વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લગ્‍ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
    • સુખી યુગલ

      પ્રકરણ દસ

      લગ્‍ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ

      “ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.”—સભાશિક્ષક ૪:૧૨.

      ૧, ૨. (ક) અમુક લગ્‍નો થતાં જોઈને કોઈ વાર મનમાં કેવા સવાલો થઈ શકે? શા માટે? (ખ) આ પ્રકરણમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

      શું તમને લગ્‍નમાં જવાનું ગમે છે? ઘણાને ગમે છે. લગ્‍નનો અવસર ખુશીનો અવસર હોય છે. વર-કન્યા કેટલાં સુંદર દેખાતા હોય છે! તેઓના મોં પર અનેરો આનંદ છવાયેલો હોય છે. આ દિવસ તેઓની જિંદગીનો સૌથી ખુશીનો દિવસ હોય છે. તેઓનું ભાવિ જાણે સોનેરી આશાઓથી ચમકી રહ્યું છે.

      ૨ જોકે, એ તો કબૂલ કરવું પડે કે આજે લગ્‍ન વિષે લોકોના વિચારો ઘણા બદલાઈ ગયા છે. તેઓની નજરે લગ્‍નબંધન, અતૂટ બંધન રહ્યું નથી. આપણે જેઓના લગ્‍નમાં જઈએ તેઓનું લગ્‍નજીવન સુખી થાય એવી આશા રાખીએ છીએ. તોપણ, અમુક લગ્‍નો જોઈને સવાલ થાય કે શું આ લગ્‍ન સુખી થશે? શું એ ટકશે? એનો જવાબ પતિ અને પત્ની પર રહેલો છે. જો તેઓ લગ્‍ન વિષે ઈશ્વરે આપેલી સલાહ પર ભરોસો મૂકશે અને એ પ્રમાણે ચાલશે, તો જરૂર સુખી થશે. (નીતિવચનો ૩:૫, ૬) તેઓએ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવું હોય તો એમ કરવું જરૂરી છે. ચાલો આપણે આ ચાર સવાલોના જવાબ બાઇબલમાંથી જોઈએ: લગ્‍ન કરવાનું કારણ શું છે? લગ્‍ન કરવાના હો તો, જીવનસાથી તરીકે કોને પસંદ કરશો? લગ્‍ન માટે તમે પોતાને કઈ રીતે તૈયાર કરી શકો? સુખી લગ્‍નજીવન ટકાવી રાખવા પતિ-પત્નીને ક્યાંથી મદદ મળી શકે?

      લગ્‍ન કરવાનું કારણ શું છે?

      ૩. નજીવાં કારણોને લીધે લગ્‍ન કરી લેવામાં કેમ શાણપણ નથી?

      ૩ અમુક લોકો એમ માને છે કે ‘લગ્‍ન વિનાનું જીવન અધૂરું છે. જો તમે ન પરણો તો જિંદગીમાં મજા જ શું? જીવનસાથી વિનાની જિંદગી સૂની.’ પણ આવું માનવું જરાય સાચું નથી. ઈસુ પોતે આખી જિંદગી કુંવારા રહ્યા હતા. તેમણે કહ્યું કે કુંવારા રહેવું તો એક ભેટ છે. તેમણે બીજાઓને પણ ઉત્તેજન આપ્યું કે શક્ય હોય તો કુંવારા રહે. (માથ્થી ૧૯:૧૦-૧૨) પ્રેરિત પાઉલે પણ કુંવારા રહેવાના લાભ વિષે જણાવ્યું હતું. (૧ કરિંથી ૭:૩૨-૩૫) પરંતુ, ઈસુએ કે પાઉલે એવો નિયમ બનાવ્યો ન હતો કે બીજા લોકોએ પણ કુંવારા રહેવું જોઈએ. બાઇબલ જણાવે છે કે ‘પરણવાની મના કરતો’ ઉપદેશ તો અશુદ્ધ કે દુષ્ટ દૂતોનો ઉપદેશ છે. (૧ તિમોથી ૪:૧-૩) જોકે, જેઓ યહોવાની ભક્તિમાં જ પૂરું ધ્યાન આપવા માંગતા હોય, તેઓ માટે કુંવારા રહેવાના ઘણા ફાયદા છે. એટલે મિત્રો કે સગાંના દબાણમાં આવીને લગ્‍ન કરી લેવા જરૂરી નથી. આવાં નજીવાં કારણોને લીધે લગ્‍ન કરી લેવામાં શાણપણ નથી.

      ૪. બાળકોનાં સારા ઉછેર માટે સુખી લગ્‍નજીવન કેમ જરૂરી છે?

      ૪ હવે સવાલ એ થાય કે લગ્‍ન કરવાનાં કોઈ યોગ્ય કારણો છે? હા છે. લગ્‍નની ગોઠવણ પણ આપણા પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ છે. (ઉત્પત્તિ ૨:૧૮) એટલે લગ્‍ન કરવાના પણ કેટલાક લાભ છે. એ ઘણા આશીર્વાદો લાવી શકે છે. દાખલા તરીકે, સુખી લગ્‍નજીવનના પાયા પર કુટુંબ ખીલી ઊઠે છે. બાળકોના સારા ઉછેર માટે સુખી માહોલ બહુ જરૂરી છે. આવા માહોલમાં માબાપ તેઓને વહાલ કરે છે, શિસ્ત આપે છે અને સારા સંસ્કાર રેડે છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩; એફેસી ૬:૧-૪) પણ બાળકોને ઉછેરવાં એ જ લગ્‍ન કરવાનું કારણ નથી.

      ૫, ૬. (ક) સભાશિક્ષક ૪:૯-૧૨ પ્રમાણે ગાઢ મિત્રતાના કયા લાભ છે? (ખ) લગ્‍નબંધન કેવી રીતે ત્રેવડી વણેલી દોરી જેવું બની શકે છે?

      ૫ આ પ્રકરણનું મુખ્ય શાસ્ત્રવચન અને એની આગળ-પાછળની કલમોનો વિચાર કરો. એ કહે છે, “એક કરતાં બે ભલા; કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારૂં મળે છે. જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે; પણ જે પડતી વેળાએ એકલો હોય, અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે! વળી જો બે સાથે સૂએ તો તેમને હુંફ વળે છે; પણ એકલાને કેવી રીતે હુંફ વળે? એકલા માણસને હરકોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે; ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.”—સભાશિક્ષક ૪:૯-૧૨.

      ૬ આ કલમો ખાસ તો ખરી મિત્રતા વિષે વાત કરે છે. લગ્‍નમાં પતિ-પત્ની ગાઢ મિત્રો બનતા હોવાથી, તેઓને પણ આ લાગુ પડે છે. આ કલમોમાં જોયું તેમ ગાઢ મિત્રો તરીકે પતિ-પત્ની એકબીજાને સહારો, દિલાસો અને રક્ષણ આપી શકે છે. તેઓનું બંધન બેવડી વણેલી દોરી જેવું હોય છે. આ કલમોમાં જોવા મળે છે તેમ બેવડી વણેલી દોરી તોડી શકાય છે. પણ એમાં ત્રીજી દોરી ગૂંથવામાં આવે તો, એ ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી. પતિ-પત્ની યહોવાને દિલથી ભજે છે ત્યારે, તેઓનું લગ્‍નબંધન ત્રેવડી વણેલી દોરી જેવું બને છે. પતિ-પત્ની બંનેને યહોવા માટે ઊંડો ભક્તિભાવ હોય છે ત્યારે તેઓનું લગ્‍નબંધન અતૂટ બને છે.

      ૭, ૮. (ક) જે કુંવારા લોકોને જાતીય ઇચ્છા કાબૂમાં રાખવી મુશ્કેલ લાગે છે, તેઓને પાઉલે કેવી સલાહ આપી? (ખ) લગ્‍નજીવનની હકીકત વિષે બાઇબલ શું જણાવે છે?

      ૭ એટલું જ નહિ, લગ્‍ન એવું બંધન છે જેમાં પતિ-પત્ની યોગ્ય રીતે પોતાની જાતીય ઇચ્છાનો આનંદ માણી શકે છે. બાઇબલ પ્રમાણે લગ્‍નજીવનમાં જ જાતીય સંબંધથી ખરો આનંદ મળે છે. (નીતિવચનો ૫:૧૮) યુવાનીની કાચી ઉંમરે વ્યક્તિમાં કામેચ્છા જાગવા લાગે છે અને પ્રબળ બને છે. ‘પુખ્ત ઉંમરે’ પણ તેમને જાતીય ઇચ્છા કાબૂમાં રાખવી મુશ્કેલ લાગી શકે. જો તે આ ઇચ્છાને અંકુશમાં ન રાખે, તો કદાચ અશુદ્ધ કે ખોટાં કામો કરી બેસશે. એટલે પાઉલે ઈશ્વરની પ્રેરણાથી કુંવારા લોકોને આ સલાહ આપી: “જો તેઓ પોતે સંયમ ન રાખી શકે, તો ભલે તેઓ પરણે; કેમ કે વાસનાથી બળવા કરતાં પરણવું સારું છે.”—૧ કરિંથી ૭:૯, ૩૬; યાકૂબ ૧:૧૫.

      ૮ ભલે વ્યક્તિ ગમે એ કારણથી પરણે, પણ તેણે લગ્‍નજીવનની એક હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ. પાઉલે કહ્યું હતું કે જેઓ પરણે છે, તેઓએ ઘણાં દુઃખો સહેવાં પડશે. (૧ કરિંથી ૭:૨૮) લગ્‍ન કરનારે એવી દુઃખ-તકલીફોનો સામનો કરવો પડે છે, જેનો કુંવારા લોકોએ સામનો નથી કરવો પડતો. તેમ છતાં, તમે લગ્‍ન કરવાનું નક્કી કરી લીધું હોય તો, કેવી રીતે મુસીબતો ઓછી કરીને ખુશી વધારી શકો? યોગ્ય જીવનસાથી પસંદ કરીને.

      જીવનસાથી તરીકે કોને પસંદ કરશો?

      ૯, ૧૦. (ક) પાઉલે કેવી રીતે સમજાવ્યું કે અવિશ્વાસી સાથે પરણવામાં જોખમ છે? (ખ) ‘ફક્ત પ્રભુમાં’ લગ્‍ન કરવાની આજ્ઞા ન પાળીએ તો શું થઈ શકે?

      ૯ જીવનસાથી પસંદ કરતી વખતે, પાઉલે જણાવેલો આ સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.” (૨ કરિંથી ૬:૧૪) આ સિદ્ધાંત સમજવા આનો વિચાર કરો: જો કદમાં કે બળમાં અસમાન હોય એવાં બે પ્રાણીઓને હળ સાથે જોડવામાં આવે, તો શું થશે? એ બંનેને મુશ્કેલી પડશે. એવી જ રીતે, લગ્‍નમાં એક સાથી અવિશ્વાસી હોય, એટલે કે યહોવાને ભજતા ન હોય અને બીજા સાથી ભજતા હોય તો, ચોક્કસ તેઓ વચ્ચે તણખાં ઝરશે. એક સાથી યહોવાને દિલથી ભજવા માગે અને બીજાને એની કંઈ પડી ન હોય તો શું થશે? એકના જીવનમાં જે મહત્ત્વનું છે એ બીજા માટે નહિ હોય. એના લીધે બંને જણને તકલીફ પડશે. એટલે જ પાઉલે ખ્રિસ્તીઓને ‘ફક્ત પ્રભુમાં’ લગ્‍ન કરવા અરજ કરી.—૧ કરિંથી ૭:૩૯.

      ૧૦ કેટલાક કિસ્સામાં, કુંવારા ભાઈ-બહેનો એવા નિર્ણય પર આવ્યા છે કે એકલતા સહેવા કરતાં, યહોવાને ભજતી નથી એવી વ્યક્તિ સાથે પરણી જવું સારું. અમુક જણે બાઇબલની સલાહ માનવાને બદલે એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરી લીધા છે. એનાથી મોટે ભાગે તેઓ વધારે દુઃખી થયા છે. તેઓ પોતાના જીવનની સૌથી અગત્યની બાબતો વિષે લગ્‍નસાથી સાથે વાત પણ કરી શકતા નથી. એનાથી એકલાપણાની એવી લાગણી જન્મે છે, જે લગ્‍ન પહેલાંની એકલતા કરતાં વધારે પ્રબળ હોય છે. આનંદની વાત છે કે આજે એવા હજારો કુંવારા ભાઈ-બહેનો છે, જેઓને લગ્‍ન માટેની ઈશ્વરની સલાહમાં પૂરો ભરોસો છે. તેઓ ખુશીથી એ સલાહને વળગી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૩૨:૮) તેઓ એવી આશાથી કુંવારા રહે છે કે એકને એક દિવસ પોતાને યહોવાની ભક્તિ કરતું કોઈ સાથી મળશે.

      ૧૧. સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરવા તમને શું મદદ કરી શકે? (“મારે કેવો જીવનસાથી જોઈએ છે” બૉક્સ જુઓ.)

      ૧૧ એ પણ સાચું છે કે યહોવાની ભક્તિ કરનાર દરેક કંઈ આપોઆપ યોગ્ય જીવનસાથી બની જતા નથી. જો તમે લગ્‍ન કરવા માંગતા હો તો એવા સાથીને પસંદ કરો, જે તમારી જેમ ઈશ્વરને પ્રેમ કરતા હોય; જેમનો સ્વભાવ તમારી સાથે મેળ ખાતો હોય; અને ઈશ્વરની સેવામાં તમારા જેવા ધ્યેયો હોય. વિશ્વાસુ ચાકરે આ વિષય પર ઘણી માહિતી પૂરી પાડી છે. એમાં આપેલી બાઇબલની સલાહને ધ્યાન આપો. પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માંગો. એમ કરશો તો તમે જીવનનો આ મહત્ત્વનો નિર્ણય સમજી-વિચારીને લઈ શકશો.a—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

      ૧૨. ઘણા દેશોમાં જીવનસાથી પસંદ કરવા માટે કેવો રિવાજ છે અને એ વિષે બાઇબલનો કયો દાખલો મદદ કરે છે?

      ૧૨ ઘણા દેશોમાં માબાપ પોતાના દીકરા કે દીકરી માટે જીવનસાથી પસંદ કરે એવો રિવાજ હોય છે. મોટા ભાગના લોકો માને છે કે યોગ્ય પાત્ર પસંદ કરવાની આવડત અને બુદ્ધિ સંતાનો કરતાં તેમનાં માબાપમાં વધારે હોય છે. ઘરના વડીલો દ્વારા ગોઠવવામાં આવેલાં લગ્‍નો મોટા ભાગે સફળ નીવડે છે. બાઇબલ જમાનામાં પણ એવાં લગ્‍નો સફળ થતાં હતાં. દાખલા તરીકે, ઇબ્રાહિમે પોતાના દીકરા ઇસહાક માટે પત્ની શોધવા ચાકરને જરૂરી માર્ગદર્શન આપીને મોકલ્યો હતો. આજે પોતાનાં સંતાનો માટે જીવનસાથી શોધતાં માબાપને એ દાખલામાંથી ઘણી મદદ મળી શકે છે. ઇબ્રાહિમ માટે ઊંચું ખાનદાન કે ધનવાન કુટુંબ મહત્ત્વનું ન હતું. તેમને તો યહોવાની દિલથી સેવા કરતી વહુ જોઈતી હતી. એવી વહુ શોધવામાં તેમણે કોઈ કસર છોડી નહિ.b—ઉત્પત્તિ ૨૪:૩, ૬૭.

      મારે કેવો જીવનસાથી જોઈએ છે?

      સિદ્ધાંત: “બંને એક દેહ થશે.”—માથ્થી ૧૯:૫.

      આ સવાલોનો વિચાર કરો

      • લગ્‍નની ઉંમર થઈ ગઈ હોવા છતાં, જવાબદાર વ્યક્તિ બન્યા પછી જ લગ્‍ન કરવું કેમ મહત્ત્વનું છે?—૧ કરિંથી ૧૩:૧૧; માથ્થી ૧૯:૪, ૫.

      • લગ્‍નની ઉંમર હોવા છતાં, હું અમુક સમય કુંવારા રહીને કેવી રીતે એનો ફાયદો લઈ શકું?—૧ કરિંથી ૭:૩૨-૩૫.

      • જો હું લગ્‍ન કરું તો એવા કોઈની સાથે પરણવું કેમ મહત્ત્વનું છે, જે યહોવાની દિલથી ભક્તિ કરતા હોય?—૧ કરિંથી ૭:૩૯.

      • પતિમાં કેવા ગુણો હોવા જોઈએ, એ વિષે આ શાસ્ત્રવચનો એક બહેનને કેવી મદદ કરી શકે?—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭; ૧ તિમોથી ૩:૧-૭.

      • નીતિવચનો ૩૧:૧૦-૩૧ એક ભાઈને સમજી-વિચારીને પત્ની પસંદ કરવા કેવી મદદ કરી શકે?

      લગ્‍ન સફળ બનાવવા કેવી તૈયારી કરશો?

      ૧૩-૧૫. (ક) લગ્‍નનો વિચાર કરતા યુવકને નીતિવચનો ૨૪:૨૭નો સિદ્ધાંત કેવી રીતે મદદ કરી શકે? (ખ) એક યુવતી લગ્‍ન માટે પોતાને તૈયાર કરવા શું કરી શકે?

      ૧૩ જો તમે લગ્‍ન માટે સાચે જ વિચારી રહ્યા હો, તો પોતાને પૂછો: ‘શું હું ખરેખર લગ્‍ન માટે તૈયાર છું?’ તમને કદાચ થશે કે ‘હા, હું તૈયાર છું.’ તમે કોઈનો પ્રેમ કે સાથ ઝંખતા હશો. જાતીય સંબંધ માણવાનું કે બાળકો ઉછેરવાનું મન થતું હશે. પરંતુ, ફક્ત આવી લાગણીને આધારે તમે કહી ન શકો કે ‘હું લગ્‍ન માટે તૈયાર છું.’ તમારે પહેલા એ જોવું જોઈએ કે લગ્‍ન પછી આવતી જવાબદારી ઉપાડવા તમે પોતાને તૈયાર કર્યા છે કે નહિ.

      ૧૪ લગ્‍ન કરવા માગતા યુવકે આ સિદ્ધાંત પર વિચાર કરવો જોઈએ: “તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર; અને ત્યાર પછી તારૂં ઘર બાંધ.” (નીતિવચનો ૨૪:૨૭) આ કલમ શાના પર ભાર મૂકે છે? જૂના જમાનામાં કોઈ પુરુષ ‘પોતાનું ઘર બાંધવા’ એટલે કે લગ્‍ન કરવા માગતો હોય તો, તેણે આવો વિચાર કરવાનો હતો: ‘શું હું મારી પત્નીની બધી રીતે સંભાળ રાખી શકીશ? જો બાળકો થાય તો તેઓની જવાબદારી ઉપાડી શકીશ?’ આ બધા માટે તેણે પહેલા તો સખત મહેનત કરીને, પોતાના ખેતર કે પાકની સંભાળ રાખવાની હતી. આ સિદ્ધાંત આજે પણ લાગુ પડે છે. લગ્‍ન કરવા ચાહતા પુરુષે, પહેલા તો જવાબદારીઓ ઉપાડવા માટે પોતાને તૈયાર કરવો જોઈએ. જ્યાં સુધી તેના હાથપગ ચાલતા હોય, તેણે કામ કરવું જોઈએ. બાઇબલ કહે છે કે જે પુરુષ પોતાના કુટુંબની સંભાળ ન રાખે, પ્રેમ અને હૂંફ ન આપે અને યહોવાની ભક્તિમાં મદદ ન કરે, તે તો અવિશ્વાસી કરતાં પણ ખરાબ છે.—૧ તિમોથી ૫:૮.

      ૧૫ લગ્‍ન કરવા માગતી યુવતીએ પણ ભારે જવાબદારીઓ ઉપાડવા માટે પોતાને તૈયાર કરવી જોઈએ. પતિને મદદ કરવા અને ઘર ચલાવવા પત્નીએ અમુક ગુણો અને આવડતો કેળવવા પડશે. બાઇબલ એવી કુશળ પત્નીની પ્રશંસા કરે છે. (નીતિવચનો ૩૧:૧૦-૩૧) અમુક સ્ત્રી-પુરુષો લગ્‍ન પછીની જવાબદારીઓ ઉપાડવા પોતાને તૈયાર કર્યા વગર, ઉતાવળે લગ્‍ન કરી લે છે. તેઓ ખરેખર પોતાનો જ સ્વાર્થ જુએ છે. તેઓ એ વિચારતા નથી કે જીવનસાથી માટે પોતે શું કરવા તૈયાર છે. જેઓ પરણવા ચાહે છે તેઓએ આ સવાલ પર વિચાર કરવો ખૂબ જ મહત્ત્વનું છે: ‘શું લગ્‍નજીવનમાં બાઇબલના સિદ્ધાંતોને લાગુ પાડવા હું તૈયાર છું?’

      ૧૬, ૧૭. લગ્‍ન માટે પોતાને તૈયાર કરે છે તેઓએ કયા બાઇબલ સિદ્ધાંતો પર મનન કરવાની જરૂર છે?

      ૧૬ ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે પતિની જવાબદારી શું છે અને પત્નીની જવાબદારી શું છે. તેથી, લગ્‍ન જેવું મોટું પગલું ભરતા પહેલાં, તેઓએ એ જવાબદારી વિષે વિચારવું જોઈએ. પુરુષે એ વિચારવાની જરૂર છે કે બાઇબલ પ્રમાણે કુટુંબના શિર કેવા હોવા જોઈએ. શિર હોવાનો અર્થ એ નથી કે પત્ની પર જુલમ કરવાનો પતિને અધિકાર મળી જાય છે. એને બદલે, ઈસુ જે રીતે શિરપણાની જવાબદારી નિભાવે છે, એ રીતે પુરુષે પણ નિભાવવી જોઈએ. (એફેસી ૫:૨૩) સ્ત્રીએ પણ એ સમજવાની જરૂર છે કે તેને પત્નીની જવાબદારીમાં ખૂબ માન આપવામાં આવ્યું છે. શું તે “પતિના નિયમને” આધીન રહેવા તૈયાર છે? (રોમનો ૭:૨) તે પહેલેથી જ યહોવા અને ઈસુના નિયમને આધીન છે. (ગલાતી ૬:૨) લગ્‍ન પછી, તેણે “પતિના નિયમને” એટલે કે શિરપણાને પણ આધીન થવું પડશે. પતિ પણ ભૂલ કરી બેસે છે. શું તે એવા પતિના અધિકાર નીચે રહીને તેને સાથ આપશે? શું તે પતિને આધીન રહી શકશે? જો કોઈ સ્ત્રીને એ અઘરું લાગતું હોય, તો લગ્‍ન નહિ કરવામાં જ તેનું ભલું છે.

      ૧૭ એ ઉપરાંત, દરેકે પોતાના લગ્‍નસાથીની ખાસ જરૂરિયાતો પૂરી કરવા તૈયાર રહેવું જોઈએ. (ફિલિપી ૨:૪) પાઉલે લખ્યું, “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.” ઈશ્વરની પ્રેરણાથી પાઉલ જોઈ શક્યા કે પુરુષને પત્નીના ઊંડા માનની અને સ્ત્રીને પતિના પ્રેમની ખાસ જરૂર હોય છે. પતિને ઊંડું માન મળ્યાનો અને પત્નીને પ્રેમનો અહેસાસ થાય એ જરૂરી છે.—એફેસી ૫:૨૧-૩૩.

      પરણવા માંગતા યુવક-યુવતી એકબીજાને ઓળખવા સાથે સમય વિતાવે છે ત્યારે, ત્રીજી વ્યક્તિને સાથે રાખે છે

      ૧૮. લગ્‍ન પહેલાં સાથે સમય પસાર કરતી વખતે શા માટે પોતાના પર સંયમ રાખવો જોઈએ?

      ૧૮ કેટલાક કિસ્સાઓમાં, પરણવા માંગતા યુવક-યુવતી એકબીજાને સારી રીતે ઓળખવા સાથે સમય વિતાવે છે. એને કોર્ટશીપ પણ કહેવાય છે. ખરું કે આ રીતે સમય વિતાવવામાં કંઈ વાંધો નથી, પણ એ સમય મોજ-મસ્તી કરવા કે હરવા-ફરવા માટે નથી. એ સમય તો એકબીજા સાથે કેવી રીતે વર્તવું, એ શીખવાનો છે. લગ્‍નબંધનમાં જોડાવું યોગ્ય છે કે કેમ, એ નક્કી કરવાનો સમય છે. આ સમયે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો બહુ જરૂરી છે, કારણ કે એકબીજાને પ્રેમ બતાવવાનું તીવ્ર આકર્ષણ થઈ શકે. એ સ્વાભાવિક છે. એટલે પોતાના પર કાબૂ રાખવો બહુ જરૂરી છે. એકબીજાને ખરો પ્રેમ કરનારા એવી કોઈ પણ શારીરિક છૂટછાટ નહિ લે, જેનાથી પોતાના ભાવિ જીવનસાથીનો ઈશ્વર સાથેનો સંબંધ જોખમમાં મૂકાઈ જાય. (૧ થેસ્સાલોનિકી ૪:૬) લગ્‍ન પહેલાં સાથે સમય વિતાવતા હોય તો, પોતાની લાગણીઓ પર કાબૂ રાખો. ભલે તમે એકબીજાને પરણો કે ન પરણો, આ સંયમનો ગુણ આખી જિંદગી કામ લાગશે.

      લગ્‍નબંધનને કાયમી બંધન બનાવવા શું કરશો?

      ૧૯, ૨૦. આજે લગ્‍ન વિષે ઘણા લોકો શું માને છે અને આપણે શું માનવું જોઈએ? ઉદાહરણ આપીને સમજાવો.

      ૧૯ જો પતિ-પત્ની પોતાનું લગ્‍નબંધન કાયમ ટકાવી રાખવા માંગતા હોય, તો તેઓએ શું કરવું જોઈએ? લગ્‍નમાં એકબીજાને આપેલા વચન પ્રત્યે યોગ્ય વલણ રાખવું જોઈએ. નવલકથા-ફિલ્મોમાં ઘણી વખત એવું બતાવવામાં આવે છે કે લગ્‍ન જે-તે કહાનીનો સુખદ અંત હોય છે. કેટલાક લોકો પોતાની જિંદગી વિષે પણ એવાં સપનાં જોતાં હોય છે. પણ હકીકતમાં લગ્‍ન એ અંત નહિ, બલ્કે શરૂઆત છે. એવા બંધનની શરૂઆત, જેને યહોવાએ કાયમ રાખવા માટે બનાવ્યું છે. (ઉત્પત્તિ ૨:૨૪) દુઃખની વાત છે કે આજે મોટા ભાગે લોકો લગ્‍ન વિષે એવું નથી વિચારતા. અમુક સમાજમાં લોકો લગ્‍નને ગાંઠ બાંધવા સાથે સરખાવે છે. તેઓ કદાચ જાણતા નથી, પણ એ શબ્દચિત્ર લગ્‍ન વિષેની તેઓની માન્યતા સાથે એકદમ બંધબેસે છે. લોકો સારી ગાંઠ એને કહે છે, જે જરૂર હોય ત્યાં સુધી મજબૂત રીતે બંધાઈ રહે અને જરૂર પડ્યે આસાનીથી ખોલી પણ શકાય.

      ૨૦ આજે ઘણા લોકો લગ્‍નબંધનને કાયમી બંધન ગણતા નથી. તેઓ પોતાની જરૂરિયાતો સંતોષવા ઉતાવળે લગ્‍ન કરી લે છે. તેઓ એવું પણ માનતા હોય છે કે લગ્‍નજીવન અઘરું લાગશે તો છૂટા થઈ જઈશું. પણ યાદ રાખો કે લગ્‍ન જેવા સંબંધને બાઇબલ “ત્રેવડી વણેલી દોરી” જેવા મજબૂત બંધન સાથે સરખાવે છે. સભાશિક્ષક ૪:૧૨માં ‘દોરી’ ભાષાંતર થયેલા હિબ્રૂ શબ્દનો અર્થ દોરડું પણ થઈ શકે છે. સઢવાળા જહાજ માટે વપરાતું દોરડું એ રીતે બનાવવામાં આવતું કે ભારે તોફાનમાં પણ તૂટતું નહિ. એવી જ રીતે, ઈશ્વરે લગ્‍નની ગોઠવણ કાયમ ટકી રહેવા માટે કરી છે. યાદ કરો, ઈસુએ કહ્યું હતું કે “ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માથ્થી ૧૯:૬) જો તમે લગ્‍ન કરો, તો તમારે પણ એવું જ વિચારવું જોઈએ. શું એ વચન પ્રમાણે જીવવાથી લગ્‍નજીવન બોજરૂપ બની જાય છે? ના, જરાય નહિ.

      ૨૧. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ? એવું વલણ કેળવવા ક્યાંથી મદદ મળી શકે?

      ૨૧ પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે યોગ્ય વલણ રાખવું જોઈએ. તેઓએ એકબીજાના સારા ગુણો જોવા જોઈએ અને મહેનતની કદર કરવી જોઈએ. આમ કરવાથી તેઓનું જીવન આનંદથી ભરાઈ જશે. ખરું કે સાથીના સારા ગુણો જોવા હંમેશાં સહેલું નહિ હોય, કેમ કે તેમનાથી પણ ભૂલ થઈ જાય છે. લગ્‍નસાથીની નબળાઈ જાણતા હોવા છતાં, તેમનામાં સારું જોવા શું મદદ કરી શકે? યહોવાનો વિચાર કરો. તે જાણે છે કે આપણે સર્વ ભૂલને પાત્ર છીએ. તોપણ, આપણને પૂરો ભરોસો છે કે યહોવા આપણી ભૂલોને નહિ, આપણામાં જે સારું હોય એ જ જોશે. એક ગીત-લેખકે પ્રાર્થનામાં કહ્યું કે “હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) પતિ-પત્નીએ પણ એકબીજામાં સારું જોવું જોઈએ અને માફ કરતા રહેવું જોઈએ.—કલોસી ૩:૧૩.

      ૨૨, ૨૩. ઇબ્રાહિમ અને સારાહે કેવી રીતે પતિ-પત્નીઓ માટે સારું ઉદાહરણ બેસાડ્યું છે?

      ૨૨ જેમ જેમ વર્ષો વીતતાં જાય, તેમ તેમ લગ્‍નજીવનમાં વધારે આશીર્વાદો આવી શકે છે. ઇબ્રાહિમ અને સારાહના લગ્‍નનાં પાછલાં વર્ષો વિષે બાઇબલ જણાવે છે. તેઓએ ઘણી તકલીફો વેઠી હતી. સારાહનો વિચાર કરો. સાઠેક વર્ષની ઉંમરે તેણે સમૃદ્ધ શહેર ઉરનું સુખ-સાહેબીવાળું ઘર છોડવું પડ્યું. બાકીનું જીવન તેણે તંબૂમાં રહેવું પડ્યું. આવા સંજોગોમાં પણ પતિને તે આધીન રહી. તે ઇબ્રાહિમની સહાયકારી બની અને દરેક સંજોગોમાં ટેકો આપ્યો. પતિના દરેક નિર્ણયમાં તેણે સાથ આપ્યો. તેની આધીનતા ખાલી દેખાડો ન હતી. તે મનમાં પણ પતિને પ્રભુ સમાન ગણતી હતી. (ઉત્પત્તિ ૧૮:૧૨; ૧ પિતર ૩:૬) ઇબ્રાહિમને તે દિલથી માન આપતી હતી.

      ૨૩ એનો અર્થ એવો પણ નથી કે ઇબ્રાહિમ અને સારાહ દરેક વાત પર સહમત થતા હતા. એક વખત સારાહે જે સલાહ આપી, એનાથી ઇબ્રાહિમને ‘બહુ ખોટું લાગી’ ગયું. તેમ છતાં, યહોવાના કહેવા પ્રમાણે તેમણે નમ્ર બનીને પત્નીની સલાહ માની. પરિણામે, તેઓના કુટુંબને આશીર્વાદ મળ્યો. (ઉત્પત્તિ ૨૧:૯-૧૩) તેઓના ઉદાહરણમાંથી આજે પતિ-પત્નીઓ ઘણું શીખી શકે છે, ભલેને તેઓના લગ્‍નને વર્ષો વીતી ગયાં હોય.

      ૨૪. કેવું લગ્‍નજીવન યહોવાને મહિમા આપે છે? શા માટે?

      ૨૪ આજે મંડળોમાં હજારો સુખી પતિ-પત્નીઓ છે. પત્ની પોતાના પતિને ઊંડું માન આપે છે. પતિ પણ પત્નીને પ્રેમ અને આદર બતાવે છે. તેઓ બંને ભેગા મળીને યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા બનતું બધું જ કરે છે. જો તમે લગ્‍ન કરવાના હો, તો સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરો. લગ્‍ન માટે પોતાને અગાઉથી તૈયાર કરો. લગ્‍ન પછી પણ હળી-મળીને, પ્રેમથી રહેવા બનતી મહેનત કરો, જેથી યહોવાને મહિમા મળે. આવું લગ્‍નજીવન તમને ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા ચોક્કસ મદદ કરશે.

      a કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકનું બીજું પ્રકરણ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

      b જૂના જમાનામાં યહોવાના કેટલાક ભક્તોને એકથી વધારે પત્નીઓ હતી. ત્યારે ઈશ્વરભક્તો અને ઇઝરાયલ જાતિ માટે યહોવાએ એ રિવાજ ચલાવી લીધો. જોકે, તેમણે એ રિવાજ શરૂ કર્યો ન હતો. પણ કોઈ એનો ગેરલાભ ન ઉઠાવે એ માટે તેમણે અમુક નિયમો આપ્યા હતા. આજે યહોવા તેમના ભક્તોને એકથી વધારે પત્નીઓ રાખવાની છૂટ આપતા નથી.—માથ્થી ૧૯:૯; ૧ તિમોથી ૩:૨.

  • ‘લગ્‍નને માનયોગ્ય ગણો’
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
    • યુગલ સાથે બાઇબલ વાંચી રહ્યું છે

      પ્રકરણ અગિયાર

      ‘લગ્‍નને માનયોગ્ય ગણો’

      “તારી જુવાનીની પત્નીમાં આનંદ માન.”—નીતિવચનો ૫:૧૮.

      ૧, ૨. આપણે શાના પર વિચાર કરીશું અને શા માટે?

      શું તમારું લગ્‍ન થઈ ગયું છે? શું તમે પતિ-પત્ની ખુશ છો? કે પછી તમારા બંને વચ્ચે ઘણી તકલીફો છે? શું તમારો એકબીજા માટેનો પ્રેમ ઠંડો પડી ગયો છે? જો તમારું લગ્‍નજીવન માંડ માંડ ટકી રહ્યું હોય, તો પહેલાના પ્રેમને કરમાઈ ગયેલો જોઈને ઘણું દુઃખ થતું હશે. ખરું કે તમે દિલથી યહોવાની ભક્તિ કરતા હોવાથી, એમ ચાહો છો કે તમારા લગ્‍નજીવનથી તેમને મહિમા મળે. પણ તમારી હાલની સ્થિતિ જોઈને ઘણી ચિંતા થતી હશે અને દિલ દુઃખી થતું હશે. પરંતુ, એવું ન માની લેતા કે હવે કોઈ જ ઉપાય નથી.

      ૨ આજે યહોવાના ભક્તોમાં એવાં અનેક સુખી યુગલો છે, જેઓના લગ્‍નજીવનમાં એક સમયે ઘણી તકલીફો હતી. તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહેતા હોવા છતાં, એકબીજા માટે અજાણ્યા બની ગયા હતા. પણ આજે તેઓ સુખી છે. તેઓ શીખ્યા છે કે કઈ રીતે લગ્‍નબંધનને મજબૂત કરી શકાય. તમે પણ તેઓની જેમ સુખી થઈ શકો છો. કઈ રીતે? ચાલો જોઈએ.

      ઈશ્વરની નજીક જશો તો લગ્‍નસાથીની નજીક આવશો

      ૩, ૪. પતિ-પત્ની ઈશ્વરની નજીક જવા પ્રયત્ન કરે ત્યારે કઈ રીતે એકબીજાની નજીક આવે છે? ઉદાહરણ આપી સમજાવો.

      ૩ જો તમે અને તમારા લગ્‍નસાથી ઈશ્વરની નજીક જવા પૂરો પ્રયાસ કરશો, તો તમે બંને પણ એકબીજાની નજીક આવશો. કઈ રીતે? એ સમજવા ચાલો એક ઉદાહરણ લઈએ: એક પહાડ છે. એની એક તરફ પતિ ઊભો છે, જ્યારે બીજી તરફ પત્ની ઊભી છે. બંને જણા પહાડ પર ચઢવાનું શરૂ કરે છે. તેઓ નીચે છે ત્યારે બંને વચ્ચે ખાસ્સું અંતર છે. પણ જેમ જેમ તેઓ પહાડ ઉપર ચઢતા જાય છે, તેમ તેમ તેઓ વચ્ચેનું અંતર ઓછું થતું જાય છે.

      ૪ યહોવાની ભક્તિમાં તમે જે સખત મહેનત કરો છો, એને પહાડ ચઢવા સાથે સરખાવી શકાય. ખરું કે યહોવાને બહુ ચાહતા હોવાથી, તમે શરૂઆતથી જ તેમની સેવામાં ખૂબ મહેનત કરી રહ્યા છો. પરંતુ, કોઈક કારણથી તમે અને તમારા લગ્‍નસાથી વચ્ચે અંતર પડી ગયું હોય તો, તમે જાણે બે વિરુદ્ધ દિશામાંથી પહાડ ચઢી રહ્યા છો. શરૂઆતમાં કદાચ તમે બંને એકબીજાથી ઘણા દૂર છો. જેમ જેમ તમે ઉપર ચઢતા જશો, તેમ તેમ તમારા બંને વચ્ચેનું અંતર પણ ઘટતું જશે. બીજા શબ્દોમાં, ઈશ્વરની નજીક આવવા તમે બંને મહેનત કરશો તેમ તમારા સંબંધો સુધરતા જશે. આ બતાવે છે કે પતિ-પત્નીએ એકબીજાની નજીક આવવા, ઈશ્વરની નજીક જવું બહુ જરૂરી છે.

      બાઇબલની સલાહ પ્રમાણે જીવવાથી લગ્‍નબંધન મજબૂત બને છે

      ૫. (ક) યહોવાની નજીક આવવાની એક રીત કઈ છે? (ખ) લગ્‍નને યહોવા કેવું ગણે છે?

      ૫ ઈશ્વરની નજીક આવવાની એક મહત્ત્વની રીત એ છે કે લગ્‍ન વિષે બાઇબલમાં આપેલી સલાહ પ્રમાણે પતિ-પત્ની ચાલે. (ગીતશાસ્ત્ર ૨૫:૪; યશાયા ૪૮:૧૭, ૧૮) પ્રેરિત પાઉલે આપેલી આ સલાહ પર વિચાર કરો: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય.” (હિબ્રૂ ૧૩:૪) એનો શું અર્થ થાય? “માનયોગ્ય” એટલે કોઈ બાબતને ખૂબ મહત્ત્વની ગણવી, અનમોલ ગણવી. યહોવા લગ્‍નને માનયોગ્ય ગણે છે. તેમને મન લગ્‍નની ગોઠવણ અનમોલ છે.

      યહોવા માટેનો પ્રેમ તમને મદદ કરશે

      ૬. લગ્‍ન વિષે પાઉલે આપેલી સલાહ શું બતાવે છે? એ સલાહ ધ્યાનમાં રાખવી કેમ મહત્ત્વનું છે?

      ૬ યહોવાના ભક્ત હોવાથી તમે પતિ-પત્ની જાણો છો કે લગ્‍ન અનમોલ અને પવિત્ર બંધન છે. કેમ નહિ, ખુદ યહોવાએ લગ્‍નની શરૂઆત કરી છે! (માથ્થી ૧૯:૪-૬) પરંતુ, તમારા લગ્‍ન-સંસારમાં તકલીફો હોય તો, એકબીજાને માન આપવું કે પ્રેમ બતાવવો મુશ્કેલ લાગતું હશે. એ કિસ્સામાં લગ્‍ન માનયોગ્ય છે એમ માનવાથી કંઈ મદદ નહિ મળે. તો પછી, એકબીજાને માન આપવા અને પ્રેમ બતાવવા તમને શું મદદ કરશે? ધ્યાન આપો કે પાઉલે માન આપવા વિષે શું કહ્યું હતું. તેમણે એમ કહ્યું ન હતું કે ‘લગ્‍ન માનયોગ્ય છે.’ પણ તેમણે એમ કહ્યું કે ‘લગ્‍નને માનયોગ્ય ગણો.’ પાઉલ એમ જણાવી રહ્યા ન હતા કે લગ્‍ન કેવું છે. પણ તે ઉત્તેજન આપી રહ્યા હતા કે લગ્‍નને કેવું ગણવું જોઈએ. આ ફરક ધ્યાનમાં રાખશો તો, તમારા લગ્‍નસાથી માટે ફરીથી પ્રેમ અને માન જગાડી શકશો. કેવી રીતે?

      ૭. (ક) તમે બાઇબલની કઈ આજ્ઞાઓ પાળો છો અને શા માટે? (ખ) એ આજ્ઞાઓ પાળવાથી કેવા આશીર્વાદ મળે છે?

      ૭ જરા વિચારો કે બાઇબલની બીજી આજ્ઞાઓ વિષે તમને કેવું લાગે છે. જેમ કે, પ્રચાર કરીને શિષ્યો બનાવવાની અને ભક્તિ માટે ભેગા મળવાની આજ્ઞા. (માથ્થી ૨૮:૧૯; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) ખરું કે અમુક વખતે એ આજ્ઞા પ્રમાણે કરવું મુશ્કેલ લાગી શકે. જેઓને યહોવાનો સંદેશો જણાવો છો, તેઓ કદાચ ન સાંભળે, વિરોધ પણ કરે. અથવા તો નોકરીધંધાએ તમે એટલા થાકી જાવ કે આપણી સભાઓમાં જવાની શક્તિ જ ન રહે. આવી અડચણો હોવા છતાં, લોકોને તમે ખુશખબર જણાવતા રહો છો. મંડળની બધી સભાઓમાં પણ જાવ છો. આમ કરતા તમને કોઈ રોકી શકતું નથી. અરે, શેતાન પણ નહિ! કારણ, તમે યહોવાને દિલથી ચાહતા હોવાથી તેમની આજ્ઞાઓ પાળો છો. (૧ યોહાન ૫:૩) તમને એનાથી કેવા આશીર્વાદ મળે છે? લોકોને ખુશખબરી જણાવવાથી અને સભાઓમાં જવાથી તમે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી રહ્યા છો. એ જાણીને તમને મનની શાંતિ મળે છે, અનેરો આનંદ થાય છે. એનાથી ભક્તિમાં તમારી હોંશ વધે છે. (નહેમ્યા ૮:૧૦) આમાંથી શું શીખવા મળે છે?

      ૮, ૯. (ક) લગ્‍નને માનયોગ્ય ગણવાની આજ્ઞા પાળવા આપણને શામાંથી પ્રેરણા મળી શકે? (ખ) હવે આપણે કયા બે મુદ્દાઓ પર વાત કરીશું?

      ૮ ઈશ્વર માટેનો ઊંડો પ્રેમ તેમની આજ્ઞાઓ પાળવા તમને પ્રેરે છે. એટલે ગમે એવી અડચણો હોવા છતાં, તમે લોકોને ખુશખબર જણાવો છો અને સભાઓમાં જાવ છો. તો પછી ‘તમારું લગ્‍ન માનયોગ્ય ગણો,’ એ આજ્ઞા પાળવા વિષે શું? ભલે એ મુશ્કેલ લાગે, યહોવા માટેનો પ્રેમ એ આજ્ઞા પાળવા પણ તમને પ્રેરણા આપી શકે. (હિબ્રૂ ૧૩:૪; ગીતશાસ્ત્ર ૧૮:૨૯; સભાશિક્ષક ૫:૪) ખુશખબર જણાવવા અને સભાઓમાં જવા તમે જે પ્રયત્ન કરો છો, એના પર યહોવા ઘણા આશીર્વાદ આપે છે. લગ્‍નને માનયોગ્ય ગણવા તમે પ્રયત્ન કરશો તો, યહોવા એને પણ ધ્યાનમાં લેશે અને ચોક્કસ આશીર્વાદ આપશે.—૧ થેસ્સાલોનિકી ૧:૩; હિબ્રૂ ૬:૧૦.

      ૯ તમે કઈ રીતે પોતાના લગ્‍નજીવનને માનયોગ્ય બનાવી શકો? એક તો, તમારું લગ્‍નબંધન નબળું પડી જાય એ રીતે ન વર્તો. બીજું, એને મજબૂત કરવા અમુક પગલાં ભરો. ચાલો જોઈએ કે કઈ રીતે એમ કરી શકાય.

      લગ્‍નનું અપમાન કરે એવાં વાણી-વર્તન ન રાખો

      ૧૦, ૧૧. (ક) કેવાં વાણી-વર્તનથી લગ્‍નને માન મળતું નથી? (ખ) પતિ-પત્નીએ સાથે મળીને કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

      ૧૦ અમુક સમય પહેલાં, આપણી એક બહેને આમ કહ્યું હતું: “હું યહોવાને પ્રાર્થના કરું છું કે મને સહનશક્તિ આપે.” તેમણે કેમ એવું કહ્યું એના વિષે સમજાવતા બહેન કહે છે, ‘મારા પતિના શબ્દો જાણે ચાબુકની જેમ વાગે છે. ભલે મારા શરીર પર કોઈ નિશાન નહિ દેખાય, પણ તેમના બોલ મારા દિલ પર જખમ છોડી જાય છે. “તું મારે માથે પડી છે” અને “તું તો સાવ નકામી છે!” એવાં કડવાં વેણ સાંભળી સાંભળીને મારા દિલ પર ઊંડા ઘા પડી ગયા છે.’ આ બહેને જે કહ્યું, એમાં એક મોટી તકલીફ નજર સામે આવે છે. એ છે, લગ્‍નસાથીને તોડી પાડતી ઝેર જેવી વાણી.

      ૧૧ યહોવાના ભક્તોમાં અમુક પતિ-પત્નીઓ પણ એકબીજા સાથે કડવાશથી બોલે, એ કેટલા દુઃખની વાત છે! તેઓ એકબીજાના દિલ પર એટલા ઊંડા ઘા કરે છે, જે સહેલાઈથી રુઝાતા નથી. જેઓ આ રીતે એકબીજાને ટોણા મારતા રહે છે, તેઓ લગ્‍નને માનયોગ્ય ગણતા નથી. તમારા લગ્‍નજીવન વિષે શું? એ જાણવા નમ્રતાથી તમારા સાથીને પૂછી શકો, “હું જે રીતે બોલું છું એનાથી તને કેવું લાગે છે?” જો તેમને લાગતું હોય કે તમારાં વાણી-વર્તનથી વારંવાર દિલને ચોટ પહોંચે છે, તો તમારે પરિસ્થિતિ સુધારવા પગલાં લેવાં જ પડશે.—ગલાતી ૫:૧૫; એફેસી ૪:૩૧.

      ૧૨. યહોવાની નજરે આપણી ભક્તિ કેવી રીતે નકામી બની શકે?

      ૧૨ હંમેશાં યાદ રાખો કે તમે પોતાના પતિ કે પત્ની સાથે જે રીતે વાત કરો છો, એની યહોવા સાથેના તમારા સંબંધ પર અસર પડે છે. બાઇબલ જણાવે છે: “જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.” (યાકૂબ ૧:૨૬) આપણે જે કંઈ બોલીએ, એ યહોવાની ભક્તિને અસર કરે છે. પરંતુ, ઘણા માને છે કે ‘ઘરમાં બોલાચાલી તો થાય. જ્યાં સુધી ઈશ્વરને ભજતા રહીએ ત્યાં સુધી કંઈ વાંધો નથી.’ આવું વિચારીને પોતાને છેતરશો નહિ! આ બહુ ગંભીર બાબત છે. બાઇબલ આવા વિચારોને જરાય સાથ નથી આપતું. (૧ પિતર ૩:૭) કદાચ તમારી પાસે ઘણી આવડત હશે કે પછી યહોવાની ભક્તિમાં બહુ ઉત્સાહી હશો. પણ તમે જાણીજોઈને લગ્‍નસાથીને મહેણાં-ટોણા મારો અને દુઃખ પહોંચાડો તો, તમે લગ્‍નને માનયોગ્ય ગણતા નથી. યહોવા તમારી ભક્તિને નકામી ગણશે.

      ૧૩. પતિ કે પત્ની સાવચેત ન રહે તો તેમના સાથીની લાગણી કઈ રીતે દુભાઈ શકે?

      ૧૩ પતિ-પત્નીએ એ બાબતમાં પણ સાવચેત રહેવું જોઈએ કે અજાણતા પોતાનાં વાણી-વર્તનથી એકબીજાની લાગણીઓ ન દુભાવે. આ બે દાખલાઓ પર વિચાર કરો: એકલે હાથે કુટુંબ ઉછેરતી એક મા, મંડળના કોઈ પરિણીત ભાઈની સલાહ લેવા વારંવાર ફોન કરે છે. તેઓ લાંબો સમય ફોન પર વાત કરે છે. એક કુંવારો ભાઈ, દર અઠવાડિયે મંડળની કોઈ પરિણીત બહેન સાથે પ્રચારમાં કલાકો ગાળે છે. બંને દાખલામાં પરિણીત ભાઈ કે બહેનનો ઇરાદો સારો હશે, પણ તેઓના લગ્‍નસાથી પર એની કેવી અસર પડશે? આવી સ્થિતિમાંથી પસાર થતી એક પત્ની કહે છે: “મારા પતિ મંડળની એક બહેન માટે પુષ્કળ સમય આપે છે. તેમના પર વધારે ધ્યાન આપે છે. એ જોઈને મને ઘણું દુઃખ થાય છે, જાણે મારી તો કોઈ કિંમત જ નથી.”

      એક સુખી યુગલ હાથમાં હાથ રાખીને બાગીચામાં ચાલે છે

      ૧૪. (ક) ઉત્પત્તિ ૨:૨૪ પ્રમાણે લગ્‍નસાથીએ સૌથી પહેલા કોનું ધ્યાન રાખવાનું છે? (ખ) લગ્‍નસાથીએ શાનો વિચાર કરવાની જરૂર છે?

      ૧૪ સમજી શકાય કે આ બહેન અને તેમના જેવા ઘણાને કેમ દુઃખ થાય છે. તેઓના લગ્‍નસાથી ઈશ્વરે આપેલી આ સલાહ ધ્યાન પર લેતા નથી: “માણસ પોતાનાં માતાપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે.” (ઉત્પત્તિ ૨:૨૪) ખરું કે લગ્‍ન પછી પણ સંતાનો પોતાનાં માબાપને માન આપે છે. પરંતુ, ઈશ્વરની ગોઠવણ પ્રમાણે લગ્‍ન પછી પતિ-પત્નીએ સૌથી પહેલા પોતાના લગ્‍નસાથીને ધ્યાન આપવાનું છે. એ જ રીતે, મંડળમાં ભાઈ-બહેનો એકબીજા પર ખૂબ પ્રેમ રાખે છે. પરંતુ, તેઓની સૌથી પહેલી જવાબદારી પોતાના લગ્‍નસાથીનું ધ્યાન રાખવાની છે. એટલે કોઈ પરિણીત ભાઈ મંડળમાં કોઈની સાથે, ખાસ કરીને કોઈ બહેન સાથે વધારે પડતા સંબંધો કેળવે કે પછી જરૂર કરતાં વધારે સમય વિતાવે, તો શું થઈ શકે? તેમના લગ્‍નજીવનમાં તકલીફ ઊભી થઈ શકે. તમારા લગ્‍નજીવનમાં તકલીફો ઊભી થઈ હોય તો, એનું કારણ પણ આવું જ કંઈ નથી ને? વિચારો કે ‘શું મારા લગ્‍નસાથીને હું પૂરતો સમય અને ધ્યાન આપું છું? તેમને જોઈતું વહાલ બતાવું છું?’

      ૧૫. માથ્થી ૫:૨૮ પ્રમાણે, પતિ-પત્નીએ લગ્‍નસાથી સિવાય બીજા કોઈને વધારે પડતી લાગણી કેમ ન બતાવવી જોઈએ?

      ૧૫ જો કોઈ પતિ પોતાની પત્ની સિવાય બીજી કોઈ બહેન માટે વધારે પડતી લાગણી બતાવે, તો તે જાણે અંગારા પર ચાલે છે. એ જ વાત પત્નીને પણ લાગુ પડે છે. દુઃખની વાત છે કે અમુક પરિણીત ભાઈ-બહેનોએ લગ્‍નસાથી સિવાય બીજા કોઈ સાથે વધારે પડતો સંબંધ રાખ્યો છે અને તેમના પ્રેમમાં પડ્યા છે. (માથ્થી ૫:૨૮) એકબીજા માટે એવી લાગણી ફૂટી નીકળી હોવાથી તેઓ અયોગ્ય રીતે વર્ત્યા છે. એનાથી લગ્‍નની ગોઠવણનું વધારે અપમાન થયું છે. ચાલો હવે જોઈએ કે આ વિષય પર પાઉલે શું કહ્યું હતું.

      ‘લગ્‍નનું બિછાનું નિર્મળ રહે’

      ૧૬. લગ્‍નસંબંધ વિષે પાઉલે કઈ ચેતવણી આપી?

      ૧૬ ‘લગ્‍નને માનયોગ્ય ગણવાનું’ ઉત્તેજન આપ્યા પછી, તરત જ પાઉલે આ ચેતવણી આપી: ‘લગ્‍નનું બિછાનું નિર્મળ રહે, કેમ કે ઈશ્વર લંપટોનો અને વ્યભિચારીઓનો ન્યાય કરશે.’ (હિબ્રૂ ૧૩:૪) ‘લગ્‍નનું બિછાનું’ શબ્દો દ્વારા પાઉલ શરીર સંબંધોની વાત કરતા હતા. એવા સંબંધો ફક્ત પોતાના લગ્‍નસાથી સાથે જ બાંધવામાં આવે ત્યારે, એ શુદ્ધ કે “નિર્મળ રહે” છે અને એને કોઈ ડાઘ લાગતો નથી. એટલે યહોવાના ભક્તો બાઇબલની આ સલાહ દિલમાં ઉતારે છે: “તારી જુવાનીની પત્નીમાં આનંદ માન.”—નીતિવચનો ૫:૧૮.

      ૧૭. (ક) વ્યભિચાર વિષે લોકો કેવું માને છે? આપણે શા માટે તેઓના રંગે રંગાવું ન જોઈએ? (ખ) આપણે કઈ રીતે અયૂબ જેવા બનવું જોઈએ?

      ૧૭ લગ્‍નસાથી સિવાય બીજા કોઈની સાથે જાતીય સંબંધ બાંધનારા યહોવાના નિયમોનું ઘોર અપમાન કરે છે. આજે વ્યભિચારને ઘણા લોકો સામાન્ય ગણે છે. દુનિયાના લોકો ભલે ગમે એમ કરે, પણ આપણે તેઓના રંગે રંગાવું ન જોઈએ. કદીયે ન ભૂલીએ કે આખરે તો માણસ નહિ, પણ “ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.” (હિબ્રૂ ૧૦:૩૧; ૧૨:૨૯) એટલે આપણે આ બાબતે યહોવાનાં ધોરણોને વળગી રહીએ છીએ. (રોમનો ૧૨:૯) અયૂબના આ શબ્દો યાદ રાખીએ: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે.” (અયૂબ ૩૧:૧) યહોવાના ભક્તો પણ પોતાની આંખોને કાબૂમાં રાખે છે અને કોઈને બૂરી નજરે જોતા નથી. તેઓ પોતાના લગ્‍નસાથીને વફાદાર રહે છે. વ્યભિચારની ખાઈ તરફ લઈ જતા માર્ગે તેઓ એક પગલું પણ ભરતા નથી.—વધારે માહિતીમાં “છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિશે બાઇબલ શું કહે છે” લેખ જુઓ.

      ૧૮. (ક) યહોવા વ્યભિચારને કેટલી હદે નફરત કરે છે? (ખ) વ્યભિચાર અને મૂર્તિપૂજા કઈ રીતે એકસરખાં પાપ છે?

      ૧૮ યહોવા વ્યભિચારને કેટલી હદે નફરત કરે છે? એ વિષે મૂસાના નિયમો જોવાથી યહોવાના વિચારો જાણી શકીએ. ઇઝરાયલમાં વ્યભિચાર કે મૂર્તિપૂજા કરનારને મોતની સજા થતી. (લેવીય ૨૦:૨, ૧૦) શું તમે જોઈ શકો છો કે એ બંને પાપ કઈ રીતે એકસરખાં છે? જે ઇઝરાયલી મૂર્તિપૂજા કરતો, તે યહોવા સાથેના કરારનો ભંગ કરતો હતો. એ જ રીતે, વ્યભિચાર કરનાર ઇઝરાયલી પોતાની પત્ની સાથેના કરારનો ભંગ કરતો હતો. બંને કિસ્સામાં તેઓ કપટથી વર્તતા હતા. (નિર્ગમન ૧૯:૫, ૬; પુનર્નિયમ ૫:૯; માલાખી ૨:૧૪) યહોવા તો વફાદાર અને ભરોસાપાત્ર છે. તેમની સામે વ્યભિચારી અને મૂર્તિપૂજક ગુનેગાર સાબિત થતા હતા.—ગીતશાસ્ત્ર ૩૩:૪.

      ૧૯. વ્યભિચારથી દૂર રહેવાના આપણા નિર્ણયમાં અડગ રહેવા શેમાંથી મદદ મળી શકે? કેવી રીતે?

      ૧૯ ખરું કે આજે યહોવાના ભક્તો મૂસાના નિયમોથી બંધાયેલા નથી. તોપણ, જૂના જમાનાના ઇઝરાયલમાં વ્યભિચારને યહોવા મોટું પાપ ગણતા, એ યાદ રાખવાથી મદદ મળે છે. એનાથી આપણે એવાં કામોથી દૂર રહેવાના આપણા નિર્ણયમાં અડગ બનીએ છીએ. એક દાખલો લો. શું તમે ચર્ચમાં જઈને, ઘૂંટણે પડી મૂર્તિ સામે નમશો? તમે કહેશો, ‘કદીયે નહિ!’ જો એમ કરવા કોઈ તમને ઘણા પૈસા આપે, તો શું તમે લલચાશો? તમે કહેશો, ‘અરે, સપનામાં પણ નહિ!’ યહોવાના સાચા ભક્તને મૂર્તિપૂજાના વિચારથી પણ નફરત છે. તે એમ કરીને યહોવાને બેવફા બનવાનું વિચારી પણ શકતો નથી. એવી જ રીતે, વ્યભિચારની જોરદાર લાલચ સામે આવે ત્યારે, યહોવાના ભક્તને એટલી જ સખત નફરત થવી જોઈએ. તેણે કદી ભૂલવું ન જોઈએ કે આવું મોટું પાપ કરીને તે યહોવાને અને પોતાના લગ્‍નસાથીને બેવફા બને છે. તેઓનો ગુનેગાર બને છે! (ગીતશાસ્ત્ર ૫૧:૧, ૪; કલોસી ૩:૫) આપણે એવું કંઈ કરવા માંગતા નથી, જેનાથી યહોવા અને લગ્‍નની પવિત્ર ગોઠવણનું અપમાન થાય. એનાથી તો ફક્ત શેતાન રાજી થશે.

      લગ્‍નબંધન મજબૂત બનાવવા શું કરશો?

      વૃદ્ધ યુગલે એકબીજાનો હાથ પકડ્‌યો છે

      ૨૦. અમુકના લગ્‍નજીવનમાં શું બન્યું છે? ઉદાહરણ આપી સમજાવો.

      ૨૦ આપણે જોયું કે લગ્‍નબંધનનું અપમાન કરે, એવી કોઈ પણ રીતે ન વર્તવું જોઈએ. એ ઉપરાંત, બીજાં કેવાં પગલાં ભરવાં જોઈએ, જેનાથી જીવનસાથી માટે ફરીથી માન અને પ્રેમ જાગી ઊઠે? એના જવાબ માટે લગ્‍નની ગોઠવણને એક ઘર સાથે સરખાવો. પતિ-પત્ની એકબીજાને માન આપે એવી મીઠી વાણી, પ્રેમભર્યું વર્તન અને વહાલ જાણે ઘરને સજાવવાની ચીજો છે. એ ઘરને સુંદર મજાનું બનાવે છે. જો તમે પતિ-પત્ની એકબીજાના સંગાથનો આનંદ માણતા હોવ, તો એ જાણે ઘરમાં રંગ ભરે છે અને એનો માહોલ પ્રેમાળ બનાવે છે. પણ એકબીજા માટેનો પ્રેમ ઓછો થઈ જાય તો, જાણે ઘરની સજાવટ ધીમે ધીમે દૂર થતી જાય છે. પછી તમારું લગ્‍નજીવન શણગાર વિનાના ઘર જેવું બની જાય છે. ‘લગ્‍નને માનયોગ્ય ગણવાની’ ઈશ્વરની આજ્ઞા પાળવા માગતા હોવાથી, તમે એવા સંજોગોમાં સુધારો કરવા માગશો, ખરું ને! તમારી નજરે લગ્‍ન અનમોલ અને માનયોગ્ય હોવાથી, તમે એને ફરીથી સુખી બનાવવા ચાહો છો. તમે શું કરી શકો? બાઇબલ જણાવે છે કે “જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિ વડે તે સ્થિર થાય છે; અને ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.” (નીતિવચનો ૨૪:૩, ૪) એ શબ્દો લગ્‍નજીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય, એનો વિચાર કરો.

      ૨૧. લગ્‍નબંધનને મજબૂત બનાવવા શું કરવું જોઈએ? (“હું લગ્‍નજીવનમાં સુધારો કરવા શું કરી શકું?” બૉક્સ પણ જુઓ.)

      ૨૧ કુટુંબ સુખી થાય એવી “મૂલ્યવાન” ચીજોમાં સાચો પ્રેમ, ઈશ્વરનો ડર અને અડગ શ્રદ્ધા જેવા અનમોલ ગુણો આવી જાય છે. (નીતિવચનો ૧૫:૧૬, ૧૭; ૧ પિતર ૧:૭) એનાથી લગ્‍નબંધન મજબૂત બને છે. ઉપર જણાવેલા નીતિવચનમાં તમે નોંધ લીધી કે કઈ રીતે મૂલ્યવાન ચીજોથી ઓરડાઓ ભરવામાં આવે છે? “ડહાપણ” કે જ્ઞાન દ્વારા. બાઇબલના જ્ઞાન પ્રમાણે જીવવાથી, લોકોના વિચારોમાં સુધારો થાય છે. એ તેઓના લગ્‍નજીવનમાં પ્રેમની જ્યોત ફરીથી પ્રગટાવે છે. (રોમનો ૧૨:૨; ફિલિપી ૧:૯) તમે તમારા લગ્‍નસાથી સાથે બેસીને નિરાંતે બાઇબલમાંથી કંઈક વાંચતા હશો. જેમ કે દિવસનું વચન, અથવા તો ચોકીબુરજ કે સજાગ બનો! મૅગેઝિનમાંથી લગ્‍નને લગતો કોઈ લેખ. એમ કરો છો ત્યારે તમે જાણે તમારા ઘરને સુંદર બનાવવા માટે શણગારની ચીજો જોઈ રહ્યા છો. યહોવા પરના પ્રેમને લીધે, તમે એ સલાહ તમારા લગ્‍નજીવનમાં લાગુ પાડો ત્યારે જાણે કે શણગારની ચીજો તમારા ‘ઓરડાઓમાં’ લાવો છો. આમ, લગ્‍નજીવનમાં જે ખુશી અને પ્રેમ અગાઉ હતા, એ ધીમે ધીમે પાછા આવી શકે છે.

      ૨૨. પતિ અને પત્ની લગ્‍નબંધન મજબૂત બનાવવા પૂરો પ્રયત્ન કરતા રહેશે તો શું થશે?

      ૨૨ ઘરને શણગારીને સુંદર બનાવવા સારો એવો સમય અને મહેનત જરૂરી છે. લગ્‍નજીવનમાં પણ એવું જ છે. પણ તમે બંને પૂરો પ્રયત્ન કરતા રહેશો તો, એ જાણીને ખુશ થશો કે તમે બાઇબલની આ આજ્ઞા પાળો છો: “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રોમનો ૧૨:૧૦; ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧) એટલું જ નહિ, લગ્‍નને માનયોગ્ય રાખવા તમે દિલથી જે પ્રયત્નો કરો છો, એ તમને ઈશ્વરના પ્રેમની છાયામાં રાખશે.

      હું લગ્‍નજીવનમાં સુધારો કરવા શું કરી શકું?

      એક પતિ પોતાની પત્નીને ચા બનાવી આપીને તેની કદર કરે છે

      સિદ્ધાંત: “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.

      આ સવાલોનો વિચાર કરો

      • મારા જીવનસાથીમાં કયા સારા ગુણો છે અને હું એની કદર કરું છું એમ કઈ રીતે બતાવી શકું?—નીતિવચનો ૧૪:૧; ૩૧:૨૯; ૧ પિતર ૩:૧, ૬; ૪:૮.

      • શું હું મારા લગ્‍નસાથીના વિચારો અને લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીને તેમને માન આપું છું?—ફિલિપી ૨:૪.

      • મારા સાથીની ભૂલોને ખુશીથી માફ કરવા હું તૈયાર રહું છું?—માથ્થી ૬:૧૪, ૧૫.

      • છેલ્લે મેં ક્યારે મારા જીવનસાથીને પ્રેમ બતાવ્યો હતો?—ગીતોનું ગીત ૨:૯-૧૪.

      • યહોવાની ભક્તિમાં કયા ધ્યેયો પૂરા કરવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ?—માથ્થી ૬:૩૩, ૩૪; ૧ કરિંથી ૯:૨૪-૨૭.

      • અમે ભેગા મળીને બાઇબલ વાંચીએ અને દિવસના વચન પર વિચાર કરીએ, એ માટે મારા સાથીને ઉત્તેજન આપવા હું શું કરી શકું?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો