પ્રબોધકોનો દાખલો લો—આમોસ
૧. આમોસના દાખલામાંથી આપણને કેમ ઉત્તેજન મળી શકે છે?
૧ સામાન્ય કુટુંબમાંથી આવતા હોવાથી અને બહુ ભણ્યા ન હોવાથી, શું તમને કદી એવું થયું છે કે હું પ્રચાર કરી શકું એમ નથી? એવું હોય તો આમોસના દાખલામાંથી તમને ઘણી હિંમત મળશે. તે પોતે ગોવાળિયા હતા અને અમુક સમયે ખેતીવાડીનું કામ કરતા. તોપણ, યહોવાએ મહત્ત્વનો સંદેશો આપવા તેમનો ઉપયોગ કર્યો હતો. (આમો. ૧:૧; ૭:૧૪, ૧૫) એવી જ રીતે, આજે પણ નમ્ર અને સામાન્ય લોકોનો યહોવા ઉપયોગ કરે છે. (૧ કોરીં. ૧:૨૭-૨૯) આમોસ પ્રબોધક પાસેથી આપણા પ્રચારકાર્ય વિશે બીજું શું શીખી શકીએ?
૨. પ્રચારમાં વિરોધ થાય તોપણ આપણે કેમ અડગ રહી શકીએ?
૨ વિરોધમાં પણ અડગ રહીએ: ઈસ્રાએલના દસ કુળના ઉત્તરના રાજ્યમાં અમાસ્યા યાજક વાછરડાની ભક્તિ કરતા હતા. તેમણે આમોસનો સંદેશો સાંભળ્યો ત્યારે આમ કહ્યું: ‘ઘરે જા. અમને હેરાન ન કર. અમારો પોતાનો ધર્મ છે.’ (આમો. ૭:૧૨, ૧૩) અમાસ્યાએ પ્રબોધકના શબ્દોમાં મીઠું-મરચું ઉમેરીને રાજા યરોબઆમને આમોસનો ઉપદેશ બંધ કરાવવાનું જણાવ્યું. (આમો. ૭:૭-૧૧) જોકે, એનાથી આમોસ ગભરાયા નહિ. આજે અમુક પાદરીઓ રાજનીતિની મદદથી યહોવાના લોકોની સતાવણી કરવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં, યહોવા ખાતરી આપે છે કે આપણી વિરુદ્ધ ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.—યશા. ૫૪:૧૭.
૩. આપણા સંદેશામાં કયા બે પાસાં રહેલાં છે?
૩ ઈશ્વરનો ન્યાયચુકાદો અને આવનાર આશીર્વાદો જણાવીએ: આમોસે ઈસ્રાએલના દસ કુળના ઉત્તરના રાજ્ય વિરુદ્ધ ન્યાયચુકાદાની ભવિષ્યવાણી કરી હતી. તેમણે બાઇબલમાં પોતાના નામના પુસ્તકના અંતે એ પણ જણાવ્યું કે યહોવા તેઓની સ્થિતિ ફરીથી સુધારશે અને પુષ્કળ આશીર્વાદો આપશે. (આમો. ૯:૧૩-૧૫) આજે આપણે પણ ઈશ્વરના આવી રહેલા ‘ન્યાયના દિવસ’ વિશે લોકોને જણાવીએ છીએ. એ તો ‘રાજ્યની સુવાર્તાનું’ એક પાસું છે જે જણાવવું જ જોઈએ. (૨ પીત. ૩:૭; માથ. ૨૪:૧૪) યહોવા આર્માગેદન યુદ્ધમાં દુષ્ટ લોકોનો નાશ કરીને ન્યાયી નવી દુનિયાનો માર્ગ ખોલશે.—ગીત. ૩૭:૩૪.
૪. યહોવાની ઇચ્છા આપણે પૂરી કરી શકીશું એની શું ખાતરી છે?
૪ વિરોધ કરતા લોકોને રાજ્યનો સંદેશો જણાવવાથી, આપણી શ્રદ્ધાની અને યહોવાની ઇચ્છા પૂરી કરવાના આપણા નિર્ણયની કસોટી થાય છે. (યોહા. ૧૫:૧૯) યહોવાએ પોતાની ઇચ્છા પૂરી કરવા આમોસને મદદ કરી હતી. એ જ રીતે, તે આપણને જરૂરી મદદ કરતા રહેશે એવી ખાતરી છે.—૨ કોરીં. ૩:૫.