-
દૂતોએ ઈસુના જન્મ વિશે જણાવ્યુંચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૭૦
દૂતોએ ઈસુના જન્મ વિશે જણાવ્યું
રોમન સામ્રાજ્યના સમ્રાટ ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો કે બધા યહૂદીઓ નામ નોંધાવવા પોતપોતાના શહેર જાય. યૂસફ બેથલેહેમના હતા, એટલે યૂસફ અને મરિયમ ત્યાં ગયા. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે, બાળકને જન્મ આપવાનો સમય થઈ ગયો હતો.
તેઓને બેથલેહેમમાં રહેવા કોઈ જગ્યા ન મળી, એટલે તેઓ તબેલામાં રહ્યાં. મરિયમે ત્યાં જ પોતાના દીકરા ઈસુને જન્મ આપ્યો. પછી તેમણે બાળકને મુલાયમ કપડાંમાં લપેટ્યું અને ધીરેથી ગભાણમાં મૂક્યું.
બેથલેહેમ નજીક અમુક ઘેટાંપાળકો હતા. તેઓ રાતે ખેતરમાં ઘેટાંની સંભાળ રાખતા હતા. અચાનક યહોવાનો દૂત તેઓની સામે આવીને ઊભો રહ્યો અને યહોવાના ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું. ઘેટાંપાળકો ઘણા ગભરાઈ ગયા. પણ દૂતે તેઓને કહ્યું: ‘ગભરાશો નહિ! હું તમને એક ખુશખબર જણાવવા આવ્યો છું. આજે બેથલેહેમમાં મસીહનો જન્મ થયો છે!’ એવામાં ઘણા દૂતો આકાશમાં દેખાયા. તેઓએ કહ્યું: ‘સ્વર્ગમાં ઈશ્વરનો જયજયકાર થાઓ અને પૃથ્વી પર શાંતિ થાઓ.’ એ પછી દૂતો ગાયબ થઈ ગયા. હવે ઘેટાંપાળકો શું કરશે?
તેઓ એકબીજાને કહેવા લાગ્યા: ‘ચાલો, આપણે હમણાં જ બેથલેહેમ જઈએ.’ તેઓ જલદી જલદી ગયા અને તબેલામાં યૂસફ અને મરિયમને બાળક સાથે જોયાં.
દૂતોએ ઘેટાંપાળકોને જે જણાવ્યું હતું, એ વિશે અમુક લોકોએ સાંભળ્યું. એ સાંભળીને તેઓને ખૂબ નવાઈ લાગી. મરિયમે દૂતની વાતો પર ઊંડો વિચાર કર્યો અને એ વાતો તેમણે હંમેશાં મનમાં રાખી. પછી ઘેટાંપાળકો પોતાના ઘેટાં પાસે પાછા ગયા. તેઓએ જે જોયું અને સાંભળ્યું એ માટે યહોવાનો આભાર માન્યો.
“હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને તેમના લીધે હું અહીં છું. હું પોતાની મરજીથી આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.”—યોહાન ૮:૪૨
-
-
યહોવાએ ઈસુને બચાવ્યાચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૭૧
યહોવાએ ઈસુને બચાવ્યા
ઇઝરાયેલના પૂર્વમાં એક દેશ હતો. ત્યાંના લોકો માનતા હતા કે તારાઓ કોઈ જગ્યાનો રસ્તો બતાવી શકે છે. એક રાતે પૂર્વના અમુક માણસોએ આકાશમાં તારા જેવું કંઈક ચમકતું જોયું, જે આગળ વધતું હતું. એ માણસો એની પાછળ પાછળ જવા લાગ્યા. એ તારો તેઓને યરૂશાલેમ લઈ આવ્યો. એ માણસોએ લોકોને પૂછ્યું: ‘એ બાળક ક્યાં છે, જે મોટું થઈને યહૂદીઓનો રાજા બનશે? અમે તેને ઘૂંટણિયે પડીને નમન કરવા આવ્યા છીએ.’
યરૂશાલેમના રાજા હેરોદે એ નવા રાજા વિશે સાંભળ્યું ત્યારે, તે ખૂબ ચિંતામાં પડી ગયો. તેણે મુખ્ય યાજકોને બોલાવીને પૂછ્યું: ‘એ રાજાનો જન્મ ક્યાં થવાનો છે?’ તેઓએ કહ્યું: ‘પ્રબોધકોના જણાવ્યા પ્રમાણે એનો જન્મ બેથલેહેમમાં થશે.’ પછી હેરોદે પૂર્વથી આવેલા એ માણસોને બોલાવ્યા અને કહ્યું: ‘તમે બેથલેહેમ જાઓ અને એ બાળકને શોધો. પછી મને આવીને જણાવજો કે એ ક્યાં છે. હું પણ એને ઘૂંટણિયે પડીને નમન કરવા માંગું છું.’ પણ હેરોદ જૂઠું બોલતો હતો.
તારો ફરી આગળ વધવા લાગ્યો. પૂર્વના એ માણસો એની પાછળ પાછળ ગયા અને બેથલેહેમ પહોંચ્યા. એ તારો એક ઘર પર આવીને અટકી ગયો. તેઓ ઘરમાં ગયા અને ઈસુને તેમની મા મરિયમ સાથે જોયા. તેઓએ બાળકને ઘૂંટણિયે પડીને નમન કર્યું. તેઓએ ભેટમાં સોનું, લોબાન અને બોળ આપ્યાં. શું એ માણસોને યહોવાએ ઈસુ પાસે મોકલ્યા હતા? ના!
એ જ રાતે યહોવાએ સપનામાં યુસફને કહ્યું: ‘હેરોદ ઈસુને મારી નાખવા માંગે છે. તું તારી પત્ની અને દીકરાને લઈને ઇજિપ્ત નાસી જા. જ્યાં સુધી હું કહું નહિ, ત્યાં સુધી ત્યાં જ રહેજે.’ યુસફ અને તેમનું કુટુંબ તરત ઇજિપ્ત જતા રહ્યા.
યહોવાએ પૂર્વથી આવેલા માણસોને કહ્યું કે તેઓ હેરોદ પાસે પાછા ન જાય. જ્યારે હેરોદને ખબર પડી કે એ માણસો પાછા નહિ આવે, ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો. તે ઈસુને શોધી શકતો ન હતો. એટલે તેણે હુકમ આપ્યો કે બેથલેહેમમાં ઈસુની ઉંમરના છોકરાઓને મારી નાખવામાં આવે. પણ ઈસુ તો બેથલેહેમથી બહુ દૂર ઇજિપ્તમાં હતા. ત્યાં તેમને કોઈ જોખમ ન હતું.
થોડા સમય પછી હેરોદ મરી ગયો. યહોવાએ યુસફને કહ્યું: ‘હવે કોઈ ખતરો નથી. તું પાછો જઈ શકે છે.’ એટલે યુસફ, મરિયમ અને ઈસુ ઇઝરાયેલ પાછા ગયા અને નાઝરેથ શહેરમાં રહેવા લાગ્યાં.
‘મારા મોંમાંથી નીકળેલું વચન મારા કહેવા પ્રમાણે ચોક્કસ પૂરું થશે.’—યશાયા ૫૫:૧૧
-