વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોવાની ભવ્ય સેના
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • સિરિયાની સેનાએ એલિશા અને તેમના સેવકને ઘેરી લીધા છે

      પાઠ ૫૨

      યહોવાની ભવ્ય સેના

      સિરિયાનો રાજા બેન-હદાદ ઇઝરાયેલ પર વારંવાર હુમલો કરતો. પણ દર વખતે પ્રબોધક એલિશા ઇઝરાયેલના રાજાને પહેલેથી જ હુમલા વિશે જણાવી દેતા. એટલે ઇઝરાયેલના રાજા બચી જતા. બેન-હદાદે એલિશાને જ પકડી લેવાનું નક્કી કર્યું. તેને ખબર પડી કે એલિશા દોથાન શહેરમાં છે. એટલે તેણે એલિશાને પકડવા પોતાની સેના મોકલી.

      સિરિયાના સૈનિકો રાતે દોથાન પહોંચ્યા. બીજા દિવસે સવારે એલિશાનો સેવક બહાર નીકળ્યો. તેણે જોયું કે મોટી સેનાએ આખા શહેરને ઘેરી લીધું છે. તે ખૂબ જ ડરી ગયો. તેણે બૂમ પાડીને એલિશાને કહ્યું: ‘ગુરુજી, હવે આપણે શું કરીશું?’ એલિશાએ કહ્યું: ‘તેઓ સાથે જેટલા છે એના કરતાં આપણી સાથે વધારે છે!’ એ જ વખતે યહોવાએ એલિશાના સેવકને કંઈક બતાવ્યું. તેણે શહેરની ચારે બાજુ પહાડો પર આગ નીકળતી હોય એવા ઘોડાઓ અને રથો જોયા.

      એલિશા અને તેમના સેવક જુએ છે કે તેઓ ચારે બાજુથી દૂતોની સેનાથી ઘેરાયેલા છે

      સિરિયાના સૈનિકોએ એલિશાને પકડવાની કોશિશ કરી ત્યારે તેમણે પ્રાર્થના કરી: ‘હે યહોવા, તેઓને આંધળા કરી દો.’ અચાનક એવું બન્યું કે સૈનિકો જોઈ તો શકતા હતા, પણ તેઓને સમજાતું ન હતું કે તેઓ ક્યાં છે. એલિશાએ તેઓને કહ્યું: ‘તમે ખોટા શહેરમાં આવી ગયા છો. મારી સાથે ચાલો, હું તમને એ માણસ પાસે લઈ જઉં જેને તમે શોધી રહ્યા છો.’ તેઓ એલિશાની પાછળ પાછળ સમરૂન શહેર પહોંચ્યા. તેઓ ઇઝરાયેલના રાજા રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા.

      હવે સિરિયાના સૈનિકોને સમજાયું કે તેઓ ક્યાં છે. પણ ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું. ઇઝરાયેલના રાજાએ એલિશાને પૂછ્યું: ‘શું હું તેઓને મારી નાખું?’ એ વખતે શું એલિશાએ એવું વિચાર્યું કે આ લોકો પાસેથી બદલો લેવાનો સારો મોકો છે? ના! તેમણે તો રાજાને કહ્યું: ‘તેઓને મારી નાખશો નહિ. તેઓને ખવડાવી-પિવડાવીને ઘરે મોકલી દો.’ રાજાએ બધાને મોટી મિજબાની આપી. પછી તેઓને ઘરે મોકલી દીધા.

      સિરિયાના સૈનિકો સમરૂનમાં જમી રહ્યા છે

      “આપણને ભરોસો છે કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.”—૧ યોહાન ૫:૧૪

      સવાલ: યહોવાએ એલિશા અને તેમના સેવકને કઈ રીતે બચાવ્યા? શું યહોવા તમને પણ બચાવી શકે છે?

      ૨ રાજાઓ ૬:૮-૨૪

  • યહોયાદાએ હિંમત બતાવી
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • પ્રમુખ યાજક યહોયાદા નાના રાજા યહોઆશને લોકો આગળ લાવે છે

      પાઠ ૫૩

      યહોયાદાએ હિંમત બતાવી

      ઇઝેબેલની એક દીકરી હતી. તેનું નામ અથાલ્યા હતું. તે પણ તેની માની જેમ ખૂબ જ દુષ્ટ હતી. અથાલ્યાનું લગ્‍ન યહૂદાના રાજા સાથે થયું હતું. તેના પતિનું મરણ થયું એ પછી, તેનો દીકરો રાજ કરવા લાગ્યો. પણ તેના દીકરાના મરણ પછી, તે પોતે યહૂદા પર રાજ કરવા લાગી. તેણે આખા રાજવી કુટુંબનું નામનિશાન મિટાવવાની કોશિશ કરી. તેની જગ્યાએ રાજા બની શકે, એવા બધા પુરુષ અને છોકરાને મારી નાખવાની તેણે કોશિશ કરી. અરે, પોતાના પૌત્રોને પણ ન છોડ્યા. બધા લોકો તેનાથી ખૂબ ડરતા હતા.

      પ્રમુખ યાજક યહોયાદા અને તેમની પત્ની યહોશેબા જાણતાં હતાં કે અથાલ્યા દુષ્ટ કામો કરી રહી છે. તેઓએ પોતાનો જીવ જોખમમાં નાખીને અથાલ્યાના એક પૌત્રને બચાવી લીધો. એ તો હજુ દૂધ પીતું બાળક હતું. તેનું નામ યહોઆશ હતું. તેઓએ તેને મંદિરમાં સંતાડી દીધો અને ત્યાં જ તેનો ઉછેર કર્યો.

      યહોઆશ સાત વર્ષનો થયો ત્યારે, યહોયાદાએ બધા મુખીઓ અને લેવીઓને ભેગા કર્યા. તેમણે તેઓને કહ્યું: ‘મંદિરના દરવાજા પર ચોકી કરજો અને કોઈને પણ અંદર આવવા દેશો નહિ.’ પછી તેમણે યહોઆશને યહૂદાનો રાજા બનાવ્યો. તેમણે તેના માથા પર મુગટ મૂક્યો. યહૂદાના લોકો ખુશીથી પોકારવા લાગ્યા: ‘રાજા જુગ જુગ જીવો!’

      રાણી અથાલ્યા બૂમો પાડી રહી છે

      એ શોરબકોર સાંભળીને અથાલ્યા દોડીને મંદિરે આવી. જ્યારે તેણે નવા રાજાને જોયો ત્યારે તે બૂમો પાડવા લાગી: ‘આ તો દગો છે, દગો!’ મુખીઓ એ દુષ્ટ રાણીને પકડીને દૂર લઈ ગયા અને તેને મારી નાખી. પણ તેણે આખા રાજ્યમાં ફેલાવેલી બૂરાઈનું શું થયું?

      યહોયાદાએ આખા રાજ્યના લોકોને યહોવા સાથે એક કરાર કરવા મદદ કરી. એ કરારમાં તેઓએ ફક્ત યહોવાની જ ભક્તિ કરવાનું વચન આપ્યું. યહોયાદાના કહેવા પ્રમાણે લોકોએ બઆલનું મંદિર તોડી નાખ્યું અને મૂર્તિઓના ચૂરેચૂરા કરી નાખ્યા. લોકો ફરીથી મંદિરમાં ભક્તિ કરી શકે, એ માટે યહોયાદાએ યાજકો અને લેવીઓ નીમ્યા. મંદિરમાં કોઈ અશુદ્ધ વ્યક્તિ આવી ન જાય, એટલે તેમણે દરવાજે ચોકીદારો ગોઠવ્યા. પછી યહોયાદા અને મુખીઓ યહોઆશને મહેલમાં લઈ આવ્યા અને રાજગાદી પર બેસાડ્યો. યહૂદાના લોકોમાં આનંદ છવાઈ ગયો. આખરે તેઓ દુષ્ટ રાણી અથાલ્યા અને બઆલની ભક્તિમાંથી આઝાદ થયા. હવે તેઓ યહોવાની ભક્તિ કરી શકતા હતા. તમે જોયું, યહોયાદાએ બતાવેલી હિંમતથી કેટલા બધા લોકોને ફાયદો થયો?

      “જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિમાં મળનાર જીવન છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ. એના બદલે, જે તમારો નાશ ગેહેન્‍નામાં કરી શકે છે, તેમનાથી ડરો.”—માથ્થી ૧૦:૨૮

      સવાલ: યહોયાદાએ કઈ રીતે હિંમત બતાવી? શું યહોવા તમને હિંમત બતાવવા મદદ કરી શકે છે?

      ૨ રાજાઓ ૧૧:૧–૧૨:૧૨; ૨ કાળવૃત્તાંત ૨૧:૧-૬; ૨૨:૧૦-૧૨; ૨૩:૧–૨૪:૧૬

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો