- 
	                        
            
            વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?સજાગ બનો!—૨૦૧૩ | ઑક્ટોબર
- 
                            - 
                                        મુખ્ય વિષય વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?આ મૅગેઝિનના પ્રકાશકો, યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ લેતા નથી. (યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬) ખરું કે આ લેખમાં આંદોલન વિશેના અમુક દાખલાઓ આપેલા છે. તોપણ, તેઓ કોઈ દેશને બીજા દેશથી ચડિયાતો ગણતા નથી કે રાજનીતિમાં કોઈનો પક્ષ લેતા નથી. ટ્યુનિશિયા દેશમાં રહેતા ૨૬ વર્ષના મૌહમ્મદ બૌઝીઝીની ૧૭ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ ધીરજ ખૂટી ગઈ. તેને યોગ્ય નોકરી મળતી ન હોવાથી લારીમાં ફળો વેચતો હતો. તે જાણતો હતો કે ભ્રષ્ટ પોલીસો લાંચ માંગતા હોય છે. એ દિવસે સવારે ઇન્સ્પેક્ટરોએ આવીને મૌહમ્મદની લારી પરનાં નાસપતી, કેળાં અને સફરજન જપ્ત કરી લીધાં. તેઓએ ત્રાજવાં લઈ લીધાં ત્યારે તેણે તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો. નજરે જોયેલા આ બનાવના અમુક સાક્ષીઓએ જણાવ્યું કે મહિલા પોલીસે બૌઝીઝીને થપ્પડ મારી. અપમાનિત અને ક્રોધિત બૌઝીઝી નજીકમાં આવેલી સરકારી ઑફિસમાં ફરિયાદ નોંધાવવા ગયો. પણ, કોઈ તેની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું. એટલે, તેણે ઑફિસની બહાર બૂમાબૂમ કરી: ‘જો આવું કરો, તો હું મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ?’ પછી, તેણે સહેલાઈથી સળગી ઊઠે એવું પ્રવાહી પોતાના પર રેડીને આગ ચાંપી. આગથી દાઝી જવાથી તે ત્રણ અઠવાડિયાંમાં મરણ પામ્યો. મૌહમ્મદ બૌઝીઝીએ લીધેલાં પગલાંની ટ્યુનિશિયા અને બીજા દેશોના લોકો પર ઊંડી અસર થઈ. ઘણાનું માનવું છે કે તેણે જે કર્યું એના લીધે ત્યાં આંદોલનની આગ ફેલાઈ અને સરકાર ઉથલાવી નાખવામાં આવી. આ આંદોલન ઝડપથી બીજા આરબ દેશોમાં પણ ફેલાયું. ૨૦૧૧માં યુરોપિયન પાર્લામેન્ટે બૌઝીઝી તથા બીજી ચાર વ્યક્તિઓને વાણી સ્વતંત્રતા માટેના સાખારોવ પ્રાઈઝથી સન્માનિત કરી; અને લંડનના ધ ટાઇમ્સ છાપાએ તેને ૨૦૧૧ની મહત્ત્વની વ્યક્તિ જાહેર કરી. એ અહેવાલ બતાવે છે તેમ વિરોધ કે આંદોલન શક્તિશાળી હોઈ શકે. પરંતુ, તાજેતરમાં થતાં આંદોલનો પાછળ કયાં કારણો છે? શું એનો કોઈ ઉપાય છે? આંદોલનોમાં કેમ આટલો વધારો?આવાં કારણોને લીધે આંદોલનો ભડકી ઊઠે છે: - સામાજિક વ્યવસ્થાથી નાખુશ. લોકો માને છે કે પોતાના દેશની સરકાર અને અર્થતંત્ર તેઓની જીવન જરૂરિયાતો પૂરી પાડે છે ત્યારે, વિરોધ કરવાનું કોઈ કારણ રહેતું નથી; અને જો કોઈ મુશ્કેલીઓ હોય તો એ કાયદેસર થાળે પાડવામાં આવે છે. બીજી તર્ફે લોકો જ્યારે અન્યાય, ભ્રષ્ટાચાર અને પક્ષપાત અનુભવે છે, ત્યારે આંદોલન ભડકી ઊઠે છે. 
- શરૂઆત. મોટા ભાગે, કોઈ મોટો બનાવ બને ત્યારે લોકો સુધારો લાવવા પોતે જ કંઈ કરવું પડશે એમ વિચારી પગલાં ભરે છે. દાખલા તરીકે, મૌહમ્મદ બૌઝીઝીએ લીધેલાં પગલાંને કારણે ટ્યુનિશિયામાં જબરજસ્ત આંદોલન ફેલાયું હતું. ભારતમાં પણ ભ્રષ્ટાચાર મિટાવવા અન્ના હાઝારે ભૂખ હડતાલ પર ઊતરી ગયા. તેમને સાથ આપવા લોકોએ ૪૫૦ જેટલાં શહેરો અને ગામોમાં આંદોલન ફેલાવ્યું હતું. 
 સદીઓ પહેલાં બાઇબલમાં લખવામાં આવ્યું હતું તેમ, દુનિયામાં અમુક “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) એ સમય કરતાં આજે ભ્રષ્ટાચાર અને અન્યાય વધારે પ્રમાણમાં બધે જ ફેલાયેલા છે. રાજકીય અને આર્થિક વ્યવસ્થા જે રીતે નિષ્ફળ ગઈ છે, એ વિશે લોકો પહેલાં કરતાં આજે વધારે માહિતગાર છે. સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ અને ૨૪ કલાક સમાચાર આવતા હોવાથી, છૂટાછવાયાં ગામડાંમાં પણ લોકો જાણે છે કે શું ચાલી રહ્યું છે. એનાથી નાની વાત પણ મોટું રૂપ ધારણ કરી લે છે. આંદોલનથી શું સિદ્ધ થયું છે?સમાજમાં આંદોલનને ઉત્તેજન આપનારાઓ નીચે પ્રમાણે સિદ્ધ થયું છે એવો દાવો કરે છે: - ગરીબોને રાહત મળી. ૧૯૩૦ના દાયકામાં અમેરિકામાં મહામંદી ફેલાઈ હતી. એના ઇલિનોઈ રાજ્યના શિકાગો શહેરમાં ભાડૂતોએ આંદોલન કર્યું હતું. શહેરના અધિકારીઓએ ભાડૂતોને ઘરમાંથી બહાર કાઢવાની નોટિસ રદ કરી અને તેઓમાંના અમુકને નોકરી મળે એની ગોઠવણ કરી. એવી જ રીતે, ન્યૂ યૉર્ક શહેરમાં ૭૭,૦૦૦ ભાડૂતોને ફરીથી એ જ ઘરમાં રહેવાની મંજૂરી મળી. 
- અન્યાય થાળે પડ્યો. અમેરિકામાં આવેલા ઍલાબૅમાના મૉંટગોમરી શહેરની બસમાં બેસવાનો રંગભેદનો નિયમ હતો. એટલે, ૧૯૫૫⁄૧૯૫૬માં લોકોએ સીટી બસ વાપરવાનો ઇન્કાર કર્યો. એના લીધે એ સમયમાં નિયમ રદ કરવામાં આવ્યો. 
- બાંધકામ બંધ કરાવ્યું. હૉંગ કૉંગની નજીક કોલસાથી વીજળી બનાવવાના પ્લાન્ટનું બાંધકામ ચાલતું હતું. પણ, પ્રદૂષણના ભયના લીધે ડિસેમ્બર, ૨૦૧૧માં હજારો લોકોએ એની વિરુદ્ધ આંદોલન કર્યું. તેથી, એ બાંધકામ બંધ કરવામાં આવ્યું. 
 જોકે, આંદોલન કરતા લોકોની માંગ હંમેશાં પૂરી થતી નથી. દાખલા તરીકે, અધિકારીઓ તેઓની માંગ પૂરી કરવાને બદલે ક્રૂર રીતે વર્તી શકે. તાજેતરમાં મધ્ય પૂર્વના એક દેશમાં લોકોએ આંદોલન કર્યું હોવાથી ત્યાંના મુખ્યમંત્રીએ આમ કહ્યું: ‘તેઓ સાથે સખત કડકાઈથી વર્તવું જોઈએ.’ તેથી, હજારો લોકો માર્યા ગયા. વિરોધીઓની માંગ પૂરી થાય, તોય એ પછી મોટા ભાગે અનેક નવી મુશ્કેલીઓ ઊભી થાય છે. આફ્રિકાના એક દેશમાં જે વ્યક્તિએ રાજનેતાને હોદ્દા પરથી કાઢી મૂકવામાં ભાગ ભજવ્યો હતો, તેણે નવી સરકાર વિશે ટાઇમ મૅગેઝિનમાં આમ કહ્યું: ‘સોનેરી લાગતું સપનું તરત જ છિન્ન-ભિન્ન થઈ ગયું.’ શું એનો કોઈ સારો ઉપાય છે?ઘણા જાણીતા લોકોનું માનવું છે કે જુલમી વ્યવસ્થાનો વિરોધ કરવો એ દરેકની ફરજ છે. દાખલા તરીકે, ચેક દેશના ગુજરી ગયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વાસ્લાવ હાવેલે માનવ હક્કની લડત માટે ઘણાં વર્ષો જેલમાં વિતાવ્યાં હતાં. તેમણે ૧૯૮૫માં લખ્યું: ‘વિરોધીએ પોતાની ધારણાઓ સાચી સાબિત કરવા જીવ આપવા પણ તૈયાર રહેવું જોઈએ.’ મૌહમ્મદ બૌઝીઝી અને બીજાઓએ લીધેલાં પગલાં હાવેલના શબ્દો સાચા સાબિત કરે છે. એશિયાના એક દેશમાં ધાર્મિક અને રાજકીય દબાણનો વિરોધ કરવા અનેક લોકોએ પોતાને આગ ચાંપી હતી. એની પાછળની તેઓની લાગણી દર્શાવતા એક માણસે ન્યૂઝવીક મૅગેઝિનને આમ જણાવ્યું: “અમારી પાસે બંદૂકો નથી. અમે કોઈને હાનિ પહોંચાડવા ચાહતા નથી. અમારા જેવા બીજું શું કરી શકે?” અન્યાય, ભ્રષ્ટાચાર અને જુલમનો બાઇબલ ઉપાય બતાવે છે. એ જણાવે છે કે ઈશ્વરે સ્વર્ગમાં એક સરકાર સ્થાપી છે. એ સરકાર, નિષ્ફળ ગયેલી મનુષ્યની સરકારોને કાઢી નાખશે જેના લીધે આંદોલન થાય છે. ઈશ્વરની સરકારના રાજા વિશે ભવિષ્યવાણી આમ કહે છે: ‘ગરીબ પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. જુલમ તથા હિંસાથી તે તેઓને છોડાવશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૪. યહોવાના સાક્ષીઓ માને છે કે મનુષ્ય માટે શાંતિભરી દુનિયા લાવવાની એક માત્ર આશા ઈશ્વરનું રાજ્ય છે. (માથ્થી ૬:૯, ૧૦) એટલે, યહોવાના સાક્ષીઓ કોઈ પણ પ્રકારના આંદોલનમાં જોડાતા નથી. પરંતુ, ઈશ્વરની સરકાર આંદોલનનું મૂળ કાઢી નાખશે એ માનવું શું અઘરું છે? કદાચ લાગી શકે. તેમ છતાં, ઘણા લોકોએ ઈશ્વરના રાજ્યમાં ભરોસો કેળવ્યો છે. કેમ નહિ કે તમે પણ એ વિશે જાણો? 
 
- 
                                        
- 
	                        
            
            મને બધે જ અન્યાય જોવા મળ્યોસજાગ બનો!—૨૦૧૩ | ઑક્ટોબર
- 
                            - 
                                        મને બધે જ અન્યાય જોવા મળ્યોઉત્તર આયર્લૅન્ડના એક ગરીબ કુટુંબમાં ૧૯૬૫માં મારો જન્મ થયો હતો. કાઉન્ટી ડેરી વિસ્તારમાં હું મોટો થયો, જ્યાં ૩૦થી વધારે વર્ષો સુધી કૅથલિક અને પ્રોટેસ્ટંટ વચ્ચે હિંસક લડાઈ ચાલી. કૅથલિક લોકો બહુ ઓછા હોવાથી તેઓને હંમેશાં એવો અહેસાસ થતો કે પ્રોટેસ્ટંટ સમાજ ભેદભાવ કરે છે. અને આવી બાબતોમાં ખોટી રીતે વર્તે છે: નોકરી-ધંધો, સરકારી ઘર, ચૂંટણી, તેમ જ વધારે પડતો પોલીસ બંદોબસ્ત. હું જ્યાં પણ નજર કરતો ત્યાં અન્યાય અને ભેદભાવ જોતો. મેં ઘણી વખત માર ખાધો. મને ઘણી વાર કારમાંથી બહાર ખેંચી કાઢવામાં આવતો અને બંદૂક તાકવામાં આવતી. અથવા પોલીસ અને સૈનિકો દ્વારા મારી પૂછપરછ અને તલાશી થતી. હું ભેદભાવનો શિકાર બન્યો હોવાથી વિચારતો કે ‘કાં તો આ સહી લઉં અથવા સામે લડત આપું!’ બ્રિટિશ સૈનિકો દ્વારા ૧૪ લોકો માર્યા ગયા હતા, તેઓની યાદમાં ૧૯૭૨ના એક રવિવારે રાખેલા સરઘસમાં મેં ભાગ લીધો હતો. એમાં ખૂબ લોહી વહેવડાવવામાં આવ્યું હતું. તેમ જ, ૧૯૮૧માં ભૂખ હડતાલમાં માર્યા ગયેલા પ્રજાસત્તાક કેદીઓની યાદમાં યોજવામાં આવેલા આંદોલનોમાં મેં ભાગ લીધો. બ્રિટિશ સરકારે ઉત્તર આયર્લેન્ડનો ધ્વજ લગાવવાની કડક મના કરી હતી. તોપણ, મન ફાવે ત્યાં હું એ લગાવતો અને બ્રિટિશ સરકાર વિરુદ્ધ લખાણ કરતો. એવું લાગતું કે ક્યાંય કોઈ કૅથલિક પર અત્યાચાર થતો કે ખૂન થતું એનાથી સરઘસ નીકળતાં. આવાં સરઘસ કે કૂચ પછીથી મોટા ભાગે તોફાનોમાં ફેરવાઈ જતાં. યુનિવર્સિટીમાં હતો ત્યારે હું વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ માટેના આંદોલનમાં જોડાયો. સમય જતાં, હું લંડન રહેવા ગયો. એવું લાગતું કે સરકારના નિયમોથી ગરીબોને નહિ, પણ અમીરોને લાભ થતો હતો. એટલે મેં એ નિયમો વિરુદ્ધ સામાજિક ચળવળમાં ભાગ લીધો. પગારમાં કાપ મૂકવામાં આવતો હોવાથી યુનિયનમાં જોડાઈને હડતાલમાં ભાગ લીધો. તેમ જ, ૧૯૯૦માં પોલ ટૅક્સ એટલે કે દરેક પાસેથી વધારે પડતો કર લેવામાં આવતો, એ વિરુદ્ધની ચળવળમાં મેં ભાગ લીધો હતો. એમાં જોડાયેલા લોકોએ ભારે તોફાન કર્યું હોવાથી ટ્રફાલગર સ્ક્વેર વિસ્તારમાં ઘણું નુકસાન થયું હતું. ખરું કહું તો, આખરે આ બધાથી હું નિરાશ થઈ ગયો હતો. અમારા હેતુઓ સિદ્ધ થવાને બદલે આંદોલનો મોટા ભાગે નફરતની આગ ભડકાવતાં હતાં. મનુષ્યોના ગમે એટલા સારા ઇરાદાઓ હોય, તોપણ તેઓ ઇન્સાફ અને સમાનતા લાવી શકતા નથી એ સમયમાં મારા મિત્રએ યહોવાના સાક્ષીઓ સાથે મારી મુલાકાત કરાવી. તેઓએ મને બાઇબલમાંથી શીખવ્યું કે આપણું દુઃખ જોઈને ઈશ્વરને ખૂબ દુઃખ થાય છે; મનુષ્યો જે દુઃખો લાવ્યાં છે એને ઈશ્વર કાયમ માટે નાબૂદ કરશે. (યશાયા ૬૫:૧૭; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ભલેને મનુષ્યોના ગમે એટલા સારા ઇરાદાઓ હોય, તોપણ તેઓ ઇન્સાફ અને સમાનતા લાવી શકતા નથી. એટલે, આપણને ઈશ્વરના માર્ગદર્શનની ખૂબ જ જરૂર છે. દુષ્ટ દૂતોની અસરથી દુનિયામાં જે કોઈ મુશ્કેલીઓ આવે છે એને ફક્ત યહોવા ઈશ્વર જડમૂળથી કાઢી શકે છે.—યિર્મેયા ૧૦:૨૩; એફેસી ૬:૧૨. હવે મને લાગે છે કે અન્યાયનો વિરોધ કરવો જાણે ડૂબતા વહાણમાં ખુરશી સરખી રાખવા મથામણ કરવા જેવું છે. ધરતી પરથી કાયમ માટે અન્યાય નીકળી જશે અને સર્વ મનુષ્યને એક સમાન ગણવામાં આવશે, એ જાણીને મારા દિલને ઠંડક વળી છે. બાઇબલ શીખવે છે કે ઈશ્વર “યહોવા ન્યાયને ચાહે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) એનાથી ખાતરી મળે છે કે મનુષ્યની સરકાર જે હદે ઇન્સાફ લાવી શકતી નથી, એ ખુદ ઈશ્વર લાવશે. (દાનીયેલ ૨:૪૪) એ વિશે વધુ જાણવા તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા આ વેબસાઇટ જુઓ: www.pr418.com. 
 
-