ભાગ ૧૭
ઈશ્વરના રાજ્ય વિષે ઈસુ શીખવે છે
ઈસુ શિષ્યોને ઘણી બાબતો શીખવે છે. ખાસ તો ઈશ્વરના રાજ્ય વિષે શીખવે છે
ઈસુ ધરતી પર કેમ આવ્યા હતા? ઈસુએ પોતે એનો જવાબ આપતા કહ્યું: ‘ઈશ્વરના રાજ્યની ખુશખબરી જાહેર કરવા મને મોકલવામાં આવ્યો છે.’ (લૂક ૪:૪૩) ઈસુનો ઉપદેશ ખાસ કરીને ઈશ્વરના રાજ્ય પર ભાર મૂકતો હતો. એ રાજ્ય વિષે તેમણે ચાર બાબતો જણાવી.
૧. ઈશ્વરે પસંદ કરેલા રાજા ઈસુ છે. ઈસુએ કહ્યું કે ‘હું મસીહ છું જેની લોકો રાહ જુએ છે.’ (યોહાન ૪:૨૫, ૨૬) દાનીયેલે દર્શનમાં જોયેલા રાજા પણ ઈસુ હતા, ઈસુએ પોતે એમ કહ્યું. ઈસુએ તેમના પ્રેરિતોને કહ્યું કે ‘એક દિવસ હું રાજ્યાસન પર બેસીશ.a મારી સાથે તમે પણ રાજ કરશો.’ (માથ્થી ૧૯:૨૮) ઈસુ સાથે રાજ કરશે તેઓ “નાની ટોળી” કહેવાય છે. ઈસુએ બીજા લોકો વિષે પણ વાત કરી, જેઓ નાની ટોળીથી અલગ છે. તેઓને ઈસુએ “બીજાં ઘેટાં” કહ્યાં.—લૂક ૧૨:૩૨; યોહાન ૧૦:૧૬.
૨. ઈશ્વરના રાજ્યમાં ન્યાયનો સૂરજ ઊગશે. ઈશ્વરનું રાજ્ય શેતાનને પૂરી રીતે ખુલ્લો પાડશે. મનુષ્યની શરૂઆતથી તેણે ઈશ્વર વિષે જે જૂઠાણું ફેલાવ્યું છે એ દૂર કરશે. યહોવાનું નામ પવિત્ર મનાવશે. પછી કોઈ જાતનો અન્યાય નહિ હોય. (માથ્થી ૬:૯, ૧૦) ઈસુના જમાનામાં લોકોને અન્યાય થતો. ધર્મગુરુઓ પણ ભેદભાવ રાખતા. સામાન્ય લોકોને તુચ્છ ગણતા. જ્યારે કે ઈસુ બધા સાથે ન્યાયથી વર્ત્યા. તેમણે અમીર-ગરીબ, સ્ત્રી-પુરુષ બધાને યહોવા વિષે શીખવ્યું. ઈસુ ખાસ તો ઇઝરાયલી લોકોને શીખવવા આવ્યા હતા. તોય તેમણે સમરૂની જેવા બીજા સમાજ કે ધર્મના લોકોને ઈશ્વરના રાજ્ય વિષે શીખવ્યું.
૩. ઈશ્વરનું રાજ્ય દુનિયાની સરકારોથી સાવ અલગ હશે. ઈસુના વતન પર બીજો દેશ રાજ કરતો હતો. રાજનીતિમાં ભારે ઊથલ-પાથલ થતી હતી. એટલે લોકોએ ઈસુને દબાણ કર્યું કે તે રાજા બને ને દેશની હાલત સુધારે. પણ ઈસુએ સાફ ના પાડી. (યોહાન ૬:૧૪, ૧૫) ઈસુએ એક નેતાને કહ્યું, “મારું રાજ્ય આ જગતનું નથી.” (યોહાન ૧૮:૩૬) તેમણે પોતાના શિષ્યોને પણ કહ્યું, ‘તમે આ જગતનો ભાગ નથી.’ (યોહાન ૧૫:૧૯) એક વાર ઈસુનું રક્ષણ કરવા એક શિષ્યે તલવાર ઉપાડી ત્યારે, ઈસુએ એમ કરવાની સાફ ના પાડી. તેમણે શિષ્યોને લડાઈથી દૂર રહેવા કહ્યું.—માથ્થી ૨૬:૫૧, ૫૨.
‘ઈસુએ શહેરે-શહેર અને ગામે-ગામ ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરી.’—લૂક ૮:૧
૪. ઈસુ પ્રેમથી રાજ કરશે. ઈસુએ વચન આપ્યું કે લોકોનો બોજો તે હલકો કરશે. (માથ્થી ૧૧:૨૮-૩૦) ઈસુએ કહ્યું એમ જ કર્યું. પહાડ પર આપેલા ઉપદેશમાં તેમણે પ્રેમથી લોકોને મદદ કરી. ચિંતાઓ દૂર કરવા સલાહ-સૂચનો આપ્યા. હળીમળીને રહેવા માર્ગદર્શન આપ્યું. લોભી ન બનવા વિષે શીખવ્યું. સાચા સુખનો માર્ગ બતાવ્યો. (માથ્થી ૫-૭ અધ્યાયો) ઈસુ બધાય લોકો સાથે પ્રેમથી વર્ત્યા. નાના-મોટા સર્વ દોડીને તેમની પાસે જતા. ગરીબોને પણ તેમણે પ્રેમ બતાવ્યો, માન આપ્યું. ઈસુ જેવા રાજા કોઈ જ નહિ!
ઈસુએ બીજી એક રીતે પણ યહોવાના રાજ્ય વિષે શીખવ્યું. તેમણે ઘણા ચમત્કારો કર્યા. ચાલો જોઈએ કે ચમત્કારથી તેમણે રાજ્ય વિષે શું શીખવ્યું.
—આ માહિતી માથ્થી, માર્ક, લૂક અને યોહાનમાંથી છે.
a ઈશ્વરનો સંદેશો જણાવવા ઈસુએ શરૂઆતમાં પસંદ કરેલા ૧૨ પુરુષોને ‘પ્રેરિતો’ કહેવાય છે. “પ્રેરિત” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘કોઈ ખાસ કામ માટે મોકલેલી વ્યક્તિ.’