બાઇબલમાંથી શીખો
શું ઈશ્વર આખી દુનિયામાં એક સરકાર લાવશે?
આ લેખમાં જે સવાલો છે એ કદાચ તમને પણ થયા હશે. એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિશે તમારી સાથે વાત કરવાનું ગમશે.
૧. મનુષ્યને કેમ એક જ સરકારની જરૂર છે?
આજે મનુષ્યની મુશ્કેલીઓ મોટાભાગે આખી દુનિયામાં જોવા મળે છે. અમુક દેશોમાં ઘણા લોકો ગરીબ અને દુઃખી છે. તો અમુક દેશોમાં લોકો પાસે જરૂર કરતાં વધારે છે. જો દુનિયામાં એક સરકાર હોય, તો એ પૃથ્વીની બધી સાધન-સંપત્તિને સરખાં પ્રમાણમાં વહેંચી શકે.—સભાશિક્ષક ૪:૧; ૮:૯ વાંચો.
૨. દુનિયામાં એક સરકાર માટે કોના પર ભરોસો મૂકાય?
પૃથ્વી પર એક જ શાસક હોય એવો વિચાર લોકોને પસંદ નથી, કેમ કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ એ કામ સારી રીતે ન કરી શકે. કોઈ એક વ્યક્તિને બધા જ પસંદ કરશે નહિ. તેમ જ, પૃથ્વી પર એવું કોણ છે કે જે સત્તા મળી ગયા પછી ભ્રષ્ટ ન થાય? એક જ જુલમી શાસક બધા મનુષ્ય પર રાજ કરે, એવો વિચાર પણ ભયાનક લાગે.—નીતિવચનો ૨૯:૨; યિર્મેયા ૧૦:૨૩ વાંચો.
મનુષ્ય પર હંમેશ માટે રાજ કરવા યહોવાએ તેમના દીકરા ઈસુને પસંદ કર્યા છે. (લુક ૧:૩૨, ૩૩) પૃથ્વી પર જીવવાનો ઈસુને અનુભવ છે. તે પૃથ્વી પર હતા ત્યારે તેમણે બીમાર લોકોને સાજા કર્યા, નમ્ર લોકોને શીખવ્યું અને બાળકો સાથે સમય પસાર કર્યો. (માર્ક ૧:૪૦-૪૨; ૬:૩૪; ૧૦:૧૩-૧૬) એટલે ઈસુ જ ઉત્તમ શાસક છે!—યોહાન ૧:૧૪ વાંચો.
૩. શું દુનિયા પર એક જ સરકાર હોય એ શક્ય છે?
ઈશ્વરે પોતાના દીકરા ઈસુને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર રાજ કરવા પસંદ કર્યા છે. (દાનીયેલ ૭:૧૩, ૧૪) જેમ એક માનવ શાસકને રાજ કરવા માટે દરેક શહેરમાં રહેવાની જરૂર પડતી નથી. એવી જ રીતે, ઈસુને પણ મનુષ્યો પર રાજ કરવા પૃથ્વી પર રહેવાની જરૂર નથી.—માથ્થી ૮:૫-૯, ૧૩ વાંચો.
શું બધા લોકો ઈસુને શાસક તરીકે સ્વીકારશે? ના. જેઓને બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે ચાલવાનું ગમે છે, તેઓ જ સ્વીકારશે. યહોવાએ પસંદ કરેલા પ્રેમાળ અને ન્યાયી રાજાને જે કોઈ નકારશે, તેનો નાશ થશે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧ વાંચો.
૪. એ શાસક શું કરશે?
જેમ એક ઘેટાંપાળક ઘેટાંને ભેગા કરે છે, તેમ બધા દેશોમાંથી ઈસુ નમ્ર લોકોને ભેગા કરે છે અને તેઓને ઈશ્વરના પ્રેમ વિશે શીખવે છે. (યોહાન ૧૦:૧૬; ૧૩:૩૪) એવા લોકો રાજા ઈસુ અને તેમના રાજ્યને રાજીખુશીથી સાથ આપે છે. (ગીતશાસ્ત્ર ૭૨:૮; માથ્થી ૪:૧૯, ૨૦) દુનિયાભરમાં ઈસુને પગલે ચાલનારા લોકો ભેગા મળીને જાહેર કરે છે કે ઈસુ રાજા બન્યા છે.—માથ્થી ૨૪:૧૪ વાંચો.
ઈસુ જલદી જ પોતાની સત્તાનો ઉપયોગ કરીને મનુષ્યને ભ્રષ્ટ સરકારના પંજામાંથી આઝાદ કરશે. તેમણે અમુક ઈશ્વરભક્તોને પસંદ કર્યા છે, જેઓ સ્વર્ગમાંથી તેમની સાથે પૃથ્વી પર રાજ કરશે. (દાનીયેલ ૨:૪૪; ૭:૨૭) ઈસુની સરકાર પૃથ્વીને યહોવાના જ્ઞાનથી ભરી દેશે. શરૂઆતમાં પૃથ્વી સુંદર બાગ જેવી હતી, પણ મનુષ્યો એ ગુમાવી બેઠા. ઈસુના રાજમાં ફરીથી પૃથ્વી એવી જ સુંદર બની જશે.—યશાયા ૧૧:૩, ૯; માથ્થી ૧૯:૨૮ વાંચો. (w12-E 11/01)