પાઠ ૧૩
યાકૂબ અને એસાવ વચ્ચે સુલેહ
યહોવાએ ઇબ્રાહિમ અને ઇસહાકનું રક્ષણ કર્યું હતું. તેમણે યાકૂબને વચન આપ્યું કે તેનું પણ રક્ષણ કરશે. યાકૂબ હારાન નામની જગ્યાએ રહેવા લાગ્યા. ત્યાં તેમણે લગ્ન કર્યા અને તેમને ઘણાં બાળકો થયાં. તેમનું કુટુંબ વધ્યું અને તે ઘણા અમીર પણ થયા.
એક દિવસે યહોવાએ યાકૂબને કહ્યું: ‘તું તારા દેશ પાછો જા.’ એટલે યાકૂબ અને તેમનું કુટુંબ લાંબી મુસાફરી માટે નીકળી ગયાં. રસ્તામાં યાકૂબના અમુક ચાકરોએ તેમને કહ્યું: ‘તમારો ભાઈ એસાવ ૪૦૦ માણસો સાથે આવી રહ્યો છે.’ યાકૂબ ગભરાઈ ગયા. તેમને લાગતું હતું કે એસાવ તેમને અને તેમના કુટુંબને નુકસાન કરશે. યાકૂબે યહોવાને પ્રાર્થનામાં કહ્યું: ‘મારી પર દયા કરો. મને મારા ભાઈથી બચાવો.’ બીજા દિવસે યાકૂબે એસાવ માટે ભેટમાં ઘણાં બધાં ઘેટાં-બકરાં, ગાયો, ઊંટો અને ગધેડાં મોકલ્યાં.
એ રાતે યાકૂબ એકલા હતા ત્યારે, તેમણે એક દૂત જોયો. તેઓ બંને કુસ્તી કરવા લાગ્યા. તેઓ સવાર સુધી કુસ્તી કરતા રહ્યા. યાકૂબને બરાબરનું વાગ્યું તોપણ તેમણે હાર ન માની. દૂતે તેમને કહ્યું: ‘મને જવા દે.’ પણ યાકૂબે કહ્યું: ‘જ્યાં સુધી તમે મને આશીર્વાદ નહિ આપો, ત્યાં સુધી હું તમને નહિ જવા દઉં.’
આખરે દૂતે યાકૂબને આશીર્વાદ આપ્યો. હવે યાકૂબને પૂરી ખાતરી થઈ કે યહોવા તેમને એસાવથી બચાવશે.
એ જ સવારે યાકૂબે એસાવ અને ૪૦૦ માણસોને દૂરથી આવતા જોયા. યાકૂબ પોતાના કુટુંબની આગળ આગળ ગયા. તેમણે પોતાના ભાઈને સાત વખત નમીને પ્રણામ કર્યા. એસાવ દોડીને યાકૂબ પાસે આવ્યા અને તેમને ભેટી પડ્યા. બંને ભાઈઓ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. આમ તેઓ વચ્ચે સુલેહ થઈ. તમે શું કહેશો, એસાવ સાથે સુલેહ કરવા યાકૂબે જે પગલાં ભર્યાં, એ જોઈને યહોવાને કેવું લાગ્યું હશે?
પછી એસાવ પોતાના ઘરે ગયા અને યાકૂબે મુસાફરી ચાલુ રાખી. યાકૂબને ૧૨ દીકરાઓ હતા. તેઓનાં નામ હતાં: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, દાન, નફતાલી, ગાદ, આશેર, ઇસ્સાખાર, ઝબુલોન, યૂસફ અને બિન્યામીન. યહોવાએ યાકૂબના દીકરા યૂસફ દ્વારા પોતાના લોકોને બચાવ્યા. તમને ખબર છે કઈ રીતે? હવે પછીના ભાગમાં જોઈશું.
“તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો. આ રીતે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરાઓ બનશો.”—માથ્થી ૫:૪૪, ૪૫