ગોળાવ્યાપી ઉકેલ
શું એ શક્ય છે?
નિષ્ણાતો સહમત થાય છે કે ફેફસાંનો રોગ (ટીબી) ગોળાવ્યાપી સમસ્યા છે જેને ગોળાવ્યાપી ઉકેલ જરૂરી છે. કોઈ પણ દેશ એકલે હાથે ટીબી પર પ્રભુત્વ મેળવી શકે નહિ, કેમ કે દર સપ્તાહે કરોડો લોકો આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરે છે.
ઘણાનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સહકાર જરૂરી બનાવે છે કે ધનાઢ્ય રાષ્ટ્રો ટીબીથી સૌથી વધુ અસરગ્રસ્ત ગરીબ રાષ્ટ્રોને મદદ કરે. ડૉ. આરેટા કોચીએ જણાવ્યું તેમ, “અવિકસિત દેશોને ટીબી સામે લડત આપવા મદદ કરવામાં ધનાઢ્ય દેશોનું જ ભલું છે, નહિ તો તેઓના પોતાના દેશો જ એનો અખાડો બની જશે.”
પરંતુ ધનાઢ્ય રાષ્ટ્રો, તેઓ જેને વધુ મહત્ત્વની અગ્રિમતા અથવા સમસ્યા ગણે છે એમાં વ્યસ્ત હોવાથી, બચાવ માટે ઝડપથી પગલાં ભરતા નથી. કેટલાક ગરીબ દેશો પોતે જ તંદુરસ્તીની નિષ્કાળજી સેવે છે, અને પૈસા પોતાના યુદ્ધશસ્ત્રોમાં ખર્ચે છે. મધ્ય-૧૯૯૬ સુધીમાં, જગતના ટીબી દરદીઓના માત્ર ૧૦ ટકાને જ નિરીક્ષણ હેઠળ રાખી સારવારની પદ્ધતિ લાગુ પાડવામાં આવી, જે રોગને વણસતો અટકાવવામાં બહુ કંઈ કહેવાય નહિ.
હૂ કહે છેઃ “દાયકાઓથી ટીબીનો ઇલાજ કરવાનું જ્ઞાન અને બિનખર્ચાળ દવાઓ હાજર છે. હવે આ દવાઓનો સમગ્ર જગતમાં અસરકારકપણે ઉપયોગ થાય એની ખાતરી કરે એવા શક્તિ, પ્રભાવ, અને કૃપાવાળા લોકોના ખંતીલા પ્રયાસની જગતને જરૂર છે.”
આવનાર જીત
આપણે સમસ્યાના ઉકેલ માટે શક્તિ અને પ્રભાવવાળા માનવીઓમાં ભરોસો રાખી શકીએ? પ્રેરિત બાઇબલ ગીતકર્તાએ લખ્યું: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમકે તેની પાસે તારણ નથી.” તો પછી, આપણે કોના પર ભરોસો રાખી શકીએ? શાસ્ત્રવચન આગળ કહે છેઃ “જેની સહાય યાકૂબનો દેવ છે, જેની આશા પોતાના દેવ યહોવાહ પર છે, તેને ધન્ય છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઇ છે તેનો ઉત્પન્નકતો યહોવાહ છે.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૫, ૬.
યહોવાહ દેવ, પૃથ્વીના રચયિતા અને ઉત્પન્નકર્તા તરીકે રોગનો અંત લાવવાની શક્તિ અને ડહાપણ બંને ધરાવે છે. શું તેમનામાં કૃપા છે? યહોવાહ પોતાના પ્રેરિત પ્રબોધક દ્વારા વચન આપે છેઃ “જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું [મારા લોકો] પર દયા રાખીશ.”—માલાખી ૩:૧૭.
બાઇબલનો અંતિમ અધ્યાય પ્રેરિત યોહાનને આપવામાં આવેલા સંદર્શનનું વર્ણન કરે છે. તેમણે ‘જીવનનું ઝાડ . . . જેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તેને નવીન ફળ આવતાં હતાં,’ એ જોયું. આ રૂપકાત્મક ઝાડ અને એના પર લાગતાં ફળો આજ્ઞાંકિત માનવીઓને પૃથ્વી પર હંમેશ માટે જીવવા મદદ કરતી દૈવી જોગવાઈઓને ચિત્રિત કરે છે.—પ્રકટીકરણ ૨૨:૨.
વધુમાં, યોહાને લખ્યું: “તે ઝાડનાં પાંદડાં સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારૂ હતાં.” રૂપકાત્મક પાંદડાં દેવ તરફથી આશીર્વાદોને ચિત્રિત કરે છે જે માનવજાતને, આત્મિક અને શારીરિક બંને રીતોએ સાજા કરવામાં પરિણમશે. આમ, આપણે ખાતરી રાખી શકીએ કે દેવના શાસન હેઠળની ન્યાયી નવી દુનિયામાં, ટીબી પર સંપૂર્ણ અને કાયમી જીત મેળવાશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
દેવ માણસજાત માટે કાયમી સાજાપણાનું વચન આપે છે