પાઠ ૬૭
યરૂશાલેમની દીવાલો
ચાલો, થોડા વર્ષો પહેલાં થયેલા અમુક બનાવોનો વિચાર કરીએ. નહેમ્યા નામના એક ઇઝરાયેલી ઈરાનના શુશાન શહેરમાં રહેતા હતા. તે રાજા આર્તાહશાસ્તાના સેવક હતા. એક દિવસે તેમના ભાઈએ યરૂશાલેમથી આવીને આ ખરાબ સમાચાર આપ્યા: ‘જે લોકો યરૂશાલેમ પાછા ગયા હતા, તેઓ સલામત નથી. બાબેલોનના લોકોએ તોડી નાખેલી શહેરની દીવાલો અને દરવાજા હજુ સુધી બંધાયા નથી, એવાને એવા જ પડ્યા છે.’ એ સાંભળીને નહેમ્યા ઉદાસ થઈ ગયા. તે યરૂશાલેમ જઈને લોકોની મદદ કરવા માંગતા હતા. એટલે તેમણે પ્રાર્થના કરી કે ઈશ્વર એવું કંઈક કરે કે રાજા તેમને જવા દે.
રાજાએ જોયું કે નહેમ્યા ખૂબ ઉદાસ છે. એટલે રાજાએ પૂછ્યું: ‘મેં તને આટલો ઉદાસ ક્યારેય નથી જોયો. શું થયું?’ નહેમ્યાએ કહ્યું: ‘મારું શહેર યરૂશાલેમ હજી પણ તૂટેલી હાલતમાં છે, એટલે હું ઉદાસ છું.’ રાજાએ તેમને પૂછ્યું: ‘હું તારા માટે શું કરી શકું?’ નહેમ્યાએ તરત પ્રાર્થના કરી અને પછી રાજાને અરજ કરી: ‘મને યરૂશાલેમ જવા દો, જેથી હું ત્યાંની તૂટેલી દીવાલો બાંધી શકું.’ રાજા આર્તાહશાસ્તાએ નહેમ્યાને કહ્યું કે તે જઈ શકે છે. તે સલામત રીતે લાંબી મુસાફરી કરી શકે, એ માટે રાજાએ બધી ગોઠવણ કરી. તેમણે નહેમ્યાને યહૂદાના રાજ્યપાલ પણ બનાવ્યા અને શહેરના દરવાજા બનાવવા લાકડાં આપ્યા.
જ્યારે નહેમ્યા યરૂશાલેમ પહોંચ્યા, ત્યારે તેમણે દીવાલોની તપાસ કરી. પછી તેમણે યાજકો અને અધિકારીઓને ભેગા કર્યા અને કહ્યું: ‘હાલત ખૂબ ખરાબ છે. આપણે તરત કામ શરૂ કરવું પડશે.’ લોકો પણ તૈયાર થઈ ગયા અને તેઓએ દીવાલો બાંધવાનું શરૂ કરી દીધું.
પણ ઇઝરાયેલીઓના અમુક દુશ્મનોએ તેઓની મજાક ઉડાવતા કહ્યું: ‘તમારી દીવાલો એટલી નબળી છે કે એના પર એક શિયાળ ચઢશે, તોપણ એ પડી જશે.’ દીવાલ બાંધતા લોકોએ તેઓની વાતો પર કોઈ ધ્યાન આપ્યું નહિ અને પોતાનું કામ ચાલુ રાખ્યું. ધીરે ધીરે દીવાલ ઊંચી અને મજબૂત બનતી ગઈ.
હવે દુશ્મનોએ નક્કી કર્યું કે તેઓ અલગ અલગ દિશામાંથી આવશે અને અચાનક યરૂશાલેમ પર હુમલો કરી દેશે. યહૂદીઓ એ વાત સાંભળીને ડરી ગયા. પણ નહેમ્યાએ તેઓને કહ્યું: ‘ડરશો નહિ! યહોવા આપણી સાથે છે.’ તેમણે દીવાલ બાંધતા લોકોનું રક્ષણ કરવા ચોકીદારો રાખ્યા. એટલે દુશ્મનો હુમલો કરી શક્યા નહિ.
ફક્ત બાવન દિવસમાં દીવાલો અને દરવાજા બનીને તૈયાર થઈ ગયા. એના ઉદ્ઘાટન માટે નહેમ્યા બધા લેવીઓને યરૂશાલેમ લઈ આવ્યા. તેમણે તેઓને ગાયકોની બે ટોળીમાં વહેંચ્યા. તેઓ ફુવારા નામના દરવાજા પાસે આવેલા દાદરાથી દીવાલ પર ચઢ્યા, ત્યાંથી એક ટોળી એક બાજુ ગઈ અને બીજી ટોળી એની વિરુદ્ધ દિશામાં ગઈ. એક ટોળી સાથે એઝરા હતા અને બીજી ટોળી સાથે નહેમ્યા હતા. તેઓ દીવાલ પર ચાલતાં ચાલતાં રણશિંગડું, ઝાંઝ અને વીણા વગાડતાં વગાડતાં યહોવા માટે ગીતો ગાતા હતા. પછી બંને ટોળી મંદિરે મળી. એ પછી બધાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોએ યહોવા માટે બલિદાનો ચઢાવ્યાં અને ખુશી મનાવી. તેઓએ એટલો આનંદ કર્યો કે તેઓનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો.
“તારી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ.”—યશાયા ૫૪:૧૭