વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઈસુએ વેપારીઓને મંદિરમાંથી કાઢી મૂક્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • ઈસુ દોરડાંના ચાબુકથી પ્રાણીઓને મંદિરમાંથી કાઢી મૂકે છે અને પૈસા બદલનારાઓની મેજો ઊથલાવી નાખે છે

      પાઠ ૭૬

      ઈસુએ વેપારીઓને મંદિરમાંથી કાઢી મૂક્યા

      સાલ ૩૦ની વસંત ૠતુમાં ઈસુ યરૂશાલેમ ગયા. ઘણા લોકો પાસ્ખાનો તહેવાર ઊજવવા યરૂશાલેમ આવ્યા હતા. પાસ્ખાનો તહેવાર ઊજવવા લોકો મંદિરમાં પ્રાણીઓનું બલિદાન ચઢાવતા હતા. અમુક લોકો પ્રાણીઓ લઈને આવ્યા હતા, જ્યારે કે અમુક લોકો યરૂશાલેમ આવીને પ્રાણીઓ ખરીદતા હતા.

      ઈસુ મંદિરમાં ગયા ત્યારે, તેમણે જોયું કે લોકો ત્યાં પ્રાણીઓ વેચી રહ્યા છે. એ જગ્યા તો યહોવાની ભક્તિ માટે હતી, પણ લોકો ત્યાં ધંધો કરી રહ્યા હતા. એ જોઈને ઈસુએ શું કર્યું? તેમણે દોરડાંનો ચાબુક બનાવીને ઘેટાં અને ઢોરને મંદિરમાંથી કાઢી મૂક્યાં. તેમણે પૈસા બદલનારાઓની મેજો ઊથલાવી નાખી અને પૈસા વેરી નાખ્યા. તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું: “આ બધું અહીંથી લઈ જાઓ! મારા પિતાના ઘરને બજાર ન બનાવો!”

      ઈસુએ મંદિરમાં જે કર્યું એ જોઈને લોકોને ખૂબ નવાઈ લાગી. તેમના શિષ્યોને મસીહ વિશે લખેલી આ ભવિષ્યવાણી યાદ આવી: “તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.”

      સાલ ૩૩માં ઈસુએ ફરી એક વાર મંદિરને શુદ્ધ કર્યું. તેમણે કોઈને પણ પોતાના પિતાના મંદિરનું અપમાન કરવા દીધું નહિ.

      “તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.”—લૂક ૧૬:૧૩

      સવાલ: લોકોને મંદિરમાં પ્રાણીઓ વેચતા જોઈને ઈસુએ શું કર્યું? ઈસુએ એવું કેમ કર્યું?

      માથ્થી ૨૧:૧૨, ૧૩; માર્ક ૧૧:૧૫-૧૭; લૂક ૧૯:૪૫, ૪૬; યોહાન ૨:૧૩-૧૭; ગીતશાસ્ત્ર ૬૯:૯

  • કૂવા પાસે એક સ્ત્રી
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • ઈસુ યાકૂબના કૂવા પાસે સમરૂની સ્ત્રી સાથે વાત કરે છે

      પાઠ ૭૭

      કૂવા પાસે એક સ્ત્રી

      પાસ્ખાના તહેવાર પછી, ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ પાછા જવા નીકળ્યા. તેઓ સમરૂન થઈને જઈ રહ્યા હતા. સૂખાર નામના શહેર પાસે એક જગ્યા હતી, જે યાકૂબના કૂવા તરીકે ઓળખાતી હતી. ઈસુ ત્યાં આરામ કરવા રોકાયા અને તેમના શિષ્યો ખાવાનું ખરીદવા શહેરમાં ગયા.

      એક સ્ત્રી પાણી લેવા કૂવા પાસે આવી. ઈસુએ તેને કહ્યું: ‘મને પાણી આપ.’ સ્ત્રીએ કહ્યું: ‘તમે મારી સાથે કેમ વાત કરો છો? હું એક સમરૂની સ્ત્રી છું અને યહૂદી લોકો સમરૂની લોકો સાથે વાત નથી કરતા.’ ઈસુએ તેને કહ્યું: ‘જો તું જાણતી હોત કે હું કોણ છું, તો તું મારી પાસે પાણી માંગત, અને મેં તને જીવનનું પાણી આપ્યું હોત.’ સ્ત્રીએ કહ્યું: ‘તમે મને કઈ રીતે પાણી આપી શકો? તમારી પાસે પાણી કાઢવા કોઈ વાસણ પણ નથી.’ ઈસુએ કહ્યું: ‘હું જે પાણી આપું છું, એ પીનારને ક્યારેય તરસ નહિ લાગે.’ સ્ત્રીએ કહ્યું: ‘મને એ પાણી આપો.’

      ઈસુએ તેને કહ્યું: ‘જા તારા પતિને બોલાવી લાવ.’ સ્ત્રીએ કહ્યું: ‘મારો પતિ નથી.’ ઈસુએ કહ્યું: ‘તેં સાચું કહ્યું. તેં પાંચ વખત લગ્‍ન કર્યા અને અત્યારે તું જે માણસ સાથે રહે છે એ તારો પતિ નથી.’ સ્ત્રીએ કહ્યું: ‘હવે હું સમજી ગઈ છું કે તમે એક પ્રબોધક છો. મારા લોકો માને છે કે અમે આ પહાડ ઉપર ઈશ્વરની ભક્તિ કરી શકીએ છીએ. પણ યહૂદીઓ કહે છે કે અમારે ફક્ત યરૂશાલેમમાં જ ભક્તિ કરવી જોઈએ. હું માનું છું કે જ્યારે મસીહ આવશે, ત્યારે તે અમને શીખવશે કે અમારે કઈ રીતે ભક્તિ કરવી જોઈએ.’ પછી ઈસુએ તેને એવું કંઈક જણાવ્યું, જે અત્યાર સુધી કોઈને જણાવ્યું ન હતું. તેમણે સ્ત્રીને કહ્યું: ‘હું જ મસીહ છું.’

      ઈસુ સમરૂનીઓ સાથે વાત કરે છે

      એ સ્ત્રી દોડીને પોતાના શહેરમાં ગઈ અને તેણે સમરૂનના લોકોને જણાવ્યું: ‘હું એક માણસને મળી છું. મને લાગે છે, એ જ મસીહ છે. તે મારા વિશે બધું જ જાણે છે. તમે પોતે આવીને જોઈ લો.’ એટલે બધા તેની સાથે કૂવા પાસે ગયા અને ઈસુની વાતો સાંભળવા લાગ્યા.

      સમરૂનના લોકોએ ઈસુને કહ્યું કે અમારા શહેરમાં આવીને રહો. ઈસુએ બે દિવસ ત્યાં રહીને લોકોને શીખવ્યું અને ઘણા લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી. લોકોએ સમરૂની સ્ત્રીને કહ્યું: ‘આ માણસની વાતો સાંભળીને અમને ખાતરી થઈ છે કે દુનિયાને બચાવનાર આ જ છે.’

      “‘આવ!’ જે કોઈ તરસ્યો છે એ આવે. જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.”—પ્રકટીકરણ ૨૨:૧૭

      સવાલ: સમરૂની સ્ત્રીને કેમ નવાઈ લાગી કે ઈસુએ તેની સાથે વાત કરી? ઈસુએ તેને શું જણાવ્યું?

      યોહાન ૪:૧-૪૨

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો