પાઠ ૧૬
અયૂબ કોણ હતા?
ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતા હતા. તે યહોવાની ભક્તિ કરતા હતા. અયૂબ ખૂબ ધનવાન હતા અને તેમનું મોટું કુટુંબ હતું. તે ભલા માણસ હતા. તે ગરીબોને અને જેઓના પતિ ગુજરી ગયા હોય એવી સ્ત્રીઓને મદદ કરતા. માબાપ ન હોય એવાં બાળકોનો સહારો પણ બનતા. અયૂબ હંમેશાં ખરું હોય એ જ કરતા, તોપણ તેમના પર તકલીફો આવી. તમે જાણો છો, તેમના પર કઈ તકલીફો આવી?
અયૂબને ખબર ન હતી કે શેતાન તેમની પર નજર રાખી રહ્યો હતો. યહોવાએ શેતાનને કહ્યું: ‘શું તું મારા સેવક અયૂબ પર નજર રાખી રહ્યો છે? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે મારી વાત માને છે અને જે ખરું છે એ કરે છે.’ શેતાને કહ્યું: ‘અયૂબ તમારી વાત માને એમાં શું નવાઈ! તમે તો હંમેશાં તેને બચાવો છો અને તેને આશીર્વાદ આપો છો. તમે તેને જમીન અને ઘણાં બધાં પ્રાણીઓ આપ્યાં છે. એ બધું તેની પાસેથી લઈ લો અને પછી જુઓ, તે તમારી ભક્તિ કરવાનું છોડી દેશે.’ યહોવાએ કહ્યું: ‘તું ચાહે તો અયૂબની પરીક્ષા લે, પણ તેને મારી ન નાખતો.’ યહોવાએ શેતાનને અયૂબની પરીક્ષા લેવાની મંજૂરી કેમ આપી? કેમ કે, યહોવાને પૂરો ભરોસો હતો કે અયૂબ તેમની ભક્તિ કરવાનું નહિ છોડે.
અયૂબની પરીક્ષા કરવા શેતાન તેમના પર ઘણી મુશ્કેલીઓ લાવ્યો. સૌથી પહેલા તેણે સબાઈમના લોકો મોકલ્યા. તેઓ અયૂબની ગાયો અને ગધેડાં ચોરી ગયા. પછી શેતાને આગ વરસાવીને ઘેટાંને ખતમ કરી નાખ્યાં. એ પછી ખાલદીઓ આવીને ઊંટો ચોરી ગયા. અરે, શેતાને પ્રાણીઓની સંભાળ રાખનાર માણસોને પણ ન છોડ્યા. ત્યાર બાદ અયૂબ પર સૌથી મોટી મુશ્કેલી આવી. તેમનાં બધાં બાળકો એક ઘરમાં જમી રહ્યાં હતાં ત્યારે, એ ઘર તેઓ પર તૂટી પડ્યું અને બધા એની નીચે દબાઈને મરી ગયા. આટલી બધી મુશ્કેલીઓને લીધે અયૂબ દુઃખી દુઃખી થઈ ગયા. તોપણ તેમણે યહોવાની ભક્તિ કરવાનું છોડ્યું નહિ.
શેતાનને હજુ પણ જંપ ન વળ્યો. તે અયૂબ પર વધારે તકલીફો લાવવા માંગતો હતો. તેણે એવું કંઈક કર્યું કે અયૂબના આખા શરીર પર ગૂમડાં થયાં. એનાથી અયૂબને ઘણી પીડા થઈ. અયૂબ જાણતા ન હતા કે તેમની સાથે આ બધું કેમ થઈ રહ્યું છે, તોપણ તે યહોવાની ભક્તિ કરતા રહ્યા. એ જોઈને ઈશ્વર તેમનાથી બહુ ખુશ થયા.
જોકે શેતાન એટલેથી ખુશ ન હતો. તેણે અયૂબની હજુ વધારે પરીક્ષા કરવા ત્રણ માણસો મોકલ્યા. તેઓએ કહ્યું: ‘તેં ચોક્કસ કોઈ પાપ કર્યું હશે અને હવે એને છુપાવી રહ્યો છે. એટલે ઈશ્વર તને સજા કરી રહ્યા છે.’ અયૂબે કહ્યું: ‘મેં કંઈ ખોટું નથી કર્યું.’ પણ પછી તે વિચારવા લાગ્યા કે યહોવા તેમના પર મુશ્કેલીઓ લાવી રહ્યા છે અને તેમની સાથે અન્યાય કરી રહ્યા છે.
અલીહૂ નામના એક યુવાન માણસ પણ ત્યાં હતા. તે શાંતિથી આ બધી વાતો સાંભળી રહ્યા હતા. પછી તેમણે કહ્યું: ‘તમે બધા જે વાત કરી રહ્યા છો એ ખોટી છે. યહોવા તો મહાન છે. તે ક્યારેય ખોટું કામ કરી જ ના શકે. તે બધું જ જુએ છે અને તકલીફો સહેવા લોકોને મદદ કરે છે.’
હવે યહોવાએ અયૂબ સાથે વાત કરી. તેમણે કહ્યું: ‘જ્યારે હું આકાશ અને પૃથ્વી બનાવી રહ્યો હતો, ત્યારે તું ક્યાં હતો? તું એવું કેમ કહે છે કે હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું? તું એવું બોલે તો છે, પણ તને એની પાછળનું કારણ નથી ખબર.’ અયૂબે પોતાની ભૂલ કબૂલ કરી અને કહ્યું: ‘હું ખોટો હતો. પહેલાં મેં તમારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તમને ઓળખું છું. તમે જે ચાહો એ કરી શકો છો. મેં જે કહ્યું એ માટે મને માફ કરી દો.’
શેતાને અયૂબની પરીક્ષા કરી લીધી પછી યહોવાએ તેમને બીમારીમાંથી સાજા કર્યા. તેમને પહેલાં કરતાં પણ વધારે આશીર્વાદ આપ્યા. અયૂબ ઘણું લાંબું જીવ્યા અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. તેમણે મુશ્કેલીઓમાં પણ યહોવાની વાત માની એટલે યહોવાએ તેમને આશીર્વાદો આપ્યા. શું તમે પણ અયૂબની જેમ યહોવાની ભક્તિ કરતા રહેશો, પછી ભલે ને ગમે એટલી મુશ્કેલીઓ આવે?
“અયૂબે જે સહન કર્યું એ તમે સાંભળ્યું છે અને યહોવાએ તેમને જે બદલો આપ્યો એ પણ તમે જાણો છો.”—યાકૂબ ૫:૧૧