પાઠ ૫૪
યહોવા યૂના સાથે ધીરજથી વર્ત્યા
આશ્શૂર દેશના નિનવેહ શહેરના લોકો ખૂબ દુષ્ટ હતા. યહોવાએ પ્રબોધક યૂનાને કહ્યું: ‘તું નિનવેહ જઈને લોકોને જણાવ કે તેઓ ખરાબ કામો છોડી દે.’ પણ યૂના નિનવેહની વિરુદ્ધ દિશામાં ભાગી ગયા. તે તાર્શીશ જતા વહાણમાં બેસીને દૂર ભાગી ગયા.
વહાણ દરિયામાં હતું ત્યારે, એક મોટું તોફાન આવ્યું. વહાણ ચલાવતા લોકો ડરી ગયા. તેઓ પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરીને પૂછવા લાગ્યા: ‘આ તોફાન કેમ આવ્યું છે?’ આખરે યૂનાએ જણાવ્યું: ‘આ બધું મારા લીધે થાય છે. યહોવાએ મને એક કામ સોંપ્યું હતું. પણ એ કરવાને બદલે હું ભાગી રહ્યો છું. મને દરિયામાં ફેંકી દો. પછી તોફાન પણ શાંત પડી જશે.’ વહાણ ચલાવતા લોકો યૂનાને દરિયામાં ફેંકવા માંગતા ન હતા. પણ યૂના તેઓને વારંવાર એમ કરવાનું કહેવા લાગ્યા. એટલે તેઓએ યૂનાને દરિયામાં ફેંકી દીધા. તોફાન તરત શાંત થઈ ગયું.
યૂનાને થયું હવે તો તે મરી જ જશે. તે દરિયામાં ડૂબતા હતા ત્યારે, તેમણે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ એક મોટી માછલી મોકલી. એ યૂનાને ગળી ગઈ, તોપણ તે મર્યા નહિ. માછલીના પેટમાંથી યૂનાએ યહોવાને પ્રાર્થના કરી: ‘હું વચન આપું છું કે હંમેશાં તમારી વાત માનીશ.’ યહોવાએ યૂનાને ત્રણ દિવસ સુધી માછલીના પેટમાં સાચવી રાખ્યા. પછી માછલીએ યૂનાને સૂકી જમીન પર ઓકી કાઢ્યા.
યહોવાએ યૂનાને બચાવ્યા, પણ એનો અર્થ એ ન હતો કે હવે તેમણે નિનવેહ નહિ જવું પડે. યહોવાએ ફરી એક વાર યૂનાને નિનવેહ જવાનું કહ્યું. આ વખતે યૂનાએ યહોવાની વાત માની. તેમણે ત્યાં જઈને દુષ્ટ લોકોને કહ્યું: ‘૪૦ દિવસમાં નિનવેહ શહેરનો નાશ થશે.’ પણ તેમણે વિચાર્યું હતું, એનાથી સાવ અલગ થયું. લોકોએ તેમની વાત સાંભળી અને ખરાબ કામો કરવાનું છોડી દીધું. નિનવેહના રાજાએ લોકોને કહ્યું: ‘ઈશ્વરને પોકાર કરો અને પસ્તાવો કરો, તો કદાચ તે આપણો નાશ ન કરે.’ યહોવાએ જોયું કે લોકોએ પસ્તાવો કર્યો છે, એટલે તેમણે નિનવેહનો નાશ કર્યો નહિ.
શહેરનો નાશ ન થયો એ જોઈને યૂનાને બહુ ગુસ્સો આવ્યો. આનો વિચાર કરો: યહોવાએ યૂના સાથે ધીરજ રાખી અને દયા બતાવી. પણ યૂના નિનવેહના લોકો પર દયા બતાવી રહ્યા ન હતા. તે શહેરની બહાર જતા રહ્યા અને દૂધીના એક વેલા નીચે મોઢું ચઢાવીને બેસી ગયા. એ વેલો સુકાઈ ગયો, એટલે યૂનાને ગુસ્સો આવ્યો. એ જોઈને યહોવાએ યૂનાને કહ્યું: ‘શું નિનવેહના લોકો કરતાં તું આ વેલાની વધારે ચિંતા કરે છે? મેં તેઓ પર દયા બતાવી છે, એટલે તેઓ બચી ગયા છે.’ યહોવા શું કહેવા માંગતા હતા? એ જ કે, દૂધીના વેલા કરતાં નિનવેહના લોકો ઘણા કીમતી છે.
“યહોવા . . . તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”—૨ પિતર ૩:૯