વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ખાલી કબર—ઈસુ જીવતા છે!
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુની કબર ખાલી જોઈને સ્ત્રીઓને આંચકો લાગે છે

      પ્રકરણ ૧૩૪

      ખાલી કબર—ઈસુ જીવતા છે!

      માથ્થી ૨૮:૩-૧૫ માર્ક ૧૬:૫-૮ લુક ૨૪:૪-૧૨ યોહાન ૨૦:૨-૧૮

      • ઈસુને સજીવન કરવામાં આવે છે

      • ઈસુની કબરે બનેલા પ્રસંગો

      • અલગ અલગ સ્ત્રીઓને તે દેખાય છે

      કબર ખાલી જોઈને સ્ત્રીઓને કેટલો મોટો આંચકો લાગ્યો હશે! મરિયમ માગદાલેણ દોડતી દોડતી ‘સિમોન પીતર અને બીજા એક શિષ્ય પાસે આવી, જે ઈસુને વહાલા હતા.’ એ પ્રેરિત યોહાન હતા. (યોહાન ૨૦:૨) પણ, કબર પાસે ઊભેલી બીજી સ્ત્રીઓને એક દૂત દેખાયો. કબરમાં બીજો એક દૂત પણ હતો, જેણે “સફેદ ઝભ્ભો” પહેરેલો હતો.—માર્ક ૧૬:૫.

      એક દૂતે તેઓને કહ્યું: “ગભરાશો નહિ, કેમ કે હું જાણું છું કે તમે ઈસુને શોધો છો, જેમને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતા. તે અહીં નથી, કેમ કે તેમણે કહ્યું હતું એમ, તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. આવો, તેમનું શબ જ્યાં હતું એ જગ્યા જુઓ. જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો કે તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે; જુઓ! તે તમારી આગળ ગાલીલમાં જાય છે.” (માથ્થી ૨૮:૫-૭) એટલે, “ડરથી ધ્રૂજતી અને દંગ રહી ગયેલી” સ્ત્રીઓ એ વિશે શિષ્યોને કહેવા દોડી ગઈ.—માર્ક ૧૬:૮.

      મરિયમ ત્યાં સુધીમાં પીતર અને યોહાન પાસે પહોંચી ગઈ હતી. હાંફતાં હાંફતાં તેણે કહ્યું: “તેઓ પ્રભુને કબરમાંથી લઈ ગયા છે અને અમને ખબર નથી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે.” (યોહાન ૨૦:૨) એ સાંભળીને પીતર અને યોહાને દોટ મૂકી. યોહાનની ઝડપ વધારે હોવાથી, તે કબરે પહેલા પહોંચ્યા. તેમણે અંદર જોયું તો, શણની પટ્ટીઓ પડી હતી. પણ, તે બહાર જ ઊભા રહ્યા.

      પીતર આવ્યા ત્યારે તે સીધા અંદર ધસી ગયા. તેમણે શણનાં કપડાં અને ઈસુના માથા પર વીંટાળ્યું હતું, એ કપડું જોયું. પછી, યોહાન પણ અંદર ગયા અને તેમને મરિયમની વાત પર ભરોસો બેઠો. ઈસુએ તેઓને અગાઉ કહ્યું હતું, છતાં એ બંનેને ખ્યાલ ન આવ્યો કે ઈસુ સજીવન થયા છે. (માથ્થી ૧૬:૨૧) તેઓ મૂંઝાઈ ગયા અને ઘરે ગયા. પણ, કબર પાસે પાછી આવેલી મરિયમ ત્યાં જ ઊભી રહી.

      ઈસુ સજીવન થયા છે, એ સમાચાર શિષ્યોને આપવા નીકળેલી બીજી સ્ત્રીઓ હજી રસ્તામાં હતી. તેઓ દોડી રહી હતી ત્યારે, ઈસુ તેઓને મળ્યા અને કહ્યું: “સલામ!” તેઓ તેમના પગે પડી અને “તેમને પ્રણામ કર્યા.” એટલે, ઈસુએ તેઓને કહ્યું: “ડરો નહિ! જાઓ, મારા ભાઈઓને ખબર આપો, જેથી તેઓ ગાલીલ જાય અને ત્યાં તેઓ મને જોશે.”—માથ્થી ૨૮:૯, ૧૦.

      જ્યારે ધરતીકંપ થયો અને દૂતો દેખાયા, ત્યારે કબરે ચોકી કરતા સૈનિકો ‘ડરથી ધ્રૂજી ઊઠ્યા હતા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા હતા.’ તેઓ હોશમાં આવ્યા ત્યારે, શહેરમાં ગયા અને “જે કંઈ બન્યું હતું એ બધું મુખ્ય યાજકોને જણાવ્યું.” યાજકોએ પછી યહુદીઓના વડીલો સાથે ચર્ચા કરી. છેવટે, આખી વાત છુપાવવા માટે અને આવું કહેવા માટે સૈનિકોને પૈસા આપવાનું નક્કી થયું: “રાતે તેના શિષ્યો આવ્યા અને અમે ઊંઘતા હતા ત્યારે તેનું શબ ચોરી ગયા.”—માથ્થી ૨૮:૪, ૧૧, ૧૩.

      રોમન સૈનિકો ફરજ પર ઊંઘતા હોય તો, તેઓને મોતની સજા થઈ શકતી. એટલે, યાજકોએ વચન આપ્યું: “જો આ વાત [તેઓ ઊંઘતા હતા, એવી જૂઠી વાત] રાજ્યપાલને કાને પડશે, તો અમે તેને સમજાવી દઈશું અને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.” (માથ્થી ૨૮:૧૪) સૈનિકોએ પૈસા લઈને યાજકોના કહ્યા પ્રમાણે કર્યું. આમ, યહુદીઓમાં એવી ખોટી વાત ફેલાઈ ગઈ કે ઈસુનું શબ ચોરાઈ ગયું હતું.

      મરિયમ માગદાલેણ હજી કબરે રડી રહી હતી. તેણે કબરમાં ડોકિયું કર્યું ત્યારે, સફેદ કપડાંમાં બે દૂતો દેખાયા! ઈસુનું શબ જે જગ્યાએ મૂક્યું હતું, ત્યાં તેઓ બેઠા હતા, એક દૂત માથા તરફ અને એક દૂત પગ તરફ. તેઓએ પૂછ્યું, “હે સ્ત્રી, તું કેમ રડે છે?” મરિયમે જવાબ આપ્યો: “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને મને ખબર નથી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે.” એમ કહીને તે પાછળ ફરી તો તેણે કોઈકને ઊભેલા જોયા. દૂતોએ પૂછેલો સવાલ તેમણે પણ પૂછ્યો. પછી, તેમણે કહ્યું: “તું કોને શોધે છે?” મરિયમને થયું કે તે માળી હશે, એટલે તેણે કહ્યું: “ભાઈ, જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તમે તેમને ક્યાં મૂક્યા છે અને હું તેમને લઈ જઈશ.”—યોહાન ૨૦:૧૩-૧૫.

      મરિયમ વાત કરી રહી હતી, એ વ્યક્તિ સજીવન થયેલા ઈસુ હતા. પણ, એ સમયે તે તેમને ઓળખી ન શકી. જોકે, જ્યારે ઈસુએ કહ્યું, “મરિયમ!” ત્યારે તેમની બોલવાની છટાથી તેને ખ્યાલ આવ્યો કે તે ઈસુ છે. મરિયમ ખુશીથી પોકારી ઊઠી, “રાબ્બોની!” (જેનો અર્થ થાય, “ગુરુજી!”) તેને લાગ્યું કે ઈસુ સ્વર્ગમાં જતાં રહેશે, એટલે તેણે તેમને પકડી લીધા. પણ, ઈસુએ તેને વિનંતી કરી: “મને પકડી ન રાખ, કેમ કે હું હજુ પિતા પાસે ગયો નથી. પણ, મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જાઉં છું.’”—યોહાન ૨૦:૧૬, ૧૭.

      મરિયમ દોડીને એ જગ્યાએ ગઈ, જ્યાં પ્રેરિતો અને બીજા શિષ્યો ભેગા થયા હતા. તેણે તેઓને કહ્યું: “મેં પ્રભુને જોયા છે!” આમ, બીજી સ્ત્રીઓ પાસેથી તેઓએ જે સાંભળ્યું હતું એમાં મરિયમની વાત પણ ઉમેરાઈ. (યોહાન ૨૦:૧૮) છતાં, એ વાતો “તેઓને નકામી લાગી.”—લુક ૨૪:૧૧.

      • મરિયમ માગદાલેણે કબર ખાલી જોઈ ત્યારે તેણે શું કર્યું અને બીજી સ્ત્રીઓ સાથે શું થયું?

      • કબર ખાલી જોઈને પીતર અને યોહાને શું કર્યું?

      • બીજી સ્ત્રીઓ શિષ્યોને મળવા જતી હતી ત્યારે, તેઓને રસ્તામાં કોણ મળ્યું અને મરિયમ માગદાલેણ ફરીથી કબરે ગઈ ત્યારે શું થયું?

      • સ્ત્રીઓએ જણાવેલી વાતો શિષ્યોને કેવી લાગી?

  • જીવતા થયેલા ઈસુ ઘણાને દેખાય છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • સજીવન થયેલા ઈસુ થોમાને દેખાય છે

      પ્રકરણ ૧૩૫

      જીવતા થયેલા ઈસુ ઘણાને દેખાય છે

      લુક ૨૪:૧૩-૪૯ યોહાન ૨૦:૧૯-૨૯

      • એમ્મોસ જતાં રસ્તે ઈસુ દેખાય છે

      • તે પોતાના શિષ્યોને વારંવાર શાસ્ત્રવચનો જણાવે છે

      • થોમાની શંકા દૂર થાય છે

      રવિવાર, નીસાન ૧૬ના રોજ શિષ્યો ખૂબ દુઃખી હતા. તેઓને ખાલી કબરનો અર્થ સમજાતો ન હતો. (માથ્થી ૨૮:૯, ૧૦; લુક ૨૪:૧૧) પછી, એ દિવસે મોડે ક્લિયોપાસ અને બીજા એક શિષ્ય યરૂશાલેમથી એમ્મોસ જવા નીકળ્યા, જે લગભગ ૧૧ કિલોમીટર દૂર આવેલું હતું.

      જે બધું બન્યું હતું, એ વિશે તેઓ ચાલતાં ચાલતાં વાત કરતા હતા. પછી, એક અજાણી વ્યક્તિ તેઓ સાથે ચાલવા લાગી અને પૂછ્યું: “તમે ચાલતાં ચાલતાં એકબીજા સાથે શેના વિશે ઊંડી ચર્ચા કરો છો?” ક્લિયોપાસે જવાબમાં કહ્યું: “શું તું યરૂશાલેમમાં રહેનારો કોઈ પરદેશી છે અને આ દિવસોમાં ત્યાં જે બન્યું એ વિશે તને કંઈ ખબર નથી?” અજાણી વ્યક્તિએ પૂછ્યું: “શું બન્યું હતું?”—લુક ૨૪:૧૭-૧૯.

      તેઓએ કહ્યું: ‘નાઝરેથના ઈસુ સાથે જે બન્યું એ. અમે આશા રાખતા હતા કે આ એ જ માણસ છે, જે ઇઝરાયેલને બચાવશે.’—લુક ૨૪:૧૯-૨૧.

      ક્લિયોપાસ અને તેમના સાથી જણાવવા લાગ્યા કે એ દિવસે શું થયું હતું. તેઓએ કહ્યું કે ઈસુને દફનાવ્યા હતા એ કબરે અમુક સ્ત્રીઓ ગઈ હતી, પણ તેઓને કબર ખાલી જોવા મળી; સ્ત્રીઓને ત્યાં એક અદ્‍ભુત દૃશ્ય જોવા મળ્યું; દૂતોએ તેઓને દર્શન આપ્યું અને કહ્યું કે ઈસુ જીવતા છે. ક્લિયોપાસ અને તેમના સાથીએ જણાવ્યું કે બીજાઓ પણ એ કબરે ગયા હતા અને “જેવું સ્ત્રીઓએ કહ્યું હતું, એવું તેઓને જોવા મળ્યું.”—લુક ૨૪:૨૪.

      જે કંઈ બન્યું હતું એનાથી બંને શિષ્યો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. પછી, અજાણી વ્યક્તિએ અધિકારથી તેઓના એ ખોટા વિચારોને સુધાર્યા, જે તેઓના દિલને અસર કરતા હતા: “ઓ અણસમજુઓ અને પ્રબોધકોએ કહેલી બધી વાતો માનવામાં ઢીલ કરનારાઓ! ખ્રિસ્ત માટે શું એ જરૂરી ન હતું કે તે આ બધું સહન કરે અને પોતાના મહિમામાં પ્રવેશે?” (લુક ૨૪:૨૫, ૨૬) તે તેઓને ખ્રિસ્ત વિશે શાસ્ત્રવચનોમાં લખેલી વાતો સમજાવવા લાગ્યા.

      આખરે તેઓ એમ્મોસ આવી પહોંચ્યા. બે શિષ્યો વધારે જાણવા માંગતા હતા, એટલે તેઓએ અજાણી વ્યક્તિને વિનંતી કરી: “અમારી સાથે રોકાઈ જા, કેમ કે સાંજ થવાની તૈયારી છે અને દિવસ પૂરો થવા આવ્યો છે.” તે રોકાવા સહમત થઈ અને તેઓએ સાથે ભોજન લીધું. અજાણી વ્યક્તિએ પ્રાર્થના કરીને રોટલી તોડી અને તેઓને આપી ત્યારે, તેઓને ખબર પડી કે, તે ઈસુ છે. પણ, પછી તે અદૃશ્ય થઈ ગયા. (લુક ૨૪:૨૯-૩૧) હવે, તેઓને પૂરી ખાતરી થઈ કે ઈસુ જીવતા છે!

      આ બે શિષ્યોએ જે અનુભવ કર્યો એ વિશે એકદમ આનંદિત થઈને કહ્યું: “રસ્તા પર તે આપણી સાથે વાત કરીને આપણને શાસ્ત્રવચનો સ્પષ્ટ રીતે સમજાવતા હતા ત્યારે, શું આપણા હૃદયમાં આનંદ છવાઈ ગયો ન હતો?” (લુક ૨૪:૩૨) તેઓ ઉતાવળે પાછા યરૂશાલેમ ગયા અને પ્રેરિતોને તથા બીજા શિષ્યોને મળ્યા. ક્લિયોપાસ અને તેમના સાથી કંઈક જણાવે એ પહેલાં, તેઓએ બીજાઓને આમ કહેતા સાંભળ્યા: “હકીકતમાં, પ્રભુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને તે સિમોનને દેખાયા છે!” (લુક ૨૪:૩૪) આ બે શિષ્યોએ પણ જણાવ્યું કે ઈસુ તેઓને કઈ રીતે દેખાયા હતા. તેઓએ પણ જીવતા થયેલા ઈસુને નરી આંખે જોયા હતા.

      પછી, એવું કંઈક બન્યું જેનાથી તેઓ બધા ચોંકી ગયા. ઈસુ તેઓને એ ઓરડામાં દેખાયા! આ તો અશક્ય હતું, કેમ કે તેઓએ યહુદીઓના ડરથી બારણાં બંધ કરી દીધાં હતાં. તોપણ, ઈસુ તેઓની વચ્ચે ઊભા હતા. તેમણે શાંત સ્વરે કહ્યું: “તમને શાંતિ થાઓ.” પણ તેઓ ડરી ગયા હતા. અગાઉથી જેમ, આ વખતે પણ “તેઓને લાગ્યું કે તેઓ કોઈ દૂતને જોઈ રહ્યા છે.”—લુક ૨૪:૩૬, ૩૭; માથ્થી ૧૪:૨૫-૨૭.

      તેઓ ધારે છે એવું નથી અથવા તેઓને કોઈ આભાસ નથી થઈ રહ્યો, એ સાબિત કરવા ઈસુએ તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યા. તેમણે કહ્યું: “તમે કેમ ડરી ગયા છો અને કેમ તમારા હૃદયોમાં શંકા ઊભી થાય છે? મારા હાથ અને પગ જુઓ, એ તો હું જ છું; મને અડકીને જુઓ, કેમ કે દૂતને હાડ-માંસ હોતા નથી, જ્યારે કે તમે જુઓ છો કે મને છે.” (લુક ૨૪:૩૬-૩૯) એનાથી તેઓની ખુશી અને નવાઈનો પાર ન રહ્યો. પણ, હજુ તેઓને કોઈ રીતે માનવામાં આવતું ન હતું કે એ ઈસુ છે.

      એટલે, તેઓને મદદ કરવા ઈસુએ પૂછ્યું: “શું અહીં તમારી પાસે ખાવા માટે કંઈ છે?” શિષ્યોએ તેમને શેકેલી માછલીનો ટુકડો આપ્યો. તેમણે એ લીધો અને ખાધો. પછી, તેમણે કહ્યું: “હું હજુ તમારી સાથે [મારા મરણ પહેલાં] હતો ત્યારે, મેં તમને આ શબ્દો કહ્યા હતા કે મુસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા વિશે લખેલી બધી વાતો પૂરી થવી જ જોઈએ.”—લુક ૨૪:૪૧-૪૪.

      ઈસુએ ક્લિયોપાસ અને તેમના સાથીને શાસ્ત્રવચનો સમજવા મદદ કરી હતી. તેમણે ત્યાં ભેગા થયેલા સર્વને પણ એ સમજવા મદદ કરી: “આમ લખેલું છે: ખ્રિસ્ત દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મરણમાંથી ઊઠશે અને યરૂશાલેમથી શરૂ કરીને આખી દુનિયામાં તેના નામને આધારે પાપોની માફી માટે પસ્તાવો કરવાનો પ્રચાર થશે. તમે આ વાતોના સાક્ષી થશો.”—લુક ૨૪:૪૬-૪૮.

      પ્રેરિત થોમા કોઈ કારણસર ત્યાં હાજર ન હતા. એ પછીના દિવસોમાં બીજાઓએ આનંદી થઈને તેમને કહ્યું: “અમે પ્રભુને જોયા છે!” પણ, થોમાએ જવાબમાં કહ્યું: “જ્યાં સુધી હું તેમના હાથમાં ખીલાના નિશાન ન જોઉં અને એમાં મારી આંગળી ન નાખું અને તેમના પડખામાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું ભરોસો કરવાનો જ નથી.”—યોહાન ૨૦:૨૫.

      આઠ દિવસ પછી, શિષ્યો પાછા બંધ બારણે ભેગા થયા. આ વખતે થોમા પણ ત્યાં હાજર હતા. ઈસુ તેઓની વચ્ચે માનવ શરીરમાં દેખાયા અને તેઓનું અભિવાદન કરતા કહ્યું: “તમને શાંતિ થાઓ.” પછી, થોમા તરફ ફરીને ઈસુએ કહ્યું: “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ મારા પડખામાં નાખ અને શંકા કરવાનું બંધ કર, પણ ભરોસો કર.” થોમા બોલી ઊઠ્યા: “મારા પ્રભુ, મારા ઈશ્વર!” (યોહાન ૨૦:૨૬-૨૮) તેમને હવે એવી કોઈ શંકા રહી ન હતી કે ઈસુ જીવતા છે અને શક્તિશાળી દૂત તરીકે યહોવા ઈશ્વરના પ્રતિનિધિ છે.

      ઈસુએ કહ્યું: “શું તેં મને જોયો એટલે તું ભરોસો કરે છે? જેઓ જોયા વગર ભરોસો કરે છે, તેઓ સુખી છે!”—યોહાન ૨૦:૨૯.

      • એમ્મોસ જતાં બે શિષ્યોને અજાણી વ્યક્તિએ શું પૂછ્યું?

      • શિષ્યોના હૃદયમાં શા માટે જલદી જ આનંદ છવાઈ ગયો?

      • ક્લિયોપાસ અને તેમના સાથી યરૂશાલેમ પાછા ગયા ત્યારે, તેઓને કેવા રોમાંચક સમાચાર સાંભળવા મળ્યા? એ પછી શું બન્યું?

      • થોમાને છેવટે કેવી રીતે ખાતરી થઈ કે ઈસુ જીવતા છે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો