બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
એકાંતનું મહત્ત્વ
એક પ્રસંગે ઈસુ ‘પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા; અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલા હતા.’ (માત્થી ૧૪:૨૩) બીજા એક પ્રસંગે, ‘દહાડો ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળીને ઉજ્જડ ઠેકાણે ગયા.’ (લુક ૪:૪૨) આ શાસ્ત્રવચનો બતાવે છે કે ઈસુ ખ્રિસ્તે એકાંતની જગ્યા શોધી કાઢી અને એ ક્ષણો મહત્ત્વની ગણી.
બાઇબલ ઈસુની જેમ એકાંતનું મહત્ત્વ સમજનાર બીજા એક માણસનું ઉદાહરણ પૂરું પાડે છે. એ રાત્રીના એકાંતમાં ગીતકર્તા પોતાના ભવ્ય ઉત્પન્નકર્તાની મહાનતાનું મનન કરે છે. અને ઈસુ ખ્રિસ્તના કિસ્સામાં, યોહાન બાપ્તિસ્મકના મરણના સમાચાર સાંભળ્યા ત્યાર પછી તરત, તે ‘હોડીમાં ઉજ્જડ ઠેકાણે એકાંતે’ ગયા.—માત્થી ૧૪:૧૩; ગીતશાસ્ત્ર ૬૩:૬.
આજના આધુનિક કોલાહલવાળા વ્યસ્ત જીવનમાં, સંજોગવશાત કે પસંદગીથી, ગમે તે રીતે મળતા એકાંતને લોકો મહત્ત્વ આપતા નથી. શું તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે એકલા સમય પસાર કર્યો હતો? એક યુવાન પરિણીત સ્ત્રીએ કહ્યું: “હું મારા જીવનમાં ક્યારેય એકલી રહી નથી.”
પરંતુ શું એકાંત ખરેખર જરૂરી છે? એમ હોય તો, એકાંતના સમયને કઈ રીતે લાભદાયી અને ફળદ્રુપ રીતે ઉપયોગ કરી શકાય? અને એકાંત શોધવામાં સમતોલપણું કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે?
એકાંત—શા માટે મહત્ત્વનું?
બાઇબલ આપણને જણાવે છે કે દેવના પ્રાચીન સેવક, ઈસ્હાકે “સાંજે મનન કરવા સારૂ ખેતરમાં” એકાંત શોધ્યું. શા માટે? એ જણાવે છે, “મનન કરવા સારૂ.” (ઉત્પત્તિ ૨૪:૬૩) એક શબ્દકોષ અનુસાર, મનનનો અર્થ “મનનશીલ કે નિરાંતથી વિચારવું થાય છે.” એ “એકાગ્રતાથી ગંભીર અને ધ્યાનપૂર્વકના સમયને લાગુ પડે છે.” ઈસ્હાક, જેને ભારે જવાબદારી ઉપાડવાની હતી, તેને આવા ખલેલ વિનાના મનનથી સ્પષ્ટપણે વિચારવા, યોજના કરવા, અને અગ્રિમતાઓનું મૂલ્યાંકન કરવા જરૂર મદદ મળી હશે.
એક માનસિક આરોગ્યના નિષ્ણાત જણાવે છે કે જેમ બને તેમ ‘એકલવાયાપણાને મર્યાદામાં રાખવામાં આવે તો, એકાંત આપણા વિચારોને વ્યવસ્થિત કરે છે અને સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું શક્ય બનાવે છે.’ ઘણા એ નિષ્ઠાપૂર્વક જાહેર કરે છે કે આ તાજગી આપનાર, દૃઢ કરનાર અને આરોગ્યપ્રદ બની શકે.
મનનના ઇચ્છવાજોગ લાભોમાં પરિપક્વ અને શાંત સ્વભાવ છે, જે ગુણો વાણી તથા કાર્યોમાં સમજદારી વાપરવા ઉપયોગી છે કે જે માનવીય સંબંધોના સુમેળમાં છે. દાખલા તરીકે, મનન કરવાનું શીખનાર વ્યક્તિ ક્યારે શાંત રહેવું એ પણ શીખે છે. અવિચારીપણે બોલવાના બદલે, તે તેના શબ્દોની શું અસરો થશે એ વિષે અગાઉથી વિચારે છે. પ્રેરિત બાઇબલ લેખક કહે છે: “જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે, તો તારે જાણવું કે તેના કરતાં કોઈ મૂર્ખ વિષે વધારે આશા રાખી શકાય.” (નીતિવચન ૨૯:૨૦) આવો વિચાર્યા વગરનો જીભનો ઉપયોગ કઈ રીતે ટાળી શકાય? બાઇબલ કહે છે: “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે.”—નીતિવચન ૧૫:૨૮; સરખાવો ગીતશાસ્ત્ર ૪૯:૩.
ખ્રિસ્તીઓ માટે, એકાંત શાંત મનન સાથે સંકળાયેલું છે કે જે આત્મિક પરિપક્વતા માટે મહત્ત્વનું છે. પ્રેષિત પાઊલના શબ્દો યોગ્ય છે: “એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.”—૧ તીમોથી ૪:૧૫.
દેવની સમીપ જવા એકાંતનો ઉપયોગ
એક અંગ્રેજી લેખકે કહ્યું: “એકાંતમાં આપણે દેવની સમીપ વધારે જઈ શકીએ છીએ.” એક સમયે ઈસુને તેના સાથી માનવીઓથી દૂર જઈ દેવ સમક્ષ એકાંતમાં જવાની જરૂર જણાઈ. એમાંનું એક ઉદાહરણ બાઇબલમાં વર્ણવવામાં આવેલું છે: “સવારે પોહ ફાટતાં પહેલાં ઘણો વહેલો ઊઠીને તે બહાર ગયો, ને ઉજ્જડ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી.”—માર્ક ૧:૩૫.
ગીતશાસ્ત્રમાં, દેવનું મનન કરવાના સંદર્ભનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. યહોવાહને સંબોધીને, દાઊદે કહ્યું: “મારૂં મુખ તારૂં સ્તવન કરશે.” આસાફ રાજાના પણ એવા જ શબ્દો છે: “હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.” (ગીતશાસ્ત્ર ૬૩:૬; ૭૭:૧૨) આમ, દૈવી બાબતો પર મનન કરવાથી એ ભરપૂર આશીર્વાદો લાવે છે. એ દેવ માટેની કદર વધારે છે, એ વ્યક્તિને દેવની નજીક જવામાં મદદ કરે છે.—યાકૂબ ૪:૮.
જરૂરી સમતોલન
અલબત્ત, એકાંતમાં સમતોલપણું જરૂરી છે. એકાંતને લાભદાયી તરીકે ગણવામાં આવી શકે છે પરંતુ એનાં જોખમો પણ રહેલાં છે. પોતાને વધુ પડતા એકલા પાડી દેવાથી એ સંગત, વાતચીત અને પ્રેમ વ્યક્ત કરવાની માનવીય પાયારૂપ જરૂરિયાતોથી વિરુદ્ધ છે. વધુમાં, એકલવાયાપણું મૂર્ખતા અને સ્વાર્થીપણાના બી ફૂટી નીકળવાની જમીન બની શકે. બાઇબલ નીતિવચન ચેતવણી આપે છે: “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” (નીતિવચન ૧૮:૧) એકાંત શોધવામાં સમતોલ બનીને, આપણે એકલતાના જોખમોને જાણવા જ જોઈએ.
ઈસુ અને બાઇબલ સમયના બીજા આત્મિક માણસોની જેમ, આજના ખ્રિસ્તીઓ પોતાની એકાંત પળોનો આનંદ માણે છે. સાચે જ, ઘણી બધી જવાબદારીઓ અને ચિંતાઓ હોવાથી એકાંતમાં મનન કરવાનો સમય અને તક મેળવવી પડકારમય હોય શકે. તોપણ, દરેક બાબતોનું યોગ્ય મૂલ્ય હોય છે તેમ, આપણે “સમયનો સદુપયોગ” કરવો જ જોઈએ. (એફેસી ૫:૧૫, ૧૬) તો પછી, ગીતકર્તાની જેમ આપણે કહી શકીએ: “હે યહોવાહ, . . . મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.”—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.