કુટુંબમાં શાંતિ જાળવવા શું પવિત્ર શાસ્ત્ર મદદ કરી શકે? અહીં અમુક લોકોના અનુભવ આપવામાં આવ્યા છે. ચાલો જોઈએ કે તેઓને શાસ્ત્રના સિદ્ધાંતો લાગુ પાડવાથી કઈ મદદ મળી છે. ઝઘડા ટાળવા, શાંતિ જાળવવા અને સંબંધો મજબૂત બનાવવા તમને કયા મુદ્દા મદદ કરી શકે એનો વિચાર કરો.
શાંતિ જાળવવા મદદ કરતા શાસ્ત્રના સિદ્ધાંતો
એકબીજાને મહત્ત્વના ગણો.
‘પક્ષાપક્ષીથી કે અભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખો.’—ફિલિપી ૨:૩, ૪.
“અમને જોવા મળ્યું છે કે પોતાના કરતાં અને બીજાઓ કરતાં લગ્નસાથીને વધારે મહત્ત્વનું ગણવું સારું છે.”—સી. પી., ૧૯ વર્ષથી પરિણીત.
ખુલ્લું મન રાખીને ધ્યાનથી સાંભળો.
‘ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવાનું તેઓને યાદ અપાવ.’—તીતસ ૩:૧, ૨.
“સાથી ગુસ્સામાં હોય ત્યારે, ચૂપ રહેવાથી આપણે તણાવ ઓછો કરી શકીએ છીએ. કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વગર ધ્યાનથી સાંભળવું ખૂબ જરૂરી છે. સહમત ન હોઈએ તોપણ લગ્નસાથીના વિચારોને માન આપવું મહત્ત્વનું છે.”—પી. પી., ૨૦ વર્ષથી પરિણીત.
ધીરજ અને માયાળુપણું કેળવો.
“લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે.”—નીતિવચનો ૨૫:૧૫.
“ઝઘડાઓ તો થવાના જ, પરંતુ એનું કેવું પરિણામ આવશે એ આપણા વલણ પર આધાર રાખે છે. આપણે ધીરજ બતાવવાની જરૂર છે. એમ કરીએ છીએ ત્યારે, ઘણી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકીએ છીએ.”—જી. એ., ૨૭ વર્ષથી પરિણીત.
“મારા પતિના સંયમના ગુણની હું કદર કરું છું. તે હંમેશાં શાંત રહે છે. તે ક્યારેય ગુસ્સે થતા નથી અથવા મારું અપમાન કરતા નથી.”—બી. ડી., ૨૦ વર્ષથી પરિણીત.
માફ કરવા અને મતભેદો થાળે પાડવા તત્પર રહો.
“એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”—કોલોસી ૩:૧૩.
“તણાવમાં હોઈએ ત્યારે શાંત રહેવું સહેલું નથી. એવા સંજોગોમાં તમારાં વાણી-વર્તનથી લગ્નસાથીને દુઃખ લાગી શકે. એવા સમયે માફીનો ગુણ ખૂબ કામ આવે છે. લગ્નજીવન સફળ બનાવવા એકબીજાને માફ કરવા ખૂબ જ મહત્ત્વનું છે.”—એ. બી., ૩૪ વર્ષથી પરિણીત.
સાથીને ખુશ રાખો.
‘આપો ને તમને અપાશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.’—લુક ૬:૩૮.
“મારા પતિ જાણે છે કે હું શાનાથી ખુશ થાઉં છું. મને ખુશ કરવા તે નવી નવી રીતો અપનાવે છે. હું ઘણી વાર વિચારું છું, ‘તેમને ખુશ રાખવા હું શું કરી શકું?’ પરિણામે, અમે ખૂબ મજા કરી છે અને હજુ પણ કરીએ છીએ.”—એચ. કે., ૪૪ વર્ષથી પરિણીત.
ઘરમાં શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો
અહીંયા અમુક લોકોના જ અનુભવ આપવામાં આવ્યા છે. જોકે, દુનિયામાં લાખો લોકોને એવા ગુણો કેળવવા પવિત્ર શાસ્ત્રમાંથી મદદ મળી છે, જેનાથી તેઓ ઘરમાં શાંતિ જાળવી શક્યા છે.a કુટુંબનું કોઈ સભ્ય શાંતિ જાળવવા સહકાર ન આપે તોપણ, તેઓને જોવા મળ્યું છે કે શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહેવું ફાયદાકારક છે. કેમ કે, પવિત્ર શાસ્ત્ર વચન આપે છે: ‘શાંતિ ફેલાવનારને આનંદ છે.’—નીતિવચનો ૧૨:૨૦. (g15-E 12)
a કુટુંબને કઈ રીતે સુખી બનાવવું એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૪ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. તમે www.pr418.com/gu પરથી ડાઉનલોડ કરી શકો. BIBLE TEACHINGS > HELP FOR THE FAMILY વિભાગ પણ જુઓ.