પાઠ ૯૦
ગલગથામાં ઈસુ મરણ પામ્યા
મુખ્ય યાજકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા. પિલાતે તેઓને પૂછ્યું: ‘આ માણસ પર તમે કયો આરોપ મૂકો છો?’ તેઓએ કહ્યું: ‘આ માણસ દાવો કરે છે કે તે રાજા છે.’ પિલાતે ઈસુને પૂછ્યું: ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ ઈસુએ કહ્યું: ‘મારું રાજ્ય આ દુનિયાનું નથી.’
પછી પિલાતે ઈસુને ગાલીલના રાજા હેરોદ પાસે મોકલ્યા. પિલાત જોવા માંગતો હતો કે હેરોદને ઈસુમાં કોઈ દોષ જોવા મળે છે કે નહિ. હેરોદને ઈસુમાં કોઈ દોષ દેખાયો નહિ. એટલે તેણે ઈસુને પાછા પિલાત પાસે મોકલી દીધા. પિલાતે લોકોને કહ્યું: ‘મને અને હેરોદને આ માણસમાં કોઈ દોષ દેખાતો નથી, એટલે હું તેને છોડી દઈશ.’ પણ ટોળું બૂમો પાડવા લાગ્યું: ‘તેને મારી નાખો! મારી નાખો!’ સૈનિકોએ ઈસુને કોરડા માર્યા, તેમના પર થૂંક્યા અને તેમને મુક્કા માર્યા. તેઓએ ઈસુના માથા પર કાંટાનો મુગટ મૂક્યો અને તેમની મજાક ઉડાવતા કહ્યું: “હે યહૂદીઓના રાજા, સલામ!” પિલાતે ફરીથી ટોળાને કહ્યું: ‘મને આ માણસમાં કોઈ દોષ દેખાતો નથી.’ પણ તેઓ બૂમો પાડવા લાગ્યા: ‘તેને વધસ્તંભે ચઢાવી દો!’ પિલાતે ઈસુને મારી નંખાવવા સૈનિકોને સોંપી દીધા.
સૈનિકો તેમને ગલગથા નામની જગ્યાએ લઈ ગયા. તેમને વધસ્તંભ પર ખીલાથી જડી દીધા પછી વધસ્તંભ સીધો ઊભો કરી દીધો. એ વખતે ઈસુએ પ્રાર્થના કરી: ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે.’ લોકો ઈસુની મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા: ‘જો તું ઈશ્વરનો દીકરો હોય, તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ અને પોતાને બચાવી લે.’
ઈસુની બંને બાજુ એક એક ગુનેગારને લટકાવ્યા હતા. એમાંથી એકે ઈસુને કહ્યું: ‘જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’ ઈસુએ તેને વચન આપ્યું: ‘તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.’ બપોરના સમયે આખા દેશમાં ત્રણ કલાક સુધી અંધારું છવાઈ ગયું. અમુક શિષ્યો વધસ્તંભ પાસે ઊભા હતા. તેઓ સાથે ઈસુની મા મરિયમ પણ હતાં. ઈસુએ યોહાનને કહ્યું: ‘મરિયમને પોતાની મા સમજીને તેની સંભાળ રાખજે.’
આખરે ઈસુએ કહ્યું: “બધું પૂરું થયું છે!” તેમણે માથું નમાવીને છેલ્લો શ્વાસ લીધો. એ જ ઘડીએ મોટો ધરતીકંપ થયો. મંદિરમાં પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચેના પડદાના ફાટીને બે ભાગ થઈ ગયા. એક લશ્કરી અધિકારીએ કહ્યું: ‘એ ખરેખર ઈશ્વરનો દીકરો હતો!’
“ઈશ્વરનાં વચનો ભલે ગમે તેટલાં હોય, એ ઈસુ દ્વારા “હા” થયાં છે.”—૨ કોરીંથીઓ ૧:૨૦