ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
“તારા દીકરાને ઉઠાવી લે”
બાળક ગુજરી જાય ત્યારે માબાપને બેહદ દુઃખ થાય છે. એના જેવું દુઃખ બીજું કોઈ નથી. પરંતુ, ઈશ્વર યહોવાહ પાસે એ ખોટ ભરી આપવાની શક્તિ છે. બાઇબલ સમયમાં યહોવાહે અમુક ભક્તોને શક્તિ આપી હતી કે તેઓ ગુજરી ગયેલાઓને સજીવન કરી શકે. એમાંનો એક બનાવ આપણને બીજો રાજાઓ ૪:૮-૩૭માં જોવા મળે છે, જ્યાં એલીશા પ્રબોધકે નાના છોકરાને સજીવન કર્યો હતો.
એ બનાવ શૂનેમ શહેરમાં થયો હતો. ત્યાં રહેતી એક સ્ત્રીને કોઈ બાળક ન હતું. તે અને તેનો પતિ પ્રબોધક એલીશાને પોતાના ઘરે ઉતારો આપતા. એલીશા જ્યારે પણ ત્યાં થઈને જતા, ત્યારે તેઓના ઘરે રહેતા. તેઓનો ઉપકાર માનતા એલીશાએ એક દિવસ એ સ્ત્રીને કહ્યું: “આવતા વર્ષે લગભગ આ જ અરસામાં તને દીકરો થશે.” (કલમ ૧૬, IBSI) એ સ્ત્રીને એવું લાગતું હતું કે તેને કદી બાળક નહિ થાય. પણ એલીશાએ જે કહ્યું એ સાચું પડ્યું અને તેને દીકરો જન્મ્યો. પરંતુ, એ આનંદ લાંબો સમય ટક્યો નહિ. અમુક વર્ષ પછી છોકરો ખેતરમાં હતો ત્યારે તેને સખત માથું દુખવા લાગ્યું. તેને ઘરે લાવ્યા પછી તે ‘તેની માના ખોળામાં’ ગુજરી ગયો. (કલમ ૧૯, ૨૦) દુઃખથી ભાંગી પડેલી એ માએ ગુજરી ગએલા દીકરાને ઉપાડીને એલીશાના પલંગ પર સુવાડ્યો.
પછી તે શૂનામ્મી સ્ત્રીએ મોડું કર્યા વગર પતિની રજા લીધી અને આશરે ત્રીસ કિલોમીટર લાંબી મુસાફરી કરી કાર્મેલ પર્વત પર એલીશાને મળવા ગઈ. પ્રબોધકને મળીને તે કંઈ પોતાના રોદણાં રડવા ન લાગી. એનું કારણ શું હોઈ શકે? શું એલીશા પહેલાંના પ્રબોધક એલીયાહે એક વિધવાના દીકરાને સજીવન કર્યો હતો એ તે જાણતી હતી? (૧ રાજાઓ ૧૭:૧૭-૨૩) શું તેને એવો ભરોસો હતો કે એલીશા પણ તેના દીકરાને સજીવન કરશે? આપણે એ જાણતા નથી, પણ એક વાત સ્પષ્ટ છે કે એલીશા તેની સાથે ન જાય ત્યાં સુધી તે પાછી ઘરે જવા તૈયાર ન હતી.
તે સ્ત્રી સાથે એલીશા શૂનેમ ગયા. ત્યાં પહોંચ્યા પછી એલીશા એકલા જ પોતાની ઓરડીમાં ગયા, જ્યાં ગુજરી ગયેલા છોકરાને ‘તેમના પલંગ’ પર સુવાડેલો હતો. (કલમ ૩૨) એલીશાએ યહોવાહને પ્રાર્થનામાં કાલાવાલા કર્યા. પછી એ છોકરા પર તે સૂતા. ધીમે ધીમે એ “છોકરાનો દેહ ગરમ” થવા લાગ્યો. બંધ પડી ગયેલું હૃદય ફરી ધબકવા લાગ્યું. પછી એલીશાએ છોકરાની માને બોલાવીને કહ્યું કે “તારા દીકરાને ઉઠાવી લે.” એ સાંભળીને તે સ્ત્રીનાં દુઃખનાં આંસુ, સુખનાં આંસુમાં ફેરવાઈ ગયાં.—કલમ ૩૪, ૩૬.
શૂનામ્મી સ્ત્રીના છોકરાને સજીવન કરવામાં આવ્યો. એ બનાવ વાંચીને આપણને ખૂબ જ દિલાસો મળે છે. યહોવાહ ગુજરી ગયેલાને ભાવિમાં ચોક્કસ સજીવન કરશે. બાળક ગુજરી જવાથી માબાપને ખૂબ જ દુઃખ થાય છે, એ યહોવાહ સારી રીતે જાણે છે. એટલું જ નહિ, ગુજરી ગયેલા સર્વને સજીવન કરવા તે તલપી રહ્યા છે. (અયૂબ ૧૪:૧૪, ૧૫) એલીશા અને બીજા પ્રબોધકોએ જેઓને સજીવન કર્યા, એ તો માત્ર એક ઝલક જ હતી. એ બતાવે છે કે યહોવાહ નવી દુનિયા લાવશે ત્યારે તે ઘણા લોકોને સજીવન કરશે.a
ઈશ્વરે બાઇબલમાં વચન આપ્યું છે કે ગુજરી ગયેલાઓને તે સજીવન કરશે. ખરું કે એ જાણવાથી ગુજરી ગયેલા સગા-વહાલાનું દુઃખ સાવ મટી જતું નથી. યહોવાહને ભજતા એક પિતાએ પોતાનું એકનું એક બાળક ગુજરી ગયા પછી કહ્યું: ‘મારા દીકરાને ફરીથી ગોદમાં જીવતો ન જોઉં ત્યાં સુધી, મને ચેન પડશે નહિ.’ જરા કલ્પના કરો, ગુજરી ગયેલા તમારાં સગાં-વહાલાં સજીવન થાય છે અને તમારી સાથે રહે છે! તમે તેઓને ફરીથી મળી શકશો એ જાણીને હમણાં તમારું દુઃખ હળવું થઈ શકે. એ સુંદર આશા આપનાર ઈશ્વર વિષે વધારે જાણવાનું તમને જરૂર મન થશે. (w10-E 08/01)
[ફુટનોટ્સ]
a બાઇબલ શીખવે છે કે ગુજરી ગયેલાઓને સજીવન કરવામાં આવશે. એ વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું સાતમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.