ઈશ્વરને ઓળખવાથી તમને કેવા આશીર્વાદો મળશે?
ઈશ્વરને ઓળખવા આપણે અત્યાર સુધી એક પછી એક અનેક પગલાં લીધાં છે. બાઇબલમાંથી શીખ્યા કે તેમનું નામ યહોવા છે અને પ્રેમ તેમનો સૌથી મહાન ગુણ છે. પછી આપણે જોયું કે મનુષ્યોના ભલા માટે તેમણે શું કર્યું છે અને હજી શું કરવાના છે. ઈશ્વર વિશે શીખવાનું હજુ ઘણું બાકી છે. તમને થશે, ઈશ્વર વિશે શીખવાથી મને કેવા આશીર્વાદો મળશે?
યહોવા વચન આપે છે: “જો તું તેને શોધશે તો તે તને જડશે.” (૧ કાળવૃત્તાંત ૨૮:૯) જરા કલ્પના કરો, યહોવાને સારી રીતે ઓળખશો તેમ તમે જાણે તેમના મિત્ર બનશો. હા, તેમના ભક્ત બનશો. (ગીતશાસ્ત્ર ૨૫:૧૪) એનાથી તમારા પર કેવા આશીર્વાદો આવશે?
સાચું સુખ. બાઇબલ જણાવે છે કે યહોવા ‘આનંદી ઈશ્વર’ છે. (૧ તિમોથી ૧:૧૧) તેમને વધુ સારી રીતે ઓળખવાથી અને તેમના માર્ગે ચાલવાથી તમને સાચું સુખ મળશે. તન-મનથી ખુશ રહેશો. (ગીતશાસ્ત્ર ૩૩:૧૨) કુટુંબ ખુશહાલ બનાવવા તમને મદદ મળશે. નુકસાન કરતી જીવન-ઢબથી દૂર રહેવા, સારી આદતો અને બીજાઓ સાથે સારા સંબંધ કેળવવા ઈશ્વર તમને મદદ કરશે. એક ઈશ્વરભક્તના આ શબ્દો સાથે તમે પણ સહમત થશો: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે.”—ગીતશાસ્ત્ર ૭૩:૨૮.
ઈશ્વર બધી રીતે તમારી સંભાળ રાખશે. યહોવાએ તેમના ભક્તોને વચન આપ્યું છે: “મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીતશાસ્ત્ર ૩૨:૮) એનો અર્થ થાય, કે યહોવા પોતાના દરેક ભક્તની જરૂરિયાત પારખીને એ પૂરી કરશે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૨) તમે યહોવાને ઓળખતા થશો અને તેમની સાથે સંબંધ કેળવશો તેમ, જોવા મળશે કે યહોવા મદદ માટે હંમેશાં તમારી સાથે છે.
સુંદર ભાવિ. ઈશ્વર હમણાં સુખી અને સંતોષભર્યું જીવન જીવવા તમને મદદ કરે છે. એ ઉપરાંત, યહોવા તમને સુંદર ભાવિની આશા પણ આપે છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) બાઇબલ જણાવે છે: “હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) આ મુશ્કેલ સમયમાં ઈશ્વર પાસેથી મળતી આશા વહાણના લંગર જેવી છે, જે આપણને શ્રદ્ધામાં “અડગ અને મજબૂત” રાખે છે.—હિબ્રૂઓ ૬:૧૯.
ઈશ્વરને સારી રીતે ઓળખીને સંબંધ કેળવીશું તો, આવા બીજા અનેક આશીર્વાદો આપણા માટે રહેલા છે. વધારે જાણવા યહોવાના સાક્ષીઓને મળો અથવા jw.org/gu પર જાઓ.