-
ઈસુએ ૧૨ પ્રેરિતોને પસંદ કર્યાચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૮૦
ઈસુએ ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા
આશરે દોઢ વર્ષ પ્રચાર કર્યા પછી ઈસુએ એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો. તેમણે એવા માણસોને પસંદ કરવાના હતા, જેઓ તેમની સાથે પ્રચાર કરે. તેમણે તેઓને શીખવવાનું હતું કે ખ્રિસ્તી મંડળની આગેવાની કઈ રીતે લેવી. ઈસુ ચાહતા હતા કે આ નિર્ણય લેવામાં યહોવા તેમને મદદ કરે. એટલે તે એકલા પહાડ પર ગયા અને આખી રાત પ્રાર્થના કરી. સવારે તેમણે અમુક શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને એમાંથી ૧૨ પ્રેરિતો પસંદ કર્યા. શું તમને એમાંથી કોઈનાં નામ યાદ છે? તેઓનાં નામ હતાં: પિતર, આંદ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન અને યહૂદા ઇસ્કારિયોત.
આંદ્રિયા, પિતર, ફિલિપ, યાકૂબ
એ ૧૨ પ્રેરિતો ઈસુ સાથે મુસાફરી કરતા હતા. ઈસુએ તેઓને પ્રચાર કરતા શીખવ્યું પછી, તેઓને પ્રચાર કરવા મોકલ્યા. યહોવાએ પ્રેરિતોને બીમાર લોકોને સાજા કરવાની અને લોકોમાં રહેલા દુષ્ટ દૂતો કાઢવાની શક્તિ આપી.
યોહાન, માથ્થી, બર્થોલ્મી, થોમા
ફરોશીઓ ૧૨ પ્રેરિતોને અભણ અને મામૂલી માણસો ગણતા હતા. જ્યારે કે ઈસુ તેઓને પોતાના દોસ્ત ગણતા હતા અને તેઓ પર પૂરો ભરોસો કરતા હતા. એટલે ઈસુએ તેઓને જે કામ સોંપ્યું હતું, એ પૂરું કરવા તાલીમ આપી. તેઓ ઈસુના જીવનના સૌથી મહત્ત્વના સમયે તેમની સાથે હતા. જેમ કે, તેમના મરણ પહેલાં અને તે જીવતા થયા પછી. ૧૨ પ્રેરિતોમાંથી ઘણા ઈસુની જેમ જ ગાલીલના હતા. તેઓમાંના અમુકના લગ્ન થયેલા હતા.
અલ્ફીનો દીકરો યાકૂબ, યહૂદા ઇસ્કારિયોત, થદ્દી, સિમોન
પ્રેરિતોથી પણ ભૂલો થઈ જતી. અમુક વાર તેઓ સમજ્યા-વિચાર્યા વગર કંઈ બોલી દેતા અને ખોટા નિર્ણય લઈ લેતા. અમુક વખતે તેઓ ધીરજ ગુમાવી દેતા. એટલી હદે કે તેઓમાં સૌથી મોટું કોણ એ વિશે દલીલ કરતા. પણ તેઓ સારા માણસો હતા અને યહોવાને પ્રેમ કરતા હતા. તેઓ ખ્રિસ્તી મંડળના પહેલા સભ્યો બનવાના હતા અને ઈસુના ગયા પછી તેઓ મહત્ત્વની જવાબદારી પૂરી કરવાના હતા.
“હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું એ બધું જ તમને જણાવ્યું છે.”—યોહાન ૧૫:૧૫
-
-
ઈસુનો પહાડ પરનો સંદેશોચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૮૧
ઈસુનો પહાડ પરનો સંદેશો
ઈસુ ૧૨ પ્રેરિતોને પસંદ કરીને પહાડ પરથી ઊતર્યા. એ પછી તે એવી જગ્યાએ ગયા જ્યાં ઘણા લોકો ભેગા થયા હતા. એ લોકો ગાલીલ, યહૂદિયા, તૂર, સિદોન, સિરિયા અને યર્દન નદીની પેલે પારથી આવ્યા હતા. તેઓ પોતાની સાથે ઘણા બીમાર લોકોને અને દુષ્ટ દૂતોથી હેરાન થતા લોકોને લાવ્યા હતા. ઈસુએ બધાને સાજા કર્યા. પછી તે પહાડ પર એક બાજુ બેઠા અને લોકોને શીખવવા લાગ્યા. તેમણે જણાવ્યું કે ઈશ્વરના દોસ્ત બનવા આપણે શું કરવું જોઈએ. એ માટે સમજવું જોઈએ કે આપણને યહોવાની જરૂર છે અને આપણે તેમને પ્રેમ કરતા શીખવું જોઈએ. આપણે કઈ રીતે તેમને પ્રેમ કરી શકીએ? બીજાઓને પ્રેમ કરીને! આપણે ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ, બધાનું ભલું કરવું જોઈએ. અરે, દુશ્મનોનું પણ!
ઈસુએ કહ્યું: ‘ફક્ત દોસ્તોને પ્રેમ કરવો પૂરતો નથી, દુશ્મનોને પણ પ્રેમ કરવો જોઈએ. બીજાઓને દિલથી માફ કરવા જોઈએ. જો કોઈ તમારાથી નારાજ હોય, તો તરત તેની પાસે જઈને માફી માંગવી જોઈએ. જેમ તમે ચાહો છો કે બીજાઓ તમારી સાથે વર્તે, તેમ તમે પણ બીજાઓ સાથે વર્તો.’
ઈસુએ લોકોને પૈસા અને ચીજવસ્તુઓ વિશે પણ સારી સલાહ આપી. તેમણે કહ્યું: ‘ઘણા બધા પૈસા હોવા કરતાં યહોવા સાથે દોસ્તી હોવી વધારે જરૂરી છે. ચોર તમારા પૈસા ચોરી શકે છે, પણ યહોવા સાથેની તમારી દોસ્તી કોઈ ચોરી નહિ શકે. ચિંતા કરવાનું છોડી દો કે તમે શું ખાશો, શું પીશો અથવા શું પહેરશો. પક્ષીઓને જુઓ! ઈશ્વર તેઓને ખાવા માટે કંઈકને કંઈક આપે છે. ચિંતા કરીને તમે જીવનનો એક દિવસ પણ વધારી નહિ શકો. હંમેશાં યાદ રાખો, યહોવા જાણે છે કે તમને શાની જરૂર છે.’
લોકોએ અત્યાર સુધી કોઈને પણ ઈસુની જેમ શીખવતા સાંભળ્યા ન હતા. ધર્મગુરુઓએ લોકોને આવી વાતો ક્યારેય શીખવી ન હતી. ઈસુ કેમ એક મહાન શિક્ષક હતા? કેમ કે તે એ જ શીખવતા હતા, જે યહોવાએ તેમને શીખવ્યું હતું.
“મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું. મારી પાસેથી તમને તાજગી મળશે.”—માથ્થી ૧૧:૨૯
-