પાઠ ૫૦
યહોવાએ યહોશાફાટને બચાવ્યા
યહોશાફાટ યહૂદાના રાજા હતા. તેમણે પોતાના રાજ્યમાંથી બઆલ દેવની વેદીઓ અને મૂર્તિઓ તોડી પાડી. તેમની ઇચ્છા હતી કે લોકો યહોવાના નિયમો વિશે શીખે. તેમણે અધિકારીઓ અને લેવીઓને યહોવાના નિયમો શીખવવા આખા રાજ્યમાં મોકલ્યા.
આસપાસના દેશો યહૂદા પર હુમલો કરતા ડરતા હતા. કેમ કે, તેઓ જાણતા હતા કે યહોવા પોતાના લોકોની સાથે છે. તેઓ યહોશાફાટ રાજાને ઘણી ભેટ આપતા હતા. પણ અમુક સમય પછી મોઆબી, આમ્મોની અને સેઈર નામના વિસ્તારના લોકો યહૂદા સામે લડવા આવ્યા. યહોશાફાટ જાણતા હતા કે તેમને યહોવાની મદદની જરૂર છે. તેમણે બધાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને યરૂશાલેમમાં ભેગાં કર્યાં. પછી બધાની સામે તેમણે પ્રાર્થના કરી: ‘હે યહોવા, તમારી મદદ વગર અમે આ લડાઈ જીતી નહિ શકીએ, દયા કરીને અમને જણાવો કે અમારે શું કરવું?’
યહોવાએ જવાબ આપ્યો: ‘તમે ડરશો નહિ! હું તમને મદદ કરીશ. તમે બસ પોતાની જગ્યાએ ઊભા રહેજો અને જોજો કે હું તમને કઈ રીતે બચાવું છું.’ યહોવાએ તેઓને કઈ રીતે બચાવ્યા?
બીજા દિવસે સવારે યહોશાફાટે ગીત ગાવા અમુક લોકોને પસંદ કર્યાં. તેમણે તેઓને સેનાની આગળ આગળ ચાલવા કહ્યું. તેઓ યરૂશાલેમથી ચાલીને લડાઈના મેદાન સુધી ગયા, જે તકોઆ નામની જગ્યાએ આવેલું હતું.
ગીત ગાનારાઓએ મોટેથી યહોવાનો જયજયકાર કર્યો ત્યારે, યહોવા પોતાના લોકો વતી લડ્યા. તેમણે આમ્મોની અને મોઆબી લોકો વચ્ચે એવી ગૂંચવણ ઊભી કરી કે તેઓ એકબીજાને જ મારી નાખવા લાગ્યા. તેઓમાંથી કોઈ જીવતું બચ્યું નહિ. પણ યહોવાએ યહૂદાના લોકો, સૈનિકો અને યાજકોનું રક્ષણ કર્યું. આસપાસના દેશના લોકોએ સાંભળ્યું કે યહોવાએ ત્યાં શું કર્યું છે. તેઓ જાણી ગયા કે યહોવા હજી પણ પોતાના લોકોને બચાવે છે. તે પોતાના લોકોને કઈ રીતે બચાવે છે? ઘણી બધી રીતોએ. પોતાના લોકોને બચાવવા તેમને કોઈ માણસની જરૂર નથી.
“તમારે આ યુદ્ધમાં લડવું નહિ પડે. તમારી જગ્યાએ અડગ ઊભા રહો. યહોવા કઈ રીતે તમને બચાવે છે, એ નજરે જુઓ.”—૨ કાળવૃત્તાંત ૨૦:૧૭