વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bt પ્રકરણ ૪ પાન ૨૮-૩૫
  • “અભણ અને સામાન્ય માણસો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “અભણ અને સામાન્ય માણસો”
  • ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • “પોતાની શક્તિથી” નહિ (પ્રે.કા. ૩:૧૧-૨૬)
  • “અમે ચુપ રહી શકતા નથી” (પ્રે.કા. ૪:૧-૨૨)
  • ‘તેઓએ મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો’ (પ્રે.કા. ૪:૨૩-૩૧)
  • ‘માણસોને નહિ ઈશ્વરને’ જવાબ આપવાનો છે (પ્રે.કા. ૪:૩૨–૫:૧૧)
  • પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • ડર અને શંકા સામે તે લડ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • પિતરની જેમ યહોવાની સેવામાં લાગુ રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
bt પ્રકરણ ૪ પાન ૨૮-૩૫

પ્રકરણ ૪

“અભણ અને સામાન્ય માણસો”

પ્રેરિતો હિંમત બતાવે છે અને યહોવા તેઓને આશીર્વાદ આપે છે

પ્રેરિતોનાં કાર્યો ૩:૧–૫:૧૧ના આધારે

૧, ૨. પિતર અને યોહાને મંદિરના દરવાજા પાસે કયો ચમત્કાર કર્યો?

બપોરનો સમય છે, સૂર્ય આકાશમાં ચમકી રહ્યો છે. મંદિરમાં “પ્રાર્થનાનો સમય” થવાનો છે.a એટલે યહૂદીઓ અને ઈસુના શિષ્યો મંદિરમાં જઈ રહ્યા છે. (પ્રે.કા. ૨:૪૬; ૩:૧) ત્યાં લોકોની ઘણી ભીડ જોવા મળે છે. એ ભીડમાં પિતર અને યોહાન પણ છે. તેઓ મંદિરના સુંદર નામના દરવાજા તરફ જાય છે. એટલા ઘોંઘાટમાં ૪૦-૪૫ વર્ષનો એક માણસ ભીખ માંગે છે. તે જન્મથી લંગડો છે.—પ્રે.કા. ૩:૨; ૪:૨૨.

૨ પિતર અને યોહાન મંદિરના દરવાજાની નજીક પહોંચે છે ત્યારે એ માણસ તેઓ પાસે ભીખ માંગે છે. તેઓ ઊભા રહે છે, એટલે તેને લાગે છે કે તેને કંઈક મળશે. પણ પિતર તેને કહે છે: “મારી પાસે સોનું કે ચાંદી નથી, પણ મારી પાસે જે છે એ હું તને આપું છું. નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામે હું તને કહું છું, ઊભો થા અને ચાલ!” પિતર તેનો હાથ પકડે છે અને ધીરેથી તેને ઊભો કરે છે. એ માણસ પોતાના જીવનમાં પહેલી વાર ઊભો થયો છે. કલ્પના કરો કે એ જોઈને ત્યાં ઊભેલા લોકો કેવા દંગ રહી ગયા હશે. (પ્રે.કા. ૩:૬, ૭) પેલા માણસને માનવામાં નહિ આવતું હોય કે તે સાજો થઈ ગયો છે. તે બાળકની જેમ પોતાનું પહેલું ડગલું ભરે છે. પછી તે નાચવાં-કૂદવાં લાગે છે અને જોરશોરથી ઈશ્વરની સ્તુતિ કરવા લાગે છે.

૩. પિતર ટોળાને અને સાજા થયેલા માણસને કઈ ભેટ આપે છે?

૩ ટોળામાં ખળભળાટ મચી જાય છે. લોકો પિતર અને યોહાનને જોવા દોડતાં દોડતાં સુલેમાનની પરસાળમાં આવે છે. આ એ જ જગ્યા છે, જ્યાં ઈસુએ એક વખત શીખવ્યું હતું. (યોહા. ૧૦:૨૩) પછી પિતર ટોળાને સમજાવે છે કે એ ચમત્કાર કઈ રીતે થયો.તે સાજા થયેલા માણસને અને ટોળાને એવી ભેટ આપે છે, જેની સામે સોના-ચાંદીની કોઈ વિસાત નથી. હમણાં કરેલા ચમત્કાર કરતાં એ ભેટ વધારે ચઢિયાતી છે. એ ભેટ કઈ છે? એ છે પસ્તાવો કરવાની તક, યહોવા પાસે પોતાનાં પાપોની માફી મેળવવાની તક અને યહોવાએ ‘જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાન’ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાની તક.—પ્રે.કા. ૩:૧૫.

૪. (ક) એ યાદગાર દિવસ પછી અધિકારીઓએ કેવો પ્રયત્ન કર્યો? (ખ) આપણે કયા બે સવાલોના જવાબ મેળવીશું?

૪ એ ખરેખર એક યાદગાર દિવસ હતો. એક માણસ સાજો થયો અને હરવા-ફરવા લાગ્યો. હજારો લોકોને તક મળી કે તેઓ ઈશ્વરની ઇચ્છા જાણી શકે અને એ પ્રમાણે તેમની ભક્તિ કરી શકે. (કોલો. ૧:૯, ૧૦) પણ એ દિવસે જે કંઈ બન્યું એનાથી શિષ્યોએ અધિકારીઓનો સામનો કરવો પડ્યો. તેઓને એ વફાદાર શિષ્યો આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. તેઓએ શિષ્યોને અટકાવવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ ઈસુની આજ્ઞા ન માને અને પ્રચાર કરવાનું બંધ કરી દે. (પ્રે.કા. ૧:૮) અધિકારીઓ પિતર અને યોહાનને “અભણ અને સામાન્ય માણસો” ગણતા હતા.b તોપણ તેઓએ ટોળાને જે રીતે સંદેશો જણાવ્યો એમાંથી આપણે શું શીખી શકીએ? (પ્રે.કા. ૪:૧૩) પ્રેરિતો અને બીજા શિષ્યોની જેમ આપણે કઈ રીતે વિરોધનો સામનો કરી શકીએ?

“પોતાની શક્તિથી” નહિ (પ્રે.કા. ૩:૧૧-૨૬)

૫. પિતરે ટોળા સાથે જે રીતે વાત કરી એમાંથી શું શીખી શકીએ?

૫ પિતર અને યોહાને ટોળા સાથે વાત કરી ત્યારે, તેઓને ખબર હતી કે ટોળામાંથી અમુક લોકોએ ઈસુને મારી નાખવાની માંગણી કરી હતી. (માર્ક ૧૫:૮-૧૫; પ્રે.કા. ૩:૧૩-૧૫) પણ પિતરે હિંમતથી ટોળાને કહ્યું કે તેમણે ઈસુના નામે એ ભિખારીને સાજો કર્યો હતો. પિતરે ગોળગોળ વાત કરવાને બદલે તેઓને સાફ સાફ કહ્યું કે ઈસુને મારી નાખવામાં તેઓનો પણ હાથ હતો. જોકે પિતર તેઓને ધિક્કારતા ન હતા. તે જાણતા હતા કે તેઓએ એ “અજાણતાં કર્યું હતું.” (પ્રે.કા. ૩:૧૭) તેમણે તેઓને ભાઈઓ કહીને બોલાવ્યા અને ઈશ્વરના રાજ્યથી મળનાર આશીર્વાદો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે જો તેઓ પસ્તાવો કરશે અને ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકશે, તો યહોવા તેઓને “તાજગીના સમયો” આપશે. (પ્રે.કા. ૩:૧૯) આપણે પણ પિતરની જેમ ડર્યા વગર અને સીધેસીધું લોકોને જણાવવું જોઈએ કે ઈશ્વરના ન્યાયનો દિવસ બહુ નજીક છે. આપણે તેઓ વિશે ખોટો મત બાંધી ન લેવો જોઈએ. પણ હંમેશાં વિચારવું જોઈએ કે આગળ જતાં તેઓ આપણા ભાઈ કે બહેન બની શકે છે. તેમ જ પિતરની જેમ તેઓને ઈશ્વરના રાજ્યથી મળનાર આશીર્વાદો વિશે જણાવવું જોઈએ.

૬. પિતર અને યોહાને કઈ રીતે નમ્રતા બતાવી?

૬ પ્રેરિતો નમ્ર હતા. તેઓએ એ માણસને પોતાની શક્તિથી સાજો કર્યો છે એવો ઢંઢેરો ન પિટ્યો. પિતરે ટોળાને કહ્યું: “તમે અમને આ રીતે કેમ જુઓ છો? શું તમને એવું લાગે છે કે અમે પોતાની શક્તિથી કે ઈશ્વરની ભક્તિથી તેને ચાલતો કર્યો છે?” (પ્રે.કા. ૩:૧૨) પિતર અને બીજા પ્રેરિતો જાણતા હતા કે તેઓએ મોટાં મોટાં કામો પોતાની શક્તિથી નહિ, પણ ઈશ્વરની શક્તિથી કર્યાં છે. એટલે લોકોની વાહ વાહ મેળવવાને બદલે તેઓએ બધો જશ યહોવા અને ઈસુને આપ્યો.

૭, ૮. (ક) આપણે બીજાઓને કઈ ભેટ આપી શકીએ છીએ? (ખ) ‘બધી બાબતોને સુધારવામાં’ આવશે એ ભવિષ્યવાણી આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?

૭ આપણે પ્રચાર કરતી વખતે પ્રેરિતોની જેમ નમ્રતા બતાવવી જોઈએ. ખરું કે યહોવાએ આપણને બીમાર લોકોને સાજા કરવાની શક્તિ નથી આપી. પણ આપણે તેઓને યહોવા અને ઈસુ ખ્રિસ્ત પર શ્રદ્ધા મૂકવા મદદ કરી શકીએ છીએ. પિતરે જે ભેટ આપી હતી, આપણે પણ એ ભેટ લોકોને આપી શકીએ છીએ. એ ભેટ છે પાપોની માફી અને યહોવા પાસેથી તાજગી મેળવવાની તક. દર વર્ષે લાખો લોકો એ ભેટનો સ્વીકાર કરે છે અને બાપ્તિસ્મા લઈને ઈસુના શિષ્ય બને છે.

૮ પિતરે ‘બધી બાબતોને સુધારવાના’ સમય વિશે કહ્યું હતું. આજે આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ. “ઈશ્વરે જૂના જમાનાના પોતાના પવિત્ર પ્રબોધકો દ્વારા” જે ભવિષ્યવાણીઓ કરી હતી, એ પ્રમાણે ૧૯૧૪માં ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. ત્યારથી બધી બાબતોને સુધારવાનો સમય શરૂ થયો. (પ્રે.કા. ૩:૨૧; ગીત. ૧૧૦:૧-૩; દાનિ. ૪:૧૬, ૧૭) થોડા સમય પછી ખ્રિસ્તે પૃથ્વી પર યહોવાની ભક્તિ ફરી શરૂ કરવામાં આગેવાની લીધી. એ કારણે લાખો લોકો ઈશ્વરના રાજ્યની પ્રજા બની શક્યા અને હમણાં તેઓ શાંતિ અને એકતામાં યહોવાની ભક્તિ કરે છે. તેઓએ પોતાનો જૂનો સ્વભાવ કાઢી નાખ્યો છે અને ‘નવો સ્વભાવ પહેરી લીધો છે, જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે રચવામાં આવ્યો છે.’ (એફે. ૪:૨૨-૨૪) એ કંઈ ચમત્કારથી ઓછું નથી. જેમ એ લંગડો માણસ પવિત્ર શક્તિથી સાજો થયો હતો, તેમ આજે લોકો જીવનમાં પવિત્ર શક્તિની મદદથી જ ફેરફાર કરી શક્યા છે. આપણે શું શીખ્યા? પિતરની જેમ આપણે હિંમતથી અને કુશળતાથી ઈશ્વરનાં વચનો શીખવવાં જોઈએ. આપણને શિષ્યો બનાવવાના કામમાં જે સફળતા મળે છે, એ પોતાની શક્તિથી નહિ પણ ઈશ્વરની શક્તિથી જ શક્ય છે.

“અમે ચુપ રહી શકતા નથી” (પ્રે.કા. ૪:૧-૨૨)

૯-૧૧. (ક) પિતર અને યોહાનનો સંદેશો સાંભળીને યહૂદી આગેવાનોએ શું કર્યું? (ખ) પ્રેરિતોએ કયો નિર્ણય લીધો હતો?

૯ મંદિરમાં ઘણું બધું થઈ રહ્યું હતું. એક લંગડો માણસ સાજો થયો હતો, તે ખુશીથી નાચતો-કૂદતો હતો અને પિતરે લોકોને પ્રવચન આપ્યું હતું. એ બધાને લીધે લોકોનો શોરબકોર વધી ગયો હતો. એટલે મંદિરના રક્ષકોનો અધિકારી અને યાજકો એ જોવા બહાર આવ્યા કે શું ચાલી રહ્યું છે. એ માણસો કદાચ સાદુકી પંથના હતા. સાદુકી પંથના લોકો ખૂબ ધનવાન હતા અને રાજકીય બાબતોમાં તેઓનો દબદબો હતો. તેઓ રોમન સરકાર સાથે શાંતિ જાળવી રાખવાની કોશિશ કરતા હતા. ફરોશીઓ મૌખિક નિયમો માનતા હતા, પણ સાદુકીઓ એ નિયમો જરાય માનતા ન હતા. અરે તેઓ એ શિક્ષણ પણ માનતા ન હતા કે મરેલો માણસ જીવતો થઈ શકે છે.c હવે તેઓએ જોયું કે પિતર અને યોહાન હિંમતથી લોકોને શીખવતા હતા કે ઈસુ મરણમાંથી જીવતા થયા છે. એ સાંભળીને તેઓનું લોહી ઊકળી ઊઠ્યું.

૧૦ એ માણસોએ પિતર અને યોહાનને જેલમાં નાખી દીધા. બીજા દિવસે તેઓ એ બંનેને ઘસડીને યહૂદી ઉચ્ચ અદાલતમાં લાવ્યા. અદાલતના મોટા મોટા અધિકારીઓની નજરે પિતર અને યોહાન “અભણ અને સામાન્ય માણસો” હતા અને તેઓને મંદિરમાં શીખવવાનો કોઈ અધિકાર ન હતો. તેઓ કોઈ જાણીતી ધાર્મિક શાળામાં ભણ્યા પણ ન હતા. જોકે તેઓએ હિંમતથી અને પૂરી ખાતરીથી બોલવાનું શરૂ કર્યું ત્યારે, આખી અદાલત દંગ રહી ગઈ. તેઓ આટલી ખાતરીથી કેમ બોલી શક્યા? એનું એક કારણ એ હતું કે તેઓએ “ઈસુ સાથે” સમય વિતાવ્યો હતો. (પ્રે.કા. ૪:૧૩) તેઓના ગુરુ ઈસુએ શાસ્ત્રીઓની જેમ નહિ, પણ પૂરા અધિકારથી શીખવ્યું હતું.—માથ. ૭:૨૮, ૨૯.

૧૧ અદાલતે પ્રેરિતોને હુકમ કર્યો કે તેઓ પ્રચાર કરવાનું બંધ કરે. યહૂદીઓ અદાલતના નિર્ણયને પથ્થરની લકીર માનતા હતા. થોડાં અઠવાડિયાં પહેલાં આ જ અદાલતમાં ઈસુને લાવવામાં આવ્યા હતા. તેમના વિશે એના સભ્યોએ એક અવાજે કહ્યું હતું: “તે મોતને લાયક છે.” (માથ. ૨૬:૫૯-૬૬) તોપણ પિતર અને યોહાન એ ધનવાન, ભણેલા-ગણેલા અને મોટા મોટા અધિકારીઓથી ગભરાયા નહિ. તેઓએ પૂરી હિંમતથી અને માન આપીને કહ્યું: “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૧૯, ૨૦.

પ્રમુખ યાજક અને મુખ્ય યાજકો

પ્રમુખ યાજક ઇઝરાયેલીઓ વતી યહોવા સામે હાજર થતા હતા. પ્રથમ સદીમાં તે યહૂદી ન્યાયસભાના આગેવાન પણ હતા. પ્રમુખ યાજકની સાથે સાથે મુખ્ય યાજકો પણ યહૂદીઓની આગેવાની લેતા હતા. મુખ્ય યાજકોમાં અગાઉના પ્રમુખ યાજકો પણ હતા, જેમ કે અન્‍નાસ. એમાં અમુક ખાસ કુટુંબોના માણસો પણ હતા. કદાચ એવાં ચાર કે પાંચ જ કુટુંબ હતાં, જેમાંથી મુખ્ય યાજકો પસંદ કરવામાં આવતા હતા. ઈમિલ શૂરર નામના એક વિદ્વાને કહ્યું: “એવાં કુટુંબોમાંથી હોવું, એ જ એક બહુ મોટી વાત ગણાતી. એટલે એ કુટુંબોના માણસોને [બીજા યાજકો કરતાં] વધારે મહત્ત્વ આપવામાં આવતું.”

બાઇબલમાં જણાવ્યું છે કે પ્રમુખ યાજક પોતાનું આખું જીવન એ સેવામાં વિતાવી દેતા. (ગણ. ૩૫:૨૫) પણ પહેલી સદીમાં એવું ન હતું. રોમ દ્વારા નીમાયેલા રાજાઓ અને રાજ્યપાલો પોતાની મરજી પ્રમાણે કોઈને પણ પ્રમુખ યાજક બનાવી દેતા અથવા વ્યક્તિ પાસેથી પ્રમુખ યાજકની જવાબદારી લઈ લેતા. એવું જાણવા મળે છે કે એ શાસકો એવા માણસોને પ્રમુખ યાજક તરીકે પસંદ કરતા હતા, જેઓ હારુનના વંશમાંથી હતા.

૧૨. પૂરી હિંમત અને ખાતરીથી સંદેશો જણાવવા આપણે શું કરી શકીએ? 

૧૨ શું તમે પ્રેરિતો જેવી હિંમત બતાવો છો? અમીર કે ભણેલી-ગણેલી વ્યક્તિને અથવા મોટા મોટા અધિકારીઓને સંદેશો જણાવવાનું થાય ત્યારે તમને કેવું લાગે છે? તમારી માન્યતાને લીધે તમારા કુટુંબના સભ્યો, તમારી સાથે ભણતા કે કામ કરતા લોકો મજાક ઉડાવે ત્યારે તમને કેવું લાગે છે? શું તમે ડરી જાઓ છો અને તેઓ સાથે વાત કરતા અચકાઓ છો? ચિંતા ન કરશો, એવી લાગણી પર તમે કાબૂ મેળવી શકો છો. યાદ કરો કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પ્રેરિતોને શું શીખવ્યું હતું. તેમણે પ્રેરિતોને પૂરી ખાતરી અને આદરથી પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવવાનું શીખવ્યું હતું. (માથ. ૧૦:૧૧-૧૮) ઈસુ જીવતા થયા પછી તેમણે શિષ્યોને વચન આપ્યું હતું કે તે ‘દુનિયાના અંત સુધી હંમેશાં’ તેઓ સાથે રહેશે. (માથ. ૨૮:૨૦) આજે “વિશ્વાસુ અને સમજુ ચાકર” ઈસુ પાસેથી માર્ગદર્શન મેળવે છે. પછી એ ચાકર આપણને શીખવે છે કે કઈ રીતે પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવી શકીએ. (માથ. ૨૪:૪૫-૪૭; ૧ પિત. ૩:૧૫) એ ચાકર આપણને સભાઓ અને સાહિત્ય દ્વારા માર્ગદર્શન આપે છે. જેમ કે, આપણું જીવન અને સેવાકાર્ય સભા દ્વારા અને jw.org પર “સવાલોના શાસ્ત્રમાંથી જવાબ” વિભાગમાં આપેલા લેખો દ્વારા. શું તમે નિયમિત સભાઓમાં જાઓ છો અને આપણાં સાહિત્યનો ઉપયોગ કરો છો? જો એમ કરશો તો તમે પૂરી હિંમત અને ખાતરીથી સંદેશો જણાવી શકશો. પ્રેરિતોની જેમ તમે પણ પાકો નિર્ણય લઈ શકશો કે તમે જે બાઇબલનું સત્ય શીખ્યા છો, એ બીજાઓને જણાવવાનું ક્યારેય નહિ છોડો.

એક બહેન કૉફી બ્રેકમાં સાથે કામ કરતી એક સ્ત્રીને સાક્ષી આપે છે.

તમે બાઇબલનું સત્ય શીખ્યા છો, એ વિશે વાત કરવાનું ક્યારેય ન છોડતા

‘તેઓએ મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો’ (પ્રે.કા. ૪:૨૩-૩૧)

૧૩, ૧૪. લોકો વિરોધ કરે ત્યારે શું કરવું જોઈએ અને કેમ?

૧૩ અદાલતમાંથી છૂટ્યા પછી પિતર અને યોહાન તરત મંડળનાં ભાઈ-બહેનોને મળવા ગયા. પછી “તેઓએ સાથે મળીને મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો” અને હિંમતથી પ્રચાર કરતા રહેવા મદદ માંગી. (પ્રે.કા. ૪:૨૪) પિતર સારી રીતે જાણતા હતા કે પોતાના પર વધારે પડતો ભરોસો રાખશે તો, ઈશ્વરની ઇચ્છા પૂરી નહિ કરી શકે. થોડાં અઠવાડિયાં પહેલાં પિતરે એવી જ ભૂલ કરી હતી. તેમણે છાતી ઠોકીને ઈસુને કહ્યું હતું કે “તમને જે થવાનું છે એનાથી ભલે બીજાઓની શ્રદ્ધા ડગી જાય, પણ મારી શ્રદ્ધા કદીયે નહિ ડગે!” પણ ઈસુએ કહ્યું હતું એવું જ થયું. પિતર પર માણસોનો ડર છવાઈ ગયો અને તેમણે પોતાના વહાલા મિત્ર અને શિક્ષકને ઓળખવાની ના પાડી. પણ પછી પિતર પોતાની ભૂલમાંથી શીખ્યા.—માથ. ૨૬:૩૩, ૩૪, ૬૯-૭૫.

૧૪ ઈસુએ આપણને પણ પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. જોકે, એ આજ્ઞા પ્રમાણે કરતા રહેવા ફક્ત પાકો ઇરાદો હોવો જ પૂરતો નથી. જ્યારે વિરોધીઓ તમને યહોવાની ભક્તિ કરતા અટકાવે અથવા પ્રચાર બંધ કરવાનું કહે, ત્યારે પિતર અને યોહાનના દાખલાને અનુસરજો. હિંમત માટે યહોવાને પ્રાર્થના કરજો. મંડળનાં ભાઈ-બહેનોની મદદ લેજો. વડીલો અને અનુભવી ભાઈ-બહેનો સાથે તમારી મુશ્કેલી વિશે વાત કરજો. ભાઈ-બહેનો તમારા માટે પ્રાર્થના કરે છે, એનાથી પણ તમને ઘણી હિંમત મળી શકે છે.—એફે. ૬:૧૮; યાકૂ. ૫:૧૬.

૧૫. જો તમે અગાઉ થોડો સમય પ્રચાર કરવાનું બંધ કરી દીધું હોય, તો શું યાદ રાખી શકો?

૧૫ શું ક્યારેય એવું બન્યું છે કે વિરોધીઓથી ડરીને તમે થોડો સમય પ્રચાર કરવાનું બંધ કરી દીધું હતું? એવું થયું હોય તો નિરાશ ન થતા. યાદ રાખો કે ઈસુના મરણ પછી બધા પ્રેરિતોએ થોડા સમય માટે પ્રચાર બંધ કરી દીધો હતો. પણ પછી તેઓએ તરત જ ખુશખબર જણાવવાનું શરૂ કરી દીધું હતું. (માથ. ૨૬:૫૬; ૨૮:૧૦, ૧૬-૨૦) જો તમારા કિસ્સામાં એવું થયું હોય તો ચિંતામાં ડૂબી ન જતા. પણ એ અનુભવમાંથી તમે જે શીખ્યા એ વિશે બીજાં ભાઈ-બહેનોને જણાવીને તેઓની હિંમત બંધાવજો.

૧૬, ૧૭. શિષ્યોની પ્રાર્થનાથી શું શીખવા મળે છે?

૧૬ અધિકારીઓ આપણી સતાવણી કરે ત્યારે આપણે યહોવાને કેવી પ્રાર્થના કરવી જોઈએ? ધ્યાન આપો કે શિષ્યોએ કેવી પ્રાર્થના કરી હતી. તેઓએ એવી વિનંતિ ન કરી કે તેઓની સતાવણી ન થાય. તેઓને ઈસુના આ શબ્દો યાદ હતા: “જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે.” (યોહા. ૧૫:૨૦) એટલે શિષ્યોએ યહોવાને આજીજી કરી કે તે વિરોધીઓની ધમકી પર ‘ધ્યાન આપે.’ (પ્રે.કા. ૪:૨૯) શિષ્યો સાફ જોઈ શકતા હતા કે તેઓ પર જે સતાવણી આવે છે એનાથી તો ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. તેઓ સારી રીતે જાણતા હતા કે દુનિયાના અધિકારીઓ ભલે ગમે એટલા ધમપછાડા કરે, પણ જેમ ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ “પૃથ્વી પર” ઈશ્વરની ઇચ્છા પૂરી થઈને જ રહેશે.—માથ. ૬:૯, ૧૦.

૧૭ શિષ્યો યહોવાની ઇચ્છા પૂરી કરવા માંગતા હતા. એટલે તેઓએ પ્રાર્થના કરી, “તમારા સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ કરો.” યહોવાએ તરત તેઓની પ્રાર્થના સાંભળી. બાઇબલમાં લખ્યું છે: “તેઓ જ્યાં ભેગા મળ્યા હતા એ જગ્યા હાલી અને ત્યાં હાજર રહેલા બધા જ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિંમતથી બોલવા લાગ્યા.” (પ્રે.કા. ૪:૨૯-૩૧) દુનિયાની કોઈ પણ તાકાત ઈશ્વરને પોતાની ઇચ્છા પૂરી કરતા રોકી શકતી નથી. (યશા. ૫૫:૧૧) ભલે આપણી સામે પહાડ જેવી મુશ્કેલી હોય, શક્તિશાળી દુશ્મનો ઊભા હોય, પણ જો યહોવાને પોકાર કરીશું તો તે આપણને તેમનો સંદેશો હિંમતથી જણાવતા રહેવા તાકાત આપશે.

‘માણસોને નહિ ઈશ્વરને’ જવાબ આપવાનો છે (પ્રે.કા. ૪:૩૨–૫:૧૧)

૧૮. યરૂશાલેમના મંડળનાં ભાઈ-બહેનો એકબીજા માટે શું કરતા હતાં?

૧૮ થોડા જ સમયમાં યરૂશાલેમના નવા મંડળમાં ભાઈ-બહેનોની સંખ્યામાં વધારો થયો હતો. હવે એ મંડળમાં ૫,૦૦૦થી વધારે ભાઈ-બહેનો હતાં.d તેઓ બધાં અલગ અલગ જગ્યાથી હતાં, તોપણ ‘એકદિલનાં અને એકમનનાં’ હતાં. તેઓના વિચારોમાં પણ એકતા હતી. (પ્રે.કા. ૪:૩૨; ૧ કોરીં. ૧:૧૦) શિષ્યોએ યહોવાને પ્રાર્થના કરી કે તે તેઓની મહેનત પર આશીર્વાદ આપે. તેમ જ, તેઓએ એકબીજાની શ્રદ્ધા મજબૂત કરી અને ભાઈ-બહેનોને જરૂર હતી ત્યારે ખડે પગે ઊભા રહ્યા. (૧ યોહા. ૩:૧૬-૧૮) ચાલો યૂસફનો દાખલો જોઈએ. એ શિષ્યને પ્રેરિતોએ બાર્નાબાસ નામ આપ્યું હતું. તેમણે પોતાની જમીન વેચી દીધી અને બધા પૈસા ખુશી ખુશી પ્રેરિતોને આપી દીધા. એ પૈસા નવા શિષ્યોને મદદ કરવા વાપરવામાં આવ્યા હતા. કેમ કે તેઓ દૂર દૂરના દેશોથી આવ્યા હતા અને વધારે શીખવા થોડો સમય યરૂશાલેમમાં રોકાયા હતા.

૧૯. યહોવાએ અનાન્યા અને સફિરાને કેમ મારી નાખ્યાં?

૧૯ અનાન્યા અને સફિરા પતિ-પત્ની હતાં. તેઓએ પણ પોતાની માલ-મિલકત વેચીને દાન કર્યું હતું. તેઓએ “છૂપી રીતે અમુક પૈસા પોતાની પાસે રાખી લીધા” અને એવું બતાવ્યું કે જાણે બધા પૈસા આપી દીધા હતા. (પ્રે.કા. ૫:૨) યહોવાએ તરત એ બંનેને મારી નાખ્યાં. કેમ? તેઓએ ઓછું દાન આપ્યું હતું એટલે નહિ, પણ તેઓનો ઇરાદો ખોટો હતો અને તેઓ કપટથી વર્ત્યાં હતાં એટલે મારી નાખ્યાં. તેઓ ‘માણસો વિરુદ્ધ નહિ, ઈશ્વર વિરુદ્ધ જૂઠું બોલ્યાં’ હતાં. (પ્રે.કા. ૫:૪) તેઓ ઈશ્વરને ખુશ કરવા માંગતાં ન હતાં, પણ માણસો પાસેથી વાહ વાહ મેળવવા માંગતાં હતાં. ઈસુએ એવા ઢોંગી માણસોને ધિક્કાર્યા હતા.—માથ. ૬:૧-૩.

૨૦. આપણે યહોવાને કંઈક આપીએ ત્યારે શું યાદ રાખવું જોઈએ?

૨૦ પહેલી સદીના વફાદાર શિષ્યો ઉદાર હતા. આજે લાખો યહોવાના સાક્ષીઓ પણ દુનિયાભરમાં ચાલી રહેલા પ્રચારકામને ટેકો આપવા ખુલ્લા દિલે દાન આપે છે. જોકે કોઈને દબાણ કરવામાં નથી આવતું કે તે પ્રચારકામ માટે સમય અથવા પૈસા ખર્ચે. યહોવા નથી ચાહતા કે આપણે કચવાતા દિલે કે પરાણે તેમની ભક્તિ કરીએ. (૨ કોરીં. ૯:૭) આપણે પોતાનો સમય અથવા દાન આપીએ છીએ ત્યારે યહોવા એ નથી જોતા કે આપણે કેટલું આપ્યું, પણ તે એ જુએ છે કે આપણે કયા ઇરાદાથી આપ્યું. (માર્ક ૧૨:૪૧-૪૪) અનાન્યા અને સફિરા સ્વાર્થને લીધે અથવા લોકોની વાહ વાહ મેળવવા યહોવાની ભક્તિ કરતા હતાં. પણ પિતર, યોહાન અને બાર્નાબાસ એવા ન હતા. તેઓનો ઇરાદો સારો હતો. તેઓ યહોવાને અને લોકોને પ્રેમ કરતા હતા, એટલે યહોવાની ભક્તિ કરતા હતા. આપણે અનાન્યા અને સફિરા જેવા બનવા માંગતા નથી. પણ પિતર, યોહાન અને બાર્નાબાસના દાખલાને અનુસરવા માંગીએ છીએ.—માથ. ૨૨:૩૭-૪૦.

પિતર—એક સામાન્ય માછીમારમાંથી બન્યા ઉત્સાહી પ્રેરિત

બાઇબલમાં પિતર માટે પાંચ અલગ અલગ નામ વપરાયાં છે. તેમને હિબ્રૂ ભાષામાં સિમઓન અને ગ્રીકમાં સિમોન કહેવામાં આવતા હતા. અરામિકમાં કેફાસ કહેવામાં આવતા હતા જેનું ગ્રીક ભાષાંતર પિતર થતું હતું. અમુક વાર લોકો તેમનાં બે નામ ભેગાં કરીને સિમોન પિતર કહીને બોલાવતા હતા.—માથ. ૧૦:૨; યોહા. ૧:૪૨; પ્રે.કા. ૧૫:૧૪.

પ્રેરિત પિતરના હાથમાં માછલીઓથી ભરેલું એક ટોપલું છે.

પિતર પરણેલા હતા. તેમનાં સાસુ અને ભાઈ આંદ્રિયા તેમની સાથે રહેતાં હતાં. (માર્ક ૧:૨૯-૩૧) તે માછીમાર હતા અને ગાલીલ સરોવરની ઉત્તરે આવેલા બેથસૈદા શહેરમાં રહેતા હતા. (યોહા. ૧:૪૪) પછી તે ત્યાંથી થોડે દૂર કાપરનાહુમ રહેવા ગયા. (લૂક ૪:૩૧, ૩૮) એકવાર ઈસુએ ગાલીલ સરોવરના કિનારે પિતરની હોડીમાં બેસીને ટોળાને શીખવ્યું હતું. એના થોડા જ સમય પછી, ઈસુએ પિતરને ઊંડા પાણીમાં જાળ નાખવાનું કહ્યું અને જાળમાં ઢગલો માછલીઓ આવી. એ ચમત્કાર જોઈને પિતર ઘણા ડરી ગયા અને ઘૂંટણે પડ્યા. પણ ઈસુએ કહ્યું: “ગભરાઈશ નહિ. હવેથી તું માણસોને ભેગા કરીશ.” (લૂક ૫:૧-૧૧) પિતર તેમના ભાઈ આંદ્રિયા સાથે માછીમારનું કામ કરતા હતા. તેઓ સાથે યાકૂબ અને યોહાન પણ એ કામ કરતા હતા. ઈસુએ એ ચારેયને પોતાના શિષ્યો બનવાનું આમંત્રણ આપ્યું ત્યારે, તેઓ તરત માછીમારનું કામ છોડીને ઈસુની પાછળ ગયા. (માથ. ૪:૧૮-૨૨; માર્ક ૧:૧૬-૧૮) લગભગ એના એક વર્ષ પછી ઈસુએ ૧૨ ‘પ્રેરિતોને’ પસંદ કર્યા હતા. એ પ્રેરિતોમાં પિતર પણ હતા અને પ્રેરિત શબ્દનો અર્થ થાય, “મોકલેલો.”—માર્ક ૩:૧૩-૧૬.

ઈસુ અમુક ખાસ પ્રસંગોએ પિતર, યાકૂબ અને યોહાનને સાથે લઈ ગયા હતા. જેમ કે, ઈસુનો દેખાવ બદલાયો, યાઐરસની દીકરી મરણમાંથી જીવતી થઈ અને ગેથશેમાને બાગમાં તે ખૂબ દુઃખી હતા ત્યારે, એ ત્રણેય શિષ્યો તેમની સાથે હતા. (માથ. ૧૭:૧, ૨; ૨૬:૩૬-૪૬; માર્ક ૫:૨૨-૨૪, ૩૫-૪૨; લૂક ૨૨:૩૯-૪૬) એ ત્રણ શિષ્યોએ અને આંદ્રિયાએ ઈસુને પૂછ્યું હતું કે તેમની હાજરીની નિશાની શું હશે.—માર્ક ૧૩:૧-૪.

પિતર પોતાના દિલની વાત સીધેસીધી કહી દેતા હતા. તે ખૂબ ઉત્સાહી હતા, પણ ક્યારેક ઉતાવળિયા બની જતા. ઘણી વાર બીજાના બોલતા પહેલાં તે બોલી પડતા. ખુશખબરનાં પુસ્તકોમાં ૧૧ પ્રેરિતોની જેટલી વાતો નોંધાયેલી છે, એના કરતાં પિતરની વાતો વધારે નોંધાયેલી છે. તે ઘણી વાર ઈસુને સવાલો પૂછતા હતા, જ્યારે કે બીજાઓ ચૂપ રહેતા હતા. (માથ. ૧૫:૧૫; ૧૮:૨૧; ૧૯:૨૭-૨૯; લૂક ૧૨:૪૧; યોહા. ૧૩:૩૬-૩૮) એકવાર ઈસુ પોતાના શિષ્યોના પગ ધોતા હતા ત્યારે પિતરે જ સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો હતો. પણ ઠપકો મળ્યા પછી, તેમણે ઈસુને કહ્યું કે પગની સાથે સાથે તે તેમના હાથ અને માથું પણ ધુએ!—યોહા. ૧૩:૫-૧૦.

પિતર ઈસુને ખૂબ પ્રેમ કરતા હતા, એટલે તે ઈસુને સમજાવવા લાગ્યા કે તેમણે દુઃખ સહન કરીને મરવું નહિ પડે. પણ પિતરના વિચારો ખોટા હતા એટલે ઈસુએ તેમને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. (માથ. ૧૬:૨૧-૨૩) ઈસુના મરણની આગલી રાતે પિતરે દાવો કર્યો કે ભલે બીજા શિષ્યો તેમને છોડીને જતા રહે, પણ તે ક્યારેય તેમને છોડીને નહિ જાય. પછી દુશ્મનો ઈસુને પકડવા આવ્યા ત્યારે પિતરે હિંમત બતાવી. ઈસુને બચાવવા પિતરે તલવાર ચલાવી અને ઈસુની પાછળ પાછળ છેક પ્રમુખ યાજકના આંગણા સુધી ગયા. પણ એ જ રાતે પિતરે ત્રણ વાર પોતાના ગુરુ ઈસુને ઓળખવાની ના પાડી દીધી. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યા.—માથ. ૨૬:૩૧-૩૫, ૫૧, ૫૨, ૬૯-૭૫.

ઈસુ જીવતા થયા પછી પ્રેરિતો ગાલીલ જતા રહ્યા. પિતરે કહ્યું કે તે માછલીઓ પકડવા જાય છે અને બીજા પ્રેરિતો પણ તેમની સાથે ગયા. તેઓ હોડીમાં હતા ત્યારે પિતરે જોયું કે ઈસુ કિનારે બેઠા છે. પિતરને એ ખ્યાલ આવ્યો કે તરત તે પાણીમાં કૂદી પડ્યા અને તરતાં તરતાં કિનારે આવી પહોંચ્યા. ઈસુએ પ્રેરિતો માટે અમુક માછલીઓ શેકી હતી. તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુએ પિતરને પૂછ્યું કે શું તે “આના” કરતાં, એટલે કે માછલીઓ કરતાં તેમને વધારે પ્રેમ કરે છે. ઈસુ પિતરને ઉત્તેજન આપી રહ્યા હતા કે તે માછીમારનું કામ છોડીને તેમની પાછળ ચાલે.—યોહા. ૨૧:૧-૨૨.

આશરે સાલ ૬૨-૬૪ના સમયગાળામાં પિતરે બાબેલોનમાં ખુશખબર જણાવી હતી. ત્યાં ઘણા યહૂદીઓ રહેતા હતા. બાબેલોન શહેર જે વિસ્તારમાં હતું, એ આજે ઇરાક નામથી ઓળખાય છે. (૧ પિત. ૫:૧૩) બાબેલોનમાં પિતરે ઈશ્વરની પવિત્ર શક્તિના માર્ગદર્શનથી પિતરનો પહેલો પત્ર લખ્યો હતો. કદાચ બાબેલોનમાં જ તેમણે બીજો પત્ર લખ્યો હતો. ઈસુએ “પિતરને સુન્‍નત થયેલા લોકો માટે પ્રેરિત બનવાનો અધિકાર આપ્યો” હતો. (ગલા. ૨:૮, ૯) પિતરને લોકોની ચિંતા હતી અને તે ખૂબ જોશીલા હતા, એટલે તેમણે પ્રેરિત તરીકેની જવાબદારી સારી રીતે નિભાવી.

યોહાન—ઈસુના વહાલા શિષ્ય

પ્રેરિત યોહાન ઝબદીના દીકરા અને પ્રેરિત યાકૂબના ભાઈ હતા. એવું લાગે છે કે તેમની માનું નામ શલોમી હતું. તે કદાચ ઈસુનાં માસી હતાં. (માથ. ૧૦:૨; ૨૭:૫૫, ૫૬; માર્ક ૧૫:૪૦; લૂક ૫:૯, ૧૦) એટલે યોહાન ઈસુના સગા હોય શકે. લાગે છે કે યોહાનનું કુટુંબ પૈસાદાર હતું. તેમના પિતાનો માછીમારનો ધંધો એટલો મોટો હતો કે તેમણે મજૂરો રાખ્યા હતા. (માર્ક ૧:૨૦) જ્યારે ઈસુ ગાલીલ આવતા હતા, ત્યારે શલોમી તેમની સાથે જતાં હતાં અને તેમની સેવા કરતા હતાં. પછીથી ઈસુનું મરણ થયું ત્યારે તેમના શબ પર લગાડવા તે અમુક સુગંધી દ્રવ્ય લઈને આવ્યાં હતાં. (માર્ક ૧૬:૧; યોહા. ૧૯:૪૦) કદાચ યોહાન પાસે પોતાનું એક ઘર હતું.—યોહા. ૧૯:૨૬, ૨૭.

પ્રેરિત યોહાનના હાથમાં એક વીંટો છે.

યોહાન કદાચ બાપ્તિસ્મા આપનાર યોહાનના શિષ્ય હતા. તે આંદ્રિયા સાથે ઊભા હતા અને ત્યારે બાપ્તિસ્મા આપનાર યોહાને ઈસુને જોઈને કહ્યું હતું, “જુઓ, ઈશ્વરનું ઘેટું!” (યોહા. ૧:૩૫, ૩૬, ૪૦) એ પછી ઝબદીના દીકરા યોહાન ઈસુ સાથે કાના ગામમાં ગયા અને ત્યાં તેમણે ઈસુનો પહેલો ચમત્કાર જોયો. (યોહા. ૨:૧-૧૧) ઈસુએ યરૂશાલેમમાં, સમરૂનમાં અને ગાલીલમાં જે કહ્યું અને કર્યું, એ વિશે યોહાને પોતાના પુસ્તકમાં ઘણી માહિતી આપી. એનાથી ખ્યાલ આવે છે કે યોહાને એ બધું નજરોનજર જોયું હતું. ઈસુએ યોહાનને તેમના શિષ્ય બનવા કહ્યું ત્યારે તેમણે એ જ કર્યું જે યાકૂબ, પિતર અને આંદ્રિયાએ કર્યું. તે તરત માછલીઓ પકડવાની જાળ, હોડી અને પોતાનો ધંધો છોડીને ઈસુની પાછળ ચાલવા લાગ્યા. આમ તેમણે બતાવ્યું કે તેમને ઈસુ પર પૂરી શ્રદ્ધા હતી.—માથ. ૪:૧૮-૨૨.

ખુશખબરનાં પુસ્તકોમાં પિતર કરતાં યોહાનનો ઓછી વાર ઉલ્લેખ થયો છે. જોકે, તેમનામાં પણ પિતર જેવો જ ઉત્સાહ હતો. એટલે જ તો ઈસુએ તેમને અને તેમના ભાઈ યાકૂબને બોઅનેરગેસ નામ આપ્યું હતું, જેનો અર્થ થાય, “ગર્જનાના દીકરાઓ.” (માર્ક ૩:૧૭) શરૂઆતમાં યોહાન બધા શિષ્યો કરતાં ચઢિયાતા બનવા માંગતા હતા. એટલે એક વખત તેમણે અને તેમના ભાઈએ પોતાની માને કહેવા મોકલ્યા કે ઈસુ તેમના રાજ્યમાં બંનેને ઊંચી પદવી આપે. એ કિસ્સાથી દેખાઈ આવે છે કે ભાઈઓમાં સ્વાર્થ હતો. જોકે એનાથી એ પણ ખબર પડે છે કે તેઓને પાકો ભરોસો હતો કે ઈશ્વરનું રાજ્ય ચોક્કસ આવશે. એ બનાવને લીધે ઈસુએ બધા શિષ્યોને સમજાવ્યું કે નમ્ર રહેવું ખૂબ જરૂરી છે.—માથ. ૨૦:૨૦-૨૮.

બીજા અમુક કિસ્સાથી પણ ખબર પડે છે કે યોહાન કેટલા ઉત્સાહી અને જોશીલા હતા. એકવાર એક માણસ ઈસુના નામે લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢતો હતો. એ માણસ ઈસુનો શિષ્ય પણ ન હતો, એટલે યોહાનથી રહેવાયું નહિ અને તેને રોકવાની કોશિશ કરી. બીજા કિસ્સામાં, ઈસુએ શિષ્યોને સમરૂનીઓના એક ગામમાં મોકલ્યા હતા, જેથી ત્યાં રહેવાની ગોઠવણ કરી શકે. પણ ગામના રહેવાસીઓએ તેઓનો આવકાર કર્યો નહિ. યોહાનને એટલો ગુસ્સો આવ્યો કે તે આકાશમાંથી અગ્‍નિ વરસાવીને તેઓનો નાશ કરવા માંગતા હતા. એ બંને કિસ્સામાં ઈસુએ યોહાનને ઠપકો આપ્યો હતો. સમય જતાં યોહાને પોતાના વિચારો બદલ્યા અને વધારે દયાળુ બન્યા. (લૂક ૯:૪૯-૫૬) યોહાનમાં ખામીઓ હતી, તોપણ તે ‘ઈસુને વહાલા હતા.’ એટલે ઈસુએ મરતા પહેલાં પોતાની માની જવાબદારી યોહાનને સોંપી.—યોહા. ૧૯:૨૬, ૨૭; ૨૧:૭, ૨૦, ૨૪.

ઈસુએ ભવિષ્યવાણી કરી હતી તેમ, યોહાન બીજા પ્રેરિતો કરતાં લાંબું જીવ્યા. (યોહા. ૨૧:૨૦-૨૨) તેમણે લગભગ ૭૦ વર્ષ વફાદારીથી યહોવાની ભક્તિ કરી. ઢળતી ઉંમરે પણ તે ‘ઈશ્વર વિશે જણાવતા રહ્યા અને ઈસુ વિશે સાક્ષી આપતા રહ્યા.’ એટલે રોમન સમ્રાટ ડોમિશિયનના રાજમાં તેમને પાત્મસ ટાપુ પર કેદ કરવામાં આવ્યા. ત્યાં આશરે ૯૬ની સાલમાં તેમને દર્શનો બતાવવામાં આવ્યાં, જે તેમણે પ્રકટીકરણ નામના પુસ્તકમાં લખ્યાં. (પ્રકટી. ૧:૧, ૨, ૯) એવું માનવામાં આવે છે કે તે કેદમાંથી છૂટ્યા પછી એફેસસ ગયા. ત્યાં તેમણે પોતાના નામનું ખુશખબરનું પુસ્તક લખ્યું, તેમજ તેમણે યોહાનનો પહેલો, બીજો અને ત્રીજો પત્ર લખ્યો. પછી આશરે સાલ ૧૦૦માં એફેસસમાં તેમનું મરણ થયું.

a મંદિરમાં સવારનું અને સાંજનું બલિદાન ચઢાવવામાં આવતું ત્યારે પ્રાર્થનાઓ પણ થતી હતી. સાંજનું બલિદાન “બપોરના ત્રણેક વાગે” ચઢાવવામાં આવતું. બાઇબલ સમયમાં એને નવમો કલાક કહેવામાં આવતો.

b “પિતર—એક સામાન્ય માછીમારમાંથી બન્યા ઉત્સાહી પ્રેરિત” અને “યોહાન—ઈસુના વહાલા શિષ્ય” બૉક્સ જુઓ.

c “પ્રમુખ યાજક અને મુખ્ય યાજકો” બૉક્સ જુઓ.

d સાલ ૩૩માં યરૂશાલેમમાં ફરોશીઓની સંખ્યા આશરે ૬,૦૦૦ હતી અને સાદુકીઓની સંખ્યા તો એનાથી પણ ઓછી હતી. કદાચ એ એક કારણને લીધે તેઓએ પ્રેરિતોને ધમકાવ્યા હતા કે ઈસુ વિશે પ્રચાર કરવાનું બંધ કરે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો