વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એલિસાબેતને બાળક થયું
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • ઝખાર્યા સગાં-વહાલાં અને દોસ્તોને જણાવે છે કે તેમના દીકરાનું નામ યોહાન હશે

      પાઠ ૬૮

      એલિસાબેતને બાળક થયું

      યરૂશાલેમની દીવાલો ફરી બનાવી, એ વાતને ૪૦૦થી વધારે વર્ષ વીતી ગયાં હતાં. યરૂશાલેમ નજીક ઝખાર્યા નામના યાજક અને તેમની પત્ની એલિસાબેત રહેતાં હતાં. તેઓનાં લગ્‍નને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં, પણ તેઓને કોઈ બાળક ન હતું. એક દિવસ જ્યારે ઝખાર્યા મંદિરમાં પવિત્ર ધૂપ ચઢાવી રહ્યા હતા, ત્યારે તેમને ગાબ્રિયેલ નામના એક દૂત દેખાયા. ઝખાર્યા બહુ ગભરાઈ ગયા, પણ ગાબ્રિયેલે તેમને કહ્યું: ‘ગભરાઈશ નહિ! હું યહોવા તરફથી એક ખુશખબર લાવ્યો છું. તારી પત્ની એલિસાબેત એક દીકરાને જન્મ આપશે અને તેનું નામ યોહાન હશે. યહોવાએ યોહાનને એક ખાસ કામ માટે પસંદ કર્યો છે.’ ઝખાર્યાએ કહ્યું: ‘હું તમારી વાત પર કઈ રીતે ભરોસો કરું? હું અને મારી પત્ની તો બહુ ઘરડા છીએ. અમને કઈ રીતે બાળક થઈ શકે?’ ગાબ્રિયેલે કહ્યું: ‘તને ખબર આપવા ઈશ્વરે મને મોકલ્યો છે. પણ તેં મારી વાત પર ભરોસો કર્યો નથી, એટલે બાળક જન્મે ત્યાં સુધી તું બોલી નહિ શકે.’

      ઝખાર્યાને મંદિરમાં ઘણી વાર લાગી રહી હતી. લોકો બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે તે બહાર આવ્યા ત્યારે, લોકો જાણવા માંગતા હતા કે અંદર શું થયું. પણ ઝખાર્યા કંઈ બોલી શક્યા નહિ. તેમણે પોતાના હાથોથી ઇશારા કર્યા. એટલે લોકો સમજી ગયા કે ઝખાર્યાને ઈશ્વર તરફથી કોઈ સંદેશો મળ્યો છે.

      દૂતે કહ્યું હતું તેમ થોડા સમય પછી એલિસાબેત ગર્ભવતી થયાં. તેમણે એક દીકરાને જન્મ આપ્યો. એલિસાબેતનાં સગાં-વહાલાં અને દોસ્તો બાળકને જોવા આવ્યા. તેઓ તેમની ખુશીમાં ખુશ થયા. એલિસાબેતે કહ્યું: ‘આ બાળકનું નામ યોહાન હશે!’ પણ તેઓએ કહ્યું: ‘તારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી. તેના પિતાના નામ પરથી તેનું નામ ઝખાર્યા રાખ.’ પણ ઝખાર્યાએ લખીને જણાવ્યું: ‘તેનું નામ યોહાન છે.’ એ જ ઘડીએ ઝખાર્યા ફરીથી બોલવા લાગ્યા. બાળકના જન્મની ખબર આખા યહૂદામાં ફેલાઈ ગઈ. લોકો વિચારવા લાગ્યા: ‘આ બાળક મોટું થઈને શું બનશે?’

      પછી ઝખાર્યા પવિત્ર શક્તિથી ભરપૂર થયા. તેમણે આ ભવિષ્યવાણી કરી: ‘યહોવાની સ્તુતિ થાઓ. તેમણે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે આપણને બચાવવા એક મસીહ મોકલશે. યોહાન એક પ્રબોધક બનશે અને મસીહ માટે રસ્તો તૈયાર કરશે.’

      મરિયમ એલિસાબેતના સગામાં હતાં. તેમની સાથે પણ કંઈક ખાસ બન્યું હતું. ચાલો, એ વિશે હવે પછીના પાઠમાં જોઈએ.

      “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે.”—માથ્થી ૧૯:૨૬

      સવાલ: ગાબ્રિયેલે ઝખાર્યાને શું કહ્યું? યોહાનને કયું ખાસ કામ સોંપવામાં આવ્યું?

      માથ્થી ૧૧:૭-૧૪; લૂક ૧:૫-૨૫, ૫૭-૭૯; યશાયા ૪૦:૩; માલાખી ૩:૧

  • ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે સંદેશો લઈને આવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે આવે છે

      પાઠ ૬૯

      ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે સંદેશો લઈને આવ્યા

      યુસફને સપનામાં દૂત દેખાય છે

      મરિયમ ગાલીલના નાઝરેથ શહેરમાં રહેતાં હતાં. તે એલિસાબેતના સગામાં હતાં અને એલિસાબેત કરતાં ઉંમરમાં નાનાં હતાં. મરિયમની સગાઈ યુસફ સાથે થઈ હતી, જે એક સુથાર હતા. એલિસાબેતને છઠ્ઠો મહિનો ચાલતો હતો ત્યારે, ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે આવ્યા. તેમણે મરિયમને કહ્યું: ‘સલામ મરિયમ! યહોવાએ તને મોટો આશીર્વાદ આપ્યો છે.’ મરિયમ તેમની વાત સમજી ન શક્યાં. એટલે ગાબ્રિયેલે કહ્યું: ‘તું એક દીકરાને જન્મ આપશે. તું તેનું નામ ઈસુ પાડજે. તે રાજા બનશે અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.’

      પણ મરિયમે કહ્યું: ‘મને કઈ રીતે બાળક થઈ શકે? હું તો કુંવારી છું.’ ગાબ્રિયેલે કહ્યું: ‘યહોવા માટે કંઈ પણ અશક્ય નથી. પવિત્ર શક્તિ તારા પર આવશે અને તને એક દીકરો થશે. તારા સગામાં જે એલિસાબેત છે એ પણ મા બનવાની છે.’ પછી મરિયમે કહ્યું: ‘હું તો યહોવાની દાસી છું, તમે જેવું કહ્યું છે એવું જ મારી સાથે થાય.’

      મરિયમ ગર્ભવતી હોય છે તોપણ, યુસફ તેમની સાથે લગ્‍ન કરે છે

      એલિસાબેતને મળવા મરિયમ પહાડો પર આવેલા એક શહેર ગયાં. જ્યારે મરિયમે તેમને સલામ કરી, ત્યારે એલિસાબેતના ગર્ભમાંનું બાળક કૂદ્યું. પછી એલિસાબેત પવિત્ર શક્તિથી ભરપૂર થયાં અને તેમણે કહ્યું: ‘મરિયમ, યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે. મારા માટે મોટા સન્માનની વાત છે કે મારા પ્રભુની મા મારા ઘરે આવી છે.’ મરિયમે કહ્યું: ‘હું પૂરા દિલથી યહોવાની સ્તુતિ કરું છું.’ મરિયમ ત્રણ મહિના સુધી એલિસાબેત સાથે જ રહ્યાં અને પછી નાઝરેથ પોતાનાં ઘરે પાછાં ગયાં.

      જ્યારે યુસફને ખબર પડી કે મરિયમ મા બનવાનાં છે, ત્યારે તેમણે સગાઈ તોડી નાખવાનું નક્કી કર્યું. પણ એક દૂતે સપનામાં આવીને તેમને કહ્યું: ‘તું મરિયમ સાથે લગ્‍ન કરતા ડરીશ નહિ. તેણે કંઈ ખોટું કર્યું નથી.’ એટલે યુસફે મરિયમ સાથે લગ્‍ન કર્યા અને તેમને પોતાના ઘરે લઈ આવ્યા.

      ‘આકાશમાં અને પૃથ્વી પર યહોવા જે ચાહે છે, એ બધું જ કરે છે.’—ગીતશાસ્ત્ર ૧૩૫:૬

      સવાલ: મરિયમને જે બાળક થવાનું હતું એ વિશે ગાબ્રિયેલ દૂતે શું જણાવ્યું? તમને શું લાગે છે, એલિસાબેત અને મરિયમ સાથે જે બન્યું, એ વિશે તેઓને કેવું લાગ્યું?

      માથ્થી ૧:૧૮-૨૫; લૂક ૧:૨૬-૫૬; યશાયા ૭:૧૪; ૯:૭; દાનિયેલ ૨:૪૪; ગલાતીઓ ૪:૪

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો