પાઠ ૭૩
યોહાને જાહેર કર્યું કે મસીહ આવવાના છે
ઝખાર્યા અને એલિસાબેતના દીકરા યોહાન મોટા થઈને પ્રબોધક બન્યા. યહોવાએ યોહાન દ્વારા લોકોને જણાવ્યું કે મસીહ આવવાના છે. યોહાને એ સંદેશો સભાસ્થાનોમાં કે શહેરોમાં નહિ, પણ વેરાન પ્રદેશમાં જણાવ્યો. યરૂશાલેમ અને આખા યહૂદામાંથી લોકો તેમની વાત સાંભળવા આવતા હતા. યોહાન તેઓને શીખવતા હતા કે જો તેઓ ઈશ્વરને ખુશ કરવા માંગતા હોય, તો ખરાબ કામો છોડી દે. એ સાંભળીને ઘણા લોકોએ પસ્તાવો કર્યો. તેમ જ યોહાન પાસે યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું.
યોહાન સાદું જીવન જીવતા હતા. તે ઊંટના વાળમાંથી બનેલાં કપડાં પહેરતા હતા. તે તીડો અને જંગલી મધ ખાતા હતા. લોકો જાણવા માંગતા હતા કે યોહાન કોણ છે. અરે! ઘમંડી ધર્મગુરુઓ, એટલે કે ફરોશીઓ અને સાદુકીઓ પણ તેમને જોવા આવતા હતા. યોહાને તેઓને કહ્યું: ‘તમારે જીવન જીવવાની રીત બદલવી પડશે અને પસ્તાવો કરવો પડશે. એવું ન વિચારશો કે તમે ઇબ્રાહિમનાં બાળકો છો એટલે ખાસ છો. એવું પણ ન વિચારશો કે તમે ઇબ્રાહિમનાં બાળકો છો એટલે ઈશ્વરનાં બાળકો છો.’
ઘણા લોકો યોહાન પાસે આવીને પૂછતા: ‘ઈશ્વરને ખુશ કરવા અમારે શું કરવું જોઈએ?’ યોહાને તેઓને કહ્યું: ‘જો તમારી પાસે બે કપડાં હોય, તો જેને જરૂર છે તેને એક કપડું આપો.’ તમને ખબર છે, યોહાને એવું કેમ કહ્યું? તે પોતાના શિષ્યોને સમજાવવા માંગતા હતા કે જો ઈશ્વરને ખુશ કરવા હોય, તો લોકોને પ્રેમ કરવો જોઈએ.
યોહાને કર ઉઘરાવતા લોકોને કહ્યું: ‘ઈમાનદાર બનો અને કોઈને દગો ન આપો.’ તેમણે સૈનિકોને કહ્યું: ‘તમે લાંચ ન લો અને જૂઠું ન બોલો.’
યાજકો અને લેવીઓએ યોહાન પાસે આવીને પૂછ્યું: ‘બધા જાણવા માંગે છે, તું કોણ છે?’ યોહાને કહ્યું: ‘જેમ યશાયાએ ભવિષ્યવાણી કરી હતી, તેમ હું એ અવાજ છું, જે વેરાન પ્રદેશમાં પોકારી રહ્યો છે અને લોકોને યહોવાની તરફ લઈ જઈ રહ્યો છે.’
યોહાન જે શીખવતા હતા એ લોકોને ખૂબ ગમતું હતું. અમુક લોકોને લાગ્યું કે યોહાન જ મસીહ છે. પણ યોહાને તેઓને કહ્યું: ‘મારા કરતાં પણ મહાન કોઈ આવવાના છે. હું તેમના ચંપલ કાઢવાને પણ યોગ્ય નથી. હું તો પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ તે પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપશે.’
“આ માણસ એક સાક્ષી તરીકે આવ્યો, જેથી પ્રકાશ વિશે તે સાક્ષી આપે અને બધા પ્રકારના લોકો તેના દ્વારા ભરોસો મૂકે.”—યોહાન ૧:૭