પાઠ ૫૨
યહોવાની ભવ્ય સેના
સિરિયાનો રાજા બેન-હદાદ ઇઝરાયેલ પર વારંવાર હુમલો કરતો. પણ દર વખતે પ્રબોધક એલિશા ઇઝરાયેલના રાજાને પહેલેથી જ હુમલા વિશે જણાવી દેતા. એટલે ઇઝરાયેલના રાજા બચી જતા. બેન-હદાદે એલિશાને જ પકડી લેવાનું નક્કી કર્યું. તેને ખબર પડી કે એલિશા દોથાન શહેરમાં છે. એટલે તેણે એલિશાને પકડવા પોતાની સેના મોકલી.
સિરિયાના સૈનિકો રાતે દોથાન પહોંચ્યા. બીજા દિવસે સવારે એલિશાનો સેવક બહાર નીકળ્યો. તેણે જોયું કે મોટી સેનાએ આખા શહેરને ઘેરી લીધું છે. તે ખૂબ જ ડરી ગયો. તેણે બૂમ પાડીને એલિશાને કહ્યું: ‘ગુરુજી, હવે આપણે શું કરીશું?’ એલિશાએ કહ્યું: ‘તેઓ સાથે જેટલા છે એના કરતાં આપણી સાથે વધારે છે!’ એ જ વખતે યહોવાએ એલિશાના સેવકને કંઈક બતાવ્યું. તેણે શહેરની ચારે બાજુ પહાડો પર આગ નીકળતી હોય એવા ઘોડાઓ અને રથો જોયા.
સિરિયાના સૈનિકોએ એલિશાને પકડવાની કોશિશ કરી ત્યારે તેમણે પ્રાર્થના કરી: ‘હે યહોવા, તેઓને આંધળા કરી દો.’ અચાનક એવું બન્યું કે સૈનિકો જોઈ તો શકતા હતા, પણ તેઓને સમજાતું ન હતું કે તેઓ ક્યાં છે. એલિશાએ તેઓને કહ્યું: ‘તમે ખોટા શહેરમાં આવી ગયા છો. મારી સાથે ચાલો, હું તમને એ માણસ પાસે લઈ જઉં જેને તમે શોધી રહ્યા છો.’ તેઓ એલિશાની પાછળ પાછળ સમરૂન શહેર પહોંચ્યા. તેઓ ઇઝરાયેલના રાજા રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા.
હવે સિરિયાના સૈનિકોને સમજાયું કે તેઓ ક્યાં છે. પણ ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું. ઇઝરાયેલના રાજાએ એલિશાને પૂછ્યું: ‘શું હું તેઓને મારી નાખું?’ એ વખતે શું એલિશાએ એવું વિચાર્યું કે આ લોકો પાસેથી બદલો લેવાનો સારો મોકો છે? ના! તેમણે તો રાજાને કહ્યું: ‘તેઓને મારી નાખશો નહિ. તેઓને ખવડાવી-પિવડાવીને ઘરે મોકલી દો.’ રાજાએ બધાને મોટી મિજબાની આપી. પછી તેઓને ઘરે મોકલી દીધા.
“આપણને ભરોસો છે કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.”—૧ યોહાન ૫:૧૪