વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g23 નં. ૧ પાન ૩-૫
  • ચોખ્ખું પાણી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચોખ્ખું પાણી
  • સજાગ બનો!—૨૦૨૩
  • મથાળાં
  • ચોખ્ખા પાણીની અછત
  • પૃથ્વીની અજોડ રચના
  • માણસોના પ્રયાસો
  • ઈશ્વર આપે છે આશાનું કિરણ
સજાગ બનો!—૨૦૨૩
g23 નં. ૧ પાન ૩-૫
એક સ્ત્રી ઝરણામાંથી ચોખ્ખું પાણી ખોબામાં લઈ રહી છે.

પૃથ્વીની ખોવાયેલી સુંદરતા

ચોખ્ખું પાણી

કહેવાય છે ને કે જળ એ જ જીવન છે. એનો અર્થ થાય કે જીવવા માટે પાણી ખૂબ જરૂરી છે, ખાસ કરીને ચોખ્ખું પાણી. મનુષ્યો અને પ્રાણીઓનાં શરીરમાં તેમજ ઝાડપાનમાં પાણીની માત્રા સૌથી વધારે હોય છે. તળાવ, નદીઓ, ભીની જમીન અને જમીનની અંદરના પાણીથી બધા માણસો અને પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે છે. આ પાણીથી ખેતર અને ઝાડપાનને પણ સિંચવામાં આવે છે.

ચોખ્ખા પાણીની અછત

પૃથ્વીનો મોટો ભાગ પાણીથી ભરેલો છે. તોપણ વિશ્વ હવામાન સંસ્થા પ્રમાણે “પૃથ્વીનું ૦.૫ ટકા પાણી જ શુદ્ધ છે.” ભલે આપણને એ પ્રમાણ ઓછું લાગે પણ એ પાણી આપણા બધા માટે પૂરતું છે. તો પછી શુદ્ધ પાણીની અછત કેમ છે? કારણ કે માણસોએ એને ખૂબ પ્રદૂષિત કરી દીધું છે. એટલું જ નહિ, એનો વપરાશ ઘણો વધી ગયો છે અને વાતાવરણમાં થતા ફેરફારને લીધે એ મળવું અઘરું થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે ૩૦ વર્ષની અંદર પાંચ અબજ લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી નહિ મળી રહે.

પૃથ્વીની અજોડ રચના

આપણી પૃથ્વીને એ રીતે બનાવવામાં આવી છે કે પાણી કદી ખૂટે નહિ. ઉપરાંત, પાણીને શુદ્ધ રાખવા માટી, સમુદ્રના જીવજંતુઓ અને સૂર્યનો તાપ મહત્ત્વનો ભાગ ભજવે છે. પૃથ્વીને એ રીતે રચવામાં આવી છે કે એ હંમેશાં ટકી રહે. ચાલો એના અમુક પુરાવા જોઈએ.

  • માટી બહુ સારી રીતે પાણીને ગાળી શકે છે. માટીને લીધે ઘણા ખરાબ તત્ત્વો પાણીમાંથી અલગ થઈ જાય છે. ભીની જમીનમાં એવા અમુક છોડ ઊગે છે જે પાણીમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને જંતુનાશકો કાઢી નાખે છે.

  • વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે પાણી કુદરતી રીતે કેમનું ચોખ્ખું થાય છે. વહેતા પાણીને લીધે એમાં રહેલા ખરાબ તત્ત્વો ઓગળી જાય છે. પછી બૅક્ટેરિયા એનો નાશ કરી નાખે છે.

  • તળાવ કે નદીનાં છીપલાં પાણીમાંથી ઝેરી પદાર્થ કાઢી શકે છે, એ પણ થોડા જ દિવસોમાં. આ છીપલાઓ તો એટલી સરસ રીતે પાણીને શુદ્ધ કરે છે કે પાણી શુદ્ધ કરવાના મશીનને (વૉટર ટ્રીટમૅન્ટ પ્લાન્ટને) પણ બાજુ પર મૂકી દે.

  • જળચક્રને કારણે પૃથ્વીનું પાણી પૃથ્વી પર જ રહે છે. એ સિવાય બીજી પણ કેટલીક કુદરતી પ્રક્રિયાઓ છે. એ બધાને લીધે પાણી પૃથ્વીના વાતાવરણની બહાર નથી જતું કે ગાયબ નથી થઈ જતું.

    શું તમે જાણો છો?

    માટી—પાણીની કુદરતી ગળણી

    જોવા મળ્યું છે કે માટી બહુ સારી રીતે પાણીને ગાળી શકે છે. જ્યારે પાણી માટીમાંથી ગળાઈને નીચે ઊતરે છે ત્યારે પાણીમાં રહેલાં ઝેરી રસાયણ, ધાતુ, ફળ-શાકભાજીનો કચરો અને બીજા દૂષિત પદાર્થ અલગ થઈ જાય છે. પછી આ પાણી જમીનની નીચે ભેગું થાય છે. એ એટલું શુદ્ધ થઈ જાય છે કે તમે એને પી પણ શકો.

    ચિત્રમાં બતાવ્યું છે કે કઈ રીતે માટી દૂષિત પાણીને ગાળે છે. વરસાદનું પાણી માટી, પથ્થરો અને ચીકણી માટીના અલગ અલગ પડમાંથી પસાર થઈને જમીનની નીચે પહોંચે છે અને ચોખ્ખું થાય છે.

    રેતી અને પથ્થરથી ગાળવું

    રેતી અને પથ્થરનાં કણ ઝીણાં કાણાંવાળી ગળણીની જેમ કામ કરે છે. એનાથી અમુક દૂષિત તત્ત્વો પાણીમાંથી દૂર થાય છે.

    બૅક્ટેરિયાથી ગાળવું

    માટીમાં રહેલા બૅક્ટેરિયા ઝેરી પદાર્થમાંથી ઝેર દૂર કરી શકે છે, જે માણસો માટે હાનિકારક હોય છે. અમુક બૅક્ટેરિયા ઝેરી તેલને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીમાં ફેરવી શકે છે.

    રસાયણોથી ગાળવું

    માટીમાં થોડો-ઘણો ઇલેક્ટ્રિક ચાર્જ (વિદ્યુત ભાર) હોય છે. એ કારણને લીધે પાણીમાં રહેલા અમુક ઝેરી રસાયણ માટી સાથે ચોંટી જાય છે. દાખલા તરીકે, ચીકણી માટીમાં નૅગેટિવ ચાર્જ (ૠણ ભાર) હોય છે, જ્યારે કે ઝેરી એમોનિયમમાં પૉઝિટિવ ચાર્જ (ધન ભાર) હોય છે. ચીકણી માટી પોતાનામાં રહેલા ઇલેક્ટ્રિક ચાર્જની મદદથી એમોનિયમને પાણીમાંથી અલગ કરી શકે છે, જે સમુદ્રના જીવો અને ઝાડપાન માટે હાનિકારક છે.

માણસોના પ્રયાસો

ચિત્રો: ૧. એક માણસની ગાડીમાંથી ઑઇલ ટપકી રહ્યું છે અને તે એની મરામત કરી રહ્યો છે. એ ઑઇલને ઝીલવા તેણે વાસણ મૂક્યું છે. ૨. એક માણસ કેમિકલની ખાલી બૉટલો એવી જગ્યાએ આપવા આવ્યો છે જ્યાં એનો યોગ્ય નિકાલ થાય.

જો ગાડીમાંથી ઑઇલ ટપકતું હોય તો એની મરામત કરાવવી જોઈએ અને ઝેરી રસાયણનો પણ યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. આ રીતે આપણે એ જગ્યાઓને સાફ રાખીશું જ્યાંથી ચોખ્ખું પાણી મળે છે

નિષ્ણાતો આપણને સલાહ આપે છે કે પાણી બચાવવા આપણે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. એ ઉપરાંત, પાણી ગંદુ ન થાય એ માટે તેઓએ આપણને અમુક સૂચનો પણ આપ્યાં છે. જેમ કે, જો આપણી ગાડીમાંથી ઑઇલ ટપકતું હોય તો એની મરામત કરાવવી જોઈએ. જો કોઈ દવા ફેંકવી હોય તો એને ટૉયલેટમાં ન નાખવી જોઈએ. કોઈ પણ રસાયણને (કેમિકલને) ગટરમાં ન નાખવું જોઈએ.

એન્જિનિયરોએ નવી નવી રીતો શોધી છે, જેથી ખારા પાણીમાંથી મીઠાને અલગ કરી શકાય છે. આ રીતે પીવાલાયક પાણીનું પ્રમાણ વધારી શકાય છે.

જોવા જઈએ તો ખારા પાણીમાંથી મીઠાને અલગ કરવું મોટા પાયે શક્ય નથી, કારણ કે એમાં ઘણો ખર્ચો થાય છે અને ઘણી ઊર્જા વપરાય છે. ૨૦૨૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘે (યુનાઈટેડ નેશન્સે) પાણી બચાવવા વિશે એક અહેવાલ આપ્યો હતો. એમાં જણાવ્યું હતું કે “આખી દુનિયામાં પાણી બચાવવાના પ્રયાસોને બમણા કરવાની જરૂર છે.”

ઈશ્વર આપે છે આશાનું કિરણ

“ઈશ્વર . . . પાણીનાં ટીપાંને ઉપર ખેંચી લે છે, એ ઠરીને ધુમ્મસ અને વરસાદ બને છે. પછી વાદળ એને નીચે ઠાલવે છે અને મનુષ્યો પર વરસાદ વરસાવે છે.”—અયૂબ ૩૬:૨૬-૨૮.

ઈશ્વરે એવાં ઘણાં ચક્રો બનાવ્યાં છે, જેથી પાણી પૃથ્વી પર ટકી રહે.—સભાશિક્ષક ૧:૭.

ઈશ્વરે પૃથ્વીને એ રીતે બનાવી છે કે એ આપમેળે પાણી શુદ્ધ કરતી રહે. એટલે ખાતરી રાખી શકીએ કે ઈશ્વર પાસે માણસોએ ઊભી કરેલી મુશ્કેલીઓનો હલ લાવવાની શક્તિ અને ઇચ્છા પણ છે. એ વિશે જાણવા પાન ૧૫ પર આપેલો લેખ વાંચો: “ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ.”

વધુ જાણવા

ઝૂમ કરેલા પાણીના કણો.

પાણીમાં એવી ખાસિયત છે, જે જીવન શક્ય બનાવે છે. jw.org/gu પર સૃષ્ટિ ઈશ્વરના ગુણ ગાય છે—પાણી (અંગ્રેજી) વીડિયો જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો