ વધી રહી હોવાથી, તેણે થોડું પાણી લીધું અને તેઓની સામે પોતાના હાથ ધોઈ નાખ્યા. તેણે તેઓને કહ્યું: “આ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. એની જવાબદારી તમારે લેવી પડશે.” એ જોઈને પણ લોકોનું વલણ બદલાયું નહિ. તેઓએ કહ્યું: “તેનું લોહી અમારા પર અને અમારાં બાળકો પર આવવા દો.”—માથ્થી ૨૭:૨૪, ૨૫.

      રાજ્યપાલ પીલાત જાણતો હતો કે સાચું શું છે, છતાં તેણે લોકોની માંગ સંતોષવાનું પસંદ કર્યું. તેણે લોકોની માંગ મુજબ બારાબાસને છોડી મૂક્યો. તેણે હુકમ કર્યો કે ઈસુનાં કપડાં ઉતારી લેવામાં આવે અને પછી તેમને કોરડા મારવામાં આવે.

      નિર્દયતાથી માર્યા પછી, સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા. બીજા સૈનિકો પણ ત્યાં ભેગા થયા અને ઈસુનું વધારે અપમાન કરવા લાગ્યા. તેઓએ કાંટાનો મુગટ ગૂંથ્યો અને તેમના માથા પર જોરથી દબાવીને પહેરાવ્યો. સૈનિકોએ ઈસુના જમણા હાથમાં સોટી પણ પકડાવી અને રાજવી લોકો પહેરે એવો ઝભ્ભો પહેરાવ્યો. પછી, તેમની મજાક ઉડાવતા કહેવા લાગ્યા: “હે યહુદીઓના રાજા, સલામ!” (માથ્થી ૨૭:૨૮, ૨૯) એટલું જ નહિ, તેઓ તેમના પર થૂંક્યા અને તેમને લાફા માર્યા. તેઓએ ઈસુ પાસેથી મજબૂત સોટી લઈ લીધી અને તેમના માથે પહેરાવેલા “મુગટ” પર મારવા લાગ્યા. આમ, અપમાન કરવા પહેરાવેલા મુગટના કાંટા ઊંડે સુધી ખૂંપી ગયા.

      આ બધા સંજોગોમાં ઈસુએ પોતાની ગરિમા જાળવી રાખી અને જરાય હિંમત ન હાર્યા. એ જોઈને પીલાત પ્રભાવિત થયો અને દોષનો ટોપલો પોતાને માથે ન આવે, એ માટે હજુ એક વાર પ્રયત્ન કર્યો. તેણે કહ્યું: “જુઓ! હું તેને તમારી પાસે બહાર લાવું છું, જેથી તમે જાણો કે મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.” પીલાત કદાચ વિચારતો હશે કે ઈસુને જખમી હાલતમાં અને લોહીલુહાણ જોઈને લોકોનું દિલ પીગળી જશે. તે ઈસુને નિષ્ઠુર ટોળા આગળ લાવ્યો અને તેઓને કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”—યોહાન ૧૯:૪, ૫.

      ઈસુને મારવામાં આવ્યા હતા અને તે જખમી હતા, છતાં તેમણે ગરિમા જાળવી રાખી અને શાંત રહ્યા. પીલાતે જરૂર એની નોંધ લીધી હશે, કેમ કે તેના શબ્દોમાં ઈસુ માટે માન અને દયા દેખાય આવતાં હતાં.

      કોરડા મારવા

      કોરડા મારવા વપરાતો ચાબુક

      રોમનોની કોરડા મારવાની પદ્ધતિ વિશે ધ જરનલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોસિએશનમાં ડોક્ટર વિલિયમ. ડી. એડવડ્‌ર્સે આમ જણાવ્યું:

      “એ ટૂંકો ચાબુક હતો (ફલગ્રમ કે ફ્લેજેલમ), જેમાં ચામડાની અનેક નાની મોટી પટ્ટીઓ લાગેલી હતી. અમુક પટ્ટીઓમાં થોડા થોડા અંતરે ધાતુના નાના નાના દડા કે ઘેટાંનાં તીક્ષ્ણ હાડકાં ગૂંથેલાં હતાં. . . . રોમન સૈનિકો ગુનેગારની પીઠ પર પૂરા બળથી વારંવાર કોરડા મારતા ત્યારે, એ ધાતુના દડાને લીધે ઊંડા સોળ પડી જતા. ચામડાની પટ્ટીઓ અને ઘેટાંનાં હાડકાંને લીધે ચામડી અને એની નીચેના રેશાઓ ચિરાઈ જતાં. વારંવાર કોરડાના મારથી છેક અંદરના સ્નાયુઓમાં ચીરા પડતા અને લોહી નીતરતી માંસપેશીઓ બહાર આવી જતી.”

      • ઈસુને છોડી દેવા પીલાતે કેવા પ્રયત્નો કર્યા, જેથી દોષનો ટોપલો તેના માથે ન આવે?

      • કોરડા મારવા એટલે શું?

      • કોરડા માર્યા પછી, ઈસુ સાથે કેવો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો?

  • ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ભારે વધસ્તંભ ઊંચકવો ઈસુ માટે મુશ્કેલ થઈ રહ્યું છે અને એક સૈનિક કુરેનીના સિમોનને એ ઊંચકવા હુકમ કરે છે

      પ્રકરણ ૧૩૦

      ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે

      માથ્થી ૨૭:૩૧, ૩૨ માર્ક ૧૫:૨૦, ૨૧ લુક ૨૩:૨૪-૩૧ યોહાન ૧૯:૬-૧૭

      • પીલાત ઈસુને છોડી મૂકવાની કોશિશ કરે છે

      • ઈસુને દોષિત ઠરાવીને મારી નાખવા લઈ જવાયા

      ઈસુ સાથે બહુ ખરાબ વ્યવહાર થયો હતો અને તેમની મશ્કરી કરવામાં આવી હતી. તેમને છોડી મૂકવાના પીલાતના પ્રયત્નોની મુખ્ય યાજકો અને તેઓના સાથીઓ પર કોઈ અસર થઈ ન હતી. તેઓ કોઈ પણ રીતે ઈસુને મોતની સજા થાય એવું ચાહતા હતા. તેઓ બૂમો પાડતા હતા: “તેને વધસ્તંભે ચડાવો! તેને વધસ્તંભે ચડાવો!” પીલાતે તેઓને કહ્યું: “તમે પોતે તેને લઈ જઈને મારી નાખો, કેમ કે મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.”—યોહાન ૧૯:૬.

      રોમન સત્તા વિરુદ્ધ જવાના આરોપ હેઠળ ઈસુને મોતની સજા થવી જોઈએ, એ વાત યહુદીઓ પીલાતને ગળે ઉતારી ન શક્યા. એટલે, તેઓએ ધર્મનો સહારો લીધો. ઈસુ પર ઈશ્વરનિંદાનો જે આરોપ ન્યાયસભામાં લાગ્યો હતો, એ વિશે તેઓએ પીલાતને જણાવ્યું. તેઓએ કહ્યું: “અમારી પાસે નિયમ છે અને નિયમ પ્રમાણે તેણે મરવું જ જોઈએ, કારણ કે તે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરે છે.” (યોહાન ૧૯:૭) પીલાત માટે આ કંઈક નવું હતું.

      ઈસુ સાથે બહુ ખરાબ વ્યવહાર થયો હતો અને પીલાતની પત્નીને તેમના વિશે સપનું આવ્યું હતું. એટલે, પીલાત મહેલમાં પાછો જઈને તેમને છોડી મૂકવા કોઈ રસ્તો શોધવા લાગ્યો. (માથ્થી ૨૭:૧૯) પણ, યહુદીઓએ મૂકેલા નવા આરોપ વિશે શું? તેઓ કહેતા હતા કે ઈસુ ‘ઈશ્વરના દીકરા’ હોવાનો દાવો કરે છે. પીલાત જાણતો હતો કે ઈસુ ગાલીલના છે. (લુક ૨૩:૫-૭) છતાં, તેણે ઈસુને પૂછ્યું: “તું ક્યાંનો છે?” (યોહાન ૧૯:૯) શું પીલાતને એવું લાગ્યું હશે કે ઈસુ પહેલાં સ્વર્ગમાં હતા અને કોઈ દેવ હતા?

      ઈસુએ અગાઉ પણ પીલાતને કહ્યું હતું કે પોતે રાજા છે, પણ પોતાનું રાજ્ય આ દુનિયાનું નથી. એમાં વધારે કંઈ જણાવવાની જરૂર ન લાગતા ઈસુ ચૂપ રહ્યા. એટલે, પીલાતનું સ્વમાન ઘવાયું. તેણે ગુસ્સામાં ઈસુને કહ્યું: “શું તારે મને જવાબ નથી આપવો? શું તને ખબર નથી કે મારી પાસે તને છોડી મૂકવાનો અને તને મારી નાખવાનો પણ અધિકાર છે?”—યોહાન ૧૯:૧૦.

      ઈસુએ કહ્યું: “જો સ્વર્ગમાંથી તમને અધિકાર મળ્યો ન હોત, તો તમને મારા પર કોઈ જ અધિકાર ન હોત. એટલા માટે, જે માણસે મને તમારા હાથમાં સોંપ્યો છે, તેનું પાપ ઘણું મોટું છે.” (યોહાન ૧૯:૧૧) ઈસુ કોઈ એક માણસને ધ્યાનમાં રાખીને કહી રહ્યા ન હતા. પરંતુ, તે એમ કહેવા માંગતા હતા કે કાયાફાસ, તેના સાથીઓ અને યહુદા ઇસ્કારિયોતનું પાપ પીલાતથી પણ વધારે મોટું છે.

      ઈસુના વ્યવહાર અને શબ્દોથી પ્રભાવિત થઈને, તેમજ ઈસુ સ્વર્ગમાંથી આવ્યા હશે, એવા ડરથી પીલાતે તેમને છોડી દેવા ફરીથી પ્રયત્ન કર્યો. પણ, યહુદીઓએ એવું કંઈક કહ્યું જેનાથી પીલાતમાં રહેલો બીજો એક ડર છતો થયો. તેઓએ ધમકી આપી: “જો તમે આ માણસને છોડી મૂકશો, તો તમે સમ્રાટના મિત્ર નથી. જે કોઈ પોતે રાજા હોવાનો દાવો કરે છે, તે સમ્રાટની વિરુદ્ધ બોલે છે.”—યોહાન ૧૯:૧૨.

      રાજ્યપાલ ફરી એક વાર ઈસુને બહાર લાવ્યો અને ન્યાયાસન પર બેસીને લોકોને કહ્યું: “જુઓ! તમારો રાજા!” પણ, એનાથી યહુદીઓનું મન બદલાયું નહિ. તેઓએ બૂમો પાડી: “તેને લઈ જાઓ! તેને લઈ જાઓ! તેને વધસ્તંભે ચડાવો!” પીલાતે અરજ કરી: “શું હું તમારા રાજાને વધસ્તંભે ચડાવું?” યહુદીઓ ઘણા સમયથી રોમન સત્તા હેઠળ ખુશ ન હતા; છતાં, મુખ્ય યાજકો જુસ્સાથી બોલી ઊઠ્યા: “સમ્રાટ સિવાય અમારો બીજો કોઈ રાજા નથી.”—યોહાન ૧૯:૧૪, ૧૫.

      યહુદીઓની કઠોર માંગ સામે ડરપોક પીલાતે નમતું જોખ્યું. તેણે ઈસુને વધસ્તંભે ચડાવવા સોંપી દીધા. સૈનિકોએ ઈસુના શરીર પરથી ઝભ્ભો ઉતારી લીધો અને તેમનો પોતાનો ઝભ્ભો પહેરાવ્યો. ઈસુને લઈ જવામાં આવ્યા ત્યારે, તેમને પોતાનો વધસ્તંભ ઊંચકવા ફરજ પાડવામાં આવી.

      હવે, નીસાન ૧૪, શુક્રવારની બપોર થવા આવી હતી. ગુરુવાર વહેલી સવારથી ઈસુ જાગતા હતા અને એક પછી એક ત્રાસદાયક અનુભવોમાંથી પસાર થઈ રહ્યા હતા. ભારે વધસ્તંભ ઊંચકીને ચાલતા ઈસુમાં હવે કોઈ તાકાત ન હતી. એટલે, સૈનિકોએ રસ્તે જતા એક માણસ પાસે જબરદસ્તી વધસ્તંભ ઊંચકાવ્યો. એ માણસ આફ્રિકાના કુરેની શહેરનો સિમોન હતો. ઘણા લોકો તેઓની પાછળ પાછળ જતા હતા. જે થઈ રહ્યું હતું એ જોઈને અમુક લોકો દુઃખી થઈને છાતી કૂટતા હતા અને વિલાપ કરતા હતા.

      રડી રહેલી સ્ત્રીઓને ઈસુએ કહ્યું: “યરૂશાલેમની દીકરીઓ, મારા માટે રડવાનું બંધ કરો. એના બદલે, તમારા માટે અને તમારાં બાળકો માટે રડો; કેમ કે જુઓ! એવા દિવસો આવે છે જ્યારે લોકો કહેશે, ‘ધન્ય છે વાંઝણી સ્ત્રીઓને, જેઓએ જન્મ આપ્યો નથી અને જેઓએ ધવડાવ્યું નથી!’ ત્યારે તેઓ પહાડોને કહેવા લાગશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને ઢાંકી દો!’ ઝાડ લીલું છે ત્યારે તેઓ આવું કરે છે તો, એ સુકાઈ જશે ત્યારે શું કરશે?”—લુક ૨૩:૨૮-૩૧.

      ઈસુ યહુદી પ્રજાની વાત કરી રહ્યા હતા. એ પ્રજા સુકાઈ રહેલાં ઝાડ જેવી હતી. પણ, હજુ એ ઝાડ થોડું લીલું હતું, કેમ કે ઈસુ તેઓ વચ્ચે હાજર હતા અને ઘણા યહુદીઓ પણ ત્યાં હતા, જેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી હતી. ઈસુ મરણ પામે અને તેમના શિષ્યો યહુદી ધર્મ છોડી દે ત્યારે, એ પ્રજા ભક્તિમાં સુકાઈ ગયેલા ઝાડ જેવી બની જવાની હતી. જ્યારે ઈશ્વર તરફથી સંહારક તરીકે રોમન સૈન્ય યહુદી પ્રજાનો નાશ કરે, ત્યારે પુષ્કળ વિલાપ થવાનો હતો!

      • ધર્મગુરુઓએ ઈસુ પર કયો આરોપ લગાવ્યો?

      • પીલાતને શાનો ડર હતો?

      • મુખ્ય યાજકોએ શું કહ્યું, જેના લીધે પીલાત ઈસુને મારી નંખાવવા તૈયાર થયો?

      • ઝાડ “લીલું” છે અને પછી “સુકાઈ” જશે, એમ કહીને ઈસુ શું સમજાવવા માંગતા હતા?

  • વધસ્તંભ પર પીડા સહેતા નિર્દોષ રાજા
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • બાજુના ગુનેગારને ઈસુ વચન આપે છે: “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ”

      પ્રકરણ ૧૩૧

      વધસ્તંભ પર પીડા સહેતા નિર્દોષ રાજા

      માથ્થી ૨૭:૩૩-૪૪ માર્ક ૧૫:૨૨-૩૨ લુક ૨૩:૩૨-૪૩ યોહાન ૧૯:૧૭-૨૪

      • ઈસુને ખીલા મારીને વધસ્તંભે જડવામાં આવે છે

      • ઈસુના વધસ્તંભ પરની તકતી જોઈને લોકો મશ્કરી કરે છે

      • પૃથ્વી પર જીવનના બાગમાં જીવવાની આશા ઈસુ આપે છે

      ઈસુને એ જગ્યાએ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને અને બે લુટારાઓને વધસ્તંભે ચડાવવાના હતા. એ ગલગથા કે ખોપરીની જગ્યા કહેવાતી. શહેરથી નજીક આવેલી એ જગ્યા “દૂરથી” જોઈ શકાતી હતી.—માર્ક ૧૫:૪૦.

      દોષિત ઠરેલા આ ત્રણે માણસોના ઝભ્ભા કાઢી નાખવામાં આવ્યા. પછી, તેઓને કડવો રસ ભેળવેલો દ્રાક્ષદારૂ અપાયો. પીડા ઓછી કરતો એ દ્રાક્ષદારૂ યરૂશાલેમની સ્ત્રીઓએ બનાવ્યો હોય શકે. મરણની સજા થયેલાઓને એવો દ્રાક્ષદારૂ આપવામાં રોમનોને કંઈ વાંધો ન હતો. ઈસુએ એ ચાખ્યા પછી પીવાની ના પાડી. શા માટે? આ મોટી કસોટી દરમિયાન પોતે પૂરેપૂરા હોશમાં હોય એવું ઈસુ ચાહતા હતા. તે મરણ સુધી સભાન રહીને વફાદાર રહેવા માંગતા હતા.

      ઈસુને વધસ્તંભ પર સુવડાવીને હાથ-પગ ખેંચવામાં આવ્યા. (માર્ક ૧૫:૨૫) સૈનિકોએ હાથ અને પગમાં ખીલાઓ માર્યા, જે માંસ અને સ્નાયુઓને વીંધીને આરપાર નીકળી ગયા. એનાથી અસહ્ય પીડા થઈ હશે. પછી, વધસ્તંભ ઊભો કરવામાં આવ્યો. ઈસુના શરીરના વજનથી તેમના ઘા ચિરાઈ ગયા. એના લીધે તેમની પીડા અનેક ગણી વધી ગઈ. તોપણ, ઈસુ સૈનિકો પર ગુસ્સે થયા નહિ. તેમણે પ્રાર્થના કરી: “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરે છે.”—લુક ૨૩:૩૪.

      રોમનોનો રિવાજ હતો કે ગુનેગારનો દોષ તકતી પર કોતરીને વધસ્તંભ પર લગાડવો. આ વખતે, પીલાતે તકતી લગાડી, જેમાં લખેલું હતું: “નાઝરેથનો ઈસુ, યહુદીઓનો રાજા.” એ લખાણ હિબ્રૂ, લેટિન અને ગ્રીકમાં હતું, જેથી મોટા ભાગના લોકો વાંચી શકે. આ લખાણથી જોવા મળતું હતું કે ઈસુના મોત માટે જીદે ચડેલા યહુદીઓને પીલાત ધિક્કારતો હતો. એ લખાણથી ભડકી ઊઠેલા મુખ્ય યાજકોએ વિરોધ કરતા કહ્યું: “‘યહુદીઓનો રાજા’ એવું લખશો નહિ, પણ એવું લખો કે તેણે કહ્યું, ‘હું યહુદીઓનો રાજા છું.’” પણ, પીલાત ફરીથી તેઓના હાથની કઠપૂતળી બનવા માંગતો ન હતો, એટલે તેણે જવાબ આપ્યો: “મેં જે લખ્યું, એ લખ્યું.”—યોહાન ૧૯:૧૯-૨૨.

      આમ, ગુસ્સે થયેલા યાજકોએ એ ખોટી જુબાની વિશે ફરીથી જણાવ્યું, જે યહુદી ન્યાયસભામાં મુકદ્દમા દરમિયાન આપવામાં આવી હતી. એટલે જ, ત્યાંથી પસાર થનારાઓએ પોતાના માથા હલાવીને તેમની મશ્કરી કરતા કહ્યું: “વાહ! તું એ જ છે ને, જે મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં એને બાંધવાનો હતો; હવે, વધસ્તંભ પરથી નીચે આવીને પોતાને બચાવ.” મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પણ એકબીજાને કહેવા લાગ્યા: “હવે ઇઝરાયેલના રાજા, ખ્રિસ્ત વધસ્તંભ પરથી નીચે આવે, જેથી અમે જોઈએ અને શ્રદ્ધા મૂકીએ.” (માર્ક ૧૫:૨૯-૩૨) ઈસુની ડાબે અને જમણે સજા પામેલા લુટારાઓએ પણ તેમનું અપમાન કર્યું. ઈસુ એકલા જ નિર્દોષ હતા, તોપણ તેમની સાથે કેવો ખરાબ વર્તાવ થયો!

      ચાર રોમન સૈનિકોએ પણ ઈસુની મજાક કરી. તેઓ એ સમયે કદાચ ખાટો દ્રાક્ષદારૂ પી રહ્યા હતા. ઈસુ જાતે લઈ શકે એમ ન હતા છતાં, તેઓ તેમની આગળ દ્રાક્ષદારૂ ધરીને મશ્કરી કરવા લાગ્યા. ઈસુના વધસ્તંભે લગાવેલી તકતી વિશે રોમનો મજાક કરવા લાગ્યા: “જો તું યહુદીઓનો રાજા હોય તો પોતાને બચાવ.” (લુક ૨૩:૩૬, ૩૭) જરા વિચારો! જેમણે સાબિત કર્યું હતું કે, પોતે માર્ગ અને સત્ય અને જીવન છે, એવા નિર્દોષ માણસ સાથે ખરાબ વ્યવહાર થઈ રહ્યો હતો અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા. છતાં, તેમણે શાંતિથી એ બધું સહન કર્યું. તેમને જોઈ રહેલા યહુદીઓ, તેમની મશ્કરી કરતા રોમન સૈનિકો કે તેમની આજુબાજુ વધસ્તંભે જડેલા બે ગુનેગારોને તેમણે ઠપકો આપ્યો નહિ.

      ઈસુના ઝભ્ભા માટે સૈનિકો ચિઠ્ઠીઓ નાખે છે

      ચાર સૈનિકોએ ઈસુનાં કપડાં લીધાં અને એના ચાર ભાગ કર્યાં. કોને કયો ભાગ મળે એ નક્કી કરવા તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ઈસુનો અંદરનો ઝભ્ભો સારા કાપડનો બનેલો હતો. એ “કોઈ સાંધા વગર, ઉપરથી નીચે સુધી વણીને બનાવેલો હતો.” સૈનિકોએ એકબીજાને કહ્યું: “આપણે આને ફાડવો નથી, ચાલો ચિઠ્ઠીઓ નાખીએ અને નક્કી કરીએ કે એ કોને મળશે.” આમ, તેઓએ આ ભવિષ્યવાણી પૂરી કરી: “તેઓએ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને તેઓએ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખી.”—યોહાન ૧૯:૨૩, ૨૪; ગીતશાસ્ત્ર ૨૨:૧૮.

      થોડા સમય પછી, એક ગુનેગારને ખ્યાલ આવ્યો કે ઈસુ જ રાજા છે. તેણે પોતાના સાથી ગુનેગારને આમ કહીને ઠપકો આપ્યો: “તું તેના જેવી જ શિક્ષા ભોગવી રહ્યો છે, તોપણ તને ઈશ્વરનો જરાય ડર નથી? અને આપણી સજા વાજબી છે, કેમ કે આપણે જે કર્યું એનાં ફળ ભોગવીએ છીએ; પણ આ માણસે કંઈ ખોટું કર્યું નથી.” પછી, તેણે ઈસુને અરજ કરી: “તમે તમારા રાજ્યમાં આવો ત્યારે, મને યાદ કરજો.”—લુક ૨૩:૪૦-૪૨.

      ઈસુએ જવાબ આપ્યો: ‘સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે હોઈશ,’ રાજ્યમાં નહિ પણ “જીવનના બાગમાં.” (લુક ૨૩:૪૩) ઈસુએ પોતાના પ્રેરિતોને આપેલા વચન કરતાં આ અલગ હતું. તેમણે પ્રેરિતોને વચન આપ્યું હતું કે, રાજ્યમાં તેઓ તેમની સાથે રાજ્યાસન પર બેસશે. (માથ્થી ૧૯:૨૮; લુક ૨૨:૨૯, ૩૦) યહોવાએ શરૂઆતમાં આદમ, હવા અને તેઓના વંશજોના રહેવા માટે પૃથ્વી પર સુંદર બાગ બનાવ્યો હતો. આ યહુદી ગુનેગારે એ વિશે સાંભળ્યું હોવું જોઈએ. હવે, આ લુટારો એ સુંદર બાગમાં જીવવાની આશા સાથે મરણ પામવાનો હતો.

      • ઈસુને દ્રાક્ષદારૂ આપવામાં આવ્યો ત્યારે, તેમણે કેમ ના પાડી?

      • ઈસુના વધસ્તંભ પર કઈ તકતી લગાડવામાં આવી? એ જોઈને યહુદીઓ પર કેવી અસર પડી?

      • ઈસુનાં કપડાં સાથે જે થયું, એનાથી કઈ રીતે ભવિષ્યવાણી પૂરી થઈ?

      • એક ગુનેગારને ઈસુએ કઈ આશા આપી?

  • “ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો”
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • બે ગુનેગારોની સાથે વધસ્તંભે ચડાવવામાં આવેલા ઈસુનું મરણ થયું પછી, એક લશ્કરી અધિકારી કહે છે: “ખરેખર, આ માણસ ઈશ્વરનો દીકરો હતો”

      પ્રકરણ ૧૩૨

      “ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો”

      માથ્થી ૨૭:૪૫-૫૬ માર્ક ૧૫:૩૩-૪૧ લુક ૨૩:૪૪-૪૯ યોહાન ૧૯:૨૫-૩૦

      • ઈસુ વધસ્તંભ પર મરણ પામે છે

      • ઈસુના મરણ સમયે અદ્‍ભુત ઘટનાઓ

      હવે, બપોરના “બારેક વાગ્યા” હતા. “આખા દેશમાં અંધારું છવાઈ ગયું, જે બપોરના ત્રણેક વાગ્યા સુધી રહ્યું.” (માર્ક ૧૫:૩૩) એ ભયાવહ અંધારું કંઈ સૂર્યગ્રહણને લીધે ન હતું. સૂર્યગ્રહણ અમાસ પછીના પહેલા દિવસે થાય છે. પણ, ત્યારે તો પાસ્ખાનો સમયગાળો હતો, જ્યારે પૂનમ હોય છે. ગ્રહણ વખતે થતા અંધારા કરતાં, આ અંધારું લાંબો સમય રહ્યું. એનો અર્થ એમ કે, એ ઈશ્વર તરફથી હતું!

      જરા વિચારો, ઈસુની મશ્કરી કરનારાઓની એ સમયે કેવી હાલત થઈ હશે! એ અંધારામાં ચાર સ્ત્રીઓ વધસ્તંભ પાસે ગઈ. તેઓ ઈસુની મા, શલોમી, મરિયમ માગદાલેણ અને નાના યાકૂબની મા મરિયમ હતી.

      “વધસ્તંભ” નજીક, પ્રેરિત યોહાન સાથે ઊભેલી ઈસુની મા રડી રહી હતી. પોતાની કૂખે જન્મ લેનાર અને પોતે પાળીને મોટા કરેલા દીકરાને મરિયમ વધસ્તંભે રિબાતા જોઈ રહી હતી. એ તો જાણે ‘લાંબી તલવાર’ આરપાર નીકળી ગઈ હોય, એવી મરિયમની હાલત હતી. (યોહાન ૧૯:૨૫; લુક ૨:૩૫) ઈસુને અસહ્ય પીડા થતી હોવા છતાં, તે પોતાની મા વિશે વિચારી રહ્યા હતા. તેમણે યોહાન તરફ માથાથી ઇશારો કરીને મરિયમને કહ્યું: “મા, તે હવેથી તારો દીકરો છે.” પછી, મરિયમ તરફ ઇશારો કરીને તેમણે યોહાનને કહ્યું: “તે હવેથી તારી મા છે.”—યોહાન ૧૯:૨૬, ૨૭.

      ઈસુની મા વિધવા હોવાથી, તેમણે તેની સંભાળ રાખવાનું કામ પોતાના વહાલા પ્રેરિતને સોંપ્યું. ઈસુ જાણતા હતા કે મરિયમના બીજા દીકરાઓ, એટલે કે પોતાના સાવકા ભાઈઓએ હજી તેમનામાં શ્રદ્ધા નહોતી મૂકી. એટલે, તેમણે માતાની દેખરેખ રાખવા તેમજ ભક્તિને લગતી જરૂરિયાતો પૂરી પાડવા ગોઠવણો કરી. કેટલું સરસ ઉદાહરણ!

      બપોરે ત્રણેક વાગ્યે ઈસુએ કહ્યું: “મને તરસ લાગી છે.” તેમના એ શબ્દોમાં શાસ્ત્રવચન પૂરું થયું. (યોહાન ૧૯:૨૮; ગીતશાસ્ત્ર ૨૨:૧૫) ઈસુએ અનુભવ્યું કે, પોતાની વફાદારીની પૂરી કસોટી થાય એ માટે પિતાએ તેમના પરથી રક્ષણ હટાવી દીધું છે. પછી, ખ્રિસ્ત પોકારી ઊઠ્યા: “એલી, એલી, લામા સાબાખ્થાની?” તે કદાચ ગાલીલી બોલીમાં એ અરામિક શબ્દો બોલ્યા હતા, જેનો અર્થ થાય, “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?” ત્યાં ઊભેલા અમુક લોકો એ બરાબર સમજ્યા નહિ, તેઓ કહેવા લાગ્યા: “જુઓ! તે એલિયાને બોલાવે છે.” ત્યારે તેઓમાંથી કોઈ દોડીને ગયો અને ખાટા દ્રાક્ષદારૂમાં વાદળી બોળીને લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપી. પણ બીજાઓએ કહ્યું: “તેને રહેવા દો! આપણે જોઈએ કે એલિયા તેને નીચે ઉતારવા આવે છે કે નહિ.”—માર્ક ૧૫:૩૪-૩૬.

      પછી, ઈસુ પોકારી ઊઠ્યા: “બધું પૂરું થયું છે!” (યોહાન ૧૯:૩૦) હા, તેમના પિતાએ જે કામ માટે પૃથ્વી પર મોકલ્યા હતા, એ બધું તેમણે પૂરું કર્યું. છેલ્લે, ઈસુએ કહ્યું: “હે પિતા, હું મારું જીવન તમારા હાથમાં સોંપું છું.” (લુક ૨૩:૪૬) તેમને ખાતરી હતી કે ઈશ્વર તેમને સજીવન કરશે. આ રીતે, ઈશ્વરમાં અપાર ભરોસો રાખીને ખ્રિસ્તે પોતાની ડોક ઢાળી દીધી અને તે મરણ પામ્યા. આમ, ઈસુએ પોતાનું જીવન યહોવાને સોંપી દીધું.

      ત્યારે ભારે ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા. એ ધરતીકંપ એટલો જબરજસ્ત હતો કે યરૂશાલેમની બહાર આવેલી કબરો ખુલી ગઈ અને એમાંથી શબ બહાર ફેંકાયાં. ત્યાંથી પસાર થનારાઓએ એ શબ જોયાં. તેઓ “પવિત્ર શહેરમાં” આવ્યા ત્યારે, પોતે જે જોયું હતું એની સાક્ષી આપી.—માથ્થી ૧૨:૧૧; ૨૭:૫૧-૫૩.

      જ્યારે ઈસુ મરણ પામ્યા, ત્યારે ઈશ્વરના મંદિરમાં પવિત્ર અને પરમ પવિત્રને અલગ પાડતો લાંબો અને ભારે પડદો બે ભાગમાં, ઉપરથી નીચે સુધી ચિરાઈ ગયો. આ અદ્‍ભુત ઘટના બતાવતી હતી કે, પોતાના દીકરાને મારી નાખનારાઓ પર ઈશ્વર ગુસ્સે છે તેમજ પરમ પવિત્ર જગ્યા, સ્વર્ગમાં જવું હવે શક્ય બન્યું છે.—હિબ્રૂઓ ૯:૨, ૩; ૧૦:૧૯, ૨૦.

      દેખીતું છે કે લોકો ઘણા ગભરાયા. ત્યાં ફરજ પર ઊભેલા લશ્કરી અધિકારીએ કહ્યું: “ખરેખર, આ માણસ ઈશ્વરનો દીકરો હતો.” (માર્ક ૧૫:૩૯) પીલાત આગળ ચાલેલા મુકદ્દમામાં ઈસુ સાચે જ ઈશ્વરના દીકરા છે કે નહિ, એની ચર્ચા થતી હતી ત્યારે કદાચ એ અધિકારી ત્યાં હાજર હતો. હવે, તેને પૂરી ખાતરી થઈ કે ઈસુ નેક હતા, ઈશ્વરના દીકરા હતા.

      આ અદ્‍ભુત ઘટનાઓથી સ્તબ્ધ થઈ ગયેલા લોકો “છાતી કૂટતા” ઘરે પાછા ફર્યા. આ રીતે તેઓ શોક અને શરમ વ્યક્ત કરી રહ્યા હતા. (લુક ૨૩:૪૮) દૂરથી આ બધું જોઈ રહેલાઓમાં ઈસુની ઘણી શિષ્યાઓ હતી. તેઓએ તેમની સાથે કેટલીક વાર મુસાફરી કરી હતી. આ મહત્ત્વની ઘટનાઓની તેઓ પર પણ ઊંડી છાપ પડી હતી.

      “વધસ્તંભે ચડાવો”

      ઈસુના દુશ્મનોએ બૂમો પાડી: “તેને વધસ્તંભે ચડાવો!” (યોહાન ૧૯:૧૫) ખુશખબરનાં પુસ્તકોમાં “સ્તંભ” માટે વપરાયેલો ગ્રીક શબ્દ સ્ટાવરોસ છે. હિસ્ટ્રીસ ઑફ ધ ક્રોસ નામનું પુસ્તક જણાવે છે: ‘સ્ટાવરોસ એટલે “ઊભો થાંભલો,” ખેડૂતો વાડ બનાવવા માટે એવા મજબૂત થાંભલાઓને જમીનમાં લગાવતા.’

      • ત્રણ કલાકનું અંધારું સૂર્યગ્રહણને કારણે ન હતું, એમ શા માટે કહી શકાય?

      • વૃદ્ધ માતાપિતાની સંભાળ રાખવા વિશે ઈસુએ કેવું સુંદર ઉદાહરણ બેસાડ્યું?

      • ધરતીકંપના કારણે શું થયું અને મંદિરનો પડદો બે ભાગમાં ચિરાઈ ગયો એ શું બતાવતું હતું?

      • ઈસુના મરણથી અને ત્યાં બનેલી ઘટનાઓથી લોકો પર શું અસર પડી?

  • ઈસુને દફનાવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુના શબને દફન માટે તૈયાર કરવામાં આવે છે

      પ્રકરણ ૧૩૩

      ઈસુને દફનાવે છે

      માથ્થી ૨૭:૫૭–૨૮:૨ માર્ક ૧૫:૪૨–૧૬:૪ લુક ૨૩:૫૦–૨૪:૩ યોહાન ૧૯:૩૧–૨૦:૧

      • ઈસુનું શબ વધસ્તંભ પરથી ઉતારવામાં આવે છે

      • શબને દફન માટે તૈયાર કરવામાં આવે છે

      • સ્ત્રીઓને કબર ખાલી જોવા મળે છે

      નીસાન ૧૪, શુક્રવારની મોડી બપોર થઈ હતી. સૂર્ય આથમે પછી નીસાન ૧૫નો સાબ્બાથ શરૂ થવાનો હતો. ઈસુ મરણ પામ્યા હતા, પણ તેમની આજુબાજુ બંને લુટારાઓ હજુ જીવતા હતા. નિયમશાસ્ત્ર પ્રમાણે, શબને “આખી રાત” વધસ્તંભ પર રાખવામાં આવતું ન હતું, પણ ‘એ જ દિવસે એને દાટી’ દેવામાં આવતું હતું.—પુનર્નિયમ ૨૧:૨૨, ૨૩.

      વધુમાં, શુક્રવાર બપોરનો સમય તૈયારીનો સમય કહેવાતો. ત્યારે લોકો ભોજન તૈયાર કરતા અને એ બધાં કામો પૂરાં કરતાં જે સાબ્બાથે થઈ શકતાં ન હતાં. સૂર્ય આથમે ત્યારે, “મોટો” સાબ્બાથ શરૂ થવાનો હતો. (યોહાન ૧૯:૩૧) સાત દિવસના બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ નીસાન ૧૫ હતો અને પહેલો દિવસ હંમેશાં સાબ્બાથ તરીકે ગણાતો. (લેવીય ૨૩:૫, ૬) આ વખતે તહેવારનો પહેલો દિવસ, અઠવાડિયાના સાતમા દિવસે, એટલે કે સાબ્બાથના દિવસે આવતો હતો. એટલે, એ મોટો સાબ્બાથ કહેવાતો.

      તેથી, યહુદીઓએ પીલાતને જણાવ્યું કે ઈસુ અને તેમની આજુબાજુના લુટારાઓને જલદી મારી નાખે. કઈ રીતે? તેઓના પગ ભાંગીને. પગ એટલે ભાંગવામાં આવતા, જેથી પગ દ્વારા શરીરને ઊંચું કરીને શ્વાસ લેવો અશક્ય થઈ જાય. સૈનિકોએ આવીને બંને લુટારાઓના પગ ભાંગી નાખ્યા. પરંતુ, તેઓએ જોયું કે ઈસુ મરણ પામ્યા છે, એટલે તેમના પગ ભાંગ્યા નહિ. આમ, ગીતશાસ્ત્ર ૩૪:૨૦ની ભવિષ્યવાણી પૂરી થઈ: “તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.”

      ઈસુ મરણ પામ્યા છે કે નહિ, એની ખાતરી કરવા એક સૈનિકે ઈસુના પડખામાં, હૃદય નજીક ભાલો ઘોંચ્યો. “તરત જ લોહી અને પાણી વહી નીકળ્યાં.” (યોહાન ૧૯:૩૪) આમ, બીજું શાસ્ત્રવચન પણ પૂરું થયું: “જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે.”—ઝખાર્યા ૧૨:૧૦.

      ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, અરિમથાઈના યુસફ પણ હાજર હતા. તે “ધનવાન માણસ” હતા અને યહુદી ન્યાયસભામાં સારી શાખ ધરાવતા સભ્ય હતા. (માથ્થી ૨૭:૫૭) ‘તે ભલા અને નેક હતા, જે ઈશ્વરના રાજ્યની રાહ જોતા હતા.’ હકીકતમાં, તે ‘ઈસુના શિષ્ય હતા, પણ યહુદીઓથી બીતા હોવાથી એ વાત છુપાવતા હતા.’ ઈસુ વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમણે ટેકો આપ્યો ન હતો. (લુક ૨૩:૫૦; માર્ક ૧૫:૪૩; યોહાન ૧૯:૩૮) યુસફે હિંમત કરીને પીલાત પાસે ઈસુનું શબ માંગ્યું. પીલાતે ફરજ પરના લશ્કરી અધિકારીને બોલાવીને ખાતરી કરી કે ઈસુ મરણ પામ્યા છે. પછી, તેણે ઈસુનું શબ લઈ જવાની યુસફને મંજૂરી આપી.

      યુસફ ચોખ્ખું અને સરસ શણનું કપડું ખરીદી લાવ્યા અને ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતાર્યું. તેમણે ઈસુના શબને દફનની તૈયારીરૂપે શણના કાપડમાં લપેટ્યું. નિકોદેમસે પણ તૈયારીમાં મદદ કરી, જે ‘પહેલી વાર ઈસુને મળવા રાતે આવ્યા હતા.’ (યોહાન ૧૯:૩૯) તે આશરે ૩૦ કિલોગ્રામ સુગંધી દ્રવ્યો અને અગરનું કીમતી મિશ્રણ લઈને આવ્યા હતા. યહુદીઓની દફનવિધિના રિવાજ પ્રમાણે, આ મિશ્રણની પટ્ટીઓ ઈસુના શબ પર લપેટવામાં આવી.

      યુસફ પાસે નજીકના વિસ્તારમાં ખડકમાં ખોદેલી એક નવી કબર હતી. ઈસુના શબને એમાં મૂકવામાં આવ્યું. પછી, એક મોટો પથ્થર ગબડાવીને કબરના મુખ પર મૂકવામાં આવ્યો. સાબ્બાથ શરૂ થતા પહેલાં દફનવિધિ પતી જાય, એ માટે બધું ઝડપથી કરવામાં આવ્યું. મરિયમ માગદાલેણ અને નાના યાકૂબની મા મરિયમે ઈસુના શબને દફન માટે તૈયાર કરવામાં મદદ કરી હોય શકે. તેઓ “સુગંધી દ્રવ્યો અને સુગંધી તેલ તૈયાર કરવા” ઝડપથી ઘરે ગઈ, જેથી સાબ્બાથ પછી ઈસુના શબ પર એ લગાવી શકાય.—લુક ૨૩:૫૬.

      એ પછીના દિવસે સાબ્બાથ હતો. મુખ્ય યાજકો અને ફરોશીઓ પીલાત પાસે ગયા અને કહ્યું: “અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી મને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’ તેથી, હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય અને લોકોને કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ અને આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.” પીલાતે કહ્યું: “ચોકીદારો લઈ જાઓ. તમારાથી થાય એટલો કડક પહેરો રાખો.”—માથ્થી ૨૭:૬૩-૬૫.

      રવિવારની એકદમ વહેલી સવારે મરિયમ માગદાલેણ, યાકૂબની મા મરિયમ અને બીજી સ્ત્રીઓ ઈસુના શબને મિશ્રણ લગાડવા કબર પાસે આવી. તેઓ એકબીજાને કહેતી હતી: “આપણા માટે કબરના મુખ પરથી પથ્થર કોણ ગબડાવશે?” (માર્ક ૧૬:૩) પરંતુ, ધરતીકંપ થયો હતો. વધુમાં, ઈશ્વરના દૂતે પથ્થર ખસેડી દીધો હતો, ચોકીદારો જતાં રહ્યા હતા અને કબર ખાલી દેખાતી હતી!

      • શુક્રવાર કેમ તૈયારીનો દિવસ ગણાતો અને સાબ્બાથનો એ દિવસ કેમ “મોટો” કહેવાતો?

      • યુસફ અને નિકોદેમસે ઈસુના દફન માટે શું કર્યું અને તેઓનો ઈસુ સાથે શો સંબંધ હતો?

      • યાજકો શું કરવા માંગતા હતા અને રવિવારની વહેલી સવારે શું બન્યું?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો